બેરોજગાર રત્નકલાકારો માટે આર્થિક પેકેજ: એક વર્ષની 13,500 સુધીની શિક્ષણ ફી અપાશે, નાના કારખાનેદારને 5 લાખની લોન પર 3 વર્ષ સુધી 9% વ્યાજ સહાય-વીજ ડ્યૂટીમાં રાહત

બેરોજગાર રત્નકલાકારો માટે આર્થિક પેકેજ:એક વર્ષની 13,500 સુધીની શિક્ષણ ફી અપાશે, નાના કારખાનેદારને 5 લાખની લોન પર 3 વર્ષ સુધી 9% વ્યાજ સહાય-વીજ ડ્યૂટીમાં રાહત
Email :

ડાયમંડ ઉદ્યોગનાં 50 વર્ષમાં છેલ્લાં 3 વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છે, જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિયેશના હોદ્દેદારો સાથે બેઠક યોજીને રત્નકલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરી હતી. આ મિટિંગના 74 દિવસ બાદ આખરે આજે (24 મે, 2025) રાજ્ય સરકારે બેરોજગાર રત્નકલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પેકેજની જાહેરાત કરતાં જણાવ્યું કે રત્નકલાકારના સંતાનની એક વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ 13,500 સુધીની માફ કરવામાં આવશે. આ ફી સરકાર DBT મારફત ટ્રાન્સફર કરાશે જ્યારે નાના ઉદ્યોગોને 5 લાખની લોન પર 9%ની ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય તથા વીજ ડ્યૂટીમાં એક વર્ષની રાહત અપાશે. નાના ઉદ્યોગો માટે અઢી કરોડથી ઓછું રોકાણ હોય અને વર્ષ 2022થી 2024 સુધી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવા જોઈએ. જે એકમો

31.3.2025 પહેલાં ઉદ્યોગ વિભાગમાં રજિસ્ટર હોય તેને લાભ મળશે. તેમણે આગળ કહ્યું કે, કોઈપણ રત્નકલાકારોને નોકરી મેળવવા માટે અવ્યવસ્થા ના થાય એ માટેની સુવિધા ઊભી કરવામાં આવી છે. તેજી-મંદી વેપારનો ભાગ છે. મંદી પણ દૂર થશે. જ્યારે મંદી હોય ત્યારે રાજ્ય સરકારે તમામ લોકોને રાહત આપવા આ નિર્ણય લીધો છે. ક્યા ઉદ્યોગોને લોન વ્યાજ અને વીજ સહાય મળશે અને શું છે નિયમ? આત્મહત્યા કરનારા રત્નકલાકારોનું શું થશે? આત્મહત્યા કરનારા રત્ન કલાકારોની યાદી ડાયમંડ એસોસિએશન પાસેથી મંગાવી છે. આ યાદી મળે એ સાથે જ તે અંગે નિર્ણય લેવાશે. આત્મહત્યાના કારણોની પણ તપાસ કરવામાં આવશે. આ યોજનાનો લાભ કેવી રીતે મળશે? જે પણ જિલ્લામાં જ્યાં પણ હીરાના કારખાનાઓ છે તેના માટે કમિટી બનાવવામાં આવી છે. કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કમિટી બનશે. જેમાં જિલ્લા શ્રમ અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા રોજગાર અધિકારી, જિલ્લા

પ્રાથમિક શિક્ષણાધિકારી, લીડ બેંકના અધિકારી, ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર મળીને આ તમામના માર્ગદર્શનમાં આ નિર્ણયો હવે પછી લેવામાં આવશે. જો કોઈ જિલ્લામાં હીરા ઉદ્યોગ હોય પણ ડાયમંડ એસોસિએશન ના હોય તો તટસ્થ વ્યક્તિને કમિટીમાં લઈ શકાશે. જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા જે તે રત્નકલાકારને એપ્રૂવ કરવામાં આવશે અને પછી કમિટીમાં મૂકાશે. નવા ઉદ્યોગો ખુલશે અને રોજગારી પણ ઉભી થશે: હર્ષ સંઘવી રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ અંગે હર્ષ સંઘવીએ કહ્યું, આ રત્નકલાકારો માટેનું આ અત્યાર સુધીનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય છે. આપણો આશય રત્નકલાકારોને સહયોગ કરવાનો છે. રત્નકલાકારોના બાળકોને આગામી દિવસોમાં મોટો લાભ મળવાનો છે. નાના ઉદ્યોગકારોની વીજ સહાય અને વ્યાજ માફી આપી છે એટલે નવા ઉદ્યોગો ખુલશે અને રોજગારી પણ ઉભી થશે. આ કારણે કોઈ રત્નકલાકારને રોજગારીનો પ્રશ્ન ઉભો થશે નહીં. સાડા સાત

લાખથી 10 લાખ રત્નકલાકારમાં 30-40 ટકા અર્ધબેકાર છે: ડાયમંડ વર્કર યુનિયન ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે, 30 માર્ચે કરેલી હડતાલમાં પગરા વધારાની માગ કરી હતી. 30 હજાર પગારથી 15000એ આવી ગયા છે એને શિક્ષણ ફીની જરૂર છે. તેને કેવી રીતે લાભ મળે? આ જાહેરાતને આવકારીએ છીએ પણ આ લોલીપોપ ગણાવી શકાય. મોટી ઇન્ડસ્ટ્રીમાં આ નાની જાહેરાત કહી શકાય. જો પ્રોફેશનલ ટેક્સના પૈસા પણ યોજનામાં કન્વર્ટ કરે તો પણ મોટી યોજના બની જાય. સંપૂર્ણ બેરોજગારના જે ધારા ધોરણ નક્કી કરાયા છે તેના પર પણ વિચાર કરવો જોઇએ. બેરોજગાર રત્નકલાકારોનું આકલન કરી શકીએ પણ સત્તાવાર આંકડો નથી. પરંતુ સાડા સાતથી 10 લાખ રત્નકલાકાર છે.જેમાંથી 30થી 40 ટકા અર્ધબેકાર છે. આ લોકોને નફામાંથી નુકસાની નથી કરવી? ક્યા લોકોએ કારખાનું વેચી દીધું? ઓડી કે BMW વેચી દીધી? ફાર્મ

હાઉસ વેચી દીધું? એક વર્ષ પછી શિક્ષણ ફીનું શું થશે?: રત્નકલાકાર રત્ન કલાકાર વિપુલભાઈએ જણાવ્યું કે, 25 વર્ષથી કામ કરું છું. હાલ પહેલાના 30 હજાર પગારમાં ઘટાડો થઈને 15000-17000 થઈ ગયો છે. એક વર્ષની ફી જાહેર કરી છે. પરંતુ તેના પછીના વર્ષનું શું થશે? સરકાર પાસે રત્નકલાકારનો કોઈ ડેટા નથી. ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંક અને સુરત ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશ જીલરીયાને કમિટીમાં સમાવવા જોઇએ. આ આર્થિક સહાયનો લાભ ઓછા લોકોને મળશે: સુરત ડાયમંડ વર્કર એસો.ના પ્રમુખ સુરત ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશ જીલરીયાએ ન્યુ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સરકારે શિક્ષણ બાબતે કરેલો નિર્ણય આવકારીએ છીએ. પરંતુ અમારી માગણીઓ રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ, આર્થિક પેકેજ, વ્યવસાયવેરો નાબૂદ કરવો, રત્નદીપ યોજના, આત્મહત્યા કરનારા રત્નકલાકારોના પરિવારને આર્થિક મદદ, મજૂર કાયદાનું પાલન કરવા અંગેની છે. આ આર્થિક સહાય

આવકારીએ છીએ પરંતુ તેનો લાભ ખૂબ ઓછા લોકોને મળે છે. આ યોજના ભૂલભૂલૈયા સાબિત ન થાય એ માટે સરકાર આ બાબતે નિર્ણય કરે. અમારી માંગણીઓ પર સરકાર પૂનઃવિચાર કરે એવી માંગ છે. 'જો પગાર ન વધે તો રત્ન કલાકાર આર્થિક ગુલામ બનતો જાય' હાલ 20 કરતા વધુ રત્નકલાકારો કામ કરતા હોય તે કારખાના ધારા હેઠળ નોંધાયેલા હોવા જરૂરી છે. પરંતુ શોપ એક્ટ કે ગુમાસ્તા ધારા હેઠળ પણ નોંધાયેલા નથી. કારખાના કે રત્નકલાકારોની કોઈ નોંધણી નથી. આથી અમે રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવવાની માગ કરી છે. જો બોર્ડ બનાવશે તો સાચો આંકડો બહાર આવશે. 80-90 રત્નકલાકારોના પગાર 40થી 60 ટકા ઘટી ગયા છે અને મોંઘવારી વધી રહી છે. સરકાર કર્મચારીઓના પગાર-ભથ્થાં વધારે છે તો આ તો શ્રમિક છે. પગાર વધારો જરૂરી છે જો ન થાય તો આર્થિક

ગુલામ બનતો જાય. સરકારે આ બાબતે ત્વરિત વિચાર કરવો જોઇએ. 30-31 માર્ચે રત્નકલાકારો હડતાળ પર ગયા હતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, વન-પર્યાવરણમંત્રી મુકેશ પટેલ અને શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા આ યોજનાઓ જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં મંદી, યુક્રેન-રશિયા યુદ્ધ સહિતનાં કારણોને લઈને ડાયમંડ ઉદ્યોગમાં મંદી વ્યાપી ગઈ હતી, જેના કારણે અનેક રત્નકલાકારોએ આપઘાત પણ કર્યા છે. ગત 30 અને 31 માર્ચના રોજ સુરતમાં ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા બે દિવસની હડતાળ પાડવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કારખાનાં બંધ રાખી હીરા વેપારીઓ જોડાયા હતા. આખરે રાજ્ય સરકાર દ્વારા રત્નકલાકારો માટે વિવિધ સહાય યોજના જાહેર કરાશે, જેમાં આર્થિક તથા શૈક્ષણિક સહિતની યોજનાઓ સંભવિત જાહેર કરવામાં આવશે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે હશે રાહત પેકેજ રત્નકલાકારો માટે સરકાર દ્વારા યોજના બનાવવામાં આવી છે, જેની જાહેરાત શનિવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ

સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા જાહેર કરશે, જેમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારો માટે રાહતના પેકેજ જાહેર કરવામાં આવશે. 16 મહિનામાં 71થી વધારે રત્નકલાકારોની આત્મહત્યા મંદીમાં બેરોજગાર થવાથી તેમજ અમુક રત્નકલાકારો ઉદ્યોગમાંથી કામ છોડીને અન્ય વેપારધંધા તરફ વળ્યા હતાં. અમુક રત્નકલાકારો તો ટેક્સટાઈલ યુનિટોમાં નોકરી પર લાગી ગયા હતા. ડાયમંડ વર્કર્સ યુનિયનના દાવા પ્રમાણે છેલ્લા 16 મહિનામાં 71 રત્નકલાકારે આપઘાત કરી લીધો છે. 30 માર્ચની હડતાળમાં ઘણાખરાં કારખાનાં બંધ રહ્યાં હતાં રાજ્યભરનાં ડાયમંડ એસોસિયેશનની ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રીએ રત્નકલાકારોના હિતમાં યોજના જાહેર કરવાનું કહ્યું હતું. તેમ છતાં સરકારે કોઈ જાહેરાત ન કરતાં યુનિયને 30 માર્ચે હડતાળ પાડી હતી, જેમાં મોટા ભાગનાં હીરાનાં કારખાનાં બંધ રહ્યાં હતાં તેમજ કતારગામથી કાપોદ્રા હીરા બાગ સુધીની ‘રત્નકલાકાર એકતા રેલી’ યોજી હતી, જેમાં

મોટી સંખ્યામાં રત્નકલાકારો જોડાયા હતા. સવારે 9.30 વાગ્યે શરૂ થયેલી રેલી બપોરે 1 વાગ્યે પૂર્ણ થઈ ગઈ હતી, જોકે 31 માર્ચે એટલે કે બીજા દિવસે પણ રત્નકલાકારોની હડતાળ યથાવત્ રહી હતી.(વાંચો સંપૂર્ણ સમાચાર) ઉદ્યોગકારોની મુખ્યમંત્રીની મુલાકાત બાદ કલેક્ટરે આગેવાનો સાથે બેઠક યોજી હતી 11 માર્ચ, 2025ના રોજ ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશના હોદ્દેદારોની મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ સુરત કલેક્ટરે ડાયમંડ ઉદ્યોગકારો અને આગેવાનો સાથે એક બેઠક યોજી રજૂઆતો સાંભળી હતી. જેમાં કલેક્ટરે આગામી સમયમાં પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની દિશામાં કામગીરી શરૂ કરી દીધી હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ રાજ્ય સરકારે પણ ઉદ્યોગકારોની રજૂઆત બાદ ત્રણ મંત્રીની એક કમિટી બનાવવામાં આવી છે. જે સમગ્ર મામલે અહેવાલ તૈયાર કરશે અને અહેવાલ બાદ રત્નકલાકારોને મદદની જાહેરાત કરવામાં આવશે તેમ શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ જણાવ્યું હતું.(સંપૂર્ણ અહેવાલ વાંચવા ક્લિક કરો)

Leave a Reply

Related Post