બાંગ્લાદેશના ઢાકામાં વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ: યુનુસના સરકારી આવાસ અને સચિવાલયની આસપાસનો વિસ્તાર સીલ કરાયો; વચગાળાની સરકારની મુશ્કેલીઓ વધી

બાંગ્લાદેશના ઢાકામાં વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ:યુનુસના સરકારી આવાસ અને સચિવાલયની આસપાસનો વિસ્તાર સીલ કરાયો; વચગાળાની સરકારની મુશ્કેલીઓ વધી
Email :

બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ સામે વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે. વિરોધ પક્ષો, સરકારી કર્મચારીઓ, શિક્ષકો અને સૈન્યમાં પણ નારાજગી વધી રહી છે. આ દરમિયાન, ઢાકા મેટ્રોપોલિટન પોલીસે (DMP) રાજધાનીના મધ્યમાં તમામ રેલીઓ, વિરોધ પ્રદર્શનો અને જાહેર સભાઓ પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ લગાવી દીધો છે. તેમજ, ઢાકા પોલીસે મોહમ્મદ યુનુસના સત્તાવાર નિવાસસ્થાન 'જમુના ગેસ્ટ હાઉસ' અને બાંગ્લાદેશ સચિવાલયની આસપાસના વિસ્તારને સંપૂર્ણપણે સીલ કરી દીધો છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે સચિવાલયમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ સરકારના એક વટહુકમ સામે વિરોધ પ્રદર્શન

કરી રહ્યા છે. DMP કમિશનર એસએમ સજ્જાત અલીએ જણાવ્યું હતું કે જાહેર વ્યવસ્થા અને મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની સુરક્ષા માટે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અગાઉ 10 મેના રોજ, સરકારે સરકારી ઇમારતોની સુરક્ષા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BGB) અને પોલીસ SWAT ટીમો તહેનાત કરી હતી. ઈદ પછી ફરી વિરોધ પ્રદર્શનો ભડકી શકે છે હાલ માટે, ઈદની રજાઓને કારણે વિરોધ થોડા સમય માટે શાંત થયો છે, પરંતુ સરકારી કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જો 15 જૂન સુધીમાં તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો દેશભરની સરકારી કચેરીઓમાં ઉગ્ર આંદોલન

કરવામાં આવશે. બાંગ્લાદેશ સચિવાલય અધિકારીઓ-કર્મચારીઓ એકતા મંચના સહ-અધ્યક્ષ નુરુલ ઇસ્લામે જણાવ્યું હતું કે આંદોલન વધુ ઉગ્ર બનશે. સેના અને BNP​​​​​​​ પણ નારાજ, શિક્ષકો હડતાળ પર ઓગસ્ટ 2024માં સત્તામાં આવેલી મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર પહેલાથી જ વિરોધ પક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) દ્વારા ઘેરાયેલી છે અને ચૂંટણીની સમયમર્યાદા નક્કી કરવાની માંગ કરી રહી છે. આર્મી ચીફ વાકર-ઉઝ-ઝમાને ડિસેમ્બર 2025 સુધીમાં ચૂંટણી કરાવવાની પણ સલાહ આપી છે. તેમજ , યુનુસે એપ્રિલ 2026માં ચૂંટણી કરાવવાનો સંકેત આપ્યો છે, જેનાથી સત્તામાં રહેવાના તેમના ઈરાદા અંગે શંકાઓ વધુ ઘેરી બની છે. સરકારી કર્મચારીઓની

સાથે, દેશભરના હજારો પ્રાથમિક શાળાના શિક્ષકો પણ પગાર વધારા સહિત અનેક માંગણીઓ સાથે અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા છે. મ્યાનમાર સરહદ પર કોરિડોર બનાવવા અંગે સરકાર અને સેના વચ્ચે ટકરાવ બાંગ્લાદેશમાં મ્યાનમાર સરહદ પર રખાઇન જિલ્લામાં માનવતાવાદી કોરિડોર બનાવવાની કથિત યોજના અંગે સેના અને સરકાર વચ્ચે મતભેદ છે. બાંગ્લાદેશના વિદેશ સલાહકાર તૌહીદ હુસૈને જાહેરાત કરી હતી કે અમેરિકા દ્વારા પ્રસ્તાવિત રખાઇન કોરિડોર માટે વચગાળાની સરકાર સંમત થઈ ગઈ છે. જ્યારે સેનાને આ વાતની જાણ થઈ, ત્યારે તેમણે નારાજગી વ્યક્ત કરી. બુધવારે, આર્મી ચીફ વકારે તેને લોહિયાળ કોરિડોર ગણાવ્યો

અને વચગાળાની સરકારને ચેતવણી આપતા કહ્યું કે બાંગ્લાદેશ સેના ક્યારેય એવી કોઈ પ્રવૃત્તિમાં સામેલ થશે નહીં જે સાર્વભૌમત્વ માટે હાનિકારક હોય. અને કોઈને પણ આવું કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ પછી, યુનુસ સરકારે યુ-ટર્ન લીધો અને કહ્યું કે તેણે મ્યાનમાર સરહદ પર રખાઇન કોરિડોર અંગે કોઈપણ દેશ સાથે કોઈ કરાર પર હસ્તાક્ષર કર્યા નથી. શેખ હસીનાએ 5 ઓગસ્ટના રોજ PM પદ પરથી રાજીનામું આપ્યું હતું શેખ હસીના ગયા વર્ષે 5 ઓગસ્ટના રોજ દેશ છોડીને ભારત આવી હતી. ખરેખરમાં, તેમની સામે દેશભરમાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.

5 જૂનના રોજ, બાંગ્લાદેશમાં હાઇકોર્ટે નોકરીઓમાં 30% ક્વોટા સિસ્ટમ લાગુ કરી હતી, ઢાકામાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આ અનામતનો વિરોધ કરી રહ્યા હતા. આ અનામત સ્વતંત્રતા સેનાનીઓના પરિવારોને આપવામાં આવી રહી હતી. જોકે, હસીના સરકારે પાછળથી આ અનામત નાબૂદ કરી દીધી. પરંતુ આ પછી વિદ્યાર્થીઓએ તેમના રાજીનામાની માંગણી સાથે વિરોધ શરૂ કર્યો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો હસીના અને તેમની સરકાર સામે રસ્તા પર ઉતરી આવ્યા. આ વિરોધના બે મહિના પછી, 5 ઓગસ્ટના રોજ, તેમણે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું. આ પછી, એક વચગાળાની સરકાર બનાવવામાં આવી હતી.

Leave a Reply

Related Post