Editor's View: ભારતની વિદેશનીતિમાં ગાબડું?

Editor's View: ભારતની વિદેશનીતિમાં ગાબડું?:કેનેડાની G-7 સમિટમાં આમંત્રણ નહીં, કોંગ્રેસે મોદીને 'વિશ્વગુરુ' કહીને કાંડી ચાંપી; આખરે પેચ ક્યાં ફસાયો?
Email :

આ વર્ષે G-7 દેશોની સમિટ કેનેડામાં થવાની છે. બધા જાણે છે કે ભારત અને કેનેડા વચ્ચે બધું બરાબર નથી. એટલે થયું છે એવું કે કેનેડાએ ભારતને G-7 સમિટનું આમંત્રણ આપ્યું નથી. G-7 સમિટ આડે હવે દસ દિવસ બાકી છે. માનો કે કેનેડા રહી રહીને ભારતને આમંત્રણ આપે તોપણ વડાપ્રધાન મોદી જાય એવી સંભાવના ઓછી છે. વડાપ્રધાન મોદીને 2019થી સતત G-7 સમિટનું આમંત્રણ મળે છે ને છ વખતથી જાય છે. આ વખતે ભારત 5 નંબરની ઇકોનોમીમાંથી 4 નંબરની ઇકોનોમી બનવા જઈ રહ્યું છે એવા સમાચાર વચ્ચે પણ ભારતને આમંત્રણ નથી એ આંચકો આપનારી વાત તો છે જ. નમસ્કાર, કેનેડાના અલ્બર્ટા પ્રોવિન્સમાં 15થી 17 જૂન વચ્ચે G-7 સમિટ થવાની છે. વડાપ્રધાન મોદીને 2019થી G-7 સમિટમાં આમંત્રણ મળતું હતું, આ વખતે વડાપ્રધાન મોદીને આમંત્રણ નથી. મોદીને આમંત્રણ ન મળવાનાં કારણોની ચર્ચા થવા લાગી છે. એક સવાલ એવો પણ છે કે મોદીને આમંત્રણ નથી કે તે જવાના નથી? પહેલા G-7 સમિટ વિશે જાણી લો... G-7નો અર્થ થાય છે, ધ ગ્રુપ ઓફ સેવન. સાત દેશનું ઈન્ટરગવર્નમેન્ટલ પોલિટિકલ અને ઈકોનોમિક ફોરમ છે. એમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, યુકે અને અમેરિકા મેમ્બર છે. આ મંચ પર સભ્યદેશો ગ્લોબલ ઈકોનોમી, પોલિટિકલ, ડિફેન્સ, ક્લાઈમેટ ચેન્જ અને ટેક્નોલોજી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરે છે. આ

વખતે ચર્ચાના વિષયમાં AI પણ છે. આ સમિટમાં દર વખતે ગેસ્ટ હોસ્ટ તરીકે અલગ અલગ દેશોને આમંત્રણ મોકલાય છે. આ વખતે ભારતને આમંત્રણ નથી. દક્ષિણ આફ્રિકા, યુક્રેન, ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલને આમંત્રણ છે. આ સિવાય G-7 સમિટમાં વર્લ્ડ બેન્ક, EU-યુરોપિયન યુનિયન, WHO જેવાં સંગઠનના પ્રતિનિધિઓને પણ આમંત્રણ હોય છે. શરૂઆતમાં G-6 હતું, એક સમયે G-8 હતું, હવે G-7 છે G-7 એ પહેલાં તો G-6 હતું. 1975માં પહેલી સમિટ થઈ, એમાં 6 દેશ સામેલ થયા હતા. અમેરિકા, જર્મની, ફ્રાન્સ, ઈટાલી, જાપાન અને યુકે. એ પછીના વર્ષે 1976માં કેનેડાને પણ સામેલ કરી લેવાયું. ત્યારથી લઈને 1997 સુધી G-7 રહ્યું. પછી એમાં રશિયાને સામેલ કરાયું એટલે G-8 થયું. 2014માં ક્રિમિયા પર કબજો કર્યા પછી રશિયાને આ ગ્રુપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યું, એટલે ફરીથી G-7 બની ગયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ વખતે આમંત્રણ કેમ નહીં? ભારતને G-7 સમિટનું આમંત્રણ ન મળ્યું હોવાનું સૌથી મોટું કારણ કેનેડા સાથેના વણસેલા સંબંધો માનવામાં આવે છે. 2022માં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની કેનેડામાં હત્યા થઈ એ પછી કેનેડાના એ વખતના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર આરોપ મૂક્યો હતો કે નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે. એ વખતે ભારતે ટ્રુડોના નિવેદનને ફગાવી દીધું હતું ત્યારથી બંને દેશ વચ્ચે સંબંધો વણસ્યા છે. હવે તો ટ્રુડો પછી નવા વડાપ્રધાન માર્ક કાર્ની

સત્તા સંભાળી રહ્યા છે, તો પણ તેમણે ભારતની અવગણના કરી છે. જસ્ટિન ટ્રુડો વડાપ્રધાન હતા ત્યારે ભારત માટે શું કહ્યું હતું? કેનેડાએ 2024થી જ ભારત વિરુદ્ધ પગલાં લેવાનું શરૂ કર્યું ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ કેનેડાએ ભારત વિરુદ્ધ વધુ એક પગલું ભર્યું હતું, જેમાં ખાલિસ્તાની આતંકવાદીની હત્યા માટે ભારતને જવાબદાર માનીને ભારતીય ઈન્ટેલિજન્સ અધિકારીને ભારત પરત ફરવાનો આદેશ આપી દીધો હતો. વાત વણસી તો ભારતીય દૂતાવાસે કેનેડાની વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી. એકબીજાના રાજદૂતોને હાંકી કાઢ્યા. જાન્યુઆરી 2024માં કેનેડાએ ફરી એકવાર ભારત પર આરોપ લગાવ્યા અને ભારતને વિદેશી ખતરો પણ ગણાવ્યું. તેણે એમ પણ કહ્યું હતું કે કેનેડામાં યોજાનારી ચૂંટણીમાં ભારત હસ્તક્ષેપ કરી શકે છે. ભારતે તેનો વિરોધ કર્યો અને કહ્યું કે કેનેડા ભારતના આંતરિક મામલામાં દખલ કરી રહ્યું છે. ટોપ-5 ઈકોનોમીમાં ભારત છતાં G-7માં આમંત્રણ નહીં ભારત જ્યારે દેશની પાંચમી મોટી ઈકોનોમી છે અને થોડા સમયમાં ચોથી સૌથી મોટી ઈકોનોમી થઈ જશે તો ભારત ટોપ 5માં મોટી ઈકોનોમી હોવા છતાં આ વખતે G-7 સમિટમાં મોદીને આમંત્રણ નથી. છ વખતથી મોદીજી જતા હતા ત્યારે ભારતીય મીડિયાનો પણ દબદબો રહેતો હતો. દુનિયા આખીમાં મોદી વિશ્વગુરૂ તરીકે ઊભરી આવતા હતા. વર્લ્ડ લીડરો સાથેના ફોટા સોશિયલ મીડિયામાં મૂકાતા હતા. આ વખતે આમંત્રણ નથી. વરિષ્ઠ પત્રકાર હેમંત અત્રીએ ધ પબ્લિક

ઈન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું કે, મોદી જ્યારે જ્યારે G-7માં ગયા ત્યારે વિદેશોમાં મોદી...મોદી... જ હતું. ભારતીય સમુદાય ઉત્સાહથી વધાવતો. ખુલ્લી જીપમાંથી અભિવાદન ઝીલતા. વર્લ્ડ લીડર સાથેના ફોટા મૂકાતા. આ બધા પછી મોદીની પોતાની છબિને તેના જ સમર્થકો 'વિશ્વગુરૂ' તરીકે રજૂ કરવા લાગ્યા. પણ આ બધી ભ્રમિત કરનારી વિદેશ નીતિ છે. ભ્રમ (ઈલ્યુશન)ની વિદેશ નીતિની એક્સપાયરી ડેઈટ હોય છે. કેનેડા અને ભારતના સંબંધોમાં ખાલિસ્તાની ખીલાની જેમ ખૂંચે છે પંજાબ અત્યારે ભારતનું રાજ્ય છે, પણ કેટલાંક તત્ત્વો પંજાબને અલગ દેશ તરીકે માન્યતા આપવાની હઠ પકડીને બેઠા છે. પંજાબને અલગ દેશ બનાવવો અને એનું નામ ખાલિસ્તાન રાખવું. આ માગણી વર્ષોથી થઈ રહી છે. ખાલિસ્તાન બનાવવાની માગણી કરનારાં તત્ત્વો ખાલિસ્તાની કહેવાયા, પણ આમના હિંસક વલણને કારણે ખાલિસ્તાની આતંકવાદી તરીકે ઓળખાવા લાગ્યા. આ લોકોનો હેતુ જ તોફાન કરવા, મર્ડર કરવા, સ્મગ્લિંગ કરવું, એવો રહ્યો છે, એટલે અલગ ખાલિસ્તાન બનાવવાના નામે ગેરકાયદે ધંધા કરી રહ્યા છે. આ ખાલિસ્તાનીઓ કેનેડામાં રહે છે અને ત્યાંથી ભારતવિરોધી ઝેર ઓકે છે. ભારતવિરોધી કૃત્યો કરે છે. આ ખાલિસ્તાનીઓનાં અલગ અલગ સંગઠનો છે અને તેના વડા પણ છે. એમાંના એક વડા હરદીપસિંહ નિજ્જરની કેનેડામાં હત્યા કરવામાં આવી. આ હત્યા ભારતે કરાવી છે, એવો આક્ષેપ કેનેડાની સરકારે કર્યો. ત્યારથી ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ આવી ગયો. ખાલિસ્તાનીઓના

કારણે જ બંને દેશના સંબંધો વણસી ગયા. કેનેડાના નેશનલ સિક્યોરિટી ઓફિસરે બિશ્નોઈ ગેંગનું નામ લીધું હતું કેનેડામાં નેશનલ સિક્યોરિટી પોલીસની વિંગ છે, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ. તેનાં મહિલા આસિસ્ટન્ટ કમિશનર બ્રિગિટ ગૌવિને ઓન્ટારિયોના ઓટ્ટાવા ખાતે 8 મહિના પહેલાં પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. એમાં એક પત્રકારે ખાલિસ્તાનીઓ અંગે સવાલ પૂછ્યો. એના જવાબમાં બ્રિગિટ ગૌવિને કહ્યું, ભારત દક્ષિણ એશિયાઈ સમુદાયને નિશાન બનાવી રહ્યું છે. ખાસ કરીને કેનેડામાં ખાલિસ્તાની તરફી તત્ત્વોને નિશાન બનાવાય છે. અમને જાણવા મળ્યું છે કે તેઓ સંગઠિત અપરાધ સાથે સંકળાયેલા લોકોનો ઉપયોગ કરે છે. આના માટે બિશ્નોઈ ગેંગનો સપોર્ટ છે. અમે માનીએ છીએ કે આ બિશ્નોઈ ગેંગ ભારત સરકારના એજન્ટો સાથે જોડાયેલી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગનું ભારતનાં 12 રાજ્ય અને 6થી વધારે દેશમાં નેટવર્ક છે. 700થી વધારે શૂટર્સ છે. કેનેડામાં ભારત વિરોધી પ્રવૃત્તિ કરી રહેલા ખાલિસ્તાનીઓને મારવા માટે લોરેન્સ ગેંગ એક્ટિવ છે. ભારતને એકલું પાડી દેવાનો કારસો ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા સંભાળતાં વેંત હાથ ધોઈને ભારતની પાછળ પડી ગયા છે. હકીકતે ભારત એશિયા પેસિફિકમાં મહાસત્તા તરીકે ઊભરી રહ્યું છે તે દુનિયાથી સહન થતું નથી. ચીન આઈસોલેટેડ દેશ છે એટલે તે દુનિયા સામે ખૂલીને આવતું નથી. ભારતમાં વસતિની દૃષ્ટિએ, નેચરલ રિસોર્સની દૃષ્ટિએ, પ્રોડક્શનમાં અને ઈમ્પોર્ટ-એક્સપોર્ટમાં બીજા દેશો કરતાં ભાવ ઘણી સમૃદ્ધિ છે. આ બધું જોતાં આજે નહીં તો

કાલે, ભારત મહાસત્તા બની જશે એવો ભય દુનિયાના શક્તિશાળી દેશોને પણ છે. એટલે ભારતને એકલું પાડી દેવાનો કારસો વિશ્વમંચ પર ઘડાઈ રહ્યો છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પની મુખ્ય ભૂમિકા છે. આ જ કારણ છે કે ટ્રમ્પે ભારતના એલ્યુમિનિયમ અને સ્ટીલ પર જૂન મહિનાની શરૂઆતથી જ તોતિંગ ટેરિફ લાદી દીધો. એપલ કંપનીને ધમકી આપી કે ભારતમાં પ્રોડક્શન બંધ કરે. એવી રીતે ચીન પણ ભારતને સાણસામાં લેવા મથે છે. ભારતને છેલ્લા કેટલાક સમયથી ઝટકા પર ઝટકા આવી રહ્યા છે. ઘણી શક્તિઓ ભારતને પાછળ ધકેલવા આતુર છે. ભારતની પડખે ઊભો રહી શકે તેવો દેશ રશિયા (USSR) હતો. હવે એવો કોઈ દેશ દેખાતો નથી. છતાં ચોથી ઈકોનોમી બનવા જઈ રહ્યા છીએ, તે કોઈથી સહન થતું નથી. મોદી G-7 સમિટમાં જાય તો ટ્રમ્પનો ભેટો થઈ જાય એક્સપર્ટ એવું માને છે કે, માનો કે આમંત્રણ હોય તો પણ મોદી G-7 સમિટમાં જવાનું ટાળી શકે. કારણ કે ટ્રમ્પ G-7 સમિટમાં જાય તો મોદી અને ટ્રમ્પનો ભેટો થઈ જાય. મોદી કોઈ કાળે ઈચ્છશે નહીં કે ટ્રમ્પ તેની આમનેસામને આવે. એનું સૌથી મોટું કારણ છે કે ટ્રમ્પે ભારત-પાકિસ્તાન સીઝફાયરનો જસ ખાટી લીધો હતો. બીજું, ટ્રમ્પના સ્વભાવનો કોઈ ભરોસો નથી. જે વર્તન ઝેલેન્સ્કી સાથે કર્યું, જે વર્તન સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા સાથે કર્યું, તેવું વિચિત્ર વર્તન મોદી

સાથે કરી બેસે તો ભારત-અમેરિકાના સંબંધો વધારે વણસે. અમેરિકા સાથે ભારત તંગ સ્થિતિમાં ચાલી રહ્યું છે, એવામાં કેનેડાની સમિટમાં મોદી-ટ્રમ્પ સામસામે આવી જાય તો ન થવાનું થઈ જાય. જયરામ રમેશે મનમોહન સિંહને યાદ કર્યા, ટ્વીટ કરીને લખ્યું કે- વિશ્વગુરુ કેનેડાની સમિટમાં હાજરી નહીં આપે કોંગ્રેસના મહાસચિવ અને પ્રવક્તા જયરામ રમેશે ટ્વિટ કરીને લખ્યું કે, 2014 પહેલાં G-7 ખરેખર ઘણા વર્ષો સુધી G-8 હતું અને તેમાં રશિયાનો સમાવેશ થતો હતો. ડૉ. મનમોહન સિંહને G8 સમિટ માટે આમંત્રિત કરવામાં આવતા હતા જ્યાં તેમનો અવાજ સાંભળવામાં આવતો હતો. જૂન 2007 માં જર્મનીમાં આવી જ એક સમિટમાં ક્લાઈમેટ ચેન્જની ગહન ચર્ચા થઈ હતી. ત્યારે ભારતના વડાપ્રધાન ડો. મનમોહન સિંહ અને જર્મનના ચાન્સેલર એન્જલા મર્કેલે જે ક્લાઈમેટ ચેન્જ ફોર્મ્યુલા ઘડી હતી તેને આખા વિશ્વએ અપનાવી હતી. એ સમિટમાં નવી ક્લાઈમેટ ચેન્જ પદ્ધતિ લોન્ચ કરવામાં આવી હતી, જેને સિંહ-મર્કેલ ફોર્મ્યુલા કહેવાય છે. જયરામ રમેશ આગળ લખે છે, ભારતીય વડાપ્રધાનોને આમંત્રણ આપવાની પરંપરા 2014 પછી પણ ચાલુ રહી. હવે 6 વર્ષમાં પહેલીવાર વિશ્વગુરુ કેનેડા સમિટમાં હાજરી આપશે નહીં. ગમે તે કહો, સત્ય એ છે કે આ એક મોટી કૂટનીતિક ભૂલ છે. ભૂલ એ છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરાવીને અમેરિકાએ દાયકા જૂની ભારતીય વિદેશ નીતિને પલટી નાખી. G-8 સમિટમાં વડાપ્રધાન ડો. મનમોહન સિંહ

બોલ્યા હતા ને સૌએ તેમને સાંભળ્યા હતા સામાન્ય રીતે નિયમ એવો છે કે, G-7 સમિટમાં જે મેમ્બર દેશ હોય તેના જ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન સ્પીચ આપે છે. પણ જ્યારે રશિયા સામેલ હતું અને અત્યારનું G-7 જ્યારે G-8 હતું ત્યારે 2007માં જર્મનીમાં સમિટ હતી. ડો. મનમોહનસિંહને પણ તેમાં આમંત્રણ હતું. મજાની વાત એ છે કે જે વડાપ્રધાનને ભારતમાં 'મૌનીબાબા' તરીકે બદનામ કરાયા હતા તે ડો. સિંહના વિચારો સાંભળવા દુનિયા આતુર રહેતી હતી. એ વખતે જર્મન ચાન્સેલર એન્જલા મર્કેલ પણ હતા. તેમણે સ્પીચમાં ક્લાઈમેટ ચેન્જના મહત્વના મુદ્દા મૂક્યા હતા. તેની સમાંતર ડો. સિંહે પર્યાવરણ અને ઊર્જા ઉત્પાદનના મહત્વના મુદ્દા પર ચર્ચા કરી હતી. દુનિયાના દેશોને ડો. સિંહ અને મર્કેલના મુદ્દા ગળે ઉતરી ગયા અને તેમના પર કામ કરવા સહમત થયા. બંનેના મુદ્દા સિંહ-મર્કેલ ક્લાઈમેટ ચેન્જ ફોર્મ્યુલાથી ઓળખાવા લાગ્યા. આ ફોર્મ્યુલામાં પર્યાવરણને નુકસાન કર્યા વગર ઊર્જા ઉત્પાદનના ઘણા નવા આઈડિયા હતા. કોંગ્રેસે ભારતની વિદેશનીતિને 'ફેલ' ગણાવી ભારતને આમંત્રણ ન આપવાની શું અસર થશે? ભારતની ગેરહાજરી ગ્લોબલ મંચો પર કેનેડાની ભાગીદારીને અસર કરી શકે છે. G-7 જેવા મંચો પર ભારતની હાજરી તેને ગ્લોબલ મુદ્દાઓ પર પોતાનું વલણ સ્પષ્ટ કરવાની અને સહયોગ વધારવાની તક આપે છે. જો કે, ભારત અન્ય આંતરરાષ્ટ્રીય મંચો દ્વારા તેની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે. ભારતની ગેરહાજરી આંતરરાષ્ટ્રીય

મંચ પર કેનેડાને પણ અલગ કરી શકે છે કારણ કે અન્ય સભ્ય દેશો ભારતને અવગણતા નથી. એકલું કેનેડા અવગણે છે. અત્યારે ધીમે ધીમે બંને દેશો વચ્ચે સંબંધો સુધરી રહ્યા હોય તેવો માહોલ પણ છે. માર્ચ-2025માં ભારત-કેનેડાએ સંવાદ કરવાનું શરૂ કર્યું છે. ભારતે કેનેડામાં નવા હાઈ કમિશનરની નિમણૂક કરવાનું વિચાર્યું છે, અને કેનેડાએ પણ ભારતમાં તેના હાઈ કમિશનર માટે નામનો પ્રસ્તાવ મૂક્યો છે. છતાં સંબંધો સાવ સુધરી ગયા હોય, તેવું પણ નથી. છેલ્લે, 2001માં અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થયો હતો. એના પછીના વર્ષે 2002માં કેનેડાના આ જ કનાનાસ્કીસ શહેરમાં G-7 સમિટ યોજાઈ હતી. આતંકવાદના ઓછાયા હેઠળની આ સમિટનો મુદ્દો હતો ગ્લોબલ ટેરરિઝમ અને વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન. એ વખતે અમેરિકાને ત્રાસવાદ કનડતો હતો એટલે આ મુદ્દો રાખ્યો. ભારત દાયકાઓથી કહી રહ્યું છે કે ત્રાસવાદ એ વિશ્વની સૌથી મોટી સમસ્યા છે પણ હવેની સમિટમાં ભારતને આમંત્રણ નથી આપ્યું. પશ્ચિમના દેશો અને અમેરિકાના હંમેશાં બે કાટલા હોય છે. જ્યારે તેમને અનુકૂળ હોય તો ખોળામાં બેસાડી દે છે અને જ્યારે અનુકૂળ ન હોય તો ઊંચકીને ફેંકી દે છે. આપણે એ સમજવાનું છે કે આપણા દેશ માટે સૌથી મહત્વની વાત શું છે... સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ... આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

Leave a Reply

Related Post