પાટીલના અનુગામી કોણ? કોંગ્રેસનું નવસર્જન કોણ કરશે?: ભાજપ અને કોંગ્રેસ સંગઠનની નિયુક્તિમાં સતત અલ્પવિરામ

પાટીલના અનુગામી કોણ? કોંગ્રેસનું નવસર્જન કોણ કરશે?:ભાજપ અને કોંગ્રેસ સંગઠનની નિયુક્તિમાં સતત અલ્પવિરામ
Email :

ટિકેન્દ્ર રાવલ

ગુજરાતમાં ભાજપ સંગઠન સંરચનાની પ્રક્રિયા 7 મહિનાથી ચાલી રહી છે, જેમાં નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક બાકી છે. તો બીજી બાજુ કોંગ્રેસે સંગઠનના નવસર્જન માટેની કવાયત શરૂ કરી હતી. જેમાં મે મહિનાના અંત સુધીમાં જિલ્લા-શહેર પ્રમુખો જાહેર થઈ જશે, પણ નવા પ્રદેશ પ્રમુખનું કોકડું ગૂંચવાયેલું છે. પરિણામે રાજ્યમાં હાલ રાજકીય પક્ષો સંગઠન બનાવવામાં વ્યસ્ત છે. તે જોતા જૂન અંત સુધીમાં ભાજપ અને કોંગ્રેસના નવા પ્રમુખ બની જાય તેવી શક્યતા છે. ભાજપ હાઇ કમાન્ડ આ મુદ્દે નિર્ણય અનામત રાખીને બેઠું છે. ભાજપ : જિલ્લા-શહેર પ્રમુખોની નિયુક્તિ માટે આઠ મહિનાનો સમય લીધો, હવે પ્રદેશ પ્રમુખની નિમણૂકની રાહ પણ સમય અનિશ્ચિત ભાજપે 1 સપ્ટેમ્બરથી નવા સંગઠનની કામગીરી શરૂ કરી હતી, જેમાં સદસ્યતા અભિયાનમાં 1.16 કરોડ જેટલા સભ્યો નોંધાયા હતા. તે પછી 580 જેટલા મંડલ પ્રમુખો નિમ્યા. ત્યારબાદ 3 મહિનાની મહેનત બાદ 33 જિલ્લા, 8 મનપાના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી હતી. હવે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ માટેની નિમણૂકની રાહ જોવામાં આવી રહી છે. પાટીલના અનુગામી શોધવા મુશ્કેલ બન્યા
પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે, તેઓ હાલ કેન્દ્રીય મંત્રી તરીકે નો પણ કાર્યભાર સંભાળી રહ્યા છે, જેથી પાટીલ ના માથે બેવડી જવાબદારી છે. પાટીલના કાર્યકાળમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધીની ચૂંટણીમાં ભાજપને વિજય પ્રાપ્ત થયેલો છે, પરિણામે પાર્ટી માટે પાટીલના અનુગામી શોધવાનું કામ મુશ્કેલ બની રહ્યું છે.
ભાજપના નવા સંગઠનનો ક્રાયટેરિયા
ભાજપે નવા પ્રમુખોની નિમણૂક માટે ખાસ એસઓપી નક્કી કરી હતી. જિલ્લા/મહાનગર પ્રમુખ બનવા ઇચ્છુક કાર્યકર્તાએ મંડલ અધ્યક્ષ અથવા જિલ્લા, પ્રદેશ સ્તરની ટીમ, મોરચા, પ્રકલ્પમાં ફરજીયાત કામ કરેલુ હોવું જોઈએ. પરિવારમાં એક કાર્યકર્તાને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે. જે સતત બે ટર્મ પદ પર રહ્યા હોય તેઓને રિપીટ નહીં કરાય. ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઇએ. કોંગ્રેસ :41માંથી 35 શહેર-જિલ્લા પ્રમુખ ઘરભેગા થશે, નવા પ્રમુખોને માર્ગદર્શન આપવા રાહુલ ગાંધી ફરી એક વાર ગુજરાત આવશે નવસર્જનની પ્રક્રિયા હેઠળ કોંગ્રેસના 41 જિલ્લા-શહેર પ્રમુખોમાંથી 35ને ઘરભેગા કરી, યુવા અને અનુભવીને સ્થાન આપવામાં આવશે. પ્રજાની વચ્ચે રહેતા, સારી છબિ ધરાવતા તથા મતદારોથી પરિચિતને જ હોદ્દા સોંપવામાં આવશે. 31 મે સુધીમાં પ્રમુખોની પસંદગી કરી જૂનમાં રાહુલ ગાંધી તેમની સાથે સંવાદ કરશે. નેતાઓ લોબિંગ કરી શકતા નથી
નવસર્જનની પ્રક્રિયા પારદર્શક હોવાના કારણે આગેવાનો લોબીંગ કરવાની હિંમત કરતા નથી. જેથી યોગ્ય યુવા, સક્રિય કાર્યકરો-આગેવાનોને ખાસ જવાબદારી સોંપવામાં આવી શકે છે. મોવડીમંડળે સંગઠનની તાકાત થકી જ ચૂંટણીઓ જીતી શકાય તેવાં આત્મમંથન સાથે કવાયત શરૂ કરવાનો નિર્ણય લીધો હતો અને ગુજરાતથી તેનો પ્રારંભ કરાવાયો છે. જિલ્લા પ્રમુખ બનવાની લાયકાત…, ભાજપ સાથે અાંતરિક અને ધંધાદારી હિત ન હોવા જોઈએ
કોંગ્રેસના જિલ્લા પ્રમુખપદની પસંદગી કરતા પહેલા જાતિ સમીકરણો, સ્થાનિક રાજકારણ અને સ્થાનિક નેતા પર ભાજપનો પ્રભાવ ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. કેટલાક સ્થાનિક લોકો અંદરખાને ભાજપ સાથે જોડાયેલા હોઈ શકે છે અથવા તેમના કેટલાક વ્યવસાયિક હિતો હોઈ શકે છે, આવા લોકોને દૂર રખાશે.

Leave a Reply

Related Post