Recipe: કેરી, ચણા અને મેથીનું અથાણું વધારશે ભોજનનો સ્વાદ, સ્વાસ્થ્ય માટે લાભકારક

Recipe: કેરી, ચણા અને મેથીનું અથાણું વધારશે ભોજનનો સ્વાદ, સ્વાસ્થ્ય માટે લાભકારક
Email :

 ઉનાળાની સિઝન સાથે અથાણાની સિઝનની પણ શરૂ થાય છે. ગુજરાતી ઘરોમાં મોટાભાગના લોકો સાંજના ભોજનમાં તમને અથાણું જોવા મળશે. ખાસ કરીને જ્યારે ખીચડી અને થેપલા હોય ત્યારે અવશ્ય કેરીનું અથાણું કે પછી ગુદાનું અથાણું કે પછી કેરી, ચણા અને મેથીનું અથાણું રાત્રિનો ભોજનમાં હોય છે. ગૃહિણીઓ વિવિધ પ્રકારના અથાણા બનાવતી હોય છે. આજે તમને કેરી, ચણા અને મેથીનું અથાણું બનાવવાની સરળ રીત જણાવીશ. આ અથાણું તમારા ભોજનનો સ્વાદ તો વધારશે સાથે ચણા અને મેથી હોવાના કારણે સ્વાસ્થ્ય માટે પણ વધુ પૌષ્ટિક રહેશે. કેરીમાં વીટામીન સી રહેલુ છે જ્યારે ચણામાં ભરપૂર પ્રોટિન રહેલું છે અને તેના કારણે આ અથાણું બાળકોના ટીફીનમાં પણ આપી શકો છો. વર્ષભર તમારે આ અથાણું સ્ટોર કરવું હોય તો ખાસ કરીને તેને કાચના જારમાં ભરજો.

અથાણું બનાવવાની સામગ્રી :

500 ગ્રામ રાજાપુરી કેરી

1/2 કપ મેથી

1/2 કપ દેશી ચણા

200 ગ્રામ અચાર મસાલો

2 કપ ખાટું પાણી

350 મિ.લી તેલ (સરસિયાનું તેલ લઈ શકાય)

અથાણું બનાવવાની રીત :

કેરી ચણા અને મેથીનું અથાણું બનાવવા સૌપ્રથમ તમે ચણા અને મેથીને જુદા-જુદા વાસણમાં ધોઈ લો. ત્યારબાદ ફરી અલગ-અલગ વાસણમાં ચોખ્ખું પાણી લઈ તેમાં ચણા અને મેથી ઉમેરી 6 થી 7 કલાક પલાડી રાખો. ચણા અને મેથીને 6 થી 7 કલાક પલાડી રાખ્યા બાદ આ પાણી કાઢી નાખો. અને ફરી ચણા અને મેથીને ચોખ્ખા પાણીથી બેથી ત્રણવાર ધોઈ લેવા. પછી તેમાં ખાટું પાણી ઉમેરી 8 થી 10 કલાક પલાડી રાખો. 8 થી 10 કલાક પછી તેને ખાટાં પાણીમાંથી નિતારી લો અને કોરા કપડા પર 2 થી 3 કલાક સૂકવો. ચણા અને મેથી વધુ કડક હોવાથી તેને આ રીતે પલાડવાથી તે થોડા નરમ પડે છે. અને જ્યારે તમે અથાણું ખાવ છો ત્યારે તમારા દાંતને નુકસાન થતું નથી. 

એકબાજુ ચણા અને મેથી સૂકાતા હોય ત્યાં સુધી તમે રાજાપુરી કેરીને ધોઈ લો પછી તેના નાના-નાના ટુકડા કરી લેવા. તપેલીમાં ટુકડા નાખી તેમાં એક ચમચી મીઠું અને એક ચમચી હળદર ઉમેરી 2 થી 3 કલાક માટે રહેવા દેવા. વચ્ચે વચ્ચે તેને ઉછાળતા રહેવું. 2 થી 3 કલાક પછી ખાટાં પાણીમાંથી નિતારી તેને કોરા કપડા ઉપર સૂકવી દેવા. 3 થી 4 કલાક સૂકવવા. હવે એક મોટા તપેલામાં અથાણાનો તૈયાર મસાલો (અથાણાનો મસાલો તમે ઘરે પણ બનાવી શકો છો અગાઉ) નાખી તેમાં સુકવેલા ચણા, મેથી અને કેરીના ટુકડા ભેળવી બરાબર મિક્સ કરી લો. તેલને ધુમાડો નીકળે ત્યા સુધી ગરમ કરી પછી તેને ઠરવા દેવું. તપેલામાં બધું હાથથી બરાબર દબાવી દેવું. 24 કલાક થાય પછી બરણીમાં ભરી દેવું. અને ઠરી ગયેલું તેલ તેમાં ઉમેરી બરણી નું ઢાંકણું બરોબર બંધ કરી દેવું. તૈયાર છે તમારું ચણા મેથી અને કેરીનું અથાણું. હવે આ અથાણા ટાઈટ જારમાં ભરો.

Leave a Reply

Related Post