ચંડોળામાં રહેતા હજારો લોકો ક્યાં ગયા?: રસુલશા રડીને બોલ્યા, અમે મુસલમાન છીએ તો શું માણસ નથી?; કોઈ ખાવાનું આપી જાય તો ખાઈએ, નહીંતર પાણી પીને સૂઈ જાઈએ

ચંડોળામાં રહેતા હજારો લોકો ક્યાં ગયા?:રસુલશા રડીને બોલ્યા, અમે મુસલમાન છીએ તો શું માણસ નથી?; કોઈ ખાવાનું આપી જાય તો ખાઈએ, નહીંતર પાણી પીને સૂઈ જાઈએ
Email :

બંગાળીના તોડીશું... એવું કહીને અમારા મકાન પણ તોડી નાખ્યા. મારો બધો સામાન ભત્રીજીના ધાબે પડ્યો છે. એ પણ ભીંજાઈ ગયો છે. રહેવાનું કોઈ ઠેકાણું નથી. દિવસ-રાત કાટમાળ પાસે પડ્યા રહીએ છીએ. એવા સમયે મકાન તોડ્યા છે કે અમે ક્યાં જઈને રહીએ એ સમજાતું નથી. અમારી પાસે બેન્ક બેલેન્સ હતું એ લાવીને ખાઈએ છીએ. અમારી પાસે મકાન નથી, રસોઈ બનાવવાનો સામાન નથી. ક્યાં જઈએ, શું કરીએ? મારા પરિવારમાં તો એક દીકરી જ છે. હું જ કામ કરું છું ને બે પૈસા કમાઉં છું. આમાં મકાન ક્યાંથી લઉં? એક મહિનાથી અહીં પડ્યા છીએ. કોઈ ખાવાનું આપી જાય ને મળે તો ખાઈ લઈએ છીએ ને ન મળે તો પાણી પીને સૂઈ જાઈએ છીએ. કોઈ નેતા પૂછવા નથી આવ્યા. ભાડે મકાન કોણ આપે? ચંડોળાનું નામ સાંભળીને જ ભાડે નથી આપતા. આ શબ્દો છે ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતા અસરગ્રસ્તોના... અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં ચંડોળા તળાવ ફરતે વસેલી ઝૂંપડપટ્ટી અને કાચાં મકાનો મળીને 5 હજાર આવાસો જમીનદોસ્ત કરી નખાયાં. હજારો લોકો એક રાતમાં રસ્તા પર આવી ગયા. ચંડોળા તળાવ વિસ્તારમાં ઝૂંપડપટ્ટી પર બેવાર બુલડોઝર ફર્યું. 29 એપ્રિલ અને 20 મે, એમ બે વખત મેગા ડિમોલિશન કરવામાં આવ્યું. ચંડોળામાં એક સમયે જ્યાં વસાહત ઊભી હતી ત્યાં મેદાન થઈ ગયું છે. પહેલી વખત ડિમોલિશન થયું એને એક મહિનાથી વધારે સમય થઈ ગયો. બીજીવારના ડિમોલિશનને ટૂંક સમયમાં મહિનો થઈ જશે. અહીં રહેતા હજારો લોકો ગયા ક્યાં? હાલમાં તેઓ ક્યાં અને કેવી સ્થિતિમાં રહે છે? કેવી રીતે જીવન ગુજારી રહ્યા છે? સરકારે તેમના માટે શું વ્યવસ્થા કરી છે? ચંડોળાથી વિસ્થાપિત થયેલા લોકોને સરકારી મકાન કેવી રીતે મળશે? આ તમામ સવાલોના જવાબ જાણવા ન્યુ ગુજરાતની ટીમ ફરી એક વખત ગ્રાઉન્ડ પર પહોંચી છે. ન્યુ ગુજરાતની ટીમ ત્રણ રેન બસેરામાં ગઈ. પાલડી, ખોખરા અને ઈસનપુર. આ ત્રણેય રેન બસેરામાં રહેવા માટે ચંડોળાના લોકોને કહેવામાં આવ્યું હતું, પણ તેઓ ત્યાં ગયા નથી. એક રેન બસેરામાં 25-30 લોકો ગયા હતા, પણ બે દિવસ રોકાઈને જતા રહ્યા. એ પછી અમે ચંડોળા તળાવ આસપાસ ડિમોલિશન થયું ત્યાં ગયા. જોયું તો મોટા ભાગના લોકો અહીં આસપાસ ઝાડના છાંયડામાં જ રહે છે. આ લોકોને ચંડોળા વિસ્તાર છોડવો નથી. એનું સૌથી મોટું કારણ એક જ છે

કે બધા અહીં જ વર્ષોથી કામ કરીને બે પૈસા કમાઈ લે છે. એ પછી અમે વટવાની સરકારી વસાહતમાં ગયા. આ ચાર માળિયા ક્વાર્ટરમાં કેટલાક અસરગ્રસ્તો ભાડે રહેવા લાગ્યા છે. સૌથી પહેલા આપણે ચંડોળા વિસ્તારમાં રસ્તા પર રહેતા લોકોની સ્થિતિનો ચિતાર જાણીએ... ન્યુ ગુજરાતની ટીમે શું-શું જોયું? ન્યુ ગુજરાતની ટીમ ચંડોળા વિસ્તારમાં પહોંચી ત્યારે જોયું કે અહીં તમામ મકાનનો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. મસમોટા ખાડા કરીને તળાવને ઊંડું કરાઈ રહ્યું છે. જોકે જે લોકોના મકાન તોડી પડાયાં છે તેમાથી હજી પણ મોટા ભાગના લોકો અહીં જ તેમના મકાનના કાટમાળની વચ્ચે ખુલ્લા આકાશની નીચે રહે છે. અમે તેમની સાથે વાતચીત કરી તો જાણવા મળ્યું કે તેઓ ઘણા દિવસથી સ્નાન પણ નથી કર્યું, જમવાના કંઈ ઠેકાણા નથી, કોઈ ખાવાનું આપી જાય તો જમી લે છે, વરસાદ આવે તો તેમના છોકરાઓને લઈને આસપાસ કોઈ પતરાં નીચે જતા રહે છે. વરસાદ બંધ થાય ત્યારે ફરી ખુલ્લા મેદાનમાં આવી જાય છે. કોઈ જમવાનું આપી જાય તો જમે છે, નહીંતર ભૂખ્યા સૂઈ જાય છે. બહાર ભાડે મકાન શોધવા જાય છે તો ચંડોળાનું નામ સાંભળીને કોઈ મકાન પણ આપતું નથી. કોઈ મકાન આપી દે તો ડિપોઝીટ 50 હજાર રૂપિયા સુધીની માગે છે. આ લોકો કહે છે કે અમે મોટેભાગે રોજનું કમાઈને રોજ ખાવાવાળા. નાનીમોટી મજૂરી કરીને ઘર ચલાવીએ છીએ. આટલી મોટી ડિપોઝિટ ક્યાંથી કાઢવી? મોટા ભાગના હજી પણ જ્યાં તેમનાં મકાન તૂટ્યાં છે એના કાટમાળની વચ્ચે ખુલ્લામાં રહે છે. કોઈ ખાવાનું આપી જાય તો ખાઈ લઈએ, નહીંતર પાણી પીને સૂઈ જઈએ જમીલાબેન નામની મહિલાએ કહ્યું, પહેલાં અમને કહેવામાં આવ્યું કે ફક્ત બંગાળીનાં મકાન તોડીશું, બાદમાં અમારા મકાન પણ તોડી દેવામાં આવ્યાં. હાલમાં અમારા મકાનનો સામાન મારી ભત્રીજીના ઘરે મૂક્યો છે. રહેવાનું કોઈ ઠેકાણું નથી, રાતભર અમે અહીં ખુલ્લા આકાશની નીચે પડ્યા હોઈએ છીએ. કોઈ દિવસ સગાંસંબંધીના ત્યાં સૂવા જતા રહીએ છીએ. એ લોકોય કેટલા દિવસ સુધી અમને રાખે? સરકારી આવાસનાં ફોર્મ ભરવા માટે પણ 7 હજાર જેટલી રકમનો ડિમાન્ડ ડ્રાફ્ટ ભરવો ફરજિયાત છે. અત્યારે અહીં ખાવાનાં ફાંફાં છે ને આટલી મોટી રકમનો DD ક્યાંથી બનાવીએ? આ મેગા ડિમોલિશન પહેલાં તો અમને કહેવામાં આવ્યું હતું કે અહીં મકાન તૂટશે તો નાના ચંડોળાની અંદર તમને બધાને

ચાર માળીયાના મકાન બનાવી આપીશું. પહેલાં અમને મકાન આપ્યા હોત પછી અમારા મકાન તોડ્યા હોત તો વાંધો નહોતો. રસુલશા અલીશા દીવાન ન્યુ ગુજરાત સાથે વાત કરતાં કરતાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં. ચંડોળાનું નામ સાંભળીને કોઈ મકાન આપવા તૈયાર નથી. અમે છેલ્લા દોઢ મહિનાથી આજ સ્થિતિમાં બેઠા છીએ. કોઈ જમવાનું આપી જાય તો જમી લઈએ છીએ, નહીંતર તો પાણી પીને સૂઈ જઈએ છીએ. સરકાર કે વિપક્ષમાંથી એકપણ નેતા અમને કંઈ પૂછવા પણ નથી આવ્યું. આ ડિમોલિશનમાં અમારું બધું જ જતું રહ્યું. અમારી પાસે હવે ગુમાવવા જેવું કંઈ જ નથી. આ પહેરેલાં કપડાં છે. આ તબાહીનું મંજર છે. હું મારી હાલત પર રડી રહ્યો છું. અમદાવાદ જેવા શહેરમાં આટલા બધા હજારો લોકો બેઘર થઈ ગયા શું આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને ખ્યાલ નહીં હોય? જિંદગીમાં અમારે જીવવાનો કોઈ અધિકાર નથી? અમે મુસલમાન હોય તો શું થયું? અમે માણસ નથી? અહીં હું એકલો નથી. મારી જેમ હજારો લોકો રસ્તા પર રઝળી રહ્યા છે. અહીંનો માણસ પાંચ હજાર ભાડું નથી ભરી શકતો તો પછી સરકારી ઘર મળવા પર દર મહિને 30 હજારનો હપતો ક્યાંથી ભરશે? અહીં બધા પેડલલારી ચલાવવાવાળા, ભંગારવાળા, કચરો ઉપાડવાવાળા, નાનીમોટી કાળી મજૂરી કરવાવાળા રહેતા હતા. આ લોકો ક્યાંથી આટલા બધા રૂપિયા ભરી શકશે. સરકાર પાસે અમારી માગણી છે કે હપતો મહિને પાંચ હજાર કરી આપવામાં આવે. થોડી રાહત તો મળે. "ભીખ માગવાના દિવસો આવ્યા છે" જૈફ વયના સૈયદભાઈ કહે છે, દરગાહમાંથી ભીખ માગીને દિવસ વિતાવવો પડે છે. અમુકવાર તો દરગાહ બહાર કોઈ ખાવાનું આપી જાય તો એ ગળાની નીચે નથી ઊતરતું, પણ બાળકો માટે બધું કરવું પડે છે. આ ઉંમરમાં હવે મારો કોઈ આધાર નથી. ચિંતામાં મને શ્વાસની તકલીફ પણ થઈ ગઈ છે. ન્યુ ગુજરાતે અન્ય લોકો સાથે વાતચીત કરી તો જાણવા મળ્યું કે કેટલાક લોકો બેઘર થયેલા લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. અમુક જગ્યાએ મકાન ભાડે તો મળી રહ્યા છે, પરંતુ ડિપોઝીટ 50-60 હજાર માગે છે. યાસ્મિનબેન નિરાધાર છે. તેઓ કહે છે કે હું લોકોનાં ઘરે કચરાપોતાં કરીને મારું ઘર ચલાવું છું. ભાડે મકાન માટે રૂપિયા નથી, હાલમાં તો તૂટેલાં મકાન પાસે બેઠા છીએ. આગળ શું થશે ખબર નહીં. મકાનના ફોર્મમાં 7 હજારનો DD બનાવીને

આપી દીધો છે એટલે હવે અમારી પાસે બચતના રૂપિયા પણ નથી. બેન્કમાં હવે ઝીરો બેલેન્સ થઈ ગયું છે. સરકારે રેન બસેરામાં રહેવાનું કહ્યું છે, પરંતુ તમામ રેન બસેરા અહીંથી દૂર દૂર છે, અમે અહીં કામ પર કેવી રીતે આવીશું? અમારું કામ તો અહીં આસપાસ જ છે. અડધા રૂપિયા તો ભાડામાં જ વપરાઈ જશે. સાબિર આપા નામની મહિલા કહે છે, અત્યારે તો કોઈ સહારો નથી. આવી ગરમીમાં રસ્તા પર રહીએ છીએ. જ્યાં છાંયડો મળે ત્યાં બેઠા રહીએ. આઠ-દિવસ સુધી અમે સ્નાન કરી શકતા નથી. હું મારા પતિ બન્ને બીમાર રહીએ છીએ. કોઈ જમવાનું આપી જાય તો જમી લઈએ છીએ, નહીંતર ભૂખ્યા સૂઈ જઈએ છીએ. રેન બસેરામાં વ્યવસ્થા સારી છે, પણ ચંડોળાના અસરગ્રસ્તો રહેવા તૈયાર નથી અમને જાણવા મળ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદના દક્ષિણ ઝોનમાં આવેલા ખોખરા, પાલડી અને ઈસનપુર એમ ત્રણ રેન બસેરામાં ચંડોળાના અસરગ્રસ્તોને રહેવાની છૂટ આપી હતી. ત્યાં સૂચના જ હતી કે ચંડોળા વિસ્તારનાં મકાનો પાડી નખાયાં છે. ત્યાંથી કોઈ આવે ને ત્યાંનું આઈડી બતાવે તો રહેવાની જગ્યા આપવાની. ન્યુ ગુજરાતની ટીમ ત્રણેય રેન બસેરા પહોંચી હતી. ત્યાં પહોંચીને હકીકત જાણી તો જાણવા મળ્યું કે ચંડોળાનું કોઈ રેન બસેરામાં રહેવા તૈયાર નથી, કારણ કે તેમને રેન બસેરા દૂર પડી રહ્યું છે. અહીં હોસ્ટલની જેમ એક પુરુષનો હોલ અને એક મહિલાનો હોલ છે, જ્યાં તેમને રહેવું પડે છે. ચોખ્ખાઈ રાખવી પડે છે. અહીં કોઈપણ પ્રકારનું વ્યસન કરી શકાતું નથી. ચંડોળાથી વિસ્થાપિત થયેલા કેટલાક ગણ્યાગાંઠ્યા લોકો શરૂઆતમાં ઈસનપુર અને પાલડીના રેન બસેરામાં આવ્યા હતા પછી એકાદ-બે દિવસમાં જતા રહ્યા, કારણ કે તેમને અલગથી રૂમ જોઈએ છે, જે રેન બસેરામાં શક્ય નથી. હાલમાં અહીં કોઈ ચંડોળાનું રહેતું નથી. રેન બસેરામાં કોઈપણ આવીને મફતમાં રહી શકે છે. શરત એટલી કે તેમની પાસે કોઈ આઈડી પ્રૂફ હોવું જોઈએ. અહીં એક ટાઈમ જમવાનું મળી રહે છે. એક જનરલ રસોડું છે, જ્યાં કોઈપણ પોતાની રીતે પોતાનો સામાન લાવીને બનાવીને જમી શકે છે. દિવસમાં જેટલી વખત એન્ટ્રી કે એક્ઝિટ કરો એટલીવાર સિક્યોરિટી ગેટ પર એન્ટ્રી કરવામાં આવે છે. અહીં અન્ય જિલ્લાના લોકો આવીને રહે છે કે જેઓ થોડા દિવસના કામ માટે અમદાવાદમાં આવ્યા હોય એવા એકલદોકલ લોકો આવીને રહે છે. સૌથી મોટું કારણ તો

એક જ છે કે ચંડોળા તળાવની ઝૂંપડપટ્ટીમાં જે લોકો રહેતા હતા તેમાંથી મોટા ભાગના લોકોના કામ-ધંધા ચંડોળાની આસપાસ જ છે. ત્યાંથી જ એ બે પૈસા કમાઈ શકે છે. ચંડોળાના કાટમાળ આસપાસ રહેતા લોકો કહે છે કે અમને રેન બસેરામાં જવાનું કહ્યું હતું, પણ દૂર કોણ જાય? અમારે અહીં કામ માટે તો આવવાનું ને? રિક્ષાનાં ભાડાંના જ રોજના કેટલા રૂપિયા થાય? જે લોકો બે પૈસા કમાય છે તેઓ વટવા ચાર માળિયામાં રહેવા જતા રહ્યા ચંડોળા તળાવ આસપાસ વિસ્તારમાં રહેતા લોકો પાસેથી જાણવા મળ્યું કે કેટલાક લોકો વટવામાં ચાર માળિયામાં ભાડેથી રહેવા ચાલ્યા ગયા છે. અમે વટવાના ચાર માળિયા વિસ્તારમાં પહોંચ્યા. અહીં આવીને અમે જોયું તો ચંડોળાના કેટલાક લોકો ભાડે રહેતા હતા. ચાર માળિયા મોટો વિસ્તાર છે. અહીં અંદાજે 3500 ફ્લેટ છે. અહીં એક મકાનનું ભાડું બેથી ત્રણ હજાર છે. ચાર માળિયામાં પગ મૂકો ત્યાંથી જ ગંદકી શરૂ થઈ જાય. જાણે વર્ષોથી સફાઈ નથી થઈ. ગંદકીના કારણે જ અહીંનું ભાડું ઓછું છે. ચાર માળિયા વિસ્તારમાં ગટરનું પાણી જોવા મળે છે, અહીંના લોકો AMCમાં ગંદકી મામલે ફરિયાદ કરી કરીને થાકી ગયા છે, પણ સાંભળવાવાળું કોઈ નથી. આ વિસ્તાર ગુનેગારોનો અડ્ડો પણ છે. અહીં પરપ્રાંતીય, હિન્દુ, મુસ્લિમ બધા એકસાથે રહે છે. ચાર માળિયામાં મોટા ભાગના વિસ્થાપિત થયેલા લોકો રહે છે. વટવા ચાર માળિયાની હાલત દર્શાવતી આ બે તસવીર જુઓ... બે ભાઈઓએ 10 હજારમાં ફ્રિજ વેચ્યું, હવે એ પૈસામાંથી ઘર ચલાવે છે ચંડોળાથી વિસ્થાપિત થઈને વટવાના ચાર માળિયામાં રહેતા કેટલાક પરિવારની ન્યુ ગુજરાતે મુલાકાત લઈને વાતચીત કરી, જેમાં અમે મકસૂદ અને સમીરના ઘરે ગયા. આ બન્ને ભાઈ એકસાથે અહીં અઢી હજાર ભાડાના મકાનમાં રહે છે, જેમાં બે નાના રૂમ અને એક રસોડું છે. પરિવારમાં બન્નેની પત્નીઓ અને બાળક અને માતા હાજર હતાં. પિતા હયાત નથી. ચંડોળામાં જ્યારથી તેમનું મકાન તૂટ્યું ત્યારથી તેઓ રોડ પર રહેતાં હતાં. બન્ને ભાઈઓએ પોતાની આપવીતી જણાવતાં કહ્યું, કેટલાય દિવસો સુધી તો નાયા વગરના રહ્યા. રાત્રે અમે નજીકની એક મસ્જિદમાં જઈને સૂઈ જતા હતા. લાઈટ, પાણીના કોઈ ઠેકાણા નહોતા. બહારથી જે મદદ મળતી એમાં ચલાવી લેતા હતા. કેટલાક અધિકારીઓ આવતા અને પૂછપરછ કરીને જતા રહેતા હતા. થોડી દિવસ બાદ એ મસ્જિદ જ તોડી પાડવામાં આવી. બાદમાં અમે સરકારી શૌચાલયમાં નાવા

માટે જતા હતા. મકાન તૂટ્યું ત્યારથી અમે 15-20 દિવસ સુધી બહાર ઝૂંપડપટ્ટી બનાવીને રહ્યા. એ વખતે વરસાદ હતો એમાં બહાર પલળતા રહ્યા. કોઈ જગ્યાએ મકાન માગવા જઈએ તો ચંડોળાનું નામ સાંભળીને કોઈ મકાન આપવા તૈયાર નહોતું થતું અને મળી પણ જાય તો કેટલાક લોકો મજબૂરીનો લાભ ઉઠાવીને 30-40 હજાર ડિપોઝિટ માગતા હતા. અમે મહિને માંડ 10-12 હજાર કમાતા હોઈએ તો 30-40 હજાર ક્યાંથી લાવીએ. અમે બન્ને ભાઈ ચંડોળાના મિલ્લતનગરમાં એકસાથે એક જ મકાનમાં રહેતા હતા બન્ને ભાઈનાં લગ્ન થઈ ગયા હોવાથી અમારો સામાન પણ ડબલ હતો. ચંડોળામાં મકાન તૂટતાં ગુજરાન ચલાવવા 30 હજારનું ફ્રિજ 10 હજારમાં વેચી નાખ્યું. અત્યારસુધી તેમણે વેચેલા ફ્રિજના રૂપિયા ઉપર જ ગુજરાન ચલાવ્યું. હવે એક પરિચિતના સંપર્કથી વટવાના ચાર માળિયામાં ઘર મળતાં બન્ને ભાઈ પોતપોતાના કામે લાગ્યા છીએ. મકાન નાના છે એટલે અમે અલગ, છોકરાઓ અલગ ભાડું આપીને રહે છે મકસૂદ અને સમીરની મુલાકાત લીધા બાદ અમે મોહંમદ અસલમ પઠાણના ઘરે પહોંચ્યા. અહીં તે રાખડી બનાવવાનું કામ કરે છે. તેમણે પોતાની આપવીતી જણાવતાં કહ્યું કે હું 10 લોકોના પરિવાર સાથે ચંડોળામાં મસ્જિદ પાસે રહેતો હતો. અમારું મકાન તૂટી જતાં હું પરિવાર સાથે ત્યાં જ રોડ પર 10 દિવસ પડ્યો રહ્યો. કેટલાક સેવાભાવી લોકો આવતા, જમવાનું આપી જતા એ જ અમે જમી લેતા. હાલમાં વટવાના ચાર માળિયામાં 2500 રૂપિયા ભાડે મકાન રાખીને રહીએ છીએ. પાંચ હજાર ડિપોઝિટ પણ આપી છે. હું ઘરમાં જ રાખડી બનાવવાનું કામ કરું છું, જેમાં મહિને 15થી 16 હજાર જેટલું કમાઈ લઉં છું, જોકે છેલ્લા એક મહિનાથી આ ઘરના ચક્કરમાં કામધંધો પણ બંધ થઈ ગયો છે. આ મહિનાનું ભાડું ક્યાંથી ભરીશું, ખબર નહીં. મારા છોકરાઓ પણ અલગથી ભાડે રહેવા જતા રહ્યા છે. સરકાર પાસે અમારી માગ છે, અમને ઘરની સામે ઘર આપવામાં આવે. હાલમાં AMC ઘર માટે ફોર્મ ભરાવી રહી છે, અમે ફોર્મ પણ ભરી દીધું છે, પરંતુ આ લોકો 10 હપતામાં 3 લાખ રૂપિયા ભરવાનું કહે છે. આ ક્યાંથી શક્ય છે? મારી કમાણી જ મહિનાની 15 હજાર છે તો હું મહિને 30 હજારનો હપતો કેવી રીતે ભરીશ? અમારી એ પણ માગ છે કે સરકાર રૂપિયા ભરવાની સમયમર્યાદા વધારે, 10 મહિનાની જગ્યાએ 3 વર્ષ કરે અને રકમ પણ

થોડી ઓછી કરી આપે. AMCએ ચંડોળાથી વિસ્થાપિત થયેલા લોકોનાં મકાનના ફોર્મ ભરવા માટે કેટલાક પુરાવા ફરજિયાત કર્યા છે, જેમાં કહેવાયું છે કે ચંડોળામાં રહેતા ભારતીય નાગરિકોના આવાસ યોજનામાં મકાન લેવા માટે રેશન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, ચૂંટણી કાર્ડ, લાઈટબિલ અને જન્મનું પ્રમાણપત્ર (ચંડોળાના હોય તો) આમાંથી કોઈપણ બે પુરાવા આપવાના રહેશે. જોકે શરત એ છે કે પુરાવા 2010 પહેલાંના હોવા જોઈએ. 2010 પહેલાંના પુરાવા હશે તો જ ફોર્મ જમા થશે, નહીંતર ફોર્મ નામંજૂર કરવામાં આવી રહ્યા છે. જ્યારે આધાર કાર્ડ, બેન્ક પાસબુક અથવા કેન્સલ ચેક, સાક્ષીના આધાર કાર્ડની ઝેરોક્સ, 7500/- રૂપિયાનો બેન્કનો ડિમાન્ડ ડ્રાફ્ટ, આવકનો દાખલો અને એક સોગંદનામું આપવું ફરજિયાત છે. આવાસ યોજનાના ફોર્મ ભરવા એટલે લોઢાના ચણા ચાવવા જેવું કામ ચંડોળામાં જે લોકોનાં મકાન તોડી પડાયાં છે તે લોકોને સરકારે મકાન આપવાનું કહ્યું છે. એના માટે દાણીલીમડામાં આવેલી સબઝોનલ ઓફિસમાં એનાં ફોર્મ ભરાઈ રહ્યાં છે. ન્યુ ગુજરાતની ટીમ અહીં પણ પહોંચી હતી, જેમાં લોકોને ફોર્મ ભરવામાં કોઈ તકલીફ ન પડે એ માટે કોંગ્રેસના સ્થાનિક નેતા શહેઝાદખાન પઠાણે મંડપ, પાણી, કૂલર સહિતની વ્યવસ્થા કરી આપી છે. આ સિવાય તેમના માણસો તેમને ફોર્મ ભરવામાં પણ મદદરૂપ થઈ રહ્યા છે. ફોર્મ ભરવા આવેલા કેટલાક લોકો સાથે અમે વાતચીત કરતાં જાણવા મળ્યું કે ઘણા લોકો પાસે ડોક્યુમેન્ટ પૂરતા છે તો કેટલાક લોકો માટે પૂરતા ડોક્યુમેન્ટ નથી. જે લોકો પાસે પૂરતા પુરાવા નથી, એકાદ કાગળિયામાં પણ તકલીફ હોય તો તેવા ઘણા લોકોના ફોર્મ રિજેક્ટ થઈ રહ્યાં છે. જેમ કે કોઈના રેશન કાર્ડમાં તેમના છોકરાનું નામ હોય અને હાલમાં તેઓ લગ્ન કરીને અલગ રહેતા હોય તો તેમના ફોર્મ પણ સબ્મિટ થતા નથી. પરિવારમાંથી ફક્ત એક જ ફોર્મ લેવામાં આવી રહ્યું છે. અબ્દુલ અઝીઝ નામની વ્યક્તિએ જણાવ્યું કે મારા સગાભાઈના રેશન કાર્ડના ફક્ત સામાન્ય એડ્રેસનો ચેન્જ છે છતાં ફોર્મ સબ્મિટ થતાં નથી. એડ્રેસ ચેન્જ માટે જમાલપુરની સબઝોનલ ઓફિસમાં પણ જઈને આવ્યા. ત્યાં પણ ના પાડે છે કે કોઈપણ જાતના સુધારા નહીં થાય. હવે અમારે આની પર ક્યાં કોઈ ધનદોલત લેવાની છે? અમારે તો ખાલી ફોર્મ ભરવાનું છે... ચંડોળામાં ફક્ત મુસ્લિમો જ નહીં, કેટલાક હિન્દુ લોકો પણ પ્રભાવિત થયા છે. મકાનના ફોર્મની લાઈનમાં ઊભેલાં સોમીબેન પુરુષોત્તમભાઈ સાથે ન્યુ ગુજરાતે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે

અમે છેલ્લાં 40 વર્ષથી અહીં રહેતા હતા, હાલમાં મકાન પાડી દેવાયું છે. અમે ઘર બાર વગરના થઈ ગયા છીએ, ખાવાનાં પણ ફાંફાં છે. ધંધોરોજગાર બંધ થઈ ગયા છે. આમાં જીવન પસાર કેવી રીતે કરવું? અમારા ઘરમાં 10 જેટલા લોકોનો પરિવાર છે. આટલી બધી ભીડ જોઈને નથી લાગતું કે તમામ લોકોને મકાન મળી રહેશે. હાલમાં અમે રોડ પર રહીએ છીએ, કારણ કે મકાનના ભાડા એટલા બધા છે કે પોસાય એમ નથી. "મારો જન્મ ચંડોળામાં થયો છતાં મકાનનું ફોર્મ નથી ભરાતું" શેખ મોહંમદ વસીમ નામની વ્યક્તિ ભારે દુ:ખ સાથે વાત કરતાં જણાવે છે કે મને બરાબર યાદ છે ગુજરાતમાં 2001માં જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે જુમ્માનો દિવસ હતો. સવારે 08:45 વાગ્યાનો ટાઈમ હતો ત્યારથી અમે ચંડોળામાં રહીએ છીએ. શાહઆલમ સરકારનો બે મિનાર પણ પડી ગયો હતો. અમે પરિવારમાં ત્રણ ભાઈ છીએ. ત્રણેયનાં રેશન કાર્ડ અલગ અલગ છે. મારાં પાંચ બાળકો છે. મારા પિતાનું ઈલેક્શન કાર્ડ 2006નું છે તો તેમનું મકાનનું ફોર્મ ભરાઈ ગયું છે. અમારા ત્રણ ભાઈના ફોર્મ નથી ભરાતા, કારણ કે અમારી પાસે બધા પુરાવા 2010 પછીના છે. હવે અમે એક ફોર્મના મકાનમાં ત્રણ લોકોનો પરિવાર કેવી રીતે રહી શકીએ? 2012 પછી અમે ભાઈઓ 18 વર્ષના થયા ત્યારે અમે અમારા બધા ડોક્યુમેન્ટ બનાવ્યા, 2012 પછી ઈલેક્શન કાર્ડ બન્યું, 2016માં રેશન કાર્ડ બન્યું, તમામ પુરાવા અમે બનાવી દીધા. કહેવાનો મતલબ કે અમારું નાનપણ અહીં નીકળ્યું, હવે અત્યારે મકાનનું ફોર્મ ભરવા જઈએ છે તો કહે છે કે 2010 પહેલાંનો પુરાવો લઈને આવો. એ ક્યાંથી લાવીએ? મિડલ ક્લાસના લોકો માટે દર મહિને 30 હજાર ભરવા અઘરા છે, તો ગરીબ ક્યાંથી લાવે? ચંડોળા વિસ્તારના આગેવાન નસરુભાઈએ જણાવ્યું કે ચંડોળામાં આઠથી સાડાઆઠ હજાર લોકોનાં મકાન તૂટી ગયાં છે. આ લોકોના રહેવા માટે ઘર નથી કે જમવાનું કંઈ મળતું નથી. અમારા સ્થાનિક AMCના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષભાઈ પરમારે સરકારમાં રજૂઆત કરી હતી, જેના સંદર્ભે સરકારે મકાન માટેનાં ફોર્મ બહાર પાડ્યાં છે, જે ફક્ત ચંડોળાવાળા જ ભરી શકે છે. 2010 પહેલાંથી અહીં રહેતા ભારતીય નાગરિકોને જ મકાન આપવામાં આવશે એવું ફોર્મમાં લખાયેલું છે, પરંતુ ઘણા લોકો એવા છે તેમના પુરાવામાં કોઈ ને કોઈ તકલીફ હોય, જેમની પાસે 2010 પહેલાંનો પુરાવો મળી

નથી શકતા તેમના ફોર્મ રિજેક્ટ થઈ રહ્યાં છે. આ લોકો માટે પણ અલગથી રસ્તો કાઢવો જોઈએ. હાલમાં 1000થી પણ વધુ લોકોનાં ફોર્મ ભરાઈ ગયાં છે. આ ફોર્મમાં મકાન લાગ્યા બાદ સરકારે 10 મહિના સુધી દર મહિને 30 હજારનો હપતો ભરવાનું કહ્યું છે એટલે કે 3 લાખ રૂપિયા 10 મહિનામાં ભરવાના રહેશે. મધ્યમવર્ગના લોકો પણ આટલી રકમ ના ભરી શકે તો પછી અહીં ચંડોળામાં મહિને 10-15 હજાર કમાનારા લોકો કેવી રીતે ભરી શકે? સરકાર અને AMC પાસે અમારી માગ છે કે આ લોકોના હપતા ઓછા કરવામાં આવે અને રૂપિયા ભરવાની રકમ પણ ઓછી કરવામાં આવે. હાલમાં તો ફક્ત ફોર્મ ભરાઈ રહ્યાં છે. હજી તો આગળ આ તમામ ફોર્મની ચકાસણી થશે, ડ્રો થશે, એક લાંબી પ્રક્રિયા ચાલશે, જેમાં ઘણો સમય લાગે એમ છે. ફોર્મ ભરાઈ ગયા બાદ અમે રજૂઆત કરવાના છીએ કે ચંડોળાના લોકોને જેમ બને તેમ જલદીમાં જલદી મકાન મળી રહે. અહીં હાલમાં ઘણી સંસ્થાના લોકો આવે છે, પરંતુ તેઓ માત્ર વીડિયો ઉતારીને, ફોટા પડાવીને અને આશ્વાસન આપીને જતા રહે છે. કોઈ મદદ નથી કરતા... આવાસ યોજનાનાં ફોર્મ ભરાયાં, ક્યારે પ્રક્રિયા થાય, ક્યારે ડ્રો થાય ને ક્યારે મકાન મળે.... ચંડોળાથી વિસ્થાપિત થયેલા લોકોને મકાન લેવા માટે એએમસી કેટલીક શરતો પણ મૂકી છે, જેમાં કુટુંબના તમામ સભ્યોની મળીને પરિવારની વાર્ષિક આવક 3 લાખ કે એનાથી ઓછી હોવી જોઈએ. તમામ સરકારી સહાય બાદ કરીને અરજદારને આ એક મકાન ત્રણ લાખમાં પડશે, જે 10 હપતામાં ભરવાના રહેશે. મકાનોની ફાળવણી કોમ્પ્યુટર ડ્રો થકી નક્કી કરવામાં આવશે. ડ્રોમાં નામ ખૂલે એટલે એએમસી જણાવે ત્યારે અરજદારે ત્રણ માસમાં અચૂકપણે મકાનની કુલ કિંમતના ઓછામાં ઓછા 20 ટકા રકમ ભરવાની રહેશે. મકાન મળતાં અરજી સમયે ભરેલી ડિપોઝિટની રકમ પાછી આપવામાં આવશે. બાકી રહેતી 80% રકમ એકસરખા 10 હપતો એએમસીમાં જમા કરાવવાની રહેશે. આ સિવાય એએમસી નક્કી કરે એ મેઈન્ટેનન્સ ડિપોઝિટ તથા અન્ય ચાર્જીસ પણ ભરવાનાં રહેશે. ચંડોળા તળાવ આસપાસ વર્ષોથી રહેતા લોકોનાં ઘર છીનવાઈ ગયાં છે. નવું ઘર ક્યારે મળશે એ નક્કી નથી. જે રીતે દુનિયાના બીજા લોકો જીવી રહ્યા છે કે આજે નહીં તો કાલે આપણું સારું થશે, એવી જ જિજીવિષા સાથે આ ગરીબ લોકો પણ જીવનનો એકએક કઠિન દિવસ પસાર કરી રહ્યા છે.

Leave a Reply

Related Post