મસ્કને પિતાની સલાહ: થોડો આરામ કરો, ભારતમાં ફરો

મસ્કને પિતાની સલાહ: થોડો આરામ કરો, ભારતમાં ફરો:કહ્યું- BYD જેવી બ્રાન્ડ ઈન્ડિયામાં આવી રહી છે, તો ટેસ્લા કેમ નહીં?; અયોધ્યામાં રામ મંદિર જોવા માટે ઉત્સુક
Email :

ટેસ્લાના CEO ઇલોન મસ્કના પિતા ઇરોલ મસ્ક ભારતમાં છે. આ સમય દરમિયાન એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે તેમના પુત્રને સલાહ આપી અને કહ્યું- ઇલોનને થોડો આરામ કરવો જોઈએ અને ભારતની મુલાકાત લેવી જોઈએ. તેમણે હસતાં હસતાં કહ્યું હતું કે તેમનો પુત્ર 53 વર્ષનો છે, પરંતુ તે ઊર્જા અને ઉત્સાહમાં 30 વર્ષના યુવાન જેવો છે. ઇલોન મસ્કે એપ્રિલ 2025માં ભારતની મુલાકાત લેવાની યોજના બનાવી હતી, પરંતુ ટેસ્લામાં તેમની પ્રતિબદ્ધતાઓને કારણે એને મુલતવી રાખી હતી. આ અંગે ઇરોલે કહ્યું, "મને આશ્ચર્ય થાય છે કે તે હજુ સુધી ભારત આવ્યો નથી. જો તે નહીં આવે તો તે તેની મોટી ભૂલ હશે." તેમણે

ભારપૂર્વક જણાવ્યું કે ભારતમાં ટેસ્લા અને સ્ટારલિંક જેવા તેમના વ્યવસાયો માટે અપાર સંભાવનાઓ છે. તેમણે એવું પણ સૂચન કર્યું કે ઇલોને તેની ન્યૂરાલિંક કંપની પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જે બ્રેઇન-કોમ્પ્યુટર ઇન્ટરફેસ પર કામ કરી રહી છે. ઇરોલે કહ્યું."ન્યૂરાલિંક કરોડરજ્જુને જોડવા, અંધ લોકોને દૃષ્ટિ આપવા અને બહેરાઓને સાંભળવાની ક્ષમતા આપવા જેવાં ક્રાંતિકારી કાર્ય કરી રહી છે. આ ભવિષ્ય નથી, પરંતુ ટૂંક સમયમાં વાસ્તવિકતા બનવા જઈ રહી છે." PM મોદી-ઇલોન મસ્કની ભાગીદારી બંને માટે ફાયદાકારક ઇરોલ મસ્કે ન્યૂઝ એજન્સી ANI સાથે પણ વાત કરી. આમાં તેમણે PM મોદી અને ઇલોન મસ્કની ભાગીદારીને બંને માટે ફાયદાકારક ગણાવી. તેમને વડાપ્રધાન મોદી અને

ઇલોન મસ્ક વચ્ચેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું. ઇરોલ મસ્કે કહ્યું, "તેમની વચ્ચે ખૂબ જ સારી કેમિસ્ટ્રી છે. વડાપ્રધાન મોદીએ ભારતનાં હિતોનું ધ્યાન રાખવું પડશે અને ઇલોને ટેસ્લાનાં હિતોનું ધ્યાન રાખવું પડશે. મને ખાતરી છે કે તેઓ સાથે મળીને એવો રસ્તો શોધી કાઢશે, જે ટેસ્લા અને ભારત બંને માટે ફાયદાકારક હોય." ઇરોલ મસ્કના ઇન્ટરવ્યૂની 3 મોટી વાત... 1. BYD જેવી બ્રાન્ડ પણ ભારતમાં આવી રહી છે, તો પછી ટેસ્લા અહીં કેમ નથી? ઇરોલે ભારત સરકારની તાજેતરની ઇલેક્ટ્રિક વાહન નીતિને ટેસ્લા માટે સકારાત્મક પગલું ગણાવ્યું. તેમણે કહ્યું, "આ ખૂબ જ સારો વિચાર છે. નવી ટેક્નોલોજીને પ્રોત્સાહન આપનારાઓ માટે માર્ગ સરળ બનાવવો

જોઈએ. નવાં વાહનો અને સાધનો વિકસાવવાં સરળ નથી, તેથી એને દરેક શક્ય તક આપવી જોઈએ." ટેસ્લાના ભારતમાં લોન્ચ વિશે પૂછવામાં આવતાં ઇરોલએ કહ્યું, "ટેસ્લા એક જાહેર કંપની હોવાથી મારે એના વિશે વધુ કહેવું જોઈએ નહીં, પરંતુ ભારતની વસતિ, ઊર્જા અને લોકો જોતાં મને લાગે છે કે ટેસ્લા અહીં હોવી જોઈએ." ટાટા અને મહિન્દ્રા જેવી ભારતીય બ્રાન્ડ્સ શાનદાર કાર બનાવી રહી છે અને BYD જેવી અન્ય બ્રાન્ડ્સ પણ આવી રહી છે. તો પછી ટેસ્લા અહીં કેમ નથી?" 2. હું અયોધ્યામાં રામ મંદિર જોવા માટે ઉત્સુક છું ઇરોલ મસ્કે કહ્યું- "હું અયોધ્યામાં રામ મંદિર જોવા માટે આતુર છું. ભારતનો એક અદ્ભુત ઇતિહાસ

છે. મારા મતે વિશ્વનો ઇતિહાસ કોઈ ને કોઈ રીતે ભારત સાથે જોડાયેલો છે. વેદ 14,000 વર્ષ જૂના છે અને કદાચ એનાથી પણ જૂના છે." વેદોમાં ઊડતાં વાહનોનો ઉલ્લેખ છે. મેં એક પુસ્તક લખ્યું છે જેમાં ભારત, કાશ્મીર અને દિલ્હીની કહાનીઓ સામેલ છે. ભારત એક રસપ્રદ દેશ છે." 2. જો પાકિસ્તાન સમસ્યાઓ ઊભી કરી રહ્યું છે તો ઉકેલો શોધવા પડશે જ્યારે 'ઓપરેશન સિંદૂર' વિશે પૂછવામાં આવ્યું ત્યારે ઇરોલે ભારતનું સમર્થન કર્યું. તેમણે કહ્યું, "હું હંમેશાં આ બાબતમાં ભારતની તરફેણમાં રહ્યો છું. સામાન્ય લોકોનું જીવન એટલું પીડાદાયક ન હોવું જોઈએ. જો પાકિસ્તાન સમસ્યાઓ ઊભી કરી રહ્યું છે તો એનું નિરાકરણ લાવવું પડશે.

જો ભારત તરફથી કોઈ ભૂલ થઈ છે, જેની મને શંકા છે, તો એનું પણ નિરાકરણ લાવવું પડશે." ઇરોલ મસ્કનું શિડ્યૂલ: રોકાણકારોને મળશે, અયોધ્યાની પણ મુલાકાત લેશે ઇલોન મસ્કના પિતા 1 જૂને ભારત આવ્યા હતા અને 6 જૂને દક્ષિણ આફ્રિકા પાછા ફરશે. આ દરમિયાન તેઓ હરિયાણા સ્થિત કંપની સર્વોટેકના પ્લાન્ટની મુલાકાત લેશે, જે નવીનીકરણીય ઊર્જાક્ષેત્ર સાથે સંકળાયેલી છે. આ ઉપરાંત ઇરોલ મસ્ક અયોધ્યામાં રામ મંદિરની પણ મુલાકાત લેશે... 1. સર્વોટેક સાથે બિઝનેસ મિટિંગ્સ: ઇરોલ મસ્ક સર્વોટેક રિન્યૂએબલ પાવર સિસ્ટમ્સના વૈશ્વિક સલાહકાર તરીકે ભારત આવ્યા છે. તેઓ હરિયાણાના સફિયાબાદમાં સર્વોટેકના સોલર અને ઇવી ચાર્જર ઉત્પાદન એકમની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન રાજ્યના

મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે. તેઓ કંપનીને EV ચાર્જર ઉત્પાદનમાં સલાહ આપશે. સર્વોટેકનો હેતુ તેના 'વિઝન 2027' યોજના હેઠળ ભારતને સૌર અને EV ચાર્જિંગ સોલ્યુશન્સ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો છે. ઇરોલ મસ્ક સર્વોટેક રિન્યૂએબલ પાવર સિસ્ટમ્સના ગ્લોબલ એડવાઇઝરી બોર્ડનો ભાગ છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રમણ ભાટિયાએ જણાવ્યું હતું કે ઇરોલ મસ્કનો અનુભવ અને વૈશ્વિક દૃષ્ટિકોણ આપણને ભારત અને વિદેશમાં ટકાઉ ઊર્જાના ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ પર લઈ જશે. તેમની હાજરી કંપનીની વૈશ્વિક દૃશ્યતા વધારશે અને એને આફ્રિકા અને અમેરિકા જેવાં બજારોમાં વિસ્તરણ કરવામાં મદદ કરશે. 2. ઇન્ડિયા-ગ્લોબલ ગ્રીન ટેક વિઝન ફોરમ 2025: દિલ્હીમાં યોજાનારી આ ફોરમમાં ઇરોલ મસ્ક મુખ્ય

વક્તા તરીકે ભાગ લેશે. અહીં તેઓ ભારતની ગ્રીન ટેક્નોલોજી અને ટકાઉ વિકાસ યોજનાઓ વિશે વાત કરશે. આ ફોરમ ભારતને વૈશ્વિક બજારમાં ગ્રીન ટેક્નોલોજીમાં અગ્રેસર બનાવવા તરફ એક મોટું પગલું છે. 3. સરકાર અને રોકાણકારો સાથે મુલાકાત: તેમની મુલાકાતમાં ભારત સરકારના મંત્રીઓ અને ટોચના ટેક્નોક્રેટ્સ સાથે અનેક ઉચ્ચ-સ્તરીય બેઠકોનો સમાવેશ થશે, જેથી ભારતની ઊર્જા અને ટેક્નોલોજી નીતિઓને સમજી શકાય અને સર્વોટેકને વૈશ્વિક સ્તરે વિસ્તરણ કરવામાં મદદ મળી શકે. 4. વિશ્વ પર્યાવરણ દિવસ પર વૃક્ષારોપણ ઝુંબેશ: 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, સર્વોટેક ઇરોલ મસ્ક સાથે મળીને એક મોટી વૃક્ષારોપણ ઝુંબેશનું આયોજન કરશે. આ પહેલનો ઉદ્દેશ ટકાઉપણું અને હરિયાળા પર્યાવરણને પ્રોત્સાહન

આપવાનો છે. આ પગલું 2070 સુધીમાં ચોખ્ખી-શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવાના ભારતના લક્ષ્યને સમર્થન આપે છે. 5. અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત: ઇરોલ મસ્કની યાત્રાનો સૌથી ખાસ ભાગ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરની તેમની મુલાકાત છે. તેઓ અહીં રામલલ્લાનાં દર્શન કરશે અને ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા સાથે જોડાશે. આ પગલું ભારતીય સંસ્કૃતિમાં તેમની રુચિ દર્શાવે છે. મસ્કની માતા પણ ભારત આવી હતી આ મુલાકાત મસ્ક પરિવારનો ભારત પ્રત્યેનો વધતો રસ દર્શાવે છે. ઇલોન મસ્કની માતા માયે મસ્ક પણ એપ્રિલ 2025માં ભારતની મુલાકાતે આવી હતી. તેમણે મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના ગાલામાં હાજરી આપી હતી અને ભારતીય સંસ્કૃતિની પ્રશંસા કરી હતી.

Leave a Reply

Related Post