શાહરુખ ખાને સ્ટાફ માટે લકઝરી ફલેટ ભાડે રાખ્યો!: દર મહિને સવા લાખ રૂપિયા ભાડું, ચાર લાખ રૂપિયા તો ડિપોઝિટ ચૂકવી; 'મન્નત'નું રિનોવેશન શરૂ

શાહરુખ ખાને સ્ટાફ માટે લકઝરી ફલેટ ભાડે રાખ્યો!:દર મહિને સવા લાખ રૂપિયા ભાડું, ચાર લાખ રૂપિયા તો ડિપોઝિટ ચૂકવી; 'મન્નત'નું રિનોવેશન શરૂ
Email :

શાહરૂખ ખાન અને ગૌરીના સપનાના ઘર 'મન્નત'નું રિનોવેશન ચાલી રહ્યું છે. પરિણામે શાહરૂખ પરિવાર સાથે ચાલુ વર્ષે એપ્રિલ મહિનાથી મુંબઇના પાલી હિલ વિસ્તારમાં આવેલા ભાડાના ડૂપ્લેક્સમાં શિફ્ટ થઈ ગયો છે. એક્ટર બે વર્ષ સુધી તે ડુપ્લેક્સમાં રહેશે, રિનોવેશનનું કામ પૂરું થયા પછી 'મન્નત'માં પરત ફરશે. ત્યારે શાહરૂખે પોતાના માટે તો વૈભવી ઘર ભાડે રાખ્યું જ છે પણ સાથે સાથે તેના સ્ટાફ માટે પણ પાલી હિલમાં જ વૈભવી ફ્લેટ ભાડે રાખ્યો છે, જેના માટે તે દર મહિને 1.35 લાખ રૂપિયા ભાડું ચૂકવી રહ્યો છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં રિયલ એસ્ટેટ વેબસાઇટ ઝેપકીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ગૌરી ખાને

પૂજા કાસા બિલ્ડિંગમાં તેના એપાર્ટમેન્ટથી 100 મીટર દૂર સ્થિત પંકજ સોસાયટીમાં સ્ટાફ માટે એક ફ્લેટ ભાડે લીધો છે. આ ફ્લેટ 725 ચોરસ ફૂટનો છે. શાહરૂખ અને ગૌરીએ સંજય કિશોર રમાણી પાસેથી આ ફ્લેટ 1.35 લાખ રૂપિયામાં ભાડે લીધો છે. આ ફ્લેટ માટે 3 વર્ષના લીઝ સાઇન કરવામાં આવ્યા છે. સિક્યુરિટી ડિપોઝિટ તરીકે 4.05 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. કરાર મુજબ, મકાનમાલિક દર વર્ષે આ ફ્લેટનું ભાડું 5 ટકા વધારશે. શાહરૂખ 'મન્નત' છોડીને પાલી હિલની બિલ્ડિંગમાં શિફ્ટ થયો હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ, શાહરૂખ ખાને પૂજા કાસા બિલ્ડિંગમાં 2 ડૂપ્લેક્સ ભાડે લીધા છે. 4 ફ્લોરમાં બનેલા આ ડૂપ્લેક્સ માટે

શાહરૂખ અંદાજે વાર્ષિક 2.9 કરોડ રૂપિયા ભાડું ચૂકવી રહ્યો છે, એટલે કે દર મહિને 24 લાખ રૂપિયા ભાડું ચૂકવી રહ્યો છે. આ ફ્લેટનો કુલ કાર્પેટ એરિયા 10,500 ચોરસ ફૂટ છે, જે તેના ઘર 'મન્નત' ( 27,000 ચોરસ ફૂટ)ના કદ કરતાં અડધો પણ નથી. શાહરૂખ જે ડુપ્લેક્સમાં રહી રહ્યો છે, તે એક્ટર અને પ્રોડ્યુસર જેકી ભગનાની, તેની બહેન દીપશિખા દેશમુખ અને પિતા વાસુ ભગનાની (પ્રોડ્યુસર)ના નામે છે. હેરિટેજ સ્ટેટસ ધરાવતા 'મન્નત'માં વધુ બે માળ બનાવાશે શાહરૂખ ખાનના બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ સ્થિત ઘરમાં મે મહિનાથી રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ, 'મન્નત'માં 2 વર્ષથી રિનોવેશનનું કામ

ચાલી રહ્યું હતું. આ ઘરમાં વધુ બે માળ બનાવવાના છે, જેના માટે ગૌરી ખાનને મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીની પરવાનગી પણ મળી ગઈ છે. શાહરૂખનો આ પ્રતિષ્ઠિત બંગલો ગ્રેડ-3 હેરિટેજ સ્ટેટસ હેઠળ આવે છે, જેના કારણે તેમાં કોઈપણ ફેરફાર કરવા માટે કોર્ટની પરવાનગી લેવી પડે છે. કિંગ ખાને તેની રીયલ લાઇફ ક્વીન ગૌરી માટે 'મન્નત' ખરીદ્યું શાહરૂખ ખાનનો બંગલો 'મન્નત' ગુજરાતી મૂળના પારસી પરિવાર અને મુંબઈની પ્રતિષ્ઠિત શિમોલ્ડ આર્ટ ગેલેરીના સ્થાપક કીકુ ગાંધીનો હતો. વર્ષો પહેલા શાહરૂખ કીકુના પાડોશી હતા. કીકુએ પોતાના ઘરનું નામ 'વિલા વિયેના' રાખ્યું હતું, જેમાં તે જમાનામાં ઘણી અદ્યતન સુવિધાઓ હતી. જ્યારે શાહરૂખને

ખબર પડી કે, તેના પાડોશી તેનું ઘર ભાડે આપવાનું વિચારી રહ્યા છે, ત્યારે તેણે આ ઘર ખરીદવાની ઓફર રજૂ કરી. 'મન્નત'ની માર્કેટ વેલ્યૂ 350 કરોડથી વધુ શાહરૂખે 2001માં આ ઘર 13.32 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. આજે આ ઘરની બજાર કિંમત 350 કરોડ રૂપિયાથી વધુ છે. શાહરૂખની પત્ની ગૌરી એક ઇન્ટીરીયર ડિઝાઇનર છે. તેમણે પોતાના ઘરને 1920ની શાહી થીમ પર સજાવ્યું હતું. શાહરૂખે તેને સજાવવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા હતા. 6 માળના 'મન્નત'માં શાહરૂખ ખાનનો પરિવાર ફક્ત 2 માળ પર રહેતો હતો. બાકીના માળનો ઉપયોગ ઓફિસ, ખાનગી બાર, ખાનગી થિયેટર, સ્વિમિંગ પૂલ, ગેસ્ટ રૂમ, જીમ, લાઇબ્રેરી, પ્લે એરિયા

અને પાર્કિંગ જેવી અન્ય સુવિધાઓ માટે થતો હતો. 'મન્નત'માં પાંચ વૈભવી બેડરૂમ, મલ્ટિપલ લિવિંગ એરિયા અને ડાઇનિંગ એરિયા છે. આ બંગલાની રચના 20મી સદીના ગ્રેડ-3 હેરિટેજની છે, જે બધી બાજુથી ખૂલે છે, આકાશ તરફ, પાછળની તરફ અને કિનારા તરફ. 'મન્નત'ના દરેક માળ પરથી સમુદ્રનો સુંદર નજારો જોઈ શકાય છે. એક સમયે શાહરૂખના નવા ઘરની સામે દિલીપ કુમારનો બંગલો હતો શાહરૂખના આ નવા ઘરની સામે એક સમયે દિલીપ કુમાર સાહેબનો બંગલો હતો. પરંતુ રીડેવલપમેન્ટના કારણે તે બંગલો હવે વૈભવી એપાર્ટમેન્ટમાં રૂપાંતરિત થઈ ગયો છે. આ આખા વિસ્તારમાં સંજય દત્તનો બંગલો અને કપૂર પરિવારનું આઇકોનિક ઘર પણ આવેલું છે.

Leave a Reply

Related Post