રાજકોટમાં રોગચાળો વકર્યો: જોખમી કમળાનાં 2, ટાઇફોઇડ તાવનો 1 કેસ નોંધાયો, સતત પાંચમા સપ્તાહે 715 દર્દીઓ સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક

રાજકોટમાં રોગચાળો વકર્યો:જોખમી કમળાનાં 2, ટાઇફોઇડ તાવનો 1 કેસ નોંધાયો, સતત પાંચમા સપ્તાહે 715 દર્દીઓ સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક
Email :

રાજકોટમાં ઉનાળાની શરૂઆતમાં રોગચાળો વકર્યો છે. અને સતત પાંચમા સપ્તાહે મનપાનાં ચોપડે ટાઇફોઇડ, અને કમળાનાં દર્દીઓ સામે આવ્યા છે. જેમાં જોખમી કમળાનાં 2 અને ટાઈફોઈડ તાવનો 1 તેમજ મેલેરિયાનો પણ 1 દર્દી નોંધાયો છે. આ સિવાય ઝાડા-ઉલટી તેમજ સામાન્ય તાવ અને શરદી-ઉધરસનાં મળી કુલ 715 કેસ સપ્તાહમાં નોંધાયા છે. જેને પગલે આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. અને મચ્છરનો ત્રાસ દૂર કરવા ફોગીંગની સાથે દવાઓનાં છટકાવ સહિતની કામગીરી વધુ ઝડપી કરવામાં આવી છે. દર્દીનો કુલ આંકડો 4,000થી વધુ હોવાની સંભાવના પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા સપ્તાહમાં મનપા

સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં ગત સપ્તાહના 1991 સામે ચાલુ સપ્તાહે રજાઓ વધુ હોવાને કારણે માત્ર 715 કેસ નોંધાયા હતા. જેમાં શરદી-ઉધરસનાં 316 કેસ, ઝાડા-ઉલટીનાં 78, સામાન્ય તાવનાં 317 કેસ નોંધાયા છે. ઉપરાંત સતત પાંચમા સપ્તાહે જોખમી ગણાતા ટાઇફોઇડ તાવનો 1 કેસ અને કમળાનાં પણ વધુ 2 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં મેલેરિયાનો માત્ર 1 કેસ સામે આવ્યો હતો. જોકે, આ આંકડાઓ સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈએ

તો દર્દીનો કુલ આંકડો 4,000 કરતા વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. સિવિલમાં ડૉક્ટર્સની સલાહ મુજબની દવા કરવી જરુરી છે મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, હાલમાં ઉનાળો શરૂ થતાં તાપમાનમાં વધારો થયો છે. આ વાતાવરણમાં વાયરલ ઇન્ફેક્શન વધવાની શક્યતા રહેતી હોય છે ત્યારે લોકોએ બહારનો ખોરાક લેવાથી દૂર રહેવાની સાથે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ અને સામાન્ય સૂકી ઉધરસ માટે હળદરનો ઉપયોગ કરવો એ હિતાવહ છે. આ ઉપરાંત જો કોઈપણ પ્રકારે તબિયત વધુ લથડતી લાગે તો તરત જ મનપાનાં આરોગ્ય કેન્દ્રો

અથવા સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડૉક્ટર્સની સલાહ લઈ તે મુજબની દવા કરવી જરૂરી છે. 15,925 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી રોગચાળા દ્વારા ઊભા થતા આરોગ્ય પડકારને પહોંચી વળવા મહાનગરપાલિકા દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 56 મેલેરિયા ફિલ્ડવર્કર, 415 અર્બન આશા અને 115 વી.બી.ડી વોલેન્ટીયર્સ દ્વારા તા. 10 માર્ચથી 16 માર્ચ સુધીમાં 15,925 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. તેમજ 755 જેટલા ઘરમાં ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી

કરવામાં આવી રહી છે. 21 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી આ ઉપરાંત રાજકોટ શહેરનાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત કુલ 180 પ્રિમાઈસીસમાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંકમાં 73 તો કોર્મશિયલમાં કુલ 21 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી તેમજ મચ્છરની ઉત્પત્તિ બદલ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવી રહ્યો છે. જોકે, ડેંગ્યુનાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે છતાં મનપા દ્વારા જે સ્થળેથી ડેંગ્યુનાં કેસો સામે આવ્યા હતા એવા સ્થળે ઉપરાંત આસપાસના વિસ્તારોમાં ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. મચ્છરજન્ય રોગચાળો

મહદઅંશે કાબૂમાં આવી જશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજી નદીની ગાંડીવેલનાં કારણે અનેક વિસ્તારોમાં મચ્છરોનો ખુબ જ ત્રાસ વધ્યો હોવાની ફરિયાદો મળી હતી. જેને લઈને આ વિસ્તારોમાં ગાંડીવેલ દૂર કરવા ઉપરાંત ફોગીંગ સહિતની કામગીરી છેલ્લા બે સપ્તાહથી કરવામાં આવી રહી છે. જેને લઈ હાલમાં મચ્છરોનો ઉપદ્રવ ઘટ્યો છે. જોકે, આ કામગીરી આખો મહિનો ચાલુ રાખવામાં આવશે અને મચ્છરોની ઉત્પત્તિ રોકવા માટેના તમામ બનતા પ્રયાસો કરવામાં આવશે. જેને કારણે મચ્છરજન્ય રોગચાળો મહદઅંશે કાબૂમાં આવી જશે. જોકે, આ સાથે લોકોને સાવચેત રહેવાની અપીલ પણ તેમણે કરી હતી.

Related Post