મોરબીમાં ગટરના તૂટેલા-ખુલ્લા ઢાંકણા: શહેરભરમાં જીવલેણ જોખમ, મહાપાલિકાની ઘોર બેદરકારી સામે લોકોમાં રોષ

મોરબીમાં ગટરના તૂટેલા-ખુલ્લા ઢાંકણા:શહેરભરમાં જીવલેણ જોખમ, મહાપાલિકાની ઘોર બેદરકારી સામે લોકોમાં રોષ
Email :

મોરબી શહેરમાં મહાપાલિકાની ઘોર બેદરકારીના કારણે અનેક વિસ્તારોમાં ગટરના ઢાંકણા તૂટેલી કે ખુલ્લી હાલતમાં છે, જે નાગરિકોની સલામતી માટે મોટું જોખમ બની રહ્યા છે. લાતી પ્લોટ મેઇન રોડ, બાયપાસ મેઇન રોડ, કન્યા છાત્રાલય મેઇન રોડ, એલઇ કોલેજ મેઇન રોડ અને મહેન્દ્રપરા મેઇન રોડ સહિતના મુખ્ય વિસ્તારોમાં આ સમસ્યા ગંભીર બની છે. યુવા વેપારી શ્રેયશ હિરાણીએ આક્ષેપ કર્યો છે કે, મહાપાલિકા જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે.

ગત ચોમાસામાં લાતી પ્લોટ મેઇન રોડ પર ત્રણ મહિલા આવા જ તૂટેલા ઢાંકણાને કારણે અકસ્માતનો ભોગ બની હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આજે પણ તે સ્થળે ઢાંકણું તૂટેલી હાલતમાં છે. યુવા આગેવાન ભાવિકભાઈ મુછડીયાએ જણાવ્યું કે, સરકાર લાખો-કરોડોની ગ્રાન્ટ આપે છે, છતાં સ્થાનિક અધિકારીઓની બેદરકારીને કારણે સમયસર મરામત થતી નથી. તાજેતરમાં સુરતમાં આવી જ ઘટનામાં બે વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું, જેવી દુર્ઘટના મોરબીમાં પણ

બની શકે છે. મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજયભાઈ સોનીએ જણાવ્યું કે, ઢાંકણા નાખવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે, છેલ્લા ઘણા સમયથી જ્યાં ઢાંકણા તૂટેલા હતા, ત્યાં આજે પણ એવી જ સ્થિતિ છે. મોરબી મહાપાલિકા અસ્તિત્વમાં આવ્યાને માત્ર સવા મહિનો થયો છે, પરંતુ આ ગંભીર સમસ્યા પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. લોકોની માગ છે કે, કોઈ નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાય તે પહેલાં તાત્કાલિક પગલાં લેવામાં આવે.

Related Post