ખબરદાર જમાદાર: IPSએ પોતાના ઘરે લગ્ન પ્રસંગમાં પોલીસકર્મીઓ પાસે સેવાચાકરી કરાવી, રાજકીય ફેરબદલ બાદ હવે IPS અધિકારીઓની આવશે બદલી

ખબરદાર જમાદાર:IPSએ પોતાના ઘરે લગ્ન પ્રસંગમાં પોલીસકર્મીઓ પાસે સેવાચાકરી કરાવી, રાજકીય ફેરબદલ બાદ હવે IPS અધિકારીઓની આવશે બદલી
Email :

ન્યુ ગુજરાત તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે એક નવી પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે 'ખબરદાર જમાદાર!'. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે. IPSએ પોતાના ઘરે લગ્ન પ્રસંગમાં પોલીસકર્મીઓ પાસે સેવાચાકરી કરાવી દક્ષિણ ગુજરાતના એક IPSના ઘરે લગ્ન પ્રસંગમાં પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ બધા જ પ્રકારની સેવા કરીને એટલી હદે થાકી ગયા હતા કે, આખરે IPSથી ત્રાહિમામ થઈને તેઓએ પોતાના ઉચ્ચ અધિકારીને કહી દીધું હતું કે, 'હવે અમારાથી નહીં થાય'. જેનાથી નારાજ થયેલા IPS દ્વારા પોતાની સેવાનું બધું જ કામ અન્ય પોલીસકર્મીઓને

સોંપી દીધું હતું. જેથી તેમનાથી કંટાળેલા પોલીસકર્મીઓને હાશકારો થયો હતો. પરંતુ 'બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના' જેવી સ્થિતિ અન્ય પોલીસકર્મીઓની પણ થઈ ગઈ હતી. જોકે, હાલમાં લગ્ન પ્રસંગ પૂર્ણ થતા પોલીસકર્મીઓ 'હસતા રહો, સેવા કરતા રહો'ની લાગણી અનુભવી રહ્યા છે. લગ્ન પ્રસંગ દરમિયાન કેટલાક પોલીસકર્મીઓ જાનૈયાઓની જેમ આવ ભગતમાં લાગી ગયા હતા. હવે પ્રદેશ કક્ષાએ રાજકીય ફેરબદલ બાદ IPS અધિકારીઓની આવશે બદલી IPS અધિકારીઓ દ્વારા બદલીને લઇ આખરી તબક્કાનું લોબિંગ કરાવવામાં આવી રહ્યું છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના IPS અધિકારીઓની બદલીઓ માટે લીથો તૈયાર થઇ રહ્યો છે. ત્યારે હાલ આ અધિકારીઓ દ્વારા રાજકીય ભલામણોથી લઇ બ્યુરોકેટ્સ સુધી લાગવગો લગાવી સારી જગ્યાએ પોસ્ટિંગ મેળવવા મથામણ કરવામાં આવી રહી છે. ત્યારે હવે આગામી સમયમાં પ્રદેશ

પ્રમુખની નિમણુંક બાદ નજીકના સમયમાં IPS અધિકારીઓની બદલીઓ આવશે તે વાત બ્યુરોકેટ્સમાં ચર્ચાઈ રહી છે. ચર્ચા તો એવી પણ છે કે, કેટલાક અધિકારીઓ સ્વતંત્ર જિલ્લો સંભાળવા માટે તો કેટલાક અધિકારીઓ મહાનગરોમાં સારું પોસ્ટિંગ મેળવવા મથામણ કરી રહ્યા છે. જોકે, હવે આવતા સમયમાં રાજકીય ફેરબદલ બાદ ક્યાં IPS અધિકારીને ક્યાં સ્થાન મળશે તેના પર સૌ કોઇની મીટ મંડાયેલી છે. રિવરફ્રન્ટ પાસે બેઠેલા યુવક પાસેથી પોલીસકર્મીઓએ 40 હજાર પડાવી લીધા અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારમાં ઘણી વખત યુવાન બેઠા હોય ત્યારે તેમને ટાર્ગેટ સમજીને કેટલાક પોલીસકર્મીઓ રોકડી કરવા તૈયાર થઈ જાય છે અને તેમાં પણ આવું અમદાવાદમાં એક જગ્યાએ બન્યું હતું. જેમાં રિવરફ્રન્ટ નજીક એક યુગલ બેઠું હતું જેની પાસે જઈને બે પોલીસકર્મીઓએ તમે આ બધું શું

કરો છો કહીને ડરાવ્યા હતા. ત્યાર બાદ તેમને પોલીસ સ્ટેશન આવવું પડશે અથવા કઈ વ્યવહાર કરવો પડશે તેવું જણાવ્યું હતું. જેથી યુગલે કહ્યું કે, આ તો મારી મિત્ર છે. અમે કઈ ખોટું કરતા નથી. જેથી બે પોલીસકર્મીઓ નારાજ થઈ ગયા અને તેની પાસે કેટલા રૂપિયા છે. તે સમયે યુવક પાસે માત્ર 1000 કે 1200 રૂપિયા હતા. પરંતુ તેમને તેનાથી રાહત ન થતા પોલીસકર્મીઓએ યુવકને માય બાઈક પાસે લઈ ગયા અને તેના સ્કેનિંગમાં 40 હજારથી વધુ રૂપિયા જમા કરાવી દીધા હતા. આ આખો મામલો હાલ અધિકારીની નજરમાં નથી આવ્યો પણ આવી ઘટના ચોક્કસ બની હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ચાનો શોખીન પોલીસકર્મી હવે નદી કિનારે બેસીને ગુનેગારો સાથે મિટિંગ કરે છે અમદાવાદનો એક પોલીસકર્મી રાત પડેને

નદી કિનારે ઠંડી હવા ખાવા પહોંચી જાય છે. તેની ફરજનું સ્થળ ત્યાંથી ખૂબ જ દૂર છે પણ તેનાથી આ નદી કિનારો અને કિનારા આસપાસ વસેલા ગુનેગારો છૂટતા નથી. પોતાના ટેસ્ટ પ્રમાણેની ચા ના આવે તો પણ નારાજ થઈ જતો આ પોલીસકર્મી હવે રાત પડતા ફરીથી નદી કિનારે આવેલા પોલીસ સ્ટેશનમાં બીજા સાથી સાથે મલી ગુનેગારોને કેટલા કાપવા નક્કી કરે છે. મંદિર પાસે આવેલા પોલીસ સ્ટેશનના જાદુગર પણ આ પોલીસકર્મીની સાથે કદમથી કદમ મિલાવતા સહેજ પણ અચકાતા નથી. લ્યો બોલો... લોકોની રક્ષાની કરનાર પોલીસના જ ફોન લાગતા નથી વડોદરા શહેરના અનેક પોલીસ સ્ટેશનના લેન્ડ લાઈન નંબર બંધ આવે છે. જેના કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો પોલીસ સ્ટેશનમાં ફોન કરે તો ફોન

લાગતો જ નથી જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત વડોદરા પોલીસ દ્વારા વડોદરા પોલીસની વેબસાઈટ પર મૂકવામાં આવેલા મોબાઈલ અને લેન્ડ લાઈન નંબરોમાં પણ ભૂલો છે. જેથી અરજદારો અધિકારીઓ કે પોલીસ સ્ટેશનમાં ફોન કરે તો ઘણીવાર ફોન અન્ય કોઇને લાગી જાય છે કે, ફોન લાગતો જ નથી. આ સમસ્યાનો હાલ આવે તેવી લોકો માગ કરી રહ્યા છે. આ પહેલાં પણ ઘણા પોલીસ અધિકારીઓના મોબાઈલ નંબર વડોદરા પોલીસની વેબસાઈટ પર ભૂલ ભરેલા હતા, જેથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પોલીસ દ્વારા લોકોને મુશ્કેલી ન પડે તે માટે પ્રસાય કરવામાં આવે તેવી માગ લોકો કરી રહ્યા છે. અમદાવાદમાં એક પીઆઇ અને કોન્સ્ટેબલ વચ્ચે તું તું મેં મેં થતા રહી ગઈ તાજેતરમાં જ એક બંદોબસ્ત

દરમિયાન પીઆઇ અને કોન્સ્ટેબલ વચ્ચે તું તું મેં મેં થતા રહી ગઈ હતી. બંદોબસ્ત દરમિયાન પીઆઇ કામગીરી કરી રહ્યા હતા જ્યારે કોન્સ્ટેબલ ઊભો રહ્યો હતો. જેથી કાર્યક્રમ દરમિયાન બંદોબસ્તમાં આવેલા પીઆઇએ કોન્સ્ટેબલ હાઈટ બોડીના હોવા છતાં કામ ન કરતા પીઆઇએ કોન્સ્ટેબલની બોડી પર ટિપ્પણી કરી હતી. જેથી કોન્સ્ટેબલે ઉશ્કેરાઈને ગાળ બોલી દીધી હતી. જોકે, આજુ બાજુ બીજા કોન્સ્ટેબલ હોવાથી પીઆઇએ કોઇ જવાબ આપ્યો નહોતો, પરંતુ બંને વચ્ચે આ બનાવ દરમિયાન ઘર્ષણ થતા રહી ગયું હતું. ઉચ્ચ અધિકારીના ઇશારે અકસ્માતની ઘટનામાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરી અમદાવાદમાં થોડા સમય અગાઉ પશ્ચિમ વિસ્તાર એક ગંભીર અકસ્માતમાં એક મોત અને અનેક લોકો ઘાયલ થયા હતા. જે મામલે આરોપીની મદદમાં તાત્કાલિક કાળા કાચની પોલીસની ગાડી પહોંચી હતી. આ અકસ્માતમાં

હંગામો થતા ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા હતા. લોકોને શાંત કરવા અકસ્માતના દિવસે આરોપીની મદદમાં આવેલી પોલીસ સામે કાર્યવાહી કરવા બાહેંધરી આપી હતી, પરંતુ કાળા કાચની ગાડી લઈને આવેલા લોકોની ઓળખ થઈ છતાં પોલીસે ચોપડે આજ દિન સુધી ટ્રાફિક પોલીસે તે ઉલ્લેખ કર્યો નથી. ઉચ્ચ અધિકારીના ઈશારે પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી ન કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ PI ચેમ્બરમાં સીસીટીવી લાગવવાનું શરૂ પોલીસ સ્ટેશનમાં અરજદારો અને ફરિયાદીને સંતોષકારક જવાબ ન મળતો હોવાની અનેક ફરિયાદો બાદ હવે સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ પોલીસ સ્ટેશનમાં પીઆઇ ચેમ્બરની અંદર ઓડિયો સાથે સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવા સૂચના આપવામાં આવી છે જેની અમલવારી ગુજરાતમાં શરૂ કરી દેવામાં આવી છે. જોકે, આ પછી હવે કેટલીક જગ્યાએ પીઆઇ

માટે મૂંઝવણ પણ ઉભી થશે અને કેટલી જગ્યાએ પીઆઇને ફાયદો પણ થશે. વાત કંઇક એમ છે કે, પીઆઇ ચેમ્બરમાં સીસીટીવી કેમેરા લાગવાથી તેઓ ક્યારે આવે છે, ક્યારે જાય છે, તેમને મળવા કોણ કોણ આવે છે, શું વાતચીત કરે છે અને અરજદારો તેમજ ફરિયાદી પ્રત્યેનું વલણ કેવું રહેશે તે જાણી શકાશે. જોકે, કેટલાક કિસ્સામાં પીઆઇ દ્વારા ફરિયાદીને સાંભળી ફરિયાદ કરાવવાના બદલે માત્ર અરજી મેળવી કાર્યવાહી કરવાનો આગ્રહ રાખતા પીઆઇ માટે આ કેમેરા નુકસાનકારક પણ સાબિત થશે. કારણ કે આવા કિસ્સામાં ફરિયાદી અરજીની વાત સાંભળી બાદમાં ઉચ્ચ અધિકારી પાસે પણ રજૂઆત કરવા જાય ત્યારે આવું કશું થયું નથી તેવો જવાબ આપતા પીઆઇ હવે આ વાક્ય નહિ બોલી શકે અને અધિકારીઓને ઊંધા ચશ્મા પહેરાવી નહિ શકે.

Related Post