ચંડોળાની જેમ વડોદરાના 2 તળાવ ફરતે 500 મકાન: કબ્રસ્તાન જવા ગેરકાયદે બ્રિજ, સ્થાનિકે કહ્યું-વરસાદમાં ઘરો ડૂબે છે, MP બોલ્યા-દબાણો હટાવો

ચંડોળાની જેમ વડોદરાના 2 તળાવ ફરતે 500 મકાન:કબ્રસ્તાન જવા ગેરકાયદે બ્રિજ, સ્થાનિકે કહ્યું-વરસાદમાં ઘરો ડૂબે છે, MP બોલ્યા-દબાણો હટાવો
Email :

અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ ઊભી થયેલી ગેરકાયદે વસાહતો જેવી સ્થિતિ વડોદરામાં પણ જોવા મળી છે. પાણીગેટમાં રાજા-રાણી તળાવ અને અજબ તળાવ આસપાસ સરકારી જમીન પર 500થી વધુ કાચાં-પાકાં મકાનોનાં દબાણો ઊભાં કરાયાં છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, આજવાથી આવતી અને રાજા-રાણી તળાવમાંથી જતી પાણીની ફીડર લાઈન પર 100થી વધુ મકાનો ખડકી દેવાયા છે. જ્યારે રાજા-રાણી તળાવ અને અજબ તળાવ વચ્ચેની દીવાલ પર 10 ફૂટ પહોળો બ્રિજ બનાવ્યો છે. ગંદકીથી ખદબદતા આ વિસ્તારમાં અંદાજે 500થી પણ વધુ કાચા-પાકા મકાનો બની ગયા છે. આ બન્ને તળાવ આસપાસ હિન્દુ અને મુસ્લિમ રહે છે. ચંડોળા તળાવ પાસે જે રીતે ગેરકાયદે દબાણો દૂર કરાયા તે રીતના જ ગેરકાયદે દબાણો અમદાવાદથી 100 કિમી દૂર આવેલા વડોદરાના કેટલાક તળાવોની આસપાસ પણ છે. હવે તેને પણ દૂર કરવાની માંગ ઉઠી છે. આ અંગે સાંસદ હેમાંગ જોશીએ ન્યુ ગુજરાતને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, વડોદરામાં ઘણી જગ્યાઓ પર ગેરકાયદે દબાણો ઉભા કરાયા છે તેને દૂર કરવા જોઈએ. ચંડોળા તળાવની જેમ અજબ તળાવ અને રાજા-રાણી તળાવ પરના ગેરકાયદે બાંધકામ મામલે ન્યુ ગુજરાતની ટીમ ગ્રાઉન્ડ રિપોર્ટ કરવા વડોદરાના અજબ તળાવ અને રાજા-રાણી તળાવ પર પહોંચી હતી. જેમાં કેવી રીતે વડોદરાના નક્શા પરથી શહેરના ઐતિહાસિક તળાવ ગાયબ થઈ ગયા. અજબ તળાવ અને રાજા-રાણી તળાવ પર કેવી રીતે અને કેટલું ગેરકાયદે દબાણ થયું? સ્થાનિકો શું કહી રહ્યા છે? તળાવ અંદર જવા સાંકડી ગલીમાંથી રસ્તો ન્યુ ગુજરાતની ટીમ અજબ તળાવે પહોંચી તો એક મસ્જીદની સામેથી તળાવ અંદર જવાનો એક સાંકડો રસ્તો પડતો હતો. અમે આ રસ્તેથી તળાવ અંદર ગયા તો દેખાયું કે તળાવની

ચારેય બાજુ ઝૂંપડા અને ચારે બાજુ ગંદકી છે. તળાવમાં પાણીનું તો એક ટીપું પણ નહોતું, તેની જગ્યાએ ઘાસ ઉગેલું હતું. રાજા-રાણી તળાવમાંથી પાણીની 2 ફીડર લાઇન પસાર થાય છે. અગાઉ બંને લાઈન ચાલુ હતી, પરંતુ એક લાઈનમાં વારંવાર લીકેજ થતું હોવાથી લાઈનને બંધ કરાઈ હતી. ઇરાદા પૂર્વક પાણીની લાઇનમાં ભંગાણ કર્યું, 100 ઝૂંપડા ખડક્યા સૂત્રો મુજબ આ લાઈનમાં ઈરાદાપૂર્વક ભંગાણ કરવામાં આવતું હોવાથી તેને કાયમી બંધ કરાઈ છે. અત્યારે એક લાઈન ચાલુ છે. લાઇન પર 100થી વધુ ઝૂંપડાં બાંધી વસાહત ઊભી કરી છે. હાલ પણ તળાવમાં કોન્ક્રિટના બ્લોક નાખી બેરોકટોક પુરાણ કરવામાં આવી રહ્યું છે. આજુબાજુમાં હિન્દુ અને મુસલમાનો સાથે રહે છે. તેની સાથે વાતચીત કરી તો તેમણે વ્યથા ઠાલવી કે, અહીં ખૂબ ગંદકી રહે છે. કોઈ અધિકારી કે નેતા જોવા પણ નથી આવતા, વરસાદમાં તો ઘર બહાર નીકળવું મુશ્કેલ બને છે. અહીં ગેરકાયદે દબાણો ચોક્કસથી છે તેને દૂર કરવા જોઈએ.પરંતુ સરકારે પહેલા અમારા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ બાદમાં દબાણો દૂર કરવો જોઈએ. 2018માં તત્કાલીન મ્યુનિ.કમિશનર વિનોદ રાવને રજૂઆત કરી હતી 2018માં ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવારે દબાણ અને ગેરકાયદે બ્રિજ અંગે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવને રજૂઆત કરી હતી. જેમાં વિજય પવારે લખ્યું હતું કે, પાણીગેટ વિસ્તારમાં આવેલા અજબ તળાવ અને રાજા-રાણી તળાવ પર ગેરકાયદે દબાણો અને બન્ને તળાવ વચ્ચે ગેરકાયદે બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ સમગ્ર બાબતે અગાઉ જાણ કરેલી હોવા છતા કોઈ નક્કર પગલા લેવાયા નથી. કબ્રસ્તાનમાં જવા ગેરકાયદે બ્રિજ બનાવી દીધો આ ઐતિહાસિક તળાવ પરથી બે ફીડર લાઈનો છેક આજવા સરોવરમાંથી આવી રાજા-રાણી તળાવમાં થઈ શહેરમાં

આવે છે. આ લાઈનો પર ગેરકાયદે દબાણો થઈ ગયા છે. આ સિવાય મેન ફીડર લાઈનમાં ઘણી જગ્યાએ લીકેજ થવાથી રાજા-રાણી તળાવ ભરાયેલું દેખાય છે. જ્યારે તેની બાજુમાં અજબ તળાવ ખાલીખમ છે કારણ કે, અજબ તળાવમાં આવતા વરસાદી પાણીની જગ્યાએ (ઘાટ ઉપર) બાંધકામ થયેલ છે. જેના લીધે મહેતાપોળ, બાજવાડા, છીપવાડા, જુનીગઢી તેમજ આજુબાજુનું પાણી જે તે સમયે અજબ તળાવમાં ભેગું થતું હતું. એક સમયે પૂર્વ વિસ્તારનું પાણી ખોડીયારનગરથી પણ આ તળાવમાં આવતું હતું. જેની બે ફૂટવાળી દીવાલની મોટી કાંસ તે સમયે સયાજીરાવ ગાયકવાડે બનાવેલી, જે આજે પણ હયાત છે. આ ઐતિહાસિક અજબ તળાવ અને રાજા-રાણી તળાવની વચ્ચે સુંદર એક ઐતિહાસિક દીવાલ છે. જેની ઉપર હાલમાં કબ્રસ્તાનમાં જવા માટે ગેરકાયદે બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે. વરસાદમાં કેટલાય દિવસો સુધી ઘર બહાર નીકળી પણ નથી શકતા: સ્થાનિક અજબ તળાવ પાસે રહેતા નસીમબાનુએ જણાવ્યું કે, અમે 30 વર્ષથી અહીં રહીએ છીએ. વરસાદમાં પાણી એટલું બધું ભરાઈ જાય છે કે કેટલાય દિવસો સુધી અમે ઘર બહાર નીકળી પણ નથી શકતા. ભારે વરસાદમાં તો અમારા ગળા સુધી પાણી ભરાઈ જાય છે. તળાવ પાસેના તમામ ઝૂંપડાના નાના મોટા ઘરો ડૂબી જાય છે. ખરાબ સમયે કોઈ અધિકારી કે નેતા જોવા પણ નથી આવતા. ગત ચોમાસા વખતે આવ્યા હતા. ભારે વરસાદ થયો હતો ત્યારે અને સર્વે કરીને ગયા અને આશ્વાસન પણ આપ્યું કે તેમને વળતર મળશે પરંતુ હજી સુધી કંઈ મળ્યું નથી. 'વરસાદ સમયે શહેરના ચારેય દરવાજાનું પાણી અહીં આવે છે' અજબ તળાવ પાસે રહેતા વિજયભાઈએ જણાવ્યું કે, વરસાદ સમયે શહેરના ચારેય દરવાજાનું પાણી અહીં આવે છે. વધારે

વરસાદ પડે તો ત્રણ-ચાર દિવસ સુધી ઘરની બહાર નીકળી નથી શકતા. વરસાદના પાણીથી પહેલા અજબ તળાવ ભરાય છે બાદમાં રાજા-રાણી તળાવ ભરાય છે. આ તળાવ ભરાયા પછી પાણી બેક મારી મહાદેવ નગર તરફ જાય ત્યારે થોડી રાહત મળે છે. ત્યાં સુધી કોઈ જોવા પણ નથી આવતું. તળાવમાં અંદર આવવા જવાનો રસ્તો પણ એક જ છે એટલે બધું ચોકઅપ થઈ જાય છે. ' વર્ષો પહેલા ચોખ્ખું કાચ જેવું પાણી જોવા મળતું હતું' રાજા-રાણી તળાવ પાસે રહેતા હારુનભાઈએ જણાવ્યું કે, અજબ તળાવ અને રાજા-રાણી તળાવ આસપાસ લોકોએ એવું દબાણ કરી દીધું છે કે તળાવનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. માત્ર એક ગલી જેવો રસ્તો છે. જેના કારણે વરસાદનું પાણી ભરાઈ રહે છે. વર્ષે પહેલા અજબ તળાવ, રાજા-રાણી તળાવ અને રાણી તળાવ બારે માસ ભરાયેલા રહેતા હતા. ગંદકી પણ નહોતી ચોખ્ખું કાચ જેવું પાણી જોવા મળતું હતું. પરંતુ હવે ચારેય બાજુ ગેરકાયદે દબાણોના કારણે ગંદકી જોવા મળે છે. કેટલાક મકાનો એવા છે જેમની પાસે મકાનના કાગળીયા છે તેમના કાયદેસરના મકાનો છે. જોકે કેટલાક મકાનો ગેરકાયદે છે તેમની પાસે મકાનના કોઈ કાગળીયા પણ નથી. અમારું એવું માનવું છે કે આ ગેરકાયદે દબાણો દૂર થવા જોઈએ અને તળાવનો વિકાસ થવો જોઈએ. જોકે આની પહેલા તેમને મકાનની ફાળવણી કરવી જોઈએ પછી તેમના મકાન તૂટે અને તળાવ વિકસે તો સારું કહેવાય... સુરજ તડવી નામના વ્યક્તિ કહે છે કે, મારો જન્મ જ અહીં થયો છે.કોઈ ગટર પણ ભરાઈ જાય તો પણ તેનું પાણી અહીં આવી જાય છે. તળાવનું બ્યૂટીફિકેશન થાય તેવી માંગ છે. અજબ તળાવ અને

રાજા-રાણી તળાવ મામલે વડોદરાના સાંસદ હેમાંગ જોષીએ જણાવ્યું કે, આ બન્ને તળાવ પાસે જે પણ ગેરકાયદે બાંધકામ છે તે દૂર થવા જોઈએ અને તેની આસપાસ રહેતા ભારતીય નાગરિકોને પોલિસી અંતર્ગત મકાન પણ મળવા જોઈએ. સરકારે અગાઉ પણ દબાણો હટાવવા કાર્યવાહી કરી છે. પરંતુ લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જાળવવા આગળ કામગીરી નથી થઈ શકી. તળાવનું બ્યૂટીફીકેશન થવું જોઈએ. વડોદરાના મેયર પિન્કી બેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી, સ્થાનિક ભાજપના ધારાસભ્ય મનિષાબેન વકીલનો અનેક વખત ટેલિફોનિક સંપર્ક કર્યો હતો પરંતુ કોઈએ પ્રત્યુતર આપ્યો નહોતો.... વોર્ડ નંબર 14ના ભાજપના સ્થાનિક પૂર્વ કાઉન્સિલર વિજય પવારે અનેક વખત કોર્પોરેશનમાં અને સરકારમાં અજબ તળાવ અને રાજા-રાણી તળાવના ગેરકાયદે દબાણો અંગે લેખિતમાં રજૂઆતો કરી છે. પરંતુ આજ સુધી તેનું કોઈ નક્કર સમાધાન નીકળ્યું નથી. તેમણે ન્યુ ગુજરાતને જણાવ્યું કે, હું 2015થી 2020 સુધી એક ટર્મ કોર્પોરેટર રહી ચુક્યો છું. એક જમાનામાં વડોદરા શહેરમાં પૂર્વ વિસ્તારમાંથી પાવાગઢનું જે વરસાદી પાણી સીધું શહેરમાં ન આવે તે માટે સિકંદરાપુરાની એક કાંસ હતી અને દરજીપુરાની કાંસ હતી. આ કાંસ દ્વારા જાંબુઆ નદી ઢાઢા નદીમાં પાણી જતું હતું. આ સિવાય જ્યારે આજવા ડેમના 62 દરવાજા ખોલવામાં આવતા ત્યારે તે પાણી વડોદરા શહેરમાંથી પસાર થતું હતું. તેના માટે ન્યૂ VIP રોડ પાસે ખોડિયારનગરની કાંસ હતી. જેના થકી આ પાણી નાગરવાડા સુધી પહોંચતું અને ડાયરેક્ટ સાગર તળાવ, સરસિયા તળાવની કનેક્ટિવિટી સુરસાગર તળાવમાં હતી તો સુરસાગર તળાવ પણ તેનાથી ભરાતું હતું. તેની સાથે સિદ્ધનાથ તળાવ પણ ભરાતું હતું અને બાકીનું જે વધારાનું પાણી આવતું કે વિશ્વામિત્રી નદીમાં દાંડીયા બજાર અને અકોટા થઈને નીકળી

જતું હતું. સયાજીરાવ ગાયકવાડના જમાનામાં બનાવાયું હતું અજબ તળાવ આ જ રીતે સરસિયા તળાવમાં જે પાણી જતું તે પાણીનો બીજો ફ્લો અજબ તળાવમાં આવતો હતો. પરંતુ આજે અજબ તળાવ 20 વર્ષથી સુકું દેખાઈ રહ્યું છે. તેની આસપાસ અસંખ્ય ઝૂંપડા બંધાઈ ગયા છે. જેના કારણે તળાવ ભરાતું નથી. તેની બાજુમાં રાજા-રાણી તળાવ છે, તેમાં પાણી છે પણ દુર્ગંધ વાળું છે. તેની બાજુમાં આવેલું રાણી તળાવ ખાલી છે. અમારી રજૂઆત છે કે આ તમામ ગેરકાયદે દબાણો દૂર કરીને બ્યૂટીફિકેશન કરવું જોઈએ. કારણ કે, આ ઐતિહાસિક અજબ તળાવ સયાજીરાવ ગાયકવાડના જમાનામાં બનાવાયું હતું. 'જે તે સમયે વરસાદી ગટરો નહોતી તે સમયે ચાર દરવાજાનું પાણી ગ્રેવિટી થકી ચાર દરવાજાનું પાણી ચાંપાનેર દરવાજા, ભદ્ર કચેરી, જુની ગલી થઈને પાણી અજબ તળાવમાં જતું હતું. અજબ તળાવ ભરાયા પછી તેનું પાણી બાજુમાં અડીને આવેલા રાજા-રાણી તળાવમાં પાણી જતું હતું. પછી બાકીના પાણીથી કાંસ દ્વારા મહાદેવ તળાવ ભરાતું હતું અને પછી વધેલું પાણી જાંબુઆ નદીમાં જતું હતું. અજબ તળાવ અને રાજા-રાણી તળાવ વચ્ચે 3 ફૂટ પહોંળી દીવાલ હતી. આ દીવાલ પર 12 ફૂટ મોટો ગેરકાયદે બ્રિજ બનાવી દેવાયો છે.' '2018માં તત્કાલીન મ્યુ.કમિ.એ સ્થળ તપાસ કરી જેસીબી મોકલ્યા પણ કામ અટક્યું' પૂર્વ કાઉન્સિલર વિજય પવારે વર્ષ 2018માં VMCના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવને રજૂઆત કરી હતી. મારી રજૂઆતને ધ્યાને લેતા કમિશનરે સ્થળ તપાસ પણ કરી હતી અને ગેરકાયદે બાંધકામ તોડવા માટે 2 JCB મશીન પણ આવ્યા હતા. પરંતુ પૂર્વ વિસ્તારમાં કોઈ અધિકારીનો કોઈ નેતા સાથે ઝઘડો થતા તે કામ રહી ગયું હતું. 2019 પછી કોરોના આવી ગયો હતો

અને 2020 પછી હું કોર્પોરેટર નહોતો એટલે ધારદાર રજૂઆત ન કરી શક્યો એટલે આજ સુધી કામગીરી અટકેલી છે. 'ચંડોળા તળાવની જેમ અહીં પણ કડક કાર્યવાહી કરો' 2 મહીના પહેલા વડોદરાના કલેક્ટરને મળી તળાવ પાસેના ગેરકાયદે બાંધકામ માટે રજૂઆત કરી છે. કલેક્ટરે 300 લોકોને નોટીસ પણ આપી છે. પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. મારી રજૂઆત છે કે, જેમ અમદાવાદના ચંડોળા તળાવ આસપાસ ગેરકાયદે દબાણો પર કડક કાર્યવાહી કરી તે જ રીતે અજબ તળાવ અને રાજા-રાણી તળાવ આસપાસના ગેરકાયદે દબાણો પર નક્કર કાર્યવાહી કરવામાં આવે અને બન્ને તળાવનો વિકાસ કરી પાણી ભરવું જોઈએ. જો આ તળાવમાં પાણી ભરાશે તો પૂર્વ વિસ્તારના કૂવા અને બોરના પાણી પણ ઉપર આવશે. ત્યાં ઝૂંપડામાં રહેતા ભારતીય નાગરિકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ. કોઈ બાંગ્લાદેશી હોય તો તેમને ડિપોર્ટ કરવા જોઈએ. ભાજપ સરકારમાં મોટા ભાગના તળાવ-નદી પ્રદૂષિત: નરેન્દ્ર રાવત આ મામલે વડોદરાના સ્થાનિક કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે કહ્યું કે, 30 વર્ષ કરતા પણ વધુ સમયથી રાજ્યમાં ભાજપની સરકાર છે. રાજ્યના મોટાભાગના તમામ તળાવો અને નદીઓ પ્રદૂષિત છે. જે લોકોના જીવન માટે જોખમી છે. નર્મદા નદી હોય, મહીસાગર નદી હોય કે સાબરમતી નદી હોય કોઈ નદીમાં સરકારની મિલી ભગતથી ભ્રષ્ટાચારને કારણે કેમિકલ વાળું પાણી નદીઓમાં જાય છે અને તે કેમિકલ વાળું પાણી લોકો પી રહ્યા છે. જેના કારણે લોકો ગંભીર રોગો શિકાર થઈ રહ્યા છે. 'દેશમાં સૌથી પ્રદૂષિત નદીઓમાં ગુજરાતની નદીઓનું સ્થાન છે. વિશ્વામિત્રીને નદી ના કહેવાય પરંતુ ગંદકીનું સામ્રાજ્ય કહેવાય. સરકારે પ્રાયોરીટીના ભાગરુપે નદીઓને પ્રદૂષણ મુક્ત કરવી જોઈએ. બાંગ્લાદેશી શોધવાના નામે સરકાર ચંડોળા તળાવમાં કાર્યવાહી

કરે છે. શું રાજ્યમાં અન્ય કોઈ આવા તળાવ જ નથી? ગુજરાતના લગભગ તમામ તળાવોની સ્થિતિ ખૂબ ગંભીર હાલતમાં છે. સરકાર બેદરકાર છે. આ રીતે કામગીરી કરવી હોય તો સૌ પ્રથમ પહેલા શહેરમાં જે પૂર આવે છે તેમાં નદીઓની આસપાસ અનધિકૃત બાંધકામ દૂર કરવા જોઈએ.' 'ભાજપના રાજમાં નેતાઓએ ગેરકાયદે બાંધકામો કર્યા છે' ભાજપના રાજમાં પાણીના જે કુદરતી સંગ્રહ સ્થાનો હતા તેની આસપાસ કેટલાક નેતાઓએ ગેરકાયદે બાંધકામો કરી કરોડો રુપિયા કમાઈને પુરી દીધા છે. જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વિશ્વામિત્રી નદીમાં 30 વર્ષમાં 11 વખત પૂર આવ્યા છે. તાજેતરમાં 2 વખત ભયાનક પૂર આવ્યા. કારણ કે વિશ્વામિત્રી નદીની આજુબાજુ ભાજપના નેતાઓના સર્વે નંબરના બાંધકામો છે. સરકારે નદીઓ અને કાંસો મૂળ સ્વરુપમાં લાવવા પડે ત્યારે કંઈક થઈ શકે તેમ છે. અમદાવાદના ચંડોળા તળાવ પાસે બુલડોઝર ફેરવવાથી પૂર અટકી જશે તેવી ત્યાં કોઈ પરિસ્થિતિ નથી. પરંતુ વડોદરાની વિશ્વામિત્રીની આસપાસ ગેરકાયદે બાંધકામના કારણે પૂર આવે છે તેનો પ્રશ્ન છે. જેની ઘણી રજૂઆતો થઈ છે. પરંતુ કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ શકી. 'ગેરકાયદે રીતે રહેતા લોકોને પકડો' વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં બાંગ્લાદેશી રહેતા હોવાની શંકાએ કેટલાક શકમંદ લોકોની અટકાયત કરાઈ હતી. જેની પર નરેન્દ્ર રાવતે કહ્યું કે, પહેલગામ હુમલાને લઈને સમગ્ર દેશમાં રોષની લાગણી છે. જેની પરથી એક મૂવમેન્ટ શરુ થઈ છે કે, જે કોઈ બહારના દેશના વ્યક્તિ ગેરકાયદે રીતે અહીં રહેતા હોય તો તેમને પકડો. આવા લોકોને જરુરથી પકડે તેમની સામે કાયદેસર કાર્યવાહી કરો તેમના માટે સહાનુભૂતિ નથી. પરંતુ હજારોના ટોળા લઈને રોડ નીકળવું તેમની ઈન્કવાયરી કરીને તેમાંથી બે-ત્રણ લોકો પણ ન નીકળે...

તો આ પ્રકારની પ્રવૃત્તિ સામાન્ય જનમાનસની અંદર એક અલગ વિચારસરણી ઉભી કરે છે. 'નવાયાર્ડમાં એકપણ બાંગ્લાદેશી ન મળ્યો' અમારા નવાયાર્ડની જ વાત કરીએ તો અહીં ઘણા લોકોને ઉપાડીને લઈ ગયા અને પોલીસે એવો માહોલ બનાવ્યો કે તમામ લોકો શંકસ્પદ બાંગ્લાદેશીઓ છે. પરંતુ તેમને એકપણ બાંગ્લાદેશી મળ્યો નહીં. મારી ભારત સરકારને વિનંતી છે કે તમે જેટલા પણ ભારતમાંથી ગેરકાયદે પાકિસ્તાની કે બાંગ્લાદેશી પકડો છો અને તે આતંકવાદી હોય તો તેમને જાહેરમાં ઉભા રાખી ગોળી મારી દો. જે કોઈ ઘૂસણખોરો ભારતમાં આવતા હોય તો તેમને અટકાવવાનું કામ ભારત સરકારનું છે. પ્રાથમિકતા વાળા કામો નજરઅંદાજ કરીને આવા કામો કરવા તે આપણા સમાજમાં ભાગલા પાડવાનું કામ છે. નરેન્દ્ર રાવતે નવાયાર્ડમાં કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાનો ઈનકાર કર્યો. નવાયાર્ડમાં કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી નથી અને જો ચાલતી હોય તો પહેલા શહેરના પોલીસ કમિશનરને હટાવવા જોઈએ. અહીં જે પણ લોકો આવી પ્રવૃત્તિ કરે તેમને અમે ક્યારેય સમર્થન નથી આપતા. 'સાંસદને દેખાતું નથી, ભાજપના નેતાઓના ગેરકાયદે બાંધકામ તોડવાની જરૂર' વડોદરાના સાંસદ હેમાંગ જોષીની પોસ્ટ પર કોંગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર રાવતે કહ્યું કે, તેઓ નાની ઉંમરના વડોદરા સાંસદ છે. તેમને દેખાતું નથી તેમને જોવાની જરુર છે. વિશ્વામિત્રી નદીની આસપાસ ભાજપના નેતાઓના અનધિકૃત બાંધકામ તોડવાની જરુર છે. પહેલા અહીં નજર મારવી પડે આ બધું શોધવાની જરુર નથી. વડોદરાને પૂરમાંથી બચાવવાની કોઈ ચિંતા નથી એની જગ્યાએ રાજકીય હિન્દુ-મુસ્લિમના એજન્ડામાં તેમને વધારે રસ છે. સાંસદ સાહેબ વડોદરાની ભૌગોલિક પરિસ્થિતિથી અજાણ છે કારણ કે તેઓ વડોદરાના નથી. વડોદરાની પ્રજાએ ખોબલેને ખોબલે મત આપ્યા છતાં તેમને પ્રાથમિકતાનો ખ્યાલ નથી. આનાથી વિશેષ મારે કહેવું નથી.

Leave a Reply

Related Post