43 વર્ષથી આ ગામ સરકારી ચોપડેથી ગાયબ!: છોટાઉદેપુરની વરવી વાસ્તવિકતા, ઓળખ પાછી મેળવવા ઝઝૂમતું આંબાખુટ ગામ, મૂળભૂત સુવિધાઓથી વંચિત

43 વર્ષથી આ ગામ સરકારી ચોપડેથી ગાયબ!:છોટાઉદેપુરની વરવી વાસ્તવિકતા, ઓળખ પાછી મેળવવા ઝઝૂમતું આંબાખુટ ગામ, મૂળભૂત સુવિધાઓથી વંચિત
Email :

ફિલ્મ ‘જોકર’માં પગલાપુર નામનું એક ગામ હોય છે, જેમાં આ ગામને નકશામાં સ્થાન નથી અપાયું. સરકારી ચોપડે જેની નોંધ જ નથી લેવાઈ એવું આ ગામ અસુવિધાઓથી પરેશાન છે. આ ફિલ્મમાં ગામની જે સ્થિતિ છે એવી જ હાલત પાવીજેતપુર તાલુકાનું આંબાખુટ ગામની છે, જે એક-બે નહીં, પરંતુ 43 વર્ષથી સરકારી ચોપડેથી ગાયબ છે. અહીંનાં ગ્રામજનો હાલમાં વિસ્થાપિત જાહેર કરાયેલાં છે, પરંતુ ક્યા? એ એક મોટો સવાલ છે. આજે આ ગામના લોકો પોતાના ગામની ઓળખ મેળવવા માટે અને પોતાના ગામનું અસ્તિત્વ પાછું મેળવવા માટે ઝઝૂમતાં જોવા મળી રહ્યા છે. સુખી ડેમના કારણે વિસ્થાપિત થયા બાદ વૈકલ્પિક વ્યવસ્થાના

અભાવે આઝાદીના આટલાં વર્ષો બાદ પણ આંબાખુટ ગામના લોકો મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. સરકાર દ્વારા ઉપેક્ષિત ગ્રામજનો પોતાની વ્યથા ઠાલવી રહ્યાં છે. આંબાખુટ ગામને 43 વર્ષ પહેલાં રેવન્યૂ રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવ્યું દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાત મોડલને આગળ કરીને વડાપ્રધાનના હોદ્દા પર બિરાજમાન થયા હતા, પરંતુ, વિકાસશીલ ગુજરાતની વરવી વાસ્તવિકતા કંઇક જુદી જ છે. પાવી જેતપુર તાલુકાના ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારના આંબાખુટ ગામે જોવા મળે છે. પાવીજેતપુર તાલુકાનું આંબાખુટ ગામ, જે આઝાદીનાં આટલાં વર્ષો બાદ પણ પોતાનું અસ્તિત્વ પાછું મેળવવા માટે ઝઝૂમી રહ્યું છે, પોતાની ઓળખ મેળવવા માટે વલખાં મારી રહ્યું

છે, કારણ કે આંબાખુટ ગામને 43 વર્ષ પહેલાં રેવન્યૂ રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવ્યું છે. હા, આ એક વરવી હકીકત છે. ગામલોકોને માત્ર રૂ.3500 વળતર આપીને પોતાના હાલ પર છોડી દેવાયા વાત છે વર્ષ 1979ની. જ્યારે સરકાર દ્વારા ડુંગરવાંટ ખાતે તાલુકાની આદિવાસી ગરીબ પ્રજાની સુખાકારી માટે સુખી ડેમ બનાવવાની તૈયારીઓ કરાઇ હતી, જેના ભાગરૂપે કેટલાંય ગામો ડુબાણમાં ગયાં હતાં અને એમને અન્ય ઠેકાણે વિસ્થાપિત કરાયા હતા, જોકે કેટલાંક ગામોને અન્ય કોઇ સ્થળે વિસ્થાપિત કરવામાં આવ્યાં ન હતાં, પરંતુ માત્ર 3500 રૂપિયા વળતર આપીને પોતાના હાલ પર છોડી દેવામાં આવ્યાં હતાં. ગામલોકોને પોતાની મહામૂલી જમીનો ગુમાવવાનો વારો આવ્યો સુખી

ડેમને કારણે આખું આંબાખુટ ગામ ડુબાણમાં ગયું હતું, જેના કારણે આ ગામમાં વસતા લોકોને પોતાની મહામૂલી જમીનો ગુમાવવાનો વારો આવ્યો હતો. સરકાર દ્વારા બિનપિયત જમીનના 2800 અને પિયત જમીનના 3500 રૂપિયા વળતર તો ચૂકવવામાં આવ્યા, પણ તેમને કોઇ જગ્યાએ વસાવવામાં આવ્યા નહોતા, જેથી આ ગ્રામજનો જાય તો જાય ક્યાં? એટલે ગ્રામજનોએ આંબાખુટની ઉપરવાસમાં પડતર રહેતી જમીનમાં વસવાટ કર્યો હતો. સરકારી નિયમ મુજબ લાભો મેળવવા હકદાર છતાં વંચિત હાલમાં આંબાખુટ ગામના લોકો દોઝખની જિંદગી જીવવા મજબૂર બની ગયા છે. એનું મુખ્ય કારણ ગામને રેવન્યુ સત્તા નથી, એટલે ગામ નકશામાં તો છે, પણ સરકારી ચોપડે નથી અને છે

એ સુખી ડેમના ડુબાણમાં છે, જેથી હાલમાં ગામમાં વસતા લગભગ 750 જેટલા લોકો સરકારી લાભોથી વંચિત રહી જવા પામ્યા છે. ખરેખર તો ગુજરાત સરકારના વર્ષ 1979ના જી.આર. પ્રમાણે આ ગામના લોકો જમીન, શાળા, આરોગ્યલક્ષી જેવી સુવિધાઓ તેમજ સરકારના અન્ય લાભો મેળવવા માટે હકદાર તો છે, પરંતુ સરકાર દ્વારા ઉપેક્ષિત આંબાખુટના લોકોને પોતાના હાલ પર જીવવા છોડી દેવામાં આવ્યા છે. ગામના મોટા ભાગના લોકોની જન્મતારીખ 1 જૂન વર્ષ 1979મા જ્યારે સરકાર દ્વારા સુખી ડેમ બનાવવાની શરૂઆત થઇ ત્યારથી આંબાખુટનાં ગ્રામજનોનો સામેનાં ગામો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ ઉપરાંત ગામમાં ચાલતી શાળા પણ બંધ થઇ ગઇ હતી,

જેના કારણે દસ વર્ષ સુધી ગામમાં શાળાઓ બંધ રહેતાં ગામની એક પેઢી શાળાના અભાવે તેમજ આર્થિક તેમજ વિસ્થાપિત થવાથી અભણ રહી જવા પામી હતી. જે બાળકો એ સમયે અભ્યાસ કરવા માગતાં હતાં તેઓ આજે અભણ રહી ગયાં છે અને આજે યુવાન થઇ ગયા છે. વારંવાર રજૂઆતો બાદ શાળા તો ખૂલી, પણ બાળકો પાસે જન્મના દાખલા નહોતા ગામમાં શાળા ખોલવા માટે ગ્રામજનોએ વારંવાર રજૂઆતો કરતાં વર્ષ 1992મા ફરી ગામમાં શાળા ખોલવામાં આવી, જોકે વર્ષ 1992માં શાળા તો ખોલી, પણ ગ્રામજનોનાં બાળકો પાસે જન્મના દાખલા ન હતા, જેનું મુખ્ય કારણ એ જ હતું કે આ ગામ સરકારી ચોપડે

અસ્તિત્વમાં ન હતું. એને કારણે ગ્રામજનોને જન્મના દાખલા ન મળતા ન હતા, આથી તેમણે પોતાનાં બાળકોને ભણાવવા ખોટી જન્મતારીખ (1લી જૂન) લખાવીને શાળામાં દાખલ કર્યાં હતાં. આંબાખુટ ગામનું સરકારી ચોપડે અસ્તિત્વ ન હોવાથી ગામમાં કોઈ જ સુવિધા નથી આજે 43 વર્ષ વીતી ગયાં છતાં પણ આ ગામના લોકોને પુનર્વસન કરવામાં આવ્યા નથી. આ ગરીબ આદિવાસી લોકો જે સરકારી જગ્યા પર રહે છે એ ગામ આંબાખૂટ આજે પણ રેવન્યુ રેકોર્ડમાં નથી, જેથી ગામના લોકોને સરકારી લાભ મળતો નથી. એને કારણે ગામનો વિકાસ અટકી પડ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો વિકાસ જ નથી થયો. ગામમાં રસ્તા, આરોગ્ય જેવી

પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. આવાસ, શૌચાલય તેમજ અન્ય સરકારી યોજનાઓનો પણ લાભ મળતો નથી. નથી અહીં ગ્રામ પંચાયત ગામમાં જ્યારે પણ પ્રાથમિક જરૂરિયાત ઊભી થાય ત્યારે પહેલા સરપંચને યાદ કરવામાં આવે છે, પણ આ ગામ રેવન્યુ રેકોર્ડમાં ન હોવાથી ગામમાં ગ્રામપંચાયત પણ નથી, જેથી સ્વાભાવિક રીતે સરપંચ પણ ના હોય. જેથી આ લોકો ગામની સમસ્યાની રજૂઆત કરે તો જાણ કોને કરે? આ અંગે ગ્રામજનોના જણાવ્યાનુસાર, તેઓ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પોતાની વ્યથા ઠાલવી ચૂક્યા છે, પરંતુ તેમને આજદિન સુધી કંઇ પરિણામ મળ્યું નથી. આંબાખુટનાં ગ્રામજનો દયનીય હાલતમાં જીવી રહ્યાં છે.

આંબાખુટના લોકોને રાજકારણીઓએ વોટબેંક બનાવીને છોડી દીધા એક તરફ સરકારી તંત્ર આંબાખુટ ગામ આખું ડુબાણમાં ગયું છે એવું જણાવે છે. તો બીજી તરફ ગ્રામજનોને રાજકારણીઓએ પોતાના સ્વાર્થ ખાતર મતદારયાદીમાં સમાવીને વોટબેંક બનાવીને છોડી દીધાં છે. દર પાંચ વર્ષે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભાની ચૂંટણીઓ માટે રાજકારણીઓ મત લેવા પહોંચી જાય છે અને ગ્રામજનોને ઠાલાં વચનો આપીને મત લઇને જતા રહે છે. ચૂંટણી પતી ગયા પછી આંબાખુટનાં ગ્રામજનો ફરીથી ભગવાન ભરોસે રહેવા મજબૂર બની જાય છે. આજે 43 વર્ષનાં વહાણાં વીતવા છતાં આ ગામના લોકો પોતાનું અને ગામનું અસ્તિત્વ પાછું મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

Leave a Reply

Related Post