ગુજરાતની જેલોના વડા કે.એલ.એન.રાવનો ઇન્ટરવ્યૂ: સાડા પાંચ વર્ષમાં જેલોમાં નોંધપાત્ર સુધારા કર્યા; કહ્યું- 'કેદીઓ 100 પ્રોડક્ટ્સ તૈયાર કરે છે, વર્ષે 40 કરોડનું ટર્નઓવર'

ગુજરાતની જેલોના વડા કે.એલ.એન.રાવનો ઇન્ટરવ્યૂ:સાડા પાંચ વર્ષમાં જેલોમાં નોંધપાત્ર સુધારા કર્યા; કહ્યું- 'કેદીઓ 100 પ્રોડક્ટ્સ તૈયાર કરે છે, વર્ષે 40 કરોડનું ટર્નઓવર'
Email :

2 ઓક્ટોબર 2019થી કે.એલ.એન.રાવે જેલ વિભાગનો વહીવટ સંભાળ્યો અને સાડા પાંચ વર્ષમાં જેલ સુધારણાં માટે રિફોર્મ, રીહેબીલીટેશન, સમાજમાં પુનઃ સ્થાપિત કરવા માટે ઘણાં પ્રયત્નો કર્યા. તેમના કાર્યકાળ હેઠળ આજીવન કેદની સજા પામેલાં 540 કેદીઓ સારી વતર્ણૂકના કારણે ગુજરાતની જેલોમાંથી વહેલાં જેલ મુક્ત થયા. તેમણે 75 વર્ષ સુધી કેદીઓને નાસ્તામાં અપાતા ગોળ અને ચણાના નિયમમાં સુધારો કરાવતા કેદીઓ માટે સપ્તાહમાં શીરો, પૌવાં, ઉપમા, ઇડલી અલગ અલગ મેનુ રાખવામાં આવ્યું. સાથે તેમણે જણાવ્યું કે, કેદીઓ 100થી વધુ પ્રોક્ટસ્ તૈયાર કરે છે અને જેનું વર્ષે 40 કરોડ ટર્નોઓવર છે. 'કોરોનામાં વૈશ્વિક મહામારીમાં જેલોની કઠિન પરિસ્થિતિ હતી' ગુજરાતની જેલોના વડા કે.એલ.એન. રાવે ન્યુ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 2 ઓક્ટોબર-2019ના રોજ મારી જેલમાં નિમણૂક થઇ હતી. જ્યારથી મેં જેલ વિભાગનો વહીવટ સંભાળ્યો છે. ત્યારથી આજ સુધી આશરે સાડા પાંચ વર્ષમાં જેલ સુધારણાં માટે રિફોર્મ, રીહેબીલીટેશન, સમાજમાં પુનઃ સ્થાપિત કરવા માટે (રીઇન્ટીગ્રેશન) અમે ઘણાં પ્રયત્નો કર્યા છે. કોરોનામાં વૈશ્વિક મહામારીમાં જેલોની કઠિન પરિસ્થિતિ હતી. સમાજ, દેશ અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે લોકડાઉન હતું. ત્યારે પ્રતિબંધિત વિસ્તાર જેલમાં કેદીઓને સંભાળવા, તેમને કોરોનાથી બચાવવા તે અમારા માટે એક પડકાર હતો. તે સમયે અમે કેદીઓની સારી કાળજી રાખી હતી. ત્યારે સુપ્રિમ કોર્ટના આદેશના પગલે સાત વર્ષથી ઓછી સજા ધરાવતાં ગુનાના કાચા કામના કેદીઓ જે હતા. તથા સજા પામેલાં કેદીઓને પણ જામીન પર છોડવામાં આવે. કારણ કે જેલોમાં ઓવરક્રાઉડીંગની સમસ્યા હતી તે ઓછી થઇ શકે. સુપ્રીમ કોર્ટના હુકમના પગલે અમે ત્રણ તબક્કામાં ફર્સ્ટ વેવ, સેકન્ડ વેવ અને થર્ડ વેવમાં આશરે 4 હજાર કેદીઓને જામીન પર છોડ્યાં હતા. તેમાંથી 95 ટકા કેદીઓ જેલોમાં પરત ફર્યા છે. 5 ટકાને પકડવા માટે પોલીસ કાર્યવાહી કરી છે. 95 ટકામાં કેટલાંક કાચા કામના કેદીઓ નિર્દોષ છૂટી ગયા

હોય અથવા તો કોઇકને કાયમી જામીન મળી ગયા હોય તેવા પણ છે. 540 કેદીઓને જેલમુક્ત કર્યા કે એક સિદ્ધિ છે - કે.એલ.એન. રાવ એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, સીઆરપીસીની કલમ 432 તથા 433 અંતર્ગત સજા પામેલાં કેદી કે જેને પાકા કામના કેદી કહેવાય. દેશના દરેક રાજ્યોની વહેલા જેલ મુક્તિ નીતિ બનેલી છે. તે જ રીતે ગુજરાતની પણ વહેલા જેલ મુક્તિ નીતિ બનેલી છે. તે અંતર્ગત આજીવન કેદની સજા પામેલાં કેદી કે જે 14 વર્ષની સજા ભોગવી ચૂકવ્યા હોય અને આ જેલવાસ દરમિયાન તેમની વતર્ણૂંક સારી હોય તેવા કેદીઓની દર વર્ષે રિવ્યુ કરવામાં આવે છે. આ સ્ક્રીનીંગ કમિટીમાં કલેક્ટર ( જિલ્લા મેજીસ્ટ્રેટ ), નાયબ પોલીસ કમિશનર, જેલ સુપ્રિન્ટન્ડન્ટ, ધારાસભ્ય, સાંસદ તથા સરકારના નિમાયેલાં પ્રતિનિધિઓ હોય છે. તે લોકો દરેક કેદીનો સંપૂર્ણ રેકર્ડની ચકાસણી કર્યા બાદ જે તે કેદીને વહેલી જેલ મુક્ત કરવા માટે અભિપ્રાય સાથે ભલામણ કરે છે. આ ભલામણને ધ્યાનમાં લઇને અમારા અભિપ્રાય સાથે સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવે છે. તેના પર સરકાર નિર્ણય લે છે. છેલ્લાં ત્રણ વર્ષમાં અમે 540થી વધુ કેદીઓ કે જે આજીવન કેદના કેદીઓ હતા તેમને સારા નાગરિક બની શકે તે હેતુથી જેલ મુક્ત ( છોડવામાં ) કરવામાં આવ્યા છે તે એક સિધ્ધિ છે. છેલ્લાં 75 વર્ષમાં આવું કદી થયું નથી. દર વર્ષે એક, બે અથવા ત્રણ એટલે કે સીંગલ ડીજીટમાં કેદીઓને છોડવામાં આવતાં હતા. છેલ્લાં બે-અઢી વર્ષમાં અમે 540થી વધુ કેદીઓને છોડ્યાં છે અને આ સરકારની હકારાત્મક નીતિના કારણે થયું છે. ગુજરાત સરકારનું આમાં મોટું યોગદાન રહ્યું છે. કેદીઓ આર્ટીકલ 161 અંતર્ગત દયાની અરજી રાજ્યપાલ સમક્ષ કરી દરેક રાજયની વહેલા જેલ મુક્તિની એક નીતિ હોય છે. દરેક રાજયમાં તે અમલમાં છે. સીઆરપીસીમાં તથા નવા કાયદામાં પણ આ નિયમ

જોગવાઇ છે. આ સિવાય પણ આર્ટીકલ 161 અંતર્ગત કેદી દયાની અરજી રાજ્યપાલ સમક્ષ કરી શકે છે. આ અરજી પર કેદીની દયાની અરજીને ધ્યાનમાં લઇને રાજયપાલ કેદીને છોડી શકે છે. દયાની અરજીમાં પણ અમે 15-20 કેદીઓને છોડ્યાં છે, પરંતુ મુખ્યત્વે તો વહેલા જેલ મુક્તિના નીતિ હેઠળ જ આવરી લેવાય છે. જેમનું ના થયું હોય તેવા કેસોનું દયાની અરજીમાં રિવ્યુ થાય છે. એક કેદીની દરખાસ્ત મંજૂર ન થતાં તેની દીકરીએ આપઘાત કરી લીધો એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, મારા છેલ્લાં સાડા પાંચ વર્ષના જેલ વહીવટ દરમિયાન રસપ્રદ અને સંવેદનશીલ, દિલને હચમચાવી નાંખે તે પ્રકારના કિસ્સાં અમારી સમક્ષ આવ્યા છે. એક પાકા કામનો કેદી હતો. તેણે સંજોગોવશાત પત્નીની હત્યા કરી નાંખી હતી જેથી તેને આજીવન કેદ થઇ હતી. તેણે 14 કે 15 વર્ષની સજા ભોગવી લીધી હતી. તેનો કેસ પણ વહેલી જેલ મુક્તિ નીતિ અંતર્ગત રિવ્યુ કરીને સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી હતી. તે સમયે તેની દરખાસ્ત મંજૂર ના થઇ શકી. તેની એક દિકરી હતી તેની ઉંમર 16 વર્ષથી વધુ થઇ ગઇ હતી. તેના પિતા જેલ મુક્ત થઇને બહાર આવશે તેની પ્રતિક્ષા કરી રહી હતી, પરંતુ તેના પિતાની અરજી જે વર્ષે નામંજૂર થઇ ત્યારે તેની દીકરીએ આપઘાત કરી લીધો હતો. દર વર્ષે જેમ કેદીઓની જેલ મુક્તિ માટેની દરખાસ્ત કરવામાં આવે છે. તે નીતિ અંતર્ગત બીજા વર્ષે ફરીવાર આ કેદીને જેલ મુક્તિ માટે દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવી હતી. તે મંજૂર થઇ ગઇ હતી. તે કેદીએ આવીને કહ્યું કે, મારી પત્ની પણ જતી રહી અને મારી દીકરી પણ હવે આ દુનિયામાં રહી નથી, તો હું બહાર જઇને શું કરીશ મારે બહાર જવું નથી. તો આવા સંવેદનશીલ કેસો પણ આવે છે. સરોગેસી અને એક દંપતીનો કેસ સામે

આવ્યો હતો બીજો પણ સંવેદનશીલ કેસ કે જે દિલને સ્પર્શી લે તેવો હતો. એક લેડી પ્રોહીબીશનના કેસમાં જેલમાં આવી હતી. તે કાચા કામની કેદી ( સજા ના થઇ હોય તેવી ) હતી. તે જેલમાં આવી ત્યારે ગર્ભવતી હતી. થોડાંક મહિના પછી તેણે દીકરીને જન્મ આપ્યો હતો. થોડા દિવસો બાદ રાજસ્થાનનું એક દંપતિ આવ્યું હતું અને તેમણે કાચા કામની કેદીએ જેને જન્મ આપ્યો છે તે દીકરી તેમની હોવાનો દાવો કર્યો હતો. આ સમગ્ર મામલો હાઇકોર્ટ સુધી ગયો હતો. હાઇકોર્ટે તપાસ કર્યા બાદ આ દંપતીનો દાવો સાચો હોવાની હકીકત પ્રકાશમાં આવી હતી. જેમાં આ જન્મ લેનારી દીકરીના મા-બાપ તે લોકો છે. સરોગેટ મધરનો કેસ હતો. આઇવીએફ સરોગેસી મારફતે ટ્રીટમેન્ટ કરાવી હતી અને જેલમાં રહેલી મહિલા સરોગેટ મધર હતી. ડીએનએ સહિતના બધાં રિપોર્ટ જોઇને જ હાઇકોર્ટે નિર્ણય કર્યો હતો. જેલમાં વસ્તુઓનું ઉત્પાદનથી વર્ષે 40 કરોડનું ટર્નઓવર જેલની બાબતમાં આમ પ્રજાને જાણકારી નથી. જેલ એક એવી જગ્યા છે, જે કોઇ બગીચો કે જાહેર જગ્યા નથી, પરંતું એક પ્રતિબંધિત વિસ્તાર છે જેથી લોકોને આની જાણકારી ઘણી ઓછી છે. જેલમાં 100 પ્રકારની ચીજોનું ઉત્પાદન થાય છે. બેકરી આઇટમથી લઇને ફર્નીચર, ફરસાણ, દૂધ ઉત્પાદન, ઓર્ગેનિક ખેતી ઉપરાંત કોરોના દરમિયાન સેનેટાઇઝર, માસ્ક બનાવ્યા હતા. આમ ઘણી બધી ચીજોનું ઉત્પાદન થાય છે. વર્ષે 40 કરોડનું ટર્નઓવર છે. વડોદરામાં પેટ્રોલ પંપ ચલાવવામાં આવે છે. ત્યાં દરરોજનું 2 લાખથી વધુનું વેચાણ થાય છે. અમારો એક જ ઉદ્દેશ છે દરેક હાથને કામ. જેનું જેવી સ્કીલ હોય તે પ્રકારનું કામ આપવામાં આવે છે. જેને ભણવું છે તેને ભણાવીએ પણ છીએ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સીટી તથા ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સીટી સંલગ્ન કલાસ પણ ચલાવીએ છીએ. જેલ મુક્ત નીતિના લાભ માટે મોટેભાગે કેદીઓ ભાગતા નથી 7 હજારની આસપાસ કેદીઓને શિક્ષિત

અને આત્મનિર્ભર કર્યા છે, સ્કિલ્ડ ડેવલપ કર્યા છે. કોઇ ફર્નિચર, મોટર મીકેનીક, કોમ્પ્યુટર કલાસ પણ ચલાવે છે. કેદી સજા પુરી કરીને બહાર નીકળે ત્યારે આત્મનિર્ભર બને તે હેતુસર અમે તેમને ટેક્નિકલ સ્કિલ્ડ આપીએ છીએ. ઓપન જેલમાં રાખીએ તો તેનો એક ક્રાયટેરિયા હોય છે. જેના પર ભરોસો હોય, વતર્ણૂંક સારી હોય, સજાનો એક ચર્તુતાર્થ સજા ભોગવી ચૂકયા હોય તેને ઓપન જેલમાં રાખીએ છીએ. જે લોકો નાસી નહીં છૂટે કેમ કે તેમને ખબર છે કે પોલીસ પકડશે અને તેમની સામે કેસ થશે. વહેલા જેલ મુક્ત થવાની નીતિનો લાભ નહીં મળે એટલે મોટાભાગે કેદીઓ ભાગતાં નથી. જો કે તાજેતરમાં એક ઓપન જેલનો કેદી પરિવારના હિસાબથી જતો રહ્યો હતો. તે પોતે આપમેળે જ તાજેતરમાં હાજર થઇ ગયો છે. તે આજીવન કેદની સજા પામેલો કેદી છે. તેમને ખબર હોય છે એટલે નાસી છૂટતાં નથી. જેલમાંથી ભાગી છૂટેલાં કેદી સામે કેસ કરવામાં આવે છે. આ ઉપરાંત જેલમાં શિસ્ત જાળવવા માટે જેલ મેન્યુઅલ છે. જેલ નિયમનો ભંગ કરે છે તેની સામે ખાટલો ચલાવવામાં આવે છે તેને જેલ મેન્યુઅલ પ્રમાણે સજા કરવામાં આવે છે. 'અમે કેદીઓને સામાન્યથી નજીકનું વાતાવરણ આપવા માગીએ છીએ' એક પ્રશ્નના જવાબમાં જેલોના વડા કે.એલ.એન. રાવે વધુમાં કહ્યું કે, અમે કેદીને જેલમાં સામાન્યથી નજીકનું વાતાવરણ આપવા માગીએ છીએ. જેલ મેન્યુઅલ અને જેલના નિયમોના દાયરામાં રહીને જેટલું પણ અમે સામાન્ય રહી શકીએ તેટલું રાખવા માંગીએ છીએ. મા-બાપ, પરિવારથી અલગ હોય તેની પાસે આપણે આપણી સાથે સામાન્ય વર્તાવ કરે તેવી અપેક્ષા રાખીએ તો એ એબનોર્મલ નથી. આપણે એબનોર્મલ છીએ તેને જે ગુનો કર્યો છે તે પ્રમાણે પોલીસે ઇન્વેસ્ટીગેશન કર્યું અને કોર્ટ તેને ગુના પ્રમાણે સજા કરે છે. અમારો દ્દષ્ટિકોણ એ છે કે જ્યાં સુધી અમારી પાસે રહે ત્યાં સુધી

તેને એન્ગેજ રાખીએ. તે અહીંયા રહે પરિણામ લક્ષી અને તે સમય તેના માટે ઉપયોગી બની રહે. કોઇ શીખવા, ભણવા માગે કે કોઇપણ કામ કરવા માગતું હોય તે કરે. તે ઇચ્છા મુજબ કામ કરે. એફ.એમ. સ્ટેશન ચલાવીએ છીએ. તેમાં રેડીઓ જોકી પણ અમારા કેદીઓ છે. કેદીઓને ફરમાઇશી ગીત સંભળાવવામાં આવે છે. કોઇનો બર્થ ડે હોય તો તેને શુભેચ્છા પાઠવવામાં આવે છે. રેડીઓ એફ.એમ. સ્ટેશન કોમર્શીયલ સ્ટેશનથી પણ સારાં છે. રેડીઓ જોકી આવીને કોમર્શીયલ પ્રોગ્રામ પણ ત્યાં આવીને કરે છે. કાનૂની સલાહ, હેલ્થ બુલેટીન પણ આપીએ છીએ. આ રીતે મનોરંજન તથા એન્ગેજમેન્ટ, યોગા વગેરે કાર્યક્રમ તે માધ્યમથી અમે કરીએ છીએ. 'કેદીઓના તેજસ્વી બાળકોને જેલ ઓથોરિટી ઇનામ આપે છે' કેદીને સુધારવા માટેનું કામ કર્યું હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું કે, મને વિચાર આવ્યો કે તેમના પરિવારજનો માટે પણ કંઇ કરવું જોઇએ. દરેક મા-બાપ તેમના બાળકો માટે અતિચિંતિત હોય છે. મે જોયું છે કે, ધો.10-12ની પરીક્ષા હોય ત્યારે અમારા સ્ટાફમાં પણ ઘણાં લોકો બોર્ડની પરીક્ષા છે તેમ કહીને 15 દિવસ, મહિનાની રજા લઇને જતાં રહે છે. મને વિચાર આવ્યો કે આટલું કામ કરીએ છીએ, કમાઇએ છીએ તેમ છતાં ધો.10-12ની પરીક્ષાની ચિંતા થાય છે. તો કેદીના બાળકો જે બહારે છે પણ તેઓ મનોવૈજ્ઞાનિક સ્થિતિમાં ભણે છે. તેમાં કોઇ તેજસ્વી વિદ્યાર્થી હોય અને પરિણામ લાવે તો તે પણ ઇનામના હક્કદાર છે. સરકારે સરકારી કર્મચારીના તેજસ્વી છોકરાંઓને જે માપદંડથી ઇનામ આપે છે. ઇનામની રકમમાં કંઇ આઘુંપાછું કર્યું નથી. પણ જે ટકાવારી છે તેમાં અમે 10 ટકા ઓછાં રાખ્યાં છે. એટલે કે સરકારમાં 80 ટકા છે તો અમે 70 ટકા રાખ્યાં છે. થોડું માર્જીન રાખ્યું છે, પરંતુ પ્રોત્સાહિત ઇનામ એ જ રાખ્યાં છે. ગયા વર્ષથી જ શરૂ કર્યું છે. 50થી

વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને જે સરકારી કર્મચારીઓના બાળકોને મળે છે તેટલું જ ઇનામ આપ્યું છે. 75 વર્ષથી ચાલતા નાસ્તાના નિયમને બદલાવ્યો કેદીઓ ત્રણ પ્રકારના છે સ્ક્રીલ્ડ, સેમી સ્ક્રીલ્ડ અને અનસ્ક્રીલ્ડ. સ્ક્રીલ ધરાવનારાને રૂ. 140, સેમી સ્ક્રીલ્ડ ધરાવતાં કેદીને 100 રૂપિયા અને અનસ્કીલ્ડ કેદીને 70 રૂપિયા આપતાં હતા. તેમાં છેલ્લાં બે વર્ષથી વધારો કર્યો છે. 200, 170 રૂપિયા કરી દીધાં છે. દરેક કેદીનું પોસ્ટઓફિસમાં ખાતું હોય છે, જેમાં જમા કરે છે. બાદમાં તે પરિવારને આપી શકે છે. છેલ્લાં પાંચ વર્ષમાં અમે ઘણાં સુધારા કર્યા છે, પરંતુ હું નાનો સુધારો બતાવું છું કે આઝાદીના 75 વર્ષ પછી પણ કેદીઓને નાસ્તામાં ગોળ-ચણાં આપવામાં આવતાં હતા. મારા મનમાં વિચાર આવ્યો કે આને એકસ્પાન કરવું જોઇએ. સપ્તાહમાં સાત દિવસ જેમ કે શીરો, પૌવાં, ઉપમા, ઇડલી અલગ અલગ મેનુ પ્રમાણે ખાવાનું આપવામાં આવે છે. આપણાં પાડોશી રાજ્યો પણ કરે છે. નાનો સુધારો કર્યો છે, પરંતુ તેની અસર ઘણી સારી છે. આનાથી કેદીઓને લાગે કે કોઇ અમારી બાબતમાં વિચારે છે. આ નાની વસ્તુ હતી ચેન્જ કરવા માટે પણ આટલાં વર્ષો પછી ચેન્જ થયું છે. તો કેદીઓને ઘણું સારું લાગે છે. તેમને એવું લાગે છે કે તેમની દેખભાળ કરવામાં આવે છે. વહેલી જેલ મુક્તિ અંગેના નીતિ નિયમ બનાવવા અનિવાર્ય હમણાં અમે સરકારની મદદથી વહેલી જેલ મુક્તિ નીતિનું પાલન કરીને 540થી વધુ લોકોને છોડયાં છે. તો કેદીઓમાં એક આશાનું કિરણ જન્મી છે. જો અમારી વતર્ણૂક સારી રહેશે તો 14 વર્ષની સજા ભોગવવાની તો ફરજિયાત છે પણ તે પુરી થયા બાદ અમારો કેસ પણ કન્સીડર થઇ શકે છે. સમાજમાં કેટલાંક લોકો એવા છે કે જે ગુસ્સામાં આવીને ગુનો કરી બેસે છે પછી પસ્તાવો પણ થતો હોય છે, પ્રાશ્ચાચિત પણ કરે છે. સજા થયાં બાદ

તે છૂટી નથી શકતાં તેવી જોગવાઇ નથી. ખાસ કરીને આજીવન કેદની સજા થઇ હોય તેમાં જેની વતર્ણૂંક સારી હોય, પાશ્ચચિત થાય તેને પણ સુધરવાનો એક મોકો મળવો જોઇએ તેવું સમાજ અને ન્યાયતંત્ર પણ માને છે. આવા લોકોને સરકારના નીતિ નિયમ મદદ કરે છે. આજીવન કેદ કાયદાકીય પરિભાષામાં જોઇએ તો જીવે ત્યાં સુધીની સજા કહેવાય. મેં અગાઉ કહ્યું તેમ સુપ્રિમ કોર્ટના હુક્મ પ્રમાણે દરેક રાજ્ય એ વહેલી જેલ મુક્તિ અંગેના નીતિ નિયમ બનાવવા અનિવાર્ય છે. તે અમે પણ બનાવ્યો છે. જેલ મુક્ત થયેલાં કેદીઓની વર્ષવાઇઝ આંકડાકીય માહિતી 1-1-2019થી 20-40 2025 સુધી જેલ એડવાઇઝરી કમિટીમાં કોણ કોણ ? રાજ્યના ગૃહ વિભાગે 22-10-2014ના રોજ સજામાં માફી, છૂટ અને જેલમાંથી વહેલા મુક્ત કરવા અંગે સુધારો કર્યો છે. તેના માટે જેલ એડવાઇઝરી કમિટીની રચના કરી છે. જેમાં જિલ્લા કલેક્ટર ( જિલ્લા મેજીસ્ટ્રેટ ) અથવા ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટના ચેરમેન પદે કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ડિસ્ટ્રીક્ટ સેશન્સ જજ, શહેરના પોલીસ કમિશનર અથવા પોલીસ સુપ્રિટેન્ડેન્ટ, ડિસ્ટ્રીક્ટ સોશિયલ વેલ્ફેર ઓફીસર, બે સ્થાનિક ધારાસભ્ય, પ્રેસીડેન્ટ ઓફ મ્યુનિ. કોર્પોરેશન - ડીસ્ટ્રીક્ટ પંચાયત- તાલુકા પંચાયત ( ત્રણમાંથી કોઇ એક ) , એક મહિલા સહિત ત્રણ સામાજીક કાર્યકરો સભ્યો રહેશે. જ્યારે સંબંધિત જેલ સુપ્રિટેન્ડેન્ટ મેમ્બર સેક્રેટરી રહેશે. બાયોલોજીકલ દંપતીએ 2021માં એક સરોગસી એગ્રીમેન્ટ કર્યો ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેકટીસ કરતાં અને અરજદાર વાલીના એડવોકેટ પુનમ મહેતાએ ન્યુ ગુજરાતને જણાવ્યું હતું કે, રાજસ્થાનના બાયોલોજીકલ દંપતીએ 2021માં એક સરોગસી એગ્રીમેન્ટ કર્યો હતો. 2022માં જે સરોગેટ મધર હતી તેમના પર ચાઇલ્ડ ટ્રાફિકિંગ અંગે એફ.આઇ.આર. નોંધાઇ હતી. તેના લીધે તે પોલીસ કસ્ટડીમાં હતી. તે સમયગાળામાં તેમને લેબર પેઇન સ્ટાર્ટ થયું. એટલે પોલીસ ઓથોરીટી તેમને હોસ્પિટલ લઇ ગયા ત્યાં તેમને ખબર પડી કે આ સરોગેસીથી પ્રેગનન્સી છે. એટલે આ

અંગે પોલીસ ઓથોરીટીએ વીંગ્સ આઇવીએફ હોસ્પિટલને જાણ કરી હતી. જે સરોગેસીનો આખો કેસ હેન્ડલ કરતી હતી અને બાયોલોજીકલ પેરેન્ટસને પણ બોલાવી લીધાં હતા. કોર્ટે ચાઇલ્ડ બાયોલોજીકલ પેરેન્ટસને સોંપવાનો હુક્મ કર્યો આ દરમિયાનમાં સરોગેસી મધરે સિવિલ હોસ્પિટલમાં 21-6-2022ના રોજ બપોરે આશરે 12:30 વાગ્યાની આસપાસ બાળકીને જન્મ આપ્યો હતો. પછી પ્રશ્ન એ ઊભો થયો કે, હવે ચાઇલ્ડ ક્યાં રહે ?, ચાઇલ્ડ જન્મ પછી પોલીસ કસ્ટડીમાં ના રહે એટલે પોલીસ ઓથોરીટીએ વિંગ્સ હોસ્પિટલવાળાને કહ્યું કે, હાઇકોર્ટ કે પછી કોઇપણ કોર્ટમાંથી ઓર્ડર લઇ આવો. જેથી અમે ચાઇલ્ડની કસ્ટડી તમને સોંપી શકીએ. એટલે પેરેન્ટસે હાઇકોર્ટમાં પીટીશન ફાઇલ કરીને ચાઇલ્ડની કસ્ટડીની માંગણી કરી હતી. હાઇકોર્ટે બીજા દિવસે જ તાત્કાલિક સુનાવણી રાખીને મેડિકલ રિપોર્ટ મંગાવ્યા અને સરોગેસી એક્ટ પ્રમાણે ચાઇલ્ડ ક્યાં રહેવું જોઇએ તે બધી દલીલો થઇ અને ચાઇલ્ડ બાયોલોજીકલ પેરેન્ટસને સોંપવાનો હુક્મ કર્યો હતો. સરોગેટ મધરે પણ હાઇકોર્ટમાં એક એફીડેવીટ ફાઇલ કરી હતી એક પ્રશ્નના જવાબમાં એડવોકેટ પુનમ મહેતાએ કહ્યું કે, તેમના વચ્ચે એક એગ્રીમેન્ટ થયો હતો. ચાઇલ્ડનો જન્મ થાય એટલે તાત્કાલિક તેમને આપી દેવાનું હોય. એક્ટની અંદર ક્યાંક એવું પણ મેન્શન થયું હતું કે, બ્રેસ્ટ ફીડિંગ સરોગેટ મધર પાસે થવું જોઇએ. પણ ચાઇલ્ડને ન્યુટ્રીશીયન સપોર્ટ હોસ્પિટલ તરફથી આઇવીએફથી આપવામાં આવે છે. તે જ રીતે બધું વીંગ્સ હોસ્પિટલે સંચાલન કર્યું હતું. એટલે જરૂરી નથી કે બાળકને બ્રેસ્ટ ફીડિંગ આપવું જોઇએ. હાઇકોર્ટે સરોગેટ મધરને શું કરવું છે તેવી પૃચ્છા પણ કરી હતી. એટલે સરોગેટ મધરે પણ હાઇકોર્ટમાં એક એફીડેવીટ ફાઇલ કરી હતી. મારે બાળકીને તાત્કાલિક આપી દેવું છે, મને તેમાં કોઇ વાંધો નથી. તેમના વચ્ચે શું અન્ડરસ્ટેન્ડીંગ થયું હતું તે બાબતે અમારી પાસે કોઇ માહિતી નથી. તે પાર્ટી અને હોસ્પિટલ હેન્ડલ કરતી હોય છે. અત્યારે કસ્ટડી બાયોલોજીકલ પેરેન્ટસ પાસે છે.

Leave a Reply

Related Post