કમોસમી વરસાદનો કહેર: રાજકોટ જિલ્લામાં ખેડૂતોનાં ઉભા પાકને નુકસાન થતા તાત્કાલિક સહાયની માંગ, જિલ્લા પંચાયતનાં વિપક્ષનાં સભ્યએ કૃષિમંત્રીને લખ્યો પત્ર

કમોસમી વરસાદનો કહેર:રાજકોટ જિલ્લામાં ખેડૂતોનાં ઉભા પાકને નુકસાન થતા તાત્કાલિક સહાયની માંગ, જિલ્લા પંચાયતનાં વિપક્ષનાં સભ્યએ કૃષિમંત્રીને લખ્યો પત્ર
Email :

રાજકોટ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. આ અણધાર્યા વરસાદના કારણે ખેતરોમાં ઉભો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના પગલે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કૃષિ મંત્રીને પત્ર લખીને નુકસાનનું વળતર ચૂકવવાની માંગણી કરી રાજકોટ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના સભ્ય મનસુખ સાકરીયાએ આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે જિલ્લા વિકાસ અધિકારી અને કૃષિ મંત્રીને પત્ર લખીને જસદણ અને વીંછીયા વિસ્તારના ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન અંગે જાણ કરી છે અને તાત્કાલિક સર્વે કરીને વળતર ચૂકવવાની માંગણી કરી છે. પાકની સાથે ઘાસચારો

પણ વરસાદી પાણીમાં પલળી જવાના કારણે બગડ્યો મનસુખ સાકરીયાએ પત્રમાં જણાવ્યું છે કે કમોસમી વરસાદના કારણે જસદણ અને વીંછીયા તાલુકાના ખેડૂતોના તલ, મગ, બાજરી, અડદ અને જુવાર જેવા મહત્વના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. આ પાક ખેડૂતો માટે આવકનો મુખ્ય સ્ત્રોત હોય છે અને વરસાદના કારણે થયેલા નુકસાનથી તેમની આજીવિકા પર ગંભીર અસર પડી છે. માત્ર પાક જ નહીં, પરંતુ ખેડૂતો દ્વારા પશુઓ માટે સંગ્રહ કરવામાં આવેલો ઘાસચારો પણ વરસાદી પાણીમાં પલળી જવાના કારણે બગડી ગયો છે. આના લીધે પશુપાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાત્કાલિક એક નિષ્પક્ષ ટીમ બનાવીને સર્વે કરાવે વધુમાં તેમણે

જણાવ્યું કે, ખેડૂતોની પરિસ્થિતિ ખરેખર દયનીય છે. મેં જાતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે અને જોયું છે કે, નુકસાનનો આંકડો અધિકારી દ્વારા જણાવવામાં આવી રહ્યો છે, તેનાથી ઘણો વધારે છે. હું જિલ્લા વિકાસ અધિકારી અને કૃષિ મંત્રીને વિનંતી કરું છું કે, તાત્કાલિક એક નિષ્પક્ષ ટીમ બનાવીને સર્વે કરાવે અને ખેડૂતોને તેમના નુકસાનનું યોગ્ય વળતર આપે. હાલ પાકને થયેલું નુકસાન 30%થી ઓછું હોય ખેતીવાડી અધિકારી દ્વારા તાત્કાલિક સર્વે કરવાની કોઈ જરૂરિયાત ન હોવાનું જણાવાઈ રહ્યું છે. જે ખરેખર યોગ્ય નથી. તલ અને મગના પાકમાં ભારે તારાજી સર્જાઈ જોકે આ વાતથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જસદણ

અને વીરનગર સહિતના અસરગ્રસ્ત ગામોના ખેડૂતોનું કહેવું છે કે તેમને વાસ્તવમાં 60થી 70% જેટલું નુકસાન થયું છે. ખાસ કરીને તલ અને મગના પાકમાં ભારે તારાજી સર્જાઈ છે. વીરનગરના ખેડૂત જીવાભાઇ ખૂંટે પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમે આ વર્ષે સારા પાકની આશા રાખીને બેઠા હતા, પરંતુ કમોસમી વરસાદે બધું જ બગાડી નાખ્યું. મારા તલ અને મગના પાકમાં 70% થી વધુ નુકસાન થયું છે. હવે અમારે શું ખાવું અને કેવી રીતે જીવવું એની ચિંતા થઈ રહી છે. વળતર નહી મળે તો અમારે દેવાદાર બનવાનો વારો આવશે. જસદણના ખેડૂત દેવશીભાઈ જોટાણીએ પણ આવી જ પરિસ્થિતિ વર્ણવતા

કહ્યું હતું કે, સરકારના અધિકારીઓ માત્ર 30% નુકસાનની વાત કરી રહ્યા છે, પરંતુ હકીકત એનાથી ઘણી અલગ છે. અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને પાક આખો સડી ગયો છે. જો તાત્કાલિક સર્વે કરીને અમને વળતર નહીં મળે તો અમારે દેવાદાર બનવાનો વારો આવશે. સહાય નહીં મળે તો આગામી પાક નહી લઈ શકીએ જસદણના અન્ય એક ખેડૂત મુકેશભાઈએ જણાવ્યું હતું કે, અમે રાત-દિવસ મહેનત કરીને પાક ઉગાડ્યો હતો, પરંતુ આ વરસાદે બધી મહેનત પર પાણી ફેરવી દીધું છે. ત્યારે હવે માત્ર સરકાર જ અમારી મદદ કરી શકે છે. અમે માંગ કરીએ છીએ કે આ વરસાદ અંગે તાત્કાલિક

યોગ્ય સર્વે કરવામાં આવે અને ભોગ બનેલા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે. જો સહાય નહીં મળે તો હવે આગામી પાક લઈ શકાય તેમ નથી. ખેડૂતો સરકાર તરફથી તાત્કાલિક સહાયની આશા રાખે છે ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા આ વ્યાપક નુકસાનથી તેમની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. ખેડૂતો હવે સરકાર તરફથી તાત્કાલિક સહાયની આશા રાખી રહ્યા છે. જો સરકાર દ્વારા યોગ્ય સમયે સહાય પૂરી પાડવામાં નહીં આવે તો ઘણા ખેડૂતો માટે આ પરિસ્થિતિ વધુ કપરી બની શકે છે. ત્યારે જોવાનું એ રહે છે કે સરકાર આ બાબતે કેટલું જલ્દી અને અસરકારક પગલાં ભરે છે.

Leave a Reply

Related Post