20 વર્ષીય રાજપૂતાણી સંયમના માર્ગે: સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પહેલીવાર રાજપૂતાણી દીક્ષા લેશે, આશાપુરા મંદિરથી વાજતે-ગાજતે વરઘોડો નીકળ્યો

20 વર્ષીય રાજપૂતાણી સંયમના માર્ગે:સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પહેલીવાર રાજપૂતાણી દીક્ષા લેશે, આશાપુરા મંદિરથી વાજતે-ગાજતે વરઘોડો નીકળ્યો
Email :

રાજકોટ શહેરમાં એક ઐતિહાસિક ઘટના સામે આવી છે. સામાન્ય રીતે જૈન સમાજના લોકો દીક્ષા ગ્રહણ કરે છે પરંતુ, આજે સૌરાષ્ટ્રમાં પ્રથમવાર રાજપુતાણીનું નાની ઉંમરે સંયમનાં માર્ગે પ્રયાણ કરવાના કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. રાજપૂત સમાજની 20 વર્ષની અને સમૃદ્ધ પરિવારની દીકરીએ દીક્ષાગ્રહણ કરવાનો નિર્ણય કરતા આજે આશાપુરા મંદિરથી વાજતે-ગાજતે તેનો વરઘોડો નીકળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં જૈન તેમજ રાજપૂત સમાજના લોકો જોડાયા હતા. 5 દિવસ વિવિધ કાર્યક્રમો બાદ ગુરુવારે કુ. હેત્વીબા પરમાર દીક્ષાગ્રહણ કરશે. આ તકે ન્યુ ગુજરાતે હેત્વી તેમજ તેના માતા-પિતા સાથે ખાસ વાતચીત પણ કરી હતી. જેમાં હેત્વીબાએ સંસાર કરતા સંયમનો માર્ગ ખૂબ શ્રેષ્ઠ હોવાનું જણાવી લોકોને વ્યસન છોડવા માટે અપીલ કરી

હતી. ઢોલ-નગારાનાં તાલે વાજતે-ગાજતે વરઘોડો નીકળ્યો આ રાજવૈભવી ઉત્સવ અંતર્ગત આજે સવારે 7 વાગ્યે આશાપુરા માતાજીના મંદિર પેલેસ રોડ ખાતેથી વિશાળ વરઘોડો નીકળ્યો હતો. આચાર્ય ભગવંત પ.પૂ. તીર્થભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબના નગર પ્રવેશ નિમિતે આયોજિત આ વરધોડામાં જૈન સમાજ તેમજ રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને અનેક કાર તેમજ બાઈક સહિત ઢોલ-નગારાનાં તાલે વાજતે-ગાજતે વરઘોડો નીકળ્યો હતો. આ વરઘોડામાં ડેકોરેટિવ બગી, સાફાધારી અને બેડાધારી બહેનો પણ પારંપરિક વેશભૂષામાં સજ્જ થયેલી જોવા મળી હતી. બંને સમાજના યુવાનો ઢોલનાં તાલે ઝૂમી ઉઠ્યા હતા. 48 દિવસ સાધુની જેમ રહ્યા બાદ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો હેત્વીબાએ ન્યુ ગુજરાતને જણાવ્યું હતું કે, હું ખૂબ જ નાની હતી

ત્યારથી ધર્મનાં સંસ્કાર મારા માતા-પિતાએ મને આપ્યા હતા. હું 9માં ધોરણમાં આવ્યા પછી મારા પિતાએ મને સંસાર કરતા સંયમનો માર્ગ સાચો હોવાનું જણાવી સંયમનાં માર્ગે જવાની પ્રેરણા આપી હતી. આ પછી મારા સહિત અમારા આખા પરિવારે 48 દિવસનું ઉપઘાન કર્યું હતું. જેમાં 48 દિવસ સાધુની જેમ રહેવાનું હોય છે. ત્યારબાદ મને થયું કે, હું આ લાઈફ જીવી શકું તેમ છું. મારી 9માં ધોરણની ફાઇનલ પરીક્ષા પૂર્ણ થયા બાદ હું સાધ્વી તરીકે ત્યાં રહેવા ગઈ. આ લાઈફ એકદમ સ્ટ્રેસ ફ્રી હોવાથી અને ભગવાન મહાવીરની નજીક હોવાનો અહેસાસ થતા મેં દીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. આપણે અહિંસાનો માર્ગ અપનાવવો જોઈએ વધુમાં તેણે જણાવ્યું કે, હું રાજપૂત

પરિવારમાંથી હોવા છતાં મારા પૂર્વના કઈ લેણદેણ હશે, જેના કારણે મને આ જૈન ધર્મ મળ્યો છે. મારી જે આરાધના બાકી છે, તે પૂર્ણ કરવા માટે મને સાધ્વી બનવાનો વિચાર આવ્યો છે. મારા પરિવારમાં હું, મમ્મી, પપ્પા, ભાઈ, દાદા, દાદી સહિતનાં બધા છે અને મારી તમામ ઈચ્છાઓ મારા પિતા જ હંમેશા પૂર્ણ કરતા હતા. હાલ સંયમનાં માર્ગે જતી હોવા છતાં પરિવારને છોડવાનું જરાપણ દુઃખ નથી. લોકોને મારી અપીલ છે કે, આપણે પ્રભુની નજીક જવું જોઈએ. અને તેના માટે પાપ છોડી દેવા જોઈએ. આ સાથે અહિંસાનો માર્ગ અપનાવવો જોઈએ ફક્ત એટલું જ નહીં ધીમે-ધીમે વ્યસન સહિતનાં દુષ્કૃત્યો પણ ત્યજી દેવા જોઈએ. સાધુનું જીવન જીવીને તે

સંસારના પાપોથી મુક્ત બનશે હેત્વીબાનાં પિતા વિમલભાઈ પરમારે ન્યુ ગુજરાતને જણાવ્યું કે, મારી પુત્રી મહાવીર સ્વામી ભગવાનની આજ્ઞામાં જીવન જીવવા તત્પર થઈ છે. સાધુનું જીવન જીવીને તે સંસારના પાપોથી મુક્ત બનશે. માતા-પિતા તરીકે અમે તેના એક ભવની ચિંતા કરીએ છીએ. જ્યારે પરમાત્મા અને તેના ગુરુ તેના ભવોભવને સુધારે છે. આ કારણે પુત્રી સંયમનાં માર્ગે જતી હોવાનો મને આનંદ છે. સંસારના અનેક જીવો છે, જેમાં 84 લાખ યોનિમાંથી મનુષ્ય જન્મ એવો છે જેમાં સંયમનાં માર્ગે જઈ શકાય છે. મારે ત્યાં આવી પુત્રીનો જન્મ થયો કે જે સંયમનાં માર્ગે જવા તૈયાર થઈ છે તે વાતનો મને ખુબ આનંદ છે. મારા બાળકો ધર્મનાં રસ્તે જ આગળ વધે

તેનો મને ગર્વ છે હું રાજપૂત પરિવારમાંથી છું પરંતુ, 24 વર્ષ પહેલાં જ મેં ઉન્નતિ સાથે લવમેરેજ કર્યા હતા. મારા પત્ની જૈન હોય મને આ ધર્મ વિશેની જાણકારી મળી હતી. પત્નીનાં સગા ભાઈએ 15 વર્ષ પહેલાં માત્ર 12 વર્ષની ઉંમરે દીક્ષાગ્રહણ કરી હતી. ત્યારે મને દીક્ષાનું મહત્વ સમજાયું હતું. હાલ મારા ઘરમાં ધર્મનું વાતાવરણ છે તે મારા પત્નીનો ઉપકાર છે. તેમણે જ અમારા બાળકોને ધર્મનાં સંસ્કાર આપ્યા છે. જેના કારણે આજે પુત્રીને સંયમનાં માર્ગે જવા માટે વિચાર આવ્યો છે. આજે મારા બાળકો ધર્મનાં રસ્તે જ આગળ વધી રહ્યા છે તેનો મને ગર્વ છે. મારી પુત્રી ધર્મના માર્ગે આગળ વધતી હોવાનો આનંદ છે હેત્વીબાનાં માતા ઉન્નતિબેને

ન્યુ ગુજરાતને જણાવ્યું કે, આજે મને આનંદ છે કે, મેં જે સ્વપ્ન જોયું હતું તે હવે સાકાર થવા જઈ રહ્યું છે. નાનપણથી અમે તેને ધર્મમય જીવન જીવવાનાં સંસ્કાર આપ્યા હતા. પણ આવું તો વિચાર્યું પણ નહોતું કે તે આટલી હાઈટ સુધી પહોંચશે પણ મારી પુત્રી મારાથી સવાઈ થઈને સંયમ માર્ગે જવા તૈયાર થઈ છે કે, જે મોક્ષનો સીધો રસ્તો છે. જેનો મને ખૂબ જ આનંદ છે. મારી પુત્રી દૂર જઇ રહી છે પરંતુ, તેમાં તેના આત્માનું કલ્યાણ થાય છે. જોકે, 20 વર્ષની પુત્રી હોવાથી હવે માતા-પુત્રી ફ્રેન્ડ જેવા થયા હોવાથી તેના દૂર જવાનું થોડું દુઃખ થાય છે પણ તે ધર્મના માર્ગે આગળ વધતી

હોવાનો આનંદ તેનાથી વધુ છે. દિક્ષા મહોત્સવનાં અનેક કાર્યક્રમો યોજાશે આ રાજવૈભવી ઉત્સવનાં અન્ય મુખ્ય કાર્યક્રમો અંગે તેમણે જણાવ્યું હતું કે, આવતીકાલે સવારે 9:00 કલાકે યાત્રા-શ્રાવક જીવનથી શ્રમણ જીવન ઉપર માણવાલાયક કાર્યક્રમ જેનાં ઉદબોધક શાસનભાઈ શાહ અને ઉદ્વાન-સૌમીલભાઈ શાહ દ્વારા રજુ કરાશે. તો દિક્ષા મહોત્સવનાં ત્રીજા દિવસે મંગળવારે સવારે 9:00 કલાકે પૂ.ગુરુભગવંતોનું માર્મિક પ્રવચન તથા સંયમ છાબ ઉત્સવ જેમાં અમદાવાદનાં ભાવિકભાઈ મહેતા અને હાર્દિકભાઈ બાગરેચા ખાસ પ્રસ્તુતિ કરશે. બપોરે 2:30 કલાકે સમસ્ત રાજકોટનાં મહિલા મંડળની સામુહિક સાંજી કાર્યક્રમ મહાવીર ભુવન, માલવીયા ચોક, રાજકોટ ખાતે યોજાશે. રાત્રે 8:30 કલાકે હેમુ ગઢવી હોલ, ટાગોર રોડ, રાજકોટ ખાતે પાર્થ શુકલાનું દિગ્દર્શિત દિલઘડક નાટકની સત્સંગી રે રજુ કરાશે.

ગુરૂવારે મુમુક્ષુ હેત્વી પરમારનો ઉદય થશે તા. 7ને બુધવારે સવારે 7 વાગ્યે મુમુક્ષુ કુમારી હેત્વીબાનો રાજાશાહી વરઘોડો રાજકોટનાં રાજમાર્ગ પર નીકળશે. સાંજે 7:30 કલાકે સંસારી અવસ્થાની અંતિમ સંઘ્યા.. હવે દીકરી ગણાશે મહેમાનમાં... કાર્યક્રમ પ્રસ્તુત કરશે. સ્મિતભાઈ કોઠારી- મુંબઈનાં શબ્દાંકન અને ગૌતમભાઈ બારીયા-મુંબઈનાં સ્વરાંકનમાં યોગી સભાગૃહ, અક્ષર મંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રજૂ કરાશે તેમજ દીક્ષા મહોત્સવનાં પાંચમા દિવસે 8-5-2025ને ગુરૂવારે મુમુક્ષુ હેત્વી પરમારનો ઉદય થશે. સંયમ સ્થાનમાં સવારે 6:30 કલાકે ભવનિસ્તારિણી દીક્ષાનો મંગલ પ્રારંભ થશે. જેમાં શબ્દોનો વૈભવ પાથરશે. સુરતના હાર્દિકભાઈ શાહ અને સ્વર પુરાવશે અમદાવાદના શનિભાઈ શાહ, સવારે 8:30 કલાકે સકલ સંઘની નવકારશી યોગી સભા ગૃહ, અક્ષર મંદિર, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે યોજાશે.

Leave a Reply

Related Post