Editor's View: દોસ્ત દોસ્ત ના રહા

Editor's View: દોસ્ત દોસ્ત ના રહા:નેતન્યાહુ ટ્રમ્પનું માથું ભાંગે એવા નીકળ્યા; ઇઝરાયલના ત્રણ મોરચા ને ત્રણ આકરી શરત, અમેરિકા પર ખફા થવાનું ચોંકાવનારું ગણિત
Email :

નેતન્યાહુ કોઈના બાપનું માને એવા નથી; આક્રમક બનેલું ઈઝરાયલ અમેરિકા પર ખફા, ડોનાલ્ડ ટ્રમ્પને જો કોઈ માથાનું મળ્યું હોય તો એ ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ છે. આજે ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન સાથે જોડાયેલા ત્રણ મુદ્દે વાત કરીશું. નમસ્કાર, અત્યારે દુનિયામાં ચર્ચાના કેન્દ્રમાં બે નેતા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના રાષ્ટ્રપતિ બેન્જામિન નેતન્યાહુ. ટ્રમ્પ આખી દુનિયાને દબાવવા માગે છે તો નેતન્યાહુ મિડલ ઈસ્ટમાં એકચક્રી શાસન કરવા માગે છે. પહેલા વાત કરીએ ઈઝરાયલ અને ગાઝાની... ઈઝરાયલ-ગાઝાની લડાઈને ચાર પોઇન્ટમાં સમજો છેલ્લા એક અઠવાડિયામાં ગાઝામાં શું થયું? ઈઝરાયલ ગાઝા પર સતત હુમલા કરી રહ્યું છે અને હજારો માણસો રોજ મરી રહ્યા છે. ગાઝા એવો પ્રદેશ છે, જે ઈઝરાયલની મદદથી જીવે છે. ઈઝરાયલથી જ તેને ભોજન, પાણી અને પાયાની સુવિધા અપાય છે, પણ ઈઝરાયલે બધું બંધ કરી દીધું છે. એના કારણે થયું છે એવું કે ગાઝામાં લાખો લોકો ભૂખે મરી રહ્યા છે. ખાવા માટે એક

દાણોય નથી. પીવા માટે પાણીનું એક ટીપુંય નથી. હજી ત્રણ દિવસ પહેલાં (20મે)ની જ વાત છે. યુનાઈટેડ નેશન્સે ચેતવણી જાહેર કરી હતી કે જો ગાઝામાં ખોરાકની મદદ નહીં પહોંચે તો સ્થિતિ ભયાનક બની જશે અને 48 કલાકમાં જ 14 હજારથી વધારે બાળકોનાં મોત થઈ શકે છે. આ ચેતવણી પછી નેતન્યાહુએ ગાઝામાં થોડો, મર્યાદિત ખોરાક પહોંચાડવાની મંજૂરી આપી હતી. ભોજન લઈને 5 ટ્રક ગાઝા પહોંચ્યા હતા. યુનાઈટેડ નેશન્સના માનવતાવાદી બાબતો અને સહાય વિભાગના વડા ટોમ ફ્લેચરે કહ્યું હતું કે ઈઝરાયલે જે મદદ મોકલી એ દરિયામાં ટીપા જેટલી છે. ગાઝામાં અત્યારે 5 લાખ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. વિશ્વના દેશોનું ડેલિગેશન ઈઝરાયલ ગયું તો તેના પર ફાયરિંગ થયું અમેરિકા, કેનેડા, ફ્રાન્સ અને યુકે જેવા મુખ્ય દેશો ઈઝરાયલ પર દબાણ કરી રહ્યા છે કે ગાઝામાં હુમલા રોકો, ત્યાં મદદ પહોચાડો, પણ નેતન્યાહુ કોઈનું માને તેવા નથી. તે પોતાની ત્રણ શરતો પર અડગ

રહ્યા છે. નેતન્યાહુએ વિશ્વના દેશોને એવું કહ્યું કે હું ગાઝામાં યુદ્ધ રોકી દઉં, સહાય પહોંચાડું પણ આ ત્રણ શરત પૂરી કરવાની રહેશે. આ બધું ચાલતું હતું ત્યાં 20 દેશના 31 લોકોનું ડેલિગેશન ઈઝરાયલ પહોંચ્યું. નેતન્યાહુને મનાવવા માટે. આ ડેલિગેશન ગાઝામાં એવી જગ્યાએ ઘૂસી ગયું, જ્યાં ઈઝરાયલી સૈનિકો ગાઝાના લોકો પર ગોળીબાર કરી રહ્યા હતા. આ ગોળીબારમાં 31 લોકોનું ડેલિગેશન અડફેટમાં આવી ગયું ને તેમના પર ગોળીઓ વરસવા લાગી. આ ઘટના પછી IDF (ઈઝરાયલી ડિફેન્સ ફોર્સ)એ કહ્યું હતું કે આ ડેલિગેશન તેમને જણાવેલા મૂળ રૂટ પર ન ગયું ને એવા રસ્તે ગયું, જ્યાં જવાની તેમને પરમિશન નહોતી. આ ડેલિગેશનમાં સામેલ સાઉદી અરબે ઈઝરાયલની ઝાટકણી કાઢી. અમેરિકામાં ઈઝરાયલનાં કપલની હત્યા અમેરિકાના વોશિંગ્ટનમાં યહૂદી મ્યુઝિયમની બહાર ઈઝરાયલી દૂતાવાસનાં બે કર્મચારીની હત્યા કરી દેવામાં આવી છે, જેમાં એક પુરુષ અને એક મહિલા છે. અમેરિકાના સમય મુજબ રાત્રે 9 વાગ્યે પોલીસને કેટલાક ફોન ગયા. ફોનમાં

કહેવામાં આવ્યું કે વોશિંગ્ટન ડીસીના ડાઉન ટાઉન વિસ્તારમાં કેપિટલ જ્યુઅસ મ્યુઝિયમ બહાર ગોળી ચલાવાઈ છે. પોલીસ પહોંચી તો એક મહિલા, એક પુરુષની લાશ પડી હતી. આ બંને ઈઝરાયલી નાગરિકો કેપિટલ યહૂદી મ્યુઝિયમની બહાર નીકળી રહ્યાં હતાં. પોલીસનું કહેવું છે કે આ હત્યા શિકાગોના રહેવાસી 30 વર્ષના અલ્યાસ રોડ્રિક્સે કરી છે. પોલીસે તેને ઝડપી લીધો ત્યારે તે 'ફ્રી પેલેસ્ટાઈન' એવું બોલતો હતો. જ્યાં હત્યા થઈ એ વિસ્તાર ભરચક્ક છે. અહીં ઘણાં પર્યટન સ્થળ છે. અહીં જ FBI, વોશિંગ્ટનની ફિલ્ડ ઓફિસ પણ છે. જે મ્યુઝિયમની બહાર હત્યા થઈ એ મ્યુઝિયમમાં યહૂદીઓનો ઉત્સવ ચાલતો હતો અને એમાં વોશિંગ્ટનમાં રહેતા યહૂદીઓ ભેગા થયા હતા. જે ઈઝરાયલી કપલની હત્યા થઈ એમાં યુવકનું નામ યેરોન લિંશિંસ્કી અને યુવતીનું નામ સૈરા મિલગ્રીમ છે. બંને અમેરિકામાં ઈઝરાયલી રાજદૂત ઓફિસમાં સાથે કામ કરતાં હતાં. બંને એકબીજાના પ્રેમમાં હતાં. બંને સગાઈ કરવાનાં હતાં. યુવકે એન્ગેજમેન્ટ રિંગ ખરીદી રાખી હતી. સગાઈ

થાય એ પહેલાં જ આ બંનેની હત્યા કરી દેવાઈ. કપલની હત્યા પછી ઈઝરાયલ અને અમેરિકાએ શું કહ્યું? ઘટના પછી ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે વોશિંગ્ટન ડીસીમાં બનેલી આ ઘટના યહૂદીઓ પ્રત્યે નફરત આધારિત છે. આ બંધ થવું જોઈએ. નફરત અને ઉગ્રવાદ માટે અમેરિકામાં કોઈ જગ્યા નથી. તો બીજી તરફ ઈઝરાયલના રાષ્ટ્રપતિ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે મારું દિલ એ પરિવારો માટે દુ:ખી છે, જેની જિંદગી યહૂદીઓ માટે નફરતના કારણે છીનવાઈ ગઈ. હત્યારાએ ક્ષણવારમાં બંનેની જિંદગી છીનવી લીધી. મેં નિર્દેશ આપ્યા છે કે દુનિયાભરમાં ઈઝરાયલી મિશન અને ઈઝરાયલના પ્રતિનિધિઓની સુરક્ષા વધારવામાં આવે. અમે અમેરિકામાં બનેલી ઘટનાનો બદલો જરૂર લઈશું. 3. ઈરાનનાં પરમાણુ હથિયારનાં સ્થળોએ ઈઝરાયલ હુમલો કરે તો શું થાય? આ આખો રિપોર્ટ મીડિયા હાઉસ CNNએ આપ્યો છે. CNNના રિપોર્ટમાં કહેવાયું છે કે અમેરિકાને ગુપ્ત માહિતી મળી છે કે ઈરાનનાં જે પરમાણુ ઠેકાણાં છે એના પર ઈઝરાયલ ગમે ત્યારે હુમલો કરી દેશે. આ

વાતની જાણ અમેરિકાએ ઈરાનને પણ કરી દીધી છે. અહીં ચિંતાનો વિષય એ નથી કે અમેરિકાને ગુપ્ત માહિતી હાથ લાગી છે, પણ ચિંતાનો વિષય એ છે કે જો ઈઝરાયલ ખરેખર ઈરાનનાં પરમાણુ ઠેકાણાં પર હુમલો કરે તો શું થાય? મિડલ ઈસ્ટમાં હાહાકાર મચી જાય. આની અસર આખી દુનિયા પર થાય. કહાનીમાં ટ્વિસ્ટ એ છે કે ઈરાને એવું કહી દીધું કે જો ઈઝરાયલ અમારા પરમાણુ ઠેકાણાં પર હુમલો કરશે તો અમે અમેરિકાને જવાબદાર ગણીશું, એટલે ટ્રમ્પની બકરી ડબ્બામાં આવી ગઈ છે, કારણ કે ટ્રમ્પ બીજીવાર રાષ્ટ્રપતિ બનવાની રેસમાં હતા ત્યારે જાતજાતના બફાટ કરી ચૂક્યા છે. વાંચો… 5 ફેબ્રુઆરી 2025: ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લેઆમ પડકાર ફેંકતાં કહ્યું કે જો તેહરાન મને મારવાનો પ્રયાસ કરશે તો હું તેમને નષ્ટ કરીશ. 25 સપ્ટેમ્બર, 2024: ટ્રમ્પે એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે જો ઈરાન કોઈપણ યુએસ વ્હાઇટ હાઉસ ઉમેદવાર અથવા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને નુકસાન પહોંચાડવામાં સામેલ

હશે તો તેનો નાશ કરવામાં આવશે. 10 ઓગસ્ટ, 2024: ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર તેમના ચૂંટણીપ્રચારને હેક કરવાનો આરોપ લગાવ્યો હતો. રાષ્ટ્રપતિ બનતાંની સાથે જ તેમનો સૂર બદલાઈ ગયો. 8 ફેબ્રુઆરીના રોજ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે કહ્યું, 'હું ઈચ્છું છું કે ઈરાન એક મહાન અને સફળ દેશ બને.' પણ એક એવો દેશ જેની પાસે પરમાણુ શસ્ત્રો ન હોય. હું ઈરાન સાથે બિનપરમાણુ કરાર કરવા માગું છું. હું તેમના પર બોમ્બમારો કરવાને બદલે શાંતિ કરાર કરવાનું પસંદ કરીશ. નેતન્યાહુ અને ટ્રમ્પ મળીને ઈરાનને ઘેરી લેશે તો ભારત પર શું અસર થશે? ભારત અને ઈરાન વચ્ચે ઘણા સમયથી સારા સંબંધો રહ્યા છે. ભારતે ઈરાનમાં રોકાણ કર્યું છે. વેપાર પણ કરે છે. જો અમેરિકા અને ઇઝરાયલ સંયુક્ત રીતે ઇરાન પર હુમલો કરે છે તો ભારત પર આ અસરો થશે… ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો: ભારત તેની જરૂરિયાતના લગભગ 88% ક્રૂડ ઓઇલ આયાત કરે છે. તેમાંથી મોટા ભાગનો જથ્થો

પશ્ચિમ એશિયામાંથી આવે છે. આવી સ્થિતિમાં ઇઝરાયલ-ઈરાન યુદ્ધ પશ્ચિમ એશિયામાંથી તેલ ખરીદી પર અસર કરશે અને દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે. ચાબહાર બંદર અને વેપારમાં અવરોધો: ભારતે ચાબહાર બંદર માટે ઈરાનને લગભગ 370 મિલિયન ડોલર આપ્યા છે. આમાં 250 મિલિયન ડોલરનું દેવું સામેલ છે. ભારતે ઈરાનના ચાબહાર બંદરમાં વ્યૂહાત્મક અને આર્થિક રીતે રોકાણ કર્યું છે. યુદ્ધને કારણે ચાબહાર બંદર બંધ થઈ શકે છે. આ ઉપરાંત ભારત આ માર્ગો દ્વારા યુરોપ, ઉત્તર આફ્રિકા અને ઉત્તર અમેરિકાનાં બજારોમાં માલ સપ્લાય કરે છે. ભારતને સરવાળે નુકસાન થશે. દ્વિપક્ષીય વેપારને નુકસાન: ઈરાન પર અમેરિકાના પ્રતિબંધોથી ભારતના વેપાર પર અસર પડી છે. ભારતનો ઈરાન સાથેનો વેપાર 2019માં 17 બિલિયન ડોલરથી ઘટીને 2023માં 2.33 બિલિયન ડોલર થઈ ગયો. જો ઇઝરાયલ-ઈરાન યુદ્ધની સ્થિતિ ઊભી થાય છે તો ભારત-ઈરાન વેપારમાં વધુ ઘટાડો થઈ શકે છે. દલાલ સ્ટ્રીટમાં ઊથલપાથલ: ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને બગડતી ભૂ-રાજકારણની પણ શેરબજાર પર નકારાત્મક અસર

પડી શકે છે. આનાથી ઊર્જા, ઓટોમોબાઈલ અને એરલાઇન ક્ષેત્રોના શેરો પર અસર પડશે. ફ્લાઇટ રૂટ બદલાશે: પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે ફ્લાઇટ્સ રદ થઈ શકે છે અને એના રૂટ બદલાઈ શકે છે. ગયા વર્ષે પણ આવું બન્યું હતું. ઓક્ટોબર 2024માં એર ઇન્ડિયાએ તેલ અવીવથી આવતી અને જતી ફ્લાઇટ્સ રદ કરી. જ્યારે વિસ્તારા અને ઈન્ડિગો જેવી એરલાઈન્સ ઈરાની એર ઝોન ટાળી રહી હતી. છેલ્લે, તુઘલખી નિર્ણયો લેવા માટે પંકાઈ ગયેલા ટ્રમ્પે વધુ એક નિર્ણય લીધો છે. ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશના સ્ટુડન્ટના એડમિશન રોકી દીધાં છે. જે સ્ટુડન્ટ ભણે છે તેમને યુનિવર્સિટી ચેન્જ કરવાનું કહી દેવામાં આવ્યું છે. હાર્વર્ડમાં 788 ભારતીય મળીને 7 હજાર બિનઅમેરિકી સ્ટુડન્ટ ભણે છે. ટ્રમ્પે જાણે નક્કી કરી લીધું છે કે અમેરિકામાં જે જે પ્રતિષ્ઠિત હોય એની આબરૂ ધૂળધાણી કરી નાખવી. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ... સોમવારે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

Leave a Reply

Related Post