'પીએમના ફોટોવાળો નેકલેસ ભારતના વૈશ્વિક ઉદયનું પ્રતીક': એક્ટ્રેસ રુચિ ગુર્જરે કહ્યું, 'કાન ફેસ્ટિવલમાં રાજસ્થાની સંસ્કૃતિ દર્શાવી, રાષ્ટ્રવાદ વ્યક્ત કરવા કમળની પસંદગી'

'પીએમના ફોટોવાળો નેકલેસ ભારતના વૈશ્વિક ઉદયનું પ્રતીક':એક્ટ્રેસ રુચિ ગુર્જરે કહ્યું, 'કાન ફેસ્ટિવલમાં રાજસ્થાની સંસ્કૃતિ દર્શાવી, રાષ્ટ્રવાદ વ્યક્ત કરવા કમળની પસંદગી'
Email :

રાજસ્થાનના જયપુરની એક્ટ્રેસ રુચિ ગુર્જર ફ્રાન્સના પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટો વાળો નેકલેસ પહેરીને પહોંચી હતી, ત્યારથી લાઇમલાઇટમાં આવી છે. કાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યાં બાદ એક્ટ્રેસ જયપુર પહોંચી છે. રુચિએ કહ્યું, 'મેં ઑપરેશન સિંદૂરની સફળતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વને સન્માન આપવા માટે એ નેકલેસ પહેર્યો હતો. રુચિએ ન્યુ ગુજરાત સાથે પોતાની સફર શેર કરી. રુચિએ કહ્યું, 'હું રાજસ્થાનથી છું. તેથી મેં મારો પોશાક સંપૂર્ણપણે રાજસ્થાનને સમર્પિત કર્યો. હું ત્યાં દેશ પ્રત્યેનો આદર દર્શાવવા ગઈ હતી પરંતુ તેનાથી પાકિસ્તાનના લોકો ખુશ નથી. તેમણે મને ટ્રોલ કરવાનું શરૂ

કર્યું. જે લોકો પોતે કંઈ કરી શકતા નથી, તે જ બીજાને જજ કરે છે. મને ટ્રોલ્સથી કોઈ ફરક નથી પડતો. હું બીજાની વાતો સાંભળીને દુઃખી નથી થતી. પ્રશ્ન: કાન સુધી પહોંચી, મોદીના ફોટોવાળો હાર પહેર્યો, કેવો અનુભવ રહ્યો? રુચિ ગુર્જરઃ મારા માટે તે જાદુ જેવું હતું. જ્યારે હું મારી ફિલ્મ માટે કાનમાં રેડ કાર્પેટ પર ચાલી રહી હતી ત્યારે અંદર એક અલગ પ્રકારનું વાતાવરણ હતું. હું મારી સાથે સાથે મારા દેશ, મારા ભારતને લઈને ચાલી રહી હતી. તે સમય કોઈ દિવાસ્વપ્ન જેવું લાગતું હતું. તે ક્ષણે હું જે અનુભવી રહી હતી,

તેનું વર્ણન કરવા મારી પાસે શબ્દો નથી. પ્રશ્નઃ નેકલેસમાં કમળ ઉપર નરેન્દ્ર મોદીનો ફોટો, આ કૉન્સેપ્ટ કેવી રીતે વિચાર્યો? રુચિ ગુર્જર: કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ છે. જો રાજસ્થાનમાં જુઓ તો પણ તમને દરેક જગ્યાએ કમળના ફૂલની આકૃતિ જોવા મળી જશે. આ સિવાય મારો બીજો કોઈ ઇરાદો નહતો. રાજસ્થાનના મોટાભાગના જડેલા ઘરેણાંમાં કમળ બનાવવામાં આવે છે. મેં રાષ્ટ્રવાદ અને દેશને ધ્યાનમાં રાખીને કમળનો ઉપયોગ કર્યો. મોદી મારા આદર્શ છે. મોદીએ ભારતની છબી બદલી છે. હું તે ગર્વને મારા પહેરવેશ દ્વારા દુનિયા સમક્ષ લાવવા માંગતી હતી. આ હાર માત્ર એક આભૂષણ નથી, પરંતુ

શક્તિ, દૃષ્ટિ અને ભારતના વૈશ્વિક ઉદયનું પ્રતીક છે. પ્રશ્ન: શું આ નેકલેસને તમે ઑપરેશન સિંદૂર સાથે પણ જોડ્યો હતો? રુચિ ગુર્જર: હા, આજે તમે જોઈ શકો છો કે મેં સંપૂર્ણપણે લાલ રંગની સાડી પહેરી છે. મેં આ ઓપરેશન સિંદૂરથી પ્રેરિત થઈને પહેરી છે. કાનમાં મેં મારા હાથ લાલ રંગ્યાં હતાં. આજે મેં આખી સાડી લાલ રંગની પહેરી છે. હું ભારતીય સેનાને શક્ય તેટલો આદર આપવા માંગું છું. પ્રશ્ન: તમે રાજસ્થાનના ઝુંઝુંનૂંમાં જન્મ્યા છો, જયપુરમાં ઉછેર થયો છે, કાનમાં રાજસ્થાનનું પ્રતિનિધિત્વ કેવી રીતે કર્યું? રુચિ ગુર્જર: મેં મારા પોશાકમાં રાજસ્થાની સંસ્કૃતિનો સમાવેશ કર્યો છે.

મારા નાની હરિયાણાના છે, તેથી મેં હરિયાણાના ગોટાપટ્ટી વર્ક, જે રાજસ્થાનમાં પણ વ્યાપક છે, તેનો ઉપયોગ કર્યો છે. લહેંગા પર મિરર વર્ક કરાવ્યું હતું, જે વર્ક માત્ર રાજસ્થાનમાં જ થાય છે. હાથમાં જે બંગડિયા હતા, તે પણ રાજસ્થાનના હતા. કમરબંધથી લઇને દરેક વસ્તુમાં મેં રાજસ્થાનને દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. મારા કોસ્ચ્યૂમનું નાનામાં નાનું એલિમેન્ટ પણ રાજસ્થાનની સુંદરતાને દર્શાવતું હતું. મેં જે ગુલાબી દુપટ્ટો ઓઢ્યો હતો, તે પણ મારા રાજ્યની ઓળખ દર્શાવતો હતો. બાંધણીના દુપટ્ટા પર હાથથી રાજસ્થાની ચિત્રો બનાવવામાં આવ્યા હતા. પ્રશ્નઃ તમારા કાનમાં ભાગ લેવા અંગે માતા-પિતાની શું પ્રતિક્રિયા હતી?

રુચિ ગુર્જર: મારા પિતાને પહેલેથી જ ખબર હતી કે હું કાનમાં શું પહેરવાની છું પરંતુ જ્યારે તે લૂકનો વીડિયો વાયરલ થયો, ત્યારે તેઓ ખૂબ ખુશ થયા. તે પહેલા પણ ખુશ હતા અને આજે પણ ખુશ છે, કારણ કે તેઓ જાણે છે કે તેમની દીકરી ક્યારેય ખોટો નિર્ણય નહીં લે. વીડિયો વાયરલ થયા પછી તે મારા માટે સોનામાં સુગંધ ભળી તેવું થઈ ગયું. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સન્માન આપી રહી હતી પરંતુ વીડિયો વાઇરલ થયા બાદ મને ખૂબ જ પ્રેમ મળ્યો. મારો પરિવાર ખૂબ જ ખુશ છે. પ્રશ્ન: કાનમાં 'લાઈફ' ફિલ્મના સ્ક્રીનિંગ વિશે

જણાવો. રૂચિ ગુર્જર: તેનું સત્તાવાર સ્ક્રીનિંગ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું. તેના ટાઇટલ ઉપરથી જ ખબર પડી જાય છે. ફિલ્મમાં એક મહિલાની 'લાઈફ'ની સફર દર્શાવવામાં આવી છે. તેમની યાત્રાનું જે આંતરિક કનેક્શન હોય, તેને આપણે ઘણી વખત બહારથી ન તો દેખાડી શકીએ છીએ કે કહી શકીએ છીએ. ફિલ્મમાં ગર્ભાવસ્થા, ગર્ભપાત અને આત્મહત્યા વિશે વાત કરવામાં આવી છે. આ નાનકડી વાર્તામાં અમે આ ત્રણ મુદ્દાઓને દર્શાવ્યા છે. જ્યારે કોઈ સ્ત્રી પ્રેગ્નેન્ટ થાય છે, ત્યારે તે કઈ રીતે તેના બાળક સાથે ભાવનાત્મક રીતે જોડાઈ જાય છે. લોકો માટે ગર્ભપાતની વાત કરવી સરળ હોય છે

પણ તે મહિલા માટે કેટલું મુશ્કેલ હોય છે, તે જાણવું જરૂરી છે. તેનું માનસિક સ્વાસ્થ્ય કેટલું બગડી જાય છે. તે આત્મહત્યાના નિર્ણય પર કેવી રીતે પહોંચે છે, એ વાતને ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. પ્રશ્નઃ જે નેકલેસે તમને ઓળખ અપાવી, તે નેકલેસના નામે તમને ટ્રોલ કરવામાં આવ્યાં, તમે આ વિશે શું કહેશો? રુચિ ગુર્જરઃ ટ્રોલ વિશે શું કહી શકું, તેઓ તમારા સારા-ખરાબ દરેક કામ માટે ટ્રોલ કરતા રહેશે. તેમની પાસે બીજું કોઈ કામ હોતું જ નથી ને. બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારેય આવું કામ નહીં કરે. જે લોકો ફ્રી બેઠાં હોય, જેમને કોઈ મહેનત કરવાની

ન હોય, જેમની પાસે કોઈ કામ ન હોય, તેવા લોકો બીજા વ્યક્તિઓ પર ટીકા-ટીપ્પણી કરતા હોય છે. આવા લોકોને જવાબ આપવો કે તેમની વાતો પર દુઃખી થાઉં, હું એવી વ્યક્તિ નથી. સાચું કહું તો, મેં કેટલાક ID જોયા, જેના પર પાકિસ્તાની ID હતા. તે કમેન્ટ કરી રહ્યા હતા. જે લોકો કમેન્ટ કરી રહ્યા હતા, તે મોદીના દુશ્મન છે. જે લોકો તેમના નેતૃત્વને પસંદ નથી કરતા અથવા તેમની સાથે પ્રોબ્લમ હશે, પછી ભલે તે પાકિસ્તાનથી હોય કે બીજે ક્યાંયથી. તે લોકોએ ટ્રોલિંગ શરૂ કરી. મને આવા લોકોથી કોઈ ફરક નથી પડતો.

Leave a Reply

Related Post