સાબરમતીની સ્વચ્છતામાં કોર્પોરેટરો ફરક્યા જ નહીં: અમદાવાદના મેયર, ધારાસભ્યો અને કમિશનરે પરસેવો પાડ્યો, 160માંથી માત્ર 25-30 જોડાયા; મોટા પ્રમાણમાં ધજા-પ્લાસ્ટિક મળ્યું

સાબરમતીની સ્વચ્છતામાં કોર્પોરેટરો ફરક્યા જ નહીં:અમદાવાદના મેયર, ધારાસભ્યો અને કમિશનરે પરસેવો પાડ્યો, 160માંથી માત્ર 25-30 જોડાયા; મોટા પ્રમાણમાં ધજા-પ્લાસ્ટિક મળ્યું
Email :

અમદાવાદ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીને આજે 15 મેથી સાફ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મેયર પ્રતિભા જૈન અને ધારાસભ્યો સહિત ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા નદીમાં ઉતરીને સફાઈ કરવામાં આવી હતી. મેયરે હાથમાં ગ્લવઝ તેમજ મોંઢે માસ્ક બાંધીને હાથમાં પાવડો લઈને સફાઈ કરી હતી. મ્યુનિ. કમિશનર, સ્ટેન્ડિંગ ચેરમેન અને શાસક પક્ષના નેતાએ હાથથી નદીમાં લોકો દ્વારા નાખવામાં આવેલી ધજાને મહામહેનતે બહાર કાઢી હતી. નદીમાંથી ખૂબ જ કચરો, પ્લાસ્ટિક, ભગવાનના ફોટા, ધજાઓ, માળાઓ, ફૂલો, પથ્થરો સહિતની ચીજવસ્તુઓ નીકળી છે. આ સફાઈ અભિયાનમાં જાણે કે કોર્પોરેટરોને કોઈ રસ ન હોય તેમ કોઈ

ફરક્યા જ નહીં. ભાજપના 160માંથી માત્ર 25-30 કોર્પોરેટરો જ અભિયાનમાં જોડાયા હતા. વિવિધ સંસ્થાઓ સફાઇ અભિયાનમાં જોડાઈ સાબરમતી ગાંધીઆશ્રમની પાછળના ભાગે રિવરફ્રન્ટ પર સાબરમતી નદી સ્વચ્છતા અભિયાનમાં આજે સવારથી વિવિધ સંસ્થાઓ સફાઈ અભિયાનમાં જોડાઈ હતી. 25થી વધુ સંસ્થાઓના કાર્યકર્તાઓ દ્વારા સફાઈ કરવામાં આવી છે. સફાઈ કરનારા લોકોને મોઢે માસ્ક, હાથમાં ગ્લવઝ અને કચરો ભરવા માટેની થેલી આપવામાં આવી હતી. વિવિધ સંસ્થાના 500થી વધારે લોકોએ હાથમાં પાવડો લઈ નદીની સફાઈ કરી છે. સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ બંને તરફ સાફ-સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નદીના પટમાં જ્યાં પાણી નથી તેવા સ્થળ પર સફાઈ કરવામાં આવી રહી છે.

પાંચ તબક્કામાં 5 જૂન સુધી સફાઈ અભિયાન મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે સાબરમતી નદીના સ્વચ્છતા અભિયાનની આજથી શરૂઆત કરવામાં આવી છે. નદીને સાફ રાખવી આપણી જવાબદારી છે. વિવિધ સામાજિક સંસ્થાઓની સાથે મળી કુલ પાંચ તબક્કામાં સફાઈ કરવામાં આવશે. આગામી પાંચ જૂન સુધી નદીમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવશે. નદીમાં રહેલો કચરો દૂર કરવામાં આવશે. નદીમાં ગટરના ગંદા પાણી છોડવા મામલે તેઓએ જણાવ્યું હતું કે જે પણ જગ્યાએ નદીના ગંદા પાણી આવી રહ્યા છે તેને બંધ કરવા માટેની પ્રક્રિયા કરવામાં આવી છે. 3 ડ્રેનેજ કનેક્શન દૂર કર્યા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે સાબરમતી નદીમાં

સફાઈ કરવાને લઈને આજથી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નદીને સ્વચ્છ કરવાની જવાબદારી આપણી પોતાની છે અને તેના પર આજથી સફાઈ અભિયાન ચાલુ થયું છે. વિવિધ સંસ્થાઓને સાથે જોડી અને આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સાબરમતી નદીમાં ગટરના ગંદા પાણી છોડવામાં આવતા હોવા અંગે ત્રણ કનેક્શનનો મળી આવ્યા હતા. જેને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જે લોકોએ આ કનેક્શન કર્યા હતા તેમની સામે પણ કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. સુભાષબ્રિજથી વાસણા બેરેજ સુધી સફાઈ કરાશે સાબરમતી નદી પર વાસણા બેરેજના દરવાજાના રીપેરીંગ અને ઉપરવાસમાં માટીના રેમ્પની કામગીરી 5 જૂન સુધી હાથ ધરવામાં આવનાર છે. જેના

માટે થઈને રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા સાબરમતી નદી ખાલી થઈ છે જેથી નદીને તબક્કાવાર સફાઈ કરવાની હોવાથી નદીમાં સફાઈ કરવાની શરૂઆત કરવામાં આવી છે. નદીમાં રહેલો કચરો અને કાપ વગેરે દૂર કરવામાં આવશે. સાબરમતી નદીનો પાંચ કિલોમીટરથી વધુનો ભાગ ખાલી થશે. સુભાષબ્રિજથી લઈ વાસણા બેરેજ સુધીનો વિસ્તાર લગભગ ખાલી થતાં આ તમામ જગ્યા પર સફાઈ કરવામાં આવશે. ભાજપના માત્ર 25-30 કોર્પોરેટરો જોડાયા સાબરમતી નદીનું સ્વચ્છતા અભિયાન કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જોકે આ સ્વચ્છતા અભિયાનમાં ભાજપના કોર્પોરેટરોને કોઈ રસ ન હોય તેમ અભિયાનમાં સવારે ભાગ લેવા માટે પહોંચ્યા નહોતા. ભાજપ અને કોંગ્રેસના કુલ 192 કોર્પોરેટરો છે

જેમાંથી 160 જેટલા કોર્પોરેટરો ભાજપના છે જેમાંથી માત્ર 25થી 30 કોર્પોરેટરો અને પદાધિકારીઓ જ હાજર રહ્યા હતા. સાબરમતી નદી સ્વચ્છતા અભિયાન હોવા અંગેની માહિતી ભાજપના કોર્પોરેટરોને આપવામાં આવી હતી કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી પરંતુ સાબરમતી નદીને સ્વચ્છ કરવામાં આવી હોવાની જાણ થતાં પણ ભાજપના કોર્પોરેટરો સ્વચ્છતા અભિયાનમાં ફરક્યા ન હતા. વર્ષ 2019માં સફાઈ અભિયાન કરાયું હતું વર્ષ 2019માં સાબરમતી નદીની સફાઈ કરવામાં આવી હતી. જે તે સમયે સફાઈ અભિયાન દરમિયાન મોટી સંખ્યામાં કચરો અને પ્લાસ્ટિક જેવી ચીજવસ્તુઓ મળી આવી હતી. છ વર્ષ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા સાબરમતી નદીના સફાઈનું અભિયાન

હાથ ધરવામાં આવ્યું છે. રાજસ્થાનના ઉદેપુરના ઢેબર લેકથી નીકળી ખંભાતના અખાતમાં મળે છે ઉત્તર ગુજરાતની સૌથી મહત્વની એવી સાબરમતી નદી રાજસ્થાનના ઉદેપુરના ઢેબર લેકથી નીકળી ગુજરાતમાં ખંભાતના અખાતને મળે છે. આ નદી 371 કિલોમીટર લાંબી છે. સાબરમતી નદીના ઉદ્દભવસ્થાન વિશે જાણીને આપને નવાઇ લાગશે કે ઇ.સ.1687થી 1691 વચ્ચે તે સમયના મહારાણા જયસિંહે ઢેબર લેકનું નિર્માણ કર્યું હતું. જે એશિયાનું સૌથી મોટું કૃત્રિમ રીતે બનાવેલું મીઠા પાણીનું સરોવર છે. 371 કિલોમીટર લાંબી આ નદી રાજસ્થાનમાં 48 કિલોમીટરનું અંતર કાપી ગુજરાતમાં 323 કિલોમીટરનું અંતર ખંભાતના અખાતમાં પૂર્ણ કરે છે. ગુજરાતના 7 જિલ્લામાંથી નીકળે છે સાબરમતી સાત જિલ્લાને સ્પર્શતી આ નદી

રાજસ્થાનના ઉદેપુર તેમજ ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લામાંથી પસાર થાય છે. તેના આ સફરમાં વાકલ, સેઇ, હરણાવ, હાથમતી, વાત્રક અને મધુમતી જેવી 6 નદીઓ તેના મૂળ સ્થાનથી નિકળી સાબરમતી નદીમાં ભળી જાય છે. સાબરમતી અને તેની ઉપનદીઓ પર અનેક બંધ શરૂઆતમાં 10 કિલોમીટરને બાદ કરતાં આ નદી ગુજરાતમાંથી જ વહે છે. હમાવ, ગુહાઈ, હાથમતી, ખારી, મેશ્વો, માઝમ, વાત્રક, મોહર અને શેઢી જેવી ઉપનદીઓમાં સાબરમતીનો પ્રવાહ ભળે છે. સાબરમતી અને એની ઉપનદીઓ પર કેટલાક બંધ જેવા મળે છે. જેમ કે ધરોઇ ડેમ, હાથમતી ડેમ, હર્ણાવ ડેમ, ગુહાઈ ડેમ, મેશ્વો જળાશય, મેશ્વો બંધ, માઝમ ડેમ

અને વાત્રક ડેમ આવેલા છે. ‘ભારતની સૌથી પ્રદૂષિત નદીઓમાં સાબરમતી બીજા સ્થાને’ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના 2023ના અહેવાલ પ્રમાણે ભારતની સૌથી પ્રદૂષિત નદીઓમાં અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદી બીજા સ્થાને છે અને ગુજરાતની તે સૌથી વધારે પ્રદૂષિત નદી છે. સાબરમતી નદીનું પ્રદૂષણ એક ચિંતાજનક મુદ્દો છે અને હાઇકોર્ટે પણ તેની નોંધ લીધી છે. ગુજરાત હાઇકોર્ટે પોતાના એક આદેશમાં નોંધ્યું હતું કે અમદાવાદ મહાનગરપાલિકાના સિવેજ પ્લાન્ટ સારી રીતે કામ ન કરતા હોવાથી સાબરમતી નદી વધુ પ્રદૂષિત થાય છે. આદેશમાં એવું પણ નોંધવામાં આવ્યું હતું કે આના લીધે સ્વાસ્થ્ય સામે પણ ગંભીર સમસ્યાઓ ઊભી થઈ રહી છે.

Leave a Reply

Related Post