ભારત-પાક તણાવ વચ્ચે અમરનાથ યાત્રામાં ભંડારા સજ્જ: આયોજકે કહ્યું- બેઝ કેમ્પ પર ફાયરિંગ સામાન્ય, આર્મી હોવાથી ડરવાની જરૂર નથી, ગુજરાતના લાડુ જવાનોમાં પ્રિય

ભારત-પાક તણાવ વચ્ચે અમરનાથ યાત્રામાં ભંડારા સજ્જ:આયોજકે કહ્યું- બેઝ કેમ્પ પર ફાયરિંગ સામાન્ય, આર્મી હોવાથી ડરવાની જરૂર નથી, ગુજરાતના લાડુ જવાનોમાં પ્રિય
Email :

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે આગામી જુલાઈ મહિનાથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. એક મહિના સુધી ત્યાં ભંડારો યોજાશે. ગુજરાતમાંથી મુખ્યત્વે વડોદરા અને સુરતથી અમરનાથ યાત્રાના રૂટ પર ભંડારો યોજવામાં આવે છે. ન્યુ ગુજરાતે સુરત અને વડોદરાના ભંડારા આયોજકો સાથે વાત કરી ભંડારા આયોજનની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. મા શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટે તૈયારીઓ કરી લીધી વડોદરાના મા શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભંડારાની તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે. આ વખતે સતત 27મા વર્ષે યાત્રાળુઓ માટે ભોજનની વ્યવસ્થા કરતા આ ટ્રસ્ટના રાજકોટમાં રહેતા ટ્રસ્ટી અને સતત 28મા વર્ષે અમરનાથ યાત્રામાં જનારા વિજયભાઈ સિદ્ધપુરાએ તમામ તૈયારીઓ વિશે માહિતી આપી હતી. ‘બેઝ કેમ્પમાં ફાયરિંગની ઘટના સામાન્ય’ વિજયભાઈ સિદ્ધપુરાએ જણાવ્યું હતું કે 3 જુલાઈથી બાલતાલ અને ચંદનવાડીમાં યાત્રાળુઓ સવારે 4થી બપોરે 1 દરમિયાન ભોજન પ્રસાદ માટે આવી શકે છે, જ્યાં નાસ્તામાં ગાંઠિયા, જલેબી તો ભોજનમાં મીઠાઈ, દાળ-ભાત, શાક, રોટલીનો સ્વાદિષ્ટ

પ્રસાદ પીરસવામાં આવશે. પોતાના અનુભવો પરથી તેઓ કહે છે કે ત્યાં બેઝ કેમ્પમાં ફાયરિંગની ઘટના સામાન્ય રીતે બનતી હોય છે, પરંતુ લોકોએ ડરવાની જરૂર નથી, કારણ કે આર્મીની સિક્યોરિટી કડક હોય છે. ભંડારામાં પ્રસાદની સાથે દવાઓ પણ ઉપલબ્ધ મા શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી વિજયભાઈ સિદ્ધપુરાએ ન્યુ ગુજરાતને જણાવ્યું હતું કે અમરનાથ યાત્રામાં આર્મી અને પોલીસનો ખૂબ જ સપોર્ટ મળે છે. ભંડારામાં પ્રસાદની સાથે દવાઓ પણ ઉપલબ્ધ હોય છે. 3 જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ થઈ જશે, જેથી બાબા અમરનાથના ભક્તો નિ:સંકોચ પધારી શકે છે. ‘ગત વર્ષે બાલતાલમાં નવો ભંડારો શરૂ કર્યો’ તેમણે જણાવ્યું હતું કે હું વર્ષ 1998થી અમરનાથ યાત્રા કરું છું. ગુજરાતના ભંડારાનો ટ્રસ્ટી છું. આ વર્ષે 27મો ભંડારો કરવામાં આવશે. ગત વર્ષે બાલતાલમાં નવો ભંડારો શરૂ થયો છે. આ ઉપરાંત ચંદનવાડીમાં પહેલેથી ભંડારો છે. બંને ભંડારામાં દરરોજ સવારે 4 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીમાં 18,000 લોકો પ્રસાદ માટે આવે છે. બપોરે 1

વાગ્યા બાદ ચંદનવાડી અને બાલતાલથી આગળ જવાનો રસ્તો બંધ થઈ જતો હોવાથી ભંડારામાં પ્રસાદ પૂર્ણ થાય છે. ‘આર્મીની સુરક્ષા વધારી દેવાઈ છે’ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં અમરનાથ યાત્રા પર શું અસર પડશે એવું પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે અમારી જાણ મુજબ આર્મીના જવાનોની સુરક્ષા વધારી દેવામાં આવી છે, જેથી યાત્રાળુઓને કોઈ મુશ્કેલી નહીં પડે, જેથી એકપણ યાત્રીએ ડરવાની જરૂર નથી. ‘યાત્રા દરમિયાન અનેક વખત ફાયરિંગ સહિતના અવાજો સાંભળ્યા’ અમરનાથ યાત્રાના અનુભવો અંગે તેઓ જણાવે છે કે આ યાત્રા દરમિયાન અનેક વખત ફાયરિંગ સહિતના અવાજો સાંભળવા મળેલા છે. બેઝ કેમ્પ પર અનેક વખત ફાયરિંગ થયેલું, પરંતુ એમાં કોઈ સમસ્યા થતી નથી. જોકે આર્મીની ખૂબ જ સારી સિક્યોરિટી હોય છે અને સ્થાનિક લોકો પણ મુસાફરોનું ધ્યાન રાખે છે. તમે હોટલ, વ્હીકલ કે ઘોડા ઉપર હોવ અને કોઈ સમસ્યા થાય તો સ્થાનિક લોકો આગળ આવે છે, જોકે આટલાં વર્ષની યાત્રામાં એકપણ ખરાબ

અનુભવ થયો નથી, પરંતુ જો વાતાવરણમાં પલટો આવે અને વરસાદ થાય તો કુદરતને તો કોઈ રોકી શકતું નથી. અમે હાપા અને જામનગર જમ્મુ-તાવી ટ્રેનમાં અમરનાથ યાત્રા માટે જઈએ છીએ. ‘1 જુલાઈથી એક માસ સુધી બાલતાલ-ચંદનવાડીમાં ભંડારો’ ભંડારા અંગે તેમણે જણાવ્યું હતું કે 1 જુલાઈથી એક માસ સુધી બાલતાલ અને ચંદનવાડીમાં ભંડારો ચાલુ રહેશે. જ્યાં યાત્રાળુઓને સવારનો નાસ્તો અને ભોજન મળશે. આ સાથે જ વરસાદ હોય કે અન્ય કોઈ ખરાબ પરિસ્થિતિ હોય તો ભંડારામાં રહેવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે. બાકી રેગ્યુલર દિવસોમાં ભંડારામાં રહેવાની મનાઈ હોય છે. ભંડારાનો ખર્ચ રાજકોટ ઉપરાંત વડોદરા અને વાસદથી આપવામાં આવે છે. દર વર્ષે રૂ. 8 લાખનું કરિયાણું રાજકોટથી મોકલવામાં આવે છે. દર વર્ષે બેથી ત્રણ ટ્રક ત્યાં પહોંચે છે, જેનું ભાડું પણ વધારે હોય છે. 28 વર્ષથી વડોદરાનો ભંડારો અમરનાથ યાત્રામાં ચાલે છે છેલ્લાં 28 વર્ષથી ગુજરાતના વડોદરાનો ભંડારો અમરનાથ યાત્રામાં ચાલે છે અને એનું આયોજન કરનાર

અંબુભાઈ પટેલ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે આગામી 22થી 24 જૂનમાં અમારો સામાન રવાના કરવામાં આવશે, જે ચાર દિવસે પહોંચશે. આ વર્ષે પહેલગામમાં થયેલી ઘટનાને લઇ અમને સાઈનબોર્ડ દ્વારા સિક્યોરિટી આપવાની ખાતરી આપી છે, એટલે અમે આ પરિસ્થિતિમાં પણ ભંડારાનું આયોજન કર્યું છે. આ માટે અમે સામાન ખરીદી રહ્યા છે અને અમે ચોક્કસ જઈશું. ‘2017માં બ્લાસ્ટ થયો ત્યારે અમે પહેલગામ હતા’ અમરનાથ યાત્રા દરમિયાન ત્રણ જગ્યાએ મુખ્યત્વે ભંડારા લાગતા હોય છે, જેમાં બાલતાલ, ચંદનવાડી અને બબાલટોપ પર ભંડારાનું આયોજન કરવામાં આવે છે. ત્રણેય ભંડારામાં 180 સ્વયંસેવકો કામ કરે છે, જેમાં મોટા ભાગના સ્વયંસેવકો વડોદરાના છે અને અન્ય રાજકોટ, નડિયાદ અને સુરેન્દ્રનગરના સેવકો આવતા હોય છે. વર્ષ 2017માં બ્લાસ્ટ થયો હતો ત્યારે અમે પહેલગામ હતા અને ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેની મદદ કરવાની થતી હતી તેને મદદ કરતા હતા. આ ઘટના બાદ પણ અમે ત્યાં જવા માટે તૈયાર છીએ. અમરનાથ યાત્રામાં

સવારે 5 વાગ્યાથી 11 સુધી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે અને સાંજે રિટર્ન આવતાં ભોજન આપવામાં આવે છે. શિવશક્તિ ગ્રુપ 1997થી સેવા માટે અમરનાથ જાય છે સુરતથી શિવશક્તિ ગ્રુપ 1997થી સેવા માટે અમરનાથ જાય છે. શિવશક્તિ ગ્રુપ અમરનાથના સૌથી પ્રાચીન ભંડારા પૈકીનો એક છે, જે મહંત ગોપાલદાસજી મહારાજના માર્ગદર્શનમાં ચાલે છે. શિવશક્તિ ગ્રુપના વજુ સુહાગાએ જણાવ્યું હતું કે સાઈનબોર્ડ તરફથી પ્રાચીન ભંડારાને જે માહિતી આપવામાં આવતી હોય છે એ ગોપાલદાસ મહારાજ દ્વારા અમને પણ પહોંચાડી દેવામાં આવે છે. 1997થી અમે ત્યાં ભંડારાનો સામાન લઈને જતા હોવાથી તમામ બાબતોથી અમે માહિતગાર થઈ ગયા છીએ. ‘45 દિવસ ચાલે એટલી વસ્તુઓ અમે અહીંથી લઈ જઈએ છીએ’ અમારી સાથે સુરતના અશ્વિનભાઈ અકબરી, પ્રવીણ ડાંગરિયા, રાજુભાઈ બોરસદિયા અને રઘુભાઈ આ તમામ લોકો અમરનાથ યાત્રા માટે જે પણ ભંડારામાં જરૂરિયાત હોય છે એની વ્યવસ્થા કરતા હોય છે. દર વર્ષે અમરનાથ યાત્રિકો માટે ભંડારો લઈ જતા હોવાથી અમને આર્થિક રીતે મદદ

કરનારા લોકોની સંખ્યા પણ વધારે છે. 45 દિવસ ચાલે એવી તમામ વસ્તુઓ અમે અહીંથી લઈ જઈએ છીએ. યાત્રીઓને ગુજરાતી ખાવાનું મળે એવી વ્યવસ્થા વજુ સુહાગિયાએ જણાવ્યું હતું કે ખૂબ મોટી સંખ્યામાં અમરનાથ યાત્રા કરવા માટે લોકો આવતા હોય છે એમાં ગુજરાતીઓની પણ સંખ્યા વધારે હોય છે. ત્યાં મોટેભાગે અન્ય પ્રદેશમાંથી આવતા લોકો જે ભંડારો ચલાવે છે એ પણ ખૂબ સારો હોય છે, પરંતુ સ્વાદમાં ફરક હોવાથી ગુજરાતીઓને ઘણી વખત ત્યાં મુશ્કેલી પડતી હોય છે, કારણ કે ત્યાં સરસિયાના તેલથી ખાવાનું બનાવવાનું ચલણ વધારે જોવા મળતું હોય છે, જેથી અમે ગુજરાતી રસોઈ બનાવવાની તમામ સામગ્રી અહીંથી લઈ જઈએ છે. ‘સિઝનમાં મેથી આવે એટલે સૂકવી દઇએ છીએ’ સુમુલનાં દૂધ-પાઉડર, ઘીની પણ ખૂબ જરૂર પડે છે, તેથી એ વધારે લઈ જઈએ છીએ. યાત્રીઓ ખુશ થઈ જાય એવું ગુજરાતી જમણવારની તૈયારી અમે કરીએ છીએ. યાત્રીઓને મેથીનાં ભજિયાં ખાવા મળે છે. એના માટે અત્યારે સિઝનમાં જ્યારે મેથી આવે છે ત્યારે

અમે એને સૂકવી દઈએ છીએ અને એ ખાસ યાત્રીઓ માટે વ્યવસ્થા કરીને લઈ જઈએ છીએ. બે જગ્યાએ પ્રાચીન ભંડારાનું આયોજન પ્રાચીન ભંડારાનું આયોજન બે જગ્યા પર કરવામાં આવે છે- એક રામબાણ હનુમાન મંદિર અને એક ચીટકુરિયામાં ખૂબ મોટો ભંડારો ચલાવવામાં આવે છે. મોટેભાગે ગુજરાતીઓ જે યાત્રા કરવા સમયાંતરે જતા હોય છે તેઓ આનાથી ખૂબ જ સારી રીતે પરિચિત છે. તેઓ જ્યારે પણ અમરનાથ યાત્રા માટે આવે છે ત્યારે અહીં જ પ્રસાદ લેવા માટે આવતા હોય છે. ‘યાત્રીઓને ઘર જેવું જમવાનું આપીએ છીએ’ ગુજરાતની તમામ વાનગીઓ નાસ્તાથી લઈને જમણવાર સુધીની વ્યવસ્થા અહીં ખૂબ સારી રીતે ચાલે છે. યાત્રીઓને પણ ઘર જેવું જમવાનું અહીં અમે આપીએ છીએ. કુલ 30 લોકોની ટીમ છે. આખો ટેમ્પો ભરીને અહીંથી જમણવારની સામગ્રી લઈને જઈએ છીએ. ત્યાર બાદ 15-15 દિવસ રોકાઈએ છીએ, જેથી કરીને કોઈની તબિયત ખરાબ ન થાય અને સારી રીતે કામ કરી શકે. ‘આર્મી ફક્ત ગુજરાતના લાડુ ખાવાનું પસંદ કરે

છે’ વજુ સુહાગિયાએ જણાવ્યું હતું કે અત્યારસુધીનો મારો એક અનુભવ જબરજસ્ત રહ્યો છે. ત્યાં સેના ખડેપગે આપણી સેવા માટે ઊભી રહે છે અને આપણને સુરક્ષા આપે છે. ખૂબ જ આશ્ચર્યની વાત એ છે કે જ્યારે પણ તમે આર્મી જવાનોને કંઈપણ ખાવાનું આપશો ત્યારે તેઓ ખાવા માટે ઝડપથી તૈયાર થતા નથી, કારણ કે ત્યાં માહોલ એ પ્રકારના હોય છે કે કોઈના પર વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ બની જાય છે, પરંતુ જ્યારે ગુજરાતી વ્યક્તિઓને વાત કરતા જુએ છે અને તેઓ જ્યારે લશ્કરના જવાનોને ખાસ કરીને લાડુ આપે છે ત્યારે તેઓ સંકોચ રાખ્યા વગર ખાઈ લેતા હોય છે. ‘આર્મી માટે ડ્રાયફ્રૂટ્સના લાડુ લઇને જઇએ છીએ’ અમે પણ જઈએ છીએ ત્યારે આર્મી માટે શક્ય એટલા ડ્રાયફ્રૂટ્સના લાડુ લઈને જઈએ છીએ. તેઓ ગુજરાતીઓને વિશેષ માન આપતા હોય એવો મારો અંગત અનુભવ છે, જોકે તેમને માટે તમામ લોકો એકસરખા હોય છે, પરંતુ આપણી સાથે આત્મીયતા તેઓ વધુ અનુભવે છે.

Leave a Reply

Related Post