પાર્સલમાં બોમ્બ મોકલ્યો અને લખ્યું પરિવાર સાથે બેસીને ખોલજો: સ્કૂલ-બેગ ખભે લટકાવીને ચાલતા વૃદ્ધ પર શંકા ગઈ, આખા પરિવારને સાફ કરવા રચ્યું ષડ્યંત્ર

પાર્સલમાં બોમ્બ મોકલ્યો અને લખ્યું પરિવાર સાથે બેસીને ખોલજો:સ્કૂલ-બેગ ખભે લટકાવીને ચાલતા વૃદ્ધ પર શંકા ગઈ, આખા પરિવારને સાફ કરવા રચ્યું ષડ્યંત્ર
Email :

રાજકોટના ઉપલેટામાં આવેલી શ્રી કિષ્ના સ્કૂલમાં બનેલો એક એવો કિસ્સો, જેણે આખા ગુજરાતને હચમચાવી દીધું હતું. 2018ના ઓક્ટોબર મહિનાની 12 તારીખની ઘટના. શુક્રવારનો દિવસ હતો એટલે શાળામાં રાબેતા મુજબ શિક્ષણકાર્ય ચાલું હતું. સાંજે સવાચાર વાગ્યાના અરસામાં વાદળી રંગનાં કપડાં પહેરેલો એક યુવક શાળાના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યો. ઉંમર 22થી 25 વર્ષની આસપાસ હશે. હાથમાં એક પાર્સલ હતું. સીધો જ પ્રિન્સિપાલની ઓફિસે પહોંચી ગયો અને કુરિયર આપી દીધું. પાર્સલ ડિલિવર કર્યું હોવાના પુરાવા તરીકે એક કાગળ પર પ્રિન્સિપાલ વલ્લભભાઈ ડોબરિયાની સહી પણ લીધી અને ગણતરીની મિનિટોમાં જ સ્કૂલના કમ્પાઉન્ડમાંથી બહાર નીકળી ગયો. પાર્સલ લેનાર એ વાતથી અજાણ હતા કે એમાં મોતનો સામાન છે. પાર્સલને વાદળી રંગના ચમકદાર પ્લાસ્ટિકથી આકર્ષક રીતે લપેટવામાં આવ્યું હતું અને એની સાથે સંદેશરૂપે નીચે મુજબ એક વ્યવસ્થિત ફકરો લખ્યો હતો. શબ્દસ: વાંચો. સરપ્રાઇઝ લેટર એન્ડ ગિફ્ટ શ્રીમાન પરમપૂજય ગુરુદેવનાં ચરણમાં સાદર નમસ્કાર. આપની હર પળ સુખમય અને ઉન્નતિમય પસાર થાય એ જ ઇશ્વર પાસે પ્રાર્થના. જયભારત સાથ જણાવવાનું કે આપના આદર્શ, કર્તવ્યનિષ્ઠ, પ્રેરણા અને આપની સાથે આપે બતાવેલી રાહ પર ચાલનાર આપનો શિષ્ય આપને આ સરપ્રાઇઝ લેટરની સાથે શ્રીકૃષ્ણની અલૌકિક મૂર્તિ ભેટ મોકલી રહ્યો

છું, જે ગુરુદક્ષિણા સમજી સ્વીકારી કૃતાર્થ કરશો. આ મૂર્તિ દિવસમાં ૩ વખત રંગ બદલે છે, સનગ્લાસની જેમ ઋતુ પ્રમાણે. બીજું કે મારો જન્મદિવસ તારીખ 14 ઓક્ટોબર, 2018ને રવિવાર, સમય સાંજે 6 વાગ્યાને 20 મિનિટે છે. જો એ ટાઇમે આપના સહકુટુંબ સાથે આપ અને આપના હાથે અનાવરણ થાય એ જ મારી અંતઃકરણથી ઇચ્છા છે. મારા જન્મદિવસે આપના આશીર્વાદ સાથે આપના ઘર અથવા નિશાળમાં સ્થાપિત કરશો. હાલમાં દિલ્હીમાં મિલિટરીમાં મારી પોસ્ટિંગ થઈ છે. હું અહીં CISFમાં નોકરીએ હોઈ, આપની રાહ પર ચાલનાર એ.બી.બી.પટેલ. હાલ મારા નાના ભાઈ ફરવા આવેલા હોઈ, તેમની સાથે મોકલી રહ્યો છું, જે આપને રૂબરૂ અથવા કુરિયર દ્વારા મોકલી આપે એ જાણશો. હું દિવાળી બાદ રજા મળશે ત્યારે મળવા અચૂક આવીશ. એ જ સાથે સાદર પ્રણામ. નમસ્કાર. આપનો શિષ્ય એ.બી.બી.પટેલ પ્રિન્સિપાલ વલ્લભભાઈ ડોબરિયા એ સમયે કોઇ કામમાં હોવાથી પાર્સલ સ્વીકારીને સાઇડમાં મૂકી દીધું હતું. કામની વ્યસ્તતાના કારણે પાર્સલ ખોલવાનો સમય જ ન મળ્યો અને આમ ને આમ થોડા દિવસ સુધી એ પાર્સલ ખૂણામાં જ પડ્યું રહ્યું. પાર્સલ આવ્યાના ચારેક દિવસ પછીની વાત છે. વલ્લભભાઈ સ્કૂલમાં પોતાની ઓફિસમાં બેઠા હતા. તેમની નજર ખૂણામાં પડેલા પાર્સલ પર

પડી, એટલે મન થયું કે જોઉં તો ખરો કે પાર્સલમાં આવેલી મૂર્તિ કેવી છે? પણ એ જ સમયે તેમનો મોબાઇલ ફોન રણક્યો. ફોન રિસીવ કરીને થોડીક વાત કરી અને પછી પાછા પોતાના કામમાં વ્યસ્ત થઇ ગયા. થોડીવાર બાદ વલ્લભભાઇ ચેમ્બરની બહાર નીકળી રહ્યા હતા. ત્યાં તેમની નજર ફરી વખત પાર્સલ પર પડી એટલે આ વખતે તો તેઓ પાછા વળ્યા અને પાર્સલને ઊંચકીને પોતાના ટેબલ પર મૂકી દીધું. પાર્સલ પર લખ્યું હતું કે અંદર મૂર્તિ છે, એટલે ખૂબ જ કાળજીપૂર્વક ગિફ્ટ બોક્સ પર લગાવેલું રેપર ખોલી રહ્યા હતા. આ સમયે પાર્સલના એક ખૂણા પરથી થર્મોકોલનું બોક્સ જોવા મળ્યું અને પછી એમાં એક તરફ પડેલાં કાણાં પર નજર પડી, એટલે વલ્લભભાઈને કંઇક અજુગતું હોવાનો અંદાજો આવી જ ગયો. તેમણે થર્મોકોલના બોક્સમાં પડેલાં કાણાંમાંથી અંદર જોવાનો પ્રયાસ કર્યો તો ઇલેક્ટ્રિક વાયર દેખાયા, એટલે પ્રિન્સિપાલના મગજમાં ખતરાની ઘંટડી રણકવા લાગી. સમય સૂચકતા વાપરીને એ જ મિનિટે પાર્સલ લઈને ઓફિસની બહાર દોડી ગયા અને શાળાના ખુલ્લા મેદાનમાં મૂકી દીધું. પછી તરત જ પોલીસને ફોન કરીને શંકાસ્પદ પાર્સલની જાણ કરી. શાળાના સંચાલકને પાર્સલ બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરું છે એવી જાણ

થતાં ઉપલેટાના પીઆઇ એચ.જી.પલ્લાચાર્ય, ડીવાયએસપી જે.એમ.ભરવાડ, એસઓજી પીઆઇ એમ.એન.રાણા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. એટલું જ નહીં, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને એફએસએલ અધિકારીઓને પણ તાત્કાલિક ધોરણે ક્રિષ્ના સ્કૂલ બોલાવી લેવામાં આવ્યા. સ્કૂલ ખાલી કરાવી દેવામાં આવી. નાના એવા નગર ઉપલેટામાં આગની જેમ આ સમાચાર ફેલાઇ ગયા અને ઘણાના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, એફએસએલ અધિકારીએ બારીકાઇથી પાર્સલ બોમ્બનું નિરીક્ષણ કર્યું. નિષ્ણાતોએ થોડીવારમાં આ વિનાશક બોમ્બને સલામત સ્થળે લઈ જઈ નકામો બનાવી દીધો હોવાનો દાવો કર્યો. જે-તે સમયે એફએસએલના અધિકારીઓએ મત આપ્યો હતો કે આ બોમ્બનો વિસ્ફોટ થાય તો આસપાસના 500 મીટરની ત્રિજ્યામાં વિનાશ વેરવાની તીવ્રતા ધરાવતો હતો. સ્કૂલના સંચાલકની સતર્કતાને કારણે એક મોટી જીવલેણ દુર્ઘટના અટકી હતી. નહીં તો માસૂમ બાળકો પણ આ ષડ્યંત્રનો ભોગ બની ચૂક્યાં હોત. બોમ્બ ડિફ્યૂઝ કર્યા પછી એમાંથી જે મટીરિટલ મળ્યું એનાથી પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ હતા. 1- સુપર પાવર 90 લખેલ ડેટોનેટરના ટુકડા (જેનો ઉપયોગ ક્વોરીમાં તથા કૂવા ગાળવામાં થાય છે.) 2- સર્કિટ 3- પર્ક્યુસન કેપના લીલા રંગના વાયર 4- પ્લાસ્ટિકની પાઈપમાં દારૂગોળો 5- પેન્સિલ સેલ (5 નંગ) 6- સ્ક્રૂ (4 નંગ) 7- એક સ્પ્રિંગ 8-

પ્રેસ કરી શકાય એવી સ્વિચ 9- સ્પ્રિંગવાળા વાયરો સાથેની પટ્ટી ગિફ્ટ બોક્સની અંદરથી નીકળેલી આ 9 વસ્તુ ષડ્યંત્ર પાછળ કોઈ મોટા ગજાના ગુનેગારનું ભેજું હોવાના સંકેત આપી રહી હતી, કારણ કે ઉપલેટામાં પાર્સલ બોમ્બની આવી જ ઘટના 19 વર્ષ પહેલાં એટલે કે 1999માં બની હતી. એ કેસ આટલા સમય પછી પણ વણઉકેલાયેલો રહ્યો હતો. બે-બે દાયકા વીતી ગયા બાદ પણ ષડ્યંત્રકારી આઝાદ ફરી રહ્યો હતો. એટલે જાણે બે દાયકા પછી સમયનું ચક્ર ફરી ત્યાં જ આવીને ઊભું હોય એમ પોલીસને પણ લાગ્યું. વળી, ખાખીધારી અનુભવી અધિકારીઓને શંકા એવી પણ ઊપજી કે શું એ જ ષડ્યંત્રકારી ફરી એકવાર એક્ટિવ થયો હોઈ શકે છે? કારણ કે ગુનાની પેટર્ન ઘણા અંશે મેળ ખાતી હતી. જ્યારે 1999માં ગિફ્ટનું પાર્સલ ખોલ્યું અને લોહિયાળ ઘટના બની 1999માં ઉપલેટામાં ગાંધી ચોક વિસ્તારમાં રહેતા એ સમયના જાણીતા આર્કિટેક્ટ અને કરવેરા સલાહકાર રતિલાલ પાદરિયાને એક પાર્સલ મળ્યું હતું. ભોળા સ્વભાવના રતિલાલ પાદરિયાએ વધુ વિચાર કર્યા વગર જ કુતૂહલ ભાવે પાર્સલ ખોલ્યું હતું. પાર્સલ ખોલતાં જ થયેલા પ્રચંડ વિસ્ફોટમાં રતિલાલ પાદરિયા અને તેમની સાથે બેસેલા કોંગ્રેસના આગેવાન ગિરીશભાઇ સોજીત્રાનાં મૃત્યુ થયાં હતાં. આ ઉપરાંત ઉપલેટાના પટેલ

આગેવાન બટુકભાઈ મોરાતીને આંખ તેમજ કાનમાં ગંભીર ઈજા થઈ હતી. પાર્સલમાં મૂકેલો બોમ્બ એટલો શક્તિશાળી હતો કે મકાનના બારી, દરવાજાના ફુરચા ઊડી ગયા હતા. ઘરનો કાટમાળ 100 મીટર દૂર જઈને પડ્યો હતો. ‘પાર્સલ બોમ્બ’... આ બે શબ્દો ઉપલેટાના લોકોમાં પણ ચર્ચાનો મુદ્દો બની ગયા હતા. 19 વર્ષ જૂની ઘટના જાણે તાજી થઈ ગઈ હતી. પાર્સલ સાથે આવેલી ચિઠ્ઠીમાં સ્પષ્ટ લખ્યું હતું કે પાર્સલને પરિવારની હાજરીમાં ખોલવું એટલે માત્ર પ્રિન્સિપાલ વલ્લભભાઈ ડોબરિયા જ નહીં, આખો પરિવાર ટાર્ગેટ પર હતો. સદનસીબે ષડ્યંત્ર સફળ તો ન રહ્યું, પણ આવા કૃત્ય પાછળ કોનો હાથ હોઈ શકે છે એ સવાલનો જવાબ મેળવવો નાગરિકોની સલામતી અને પોલીસની પ્રતિષ્ઠા માટે પણ જરૂરી બની ગયો હતો. હવે પોલીસે ચારેય દિશામાં તપાસ શરૂ કરી. સામાન્ય રીતે કોઈ વ્યક્તિ પાર્સલ મોકલે તો પોતાનું પણ સરનામું લખતો હોય છે, પરંતુ આ કિસ્સામાં આવું ન હતું. એટલે પાર્સલ ક્યાંથી અને કોણે મોકલ્યું? વલ્લભભાઈ ડોબરિયાની કોની સાથે દુશ્મની હતી? એ દિશામાં તપાસ આરંભી. પાર્સલ સાથે આવેલી ચિઠ્ઠીમાં મોકલનાર વિદ્યાર્થી તરીકે એ.બી.બી.પટેલ નામ લખ્યું હતું, પરંતુ જ્યારે શાળાના રજિસ્ટર ચેક કર્યા તો આવો એકેય જૂનો વિદ્યાર્થી મળ્યો નહીં.

પાર્સલ આવ્યા પહેલાં અને એ પછી કોઈ શંકાસ્પદ ગતિવિધિ થઈ છે કે કેમ એ જાણવા માટે પોલીસે સ્થાનિક લોકોની પૂછપરછ કરી, સ્કૂલ અને એની આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કર્યું, પરંતુ પોલીસને કોઈ કડી ન મળી. વળી, સ્કૂલ બિલ્ડિંગની બહારના ભાગે સીસીટીવી કેમેરા ન હતા. બિલ્ડિંગમાં વચ્ચેના ભાગે ક્લાસરૂમ તેમજ આસપાસમાં સીસીટીવી તો હતા, પણ એ પોલીસને તપાસમાં કોઈ કામ ન લાગ્યા. અગાઉ જણાવ્યું એમ ઉપલેટામાં આવો જ બનાવ 19 વર્ષ પહેલાં બન્યો હતો, જેમાં બે લોકો મૃત્યુ પામ્યા હતા. એ કેસ પણ વણઉકેલાયેલો હતો, એટલે તત્કાલીન રેન્જ આઇજી સુભાષ ત્રિવેદી અને જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ આ કેસને ગંભીરતાથી લીધો. 1999માં બનેલા કેસ જેવી સ્થિતિ ન ઉદભવે એટલે નવા કેસનો ભેદ ઉકેલવા ચુનંદા અધિકારીઓની ટીમ બનાવી. ટેક્નિકલ સોર્સ, હ્યુમન સોર્સ સહિત અનેકવિધ દિશામાં તપાસ શરૂ કરાવી હતી. જેની હત્યાના ઇરાદે પાર્સલમાં ગિફ્ટના નામે બોમ્બ મોકલાયો હતો એ વલ્લભભાઈના કુટુંબના તમામ સભ્યો વિશે માહિતી એકત્ર કરવામાં આવી. આ પરિવારને કોઈપણ મુદ્દે તકરાર થઈ હોય, કોઈ અણગમો હોય વગેરે માહિતી મેળવવામાં આવી હતી. પીઆઈ પલ્લાચાર્ય સ્થાનિક શકમંદોને તપાસી રહ્યા હતા. જ્યારે ડીવાયએસપી ભરવાડે ટેક્નિકલ સોર્સ, મોબાઇલ કોલ ડિટેઇલ ચેક

કરવાની જવાબદારી સંભાળી હતી. જિલ્લામાં બાતમીદારોનું સારું નેટવર્ક ધરાવતા એસઓજી પીઆઈ એમ.એન.રાણાને બાતમીદારો પાસેથી માહિતી મેળવવા ઉપરાંત સીસીટીવી ફૂટેજના આધારે શકમંદને તપાસવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ કેસની તપાસ માટે રચાયેલી પાંચ ટીમના અધિકારીઓએ એકબીજા સાથે સંકલનમાં રહેવા અને દિવસ દરમિયાન કોણે શું તપાસ કરીને રોજ સાંજે તેના વિશે ગહન ચર્ચાવિચારણા થતી હતી. પૂરેપૂરી સંભાવના હતી કે પાર્સલ ઉપલેટા શહેર બહારથી આવ્યું હોઈ શકે. એટલે પોલીસ ઉપલેટા ઉપરાંત ધોરાજી, અમરેલી અને રાજકોટ જેવાં આસપાસનાં શહેરોમાં પણ તપાસ માટે નજર ફેરવી રહી હતી. ઘાસમાંથી સોય શોધવાની હોય એવી રીતે ઝીણવટપૂર્વક તપાસ ચાલી રહી હતી. ત્યારે પોલીસને અમરેલી એસ.ટી. બસ સ્ટેન્ડના સીસીટીવી ફૂટેજમાં એક ગજબનાક ગતિવિધિ જોવા મળી. સીસીટીવી ફૂટેજમાં એક વૃદ્ધ જોવા મળ્યા. ખભે સ્કૂલબેગ અને ધીમી ચાલે બસ સ્ટેશન બહાર નીકળી રહ્યા હતા. બસ સ્ટેશનની બહાર આવતી દુકાનો અને કોમ્પ્લેક્સના એક બાદ એક સીસીટીવી ફૂટેજ પોલીસે ચેક કર્યા તો એક શંકાની સોય આ વૃદ્ધ પર જ જઈને અટકી, કારણ કે વૃદ્ધ બેગ લઈને સીધા જ એક કુરિયરની ઓફિસે પહોંચ્યા હતા, જોકે તેમનો ચહેરો સ્પષ્ટ દેખાતો નહોતો. એટલે પોલીસે હવે આ વૃદ્ધ અમરેલી બસ સ્ટેશને કઈ

બસમાં પહોંચ્યા હતા એ જાણવા માટે મથામણ શરૂ કરી. બસના સમય, રૂટ વગેરેનું ગણિત માંડ્યું અને જાણે કોઈ દાખલાનો સાચો જવાબ મળે એવી રીતે આ વૃદ્ધ રાજકોટથી જ અમરેલી પહોંચ્યા હોવાનું સ્પષ્ટ થઈ ગયું છતાં આ વૃદ્ધ કોણ છે? એ ઓળખ થઈ શકી ન હતી, પણ એટલું તો નક્કી જ હતું કે પાર્સલ અમરેલીથી ઉપલેટા આવ્યું હતું અને પૂરેપૂરી સંભાવના હતી કે પાર્સલ મોકલનાર આ વૃદ્ધ જ હતા. લગભગ 70 વર્ષની ઉંમર લાગતી હોય એવા વૃદ્ધ પાર્સલ બોમ્બ મોકલી શકે અને એવું કેમ કરે? વાક્યના અંતે નાગની ફેણની માફક આવતો પ્રશ્નાર્થ પોલીસને પરેશાન કરી રહ્યો હતો. પણ આ સવાલનો નક્કર જવાબ માત્ર એક જ વ્યક્તિ આપી શકે… સીસીટીવી ફૂટેજમાં દેખાતા એ વૃદ્ધ. એટલા માટે જ આ વૃદ્ધને શોધવા જરૂરી હતા. જે-તે સમયે 17 લાખની વસતિ ધરાવતા રાજકોટમાંથી આ વૃદ્ધને શોધવા કેવી રીતે? સ્કૂલ-બેગ લઈને અમરેલીમાં કુરિયર ઓફિસે પહોંચેલા વૃદ્ધને પોલીસે કેવી રીતે શોધ્યા? વૃદ્ધે શું જવાબ આપ્યા? અને આ કેસ ઉકેલાયા પછી પણ પોલીસ અધિકારીઓ મોંમા આંગળા નાખતા કેમ રહી ગયા? વાંચો… આવતીકાલે ક્રાઇમ ફાઇલના પાર્ટ-2માં. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના અન્ય કેસ વાંચવા અહીં ક્લિક કરો

Leave a Reply

Related Post