Editor's View: પાક.માં તખતાપલટની તૈયારી?

Editor's View: પાક.માં તખતાપલટની તૈયારી?:મુનીરના પ્રમોશનથી બે સંકેત, ગમે ત્યારે શહેબાઝને છરો ખોસી શકે છે, બિઝનેસમાં આર્મીના દબદબાથી દેશના પતન સુધીની કહાની
Email :

પાકિસ્તાની આર્મી ચીફનો ઈતિહાસ રહ્યો છે કે તે પીઠ પાછળ છરો ખોસીને સત્તા મેળવી લે છે. અયુબ ખાનથી લઈને અસીમ મુનીરની માનસિકતા એકસરખી જોવા મળી છે. ભારતના 'ઓપરેશન સિંદૂર' પહેલાં મુનીરે તેના પરિવારને લંડન મોકલી દીધો. પોતે બંકરમાં છુપાઈ ગયા છતાં પાકિસ્તાની સરકારે તેને આર્મીનું સર્વોચ્ચ ફિલ્ડ માર્શલનું બિરુદ આપી દીધું. શહેબાઝ સરકારે સત્તા ટકાવી રાખવા આર્મી ચીફને રાજી કરી દીધો છતાં મુનીર ગમે ત્યારે શરીફની બાજી બગાડીને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બની જાય તો નવાઈ નહીં. મુનીર જેવી કટ્ટર માનસિકતા ધરાવતા લોકો સર્વોચ્ચ સત્તા પર બેસે એ બીજા દેશો માટે તો ખતરો છે જ, પાકિસ્તાન માટે પણ જોખમ છે. નમસ્કાર, પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરને ફિલ્ડ માર્શલનું સર્વોચ્ચ બિરુદ મળી ગયું. આ પહેલાં આર્મી ચીફ જનરલ અયુબ ખાને જાતે જ આ બિરુદ લઈ લીધું હતું, પણ ત્યારે અયુબ ખાન રાષ્ટ્રપતિ હતા, આર્મીમાં નહોતા. ટૂંકમાં, પાકિસ્તાનના આર્મી ચીફ હંમેશાં પોતાને દલા તરવાડી સમજતા આવ્યા છે. રીંગણાં લઉં બે-ચાર, લો ને દસ-બાર... લઈ લઉં મેજરનું પદ? લઈ લો ને ફિલ્ડ માર્શલનું પદ... અસીમ મુનીરને ફિલ્ડ માર્શલનું પદ કેમ

મળ્યું? ઈતિહાસ વાંચશો તો ખ્યાલ આવશે કે પાકિસ્તાનમાં સરકારનું રાજ ક્યારેય રહ્યું નથી. હંમેશાં સેનાનું રહ્યું છે. પાકિસ્તાની આર્મી ચીફનો વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ કરતાં પણ વધારે દબદબો છે. એ એટલા માટે કે આર્મી ચીફ ધારે તેને રાષ્ટ્રપતિ બનાવી શકે અને ધારે તેને ખુરસીમાંથી ઉઠાડી શકે. અસીમ મુનીરના કેસમાં પણ એવું જ છે. શહેબાઝ શરીફ ઢીલાપોચા વડાપ્રધાન છે. ઈમરાન ખાન વડાપ્રધાન હતા ત્યારે મુનીરને 8 મહિના માટે પદ પરથી હટાવ્યા હતા, પણ મુનીરે ખુન્નસ રાખીને ઈમરાન વિરુદ્ધ પેંતરાબાજી કરીને જેલમાં ધકેલ્યા. શહેબાઝ શરીફ સમજે છે કે જો પોતે પાકિસ્તાનના વઝીરે આઝમ (વડાપ્રધાન) પદ પર ટકી રહેવું હશે તો મુનીરને થાબડભાણાં કરો. એટલે ભારતના ઓપરેશન સિંદૂરની સામે પાકિસ્તાને ઓપરેશન બનિયાન-ઉલ-મારસૂસ ચલાવ્યું. એમાં મુનીરે નેતૃત્વ કર્યું એટલે ફિલ્ડ માર્શલનું પદ આપી દીધું. હકીકતમાં યુદ્ધ મોરચે અસાધારણ પ્રતિભા બતાવી હોય તેમને જ આ પદ મળે છે. મુનીર તો બંકરમાં છુપાયા ને ફિલ્ડ માર્શલ બનાવી દીધા શહેબાઝ સરકારે મુનીરને અછોવાનાં કેમ કર્યાં? સીધી વાત છે કે શહેબાઝ શરીફની સરકાર પોતાની સત્તા બચાવવા માગે છે. તેને ભય છે કે ક્યાંક મુનીર

બળવો કરાવીને રાષ્ટ્રપતિ ન બની જાય... ઓપરેશન સિંદૂર પછી જે રીતે પાકિસ્તાને માત ખાધી છે એ જોતાં મુનીરની નેતૃત્વ ક્ષમતા પર સવાલ ઊભા થવા જોઈએ, ત્યાંના આર્મી ચીફે રાજીનામું આપવું જોઈએ, એના બદલે પાકિસ્તાને તેને ફિલ્ડ માર્શલ બનાવી દીધા. મુનીરને રિટાયર થવામાં ત્રણ દિવસ બાકી હતા ત્યારે તેને આર્મી ચીફ બનાવી દીધા. પાકિસ્તાનમાં તમામ સત્તા અસીમ મુનીર પાસે છે. આર્મી ચીફનો કાર્યકાળ 2027 સુધી વધારી દીધો. આ બધું થવા પાછળની પ્રબળ સંભાવના એક જ છે કે મુનીરે શહેબાઝ શરીફને સત્તા માટે બ્લેકમેઈલિંગ કર્યા હશે. મુનીરની માનસિકતા કટ્ટર ઈસ્લામિક છે જ્યાં કટ્ટરતા હોય એ દેશ ક્યારેય તાકાતવર ન બની શકે. ભારતીય સેના માત્ર દેશ હિત જુએ છે, તેને દેશ હિત સિવાય બીજું કાંઈ દેખાતું નથી. ભારતીય સેનામાં ક્યારેય હિન્દુ-મુસ્લિમ જેવી વાત નથી આવી, પણ પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર કટ્ટર ઈસ્લામિક વિચારધારા ધરાવે છે. આ કટ્ટરતા પાકિસ્તાન માટે અને દુનિયા માટે પણ જોખમી છે. મુનીરની કટ્ટરતા ત્યારે બહાર આવી જ્યારે પહેલગામ હુમલાના છ દિવસ પહેલાં જ તેણે હિન્દુવિરોધી વાત કરી હતી. ટુ નેશન થિયરીની વાત

કરી હતી. મુનીરે 16 એપ્રિલે ઈસ્લામાબાદના એક કાર્યક્રમમાં એવું કહ્યું હતું કે આપણા પૂર્વજોએ વિચાર્યું હતું કે આપણે દરેક એંગલથી હિન્દુઓથી અલગ છીએ. આપણા રિવાજ, આપણો ધર્મ, આપણી વિચારધારા આ બધું હિન્દુઓથી અલગ છે એટલે આપણે બે અલગ અલગ દેશ છીએ, એક નેશન નથી. તેમણે કાશ્મીર માટે પણ એ વાત કરી હતી કે, કાશ્મીર તો પાકિસ્તાનના ગળાની નસ છે, તેને કોઈ કાપી શકે નહીં. આની અસર એ થઈ કે પહેલગામની બૈસરન વેલીમાં હુમલો કરનારા આતંકવાદીઓએ ટૂરિસ્ટને ધર્મ પૂછીને ગોળી મારી હતી. અગાઉના દરેક પાકિસ્તાની આર્મી ચીફે તખતાપલટ કર્યો પાકિસ્તાનનો કલંકિત ઈતિહાસ એ રહ્યો છે કે પાકિસ્તાનમાં ક્યારેય સરકારનું પાંચિયુંય ઊપજ્યું નથી. દર વખતે આર્મી ચીફે તખતાપલટ કરીને સત્તા આંચકી લીધી છે. હવે અત્યારના આર્મી ચીફ અસીમ મુનીર આ જ રસ્તે જઈ રહ્યા છે. અગાઉના પાકિસ્તાની આર્મી ચીફની સત્તા લાલસાનો ઈતિહાસ સંક્ષિપ્તમાં વાંચો… 1. જનરલ અયુબ ખાન 1947માં ભાગલા વખતે પાકિસ્તાનમાં રહ્યા. 1948માં મેજર જનરલ અને 1951માં પાકિસ્તાનના આર્મી કમાન્ડર ઈન ચીફ બન્યા. 1954માં પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર બન્યા. 1958માં રાષ્ટ્રપતિ ઈસ્કંદર મિર્ઝાએ અયુબ ખાનને માર્શલ લો

એડમિનિસ્ટ્રેટર બનાવ્યા. દગાખોર અયુબ ખાને ઈસ્કંદર મિર્ઝાને જ સત્તા પરથી હટાવ્યા ને પોતે રાષ્ટ્રપતિ બની ગયા. આ રીતે પાકિસ્તાનને પહેલો સૈન્ય તાનાશાહ મળ્યો. સૈન્યમાં ન હોવા છતાં અયુબ ખાને પોતાને પાકિસ્તાનના પહેલા ફિલ્ડ માર્શલ તરીકે ગણાવી દીધા ને આ પદવી લઈ લીધી. 2. જનરલ યાહ્યા ખાન યાહ્યા ખાન અને ભારતના ફિલ્ડ માર્શલ સેમ માણેકશો સારા મિત્રો હતા. બંનેએ બીજા વિશ્વયુદ્ધમાં સાથે લડાઈ કરી. ભાગલા પછી યાહ્યા ખાન પાકિસ્તાન ગયા ને 34 વર્ષની ઉંમરે પાકિસ્તાનના સૌથી યુવા બ્રિગેડિયર બન્યા. 40 વર્ષની ઉંમરે સૌથી યુવા જનરલ બન્યા. 1965ના યુદ્ધમાં ઓપરેશન ગ્રાન્ડ સ્લેમની કમાન સંભાળી, પણ ઓપરેશન ફેલ રહ્યું. 1965માં પાકિસ્તાની આર્મીના કમાન્ડર ઈન ચીફ બન્યા. 1969માં અયુબ ખાને દબાણમાં આવીને સત્તા યાહ્યા ખાનને સોંપી દીધી અને માર્શલ લો લગાવી દીધો. એ પછી નવા રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ યાહ્યા ખાનને હાઉસ અરેસ્ટમાં રાખ્યા ને 1980માં ત્યાં જ મોત થયું. 3. જનરલ ઝિયા-ઉલ-હક બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મ્યાનમારમાં તહેનાત હતા. ભાગલા વખતે પાકિસ્તાન ચાલ્યા ગયા. પેલેસ્ટાઈન વિરુદ્ધ ઓપરેશન બ્લેક સપ્ટેમ્બર ચલાવ્યું. 1965 અને 1971ના યુદ્ધમાં ભારત વિરુદ્ધ લડ્યા. પીએમ ઝુલ્ફીકાર

અલી ભુટ્ટોએ 1976માં ઝિયા-ઉલ-હકને આર્મી ચીફ બનાવ્યા. 1977માં ઝિયાએ ઓપરેશન ફેયર પ્લે ચલાવીને તખતાપલટો કરી નાખ્યો. 1978માં ઝિયા રાષ્ટ્રપતિ બની ગયા ને ઈસ્લામીકરણનો દોર શરૂ કર્યો. 1988માં પ્લેન ક્રેશમાં ઝિયાનું મોત થયું. કાશ્મીરમાં આતંકવાદ, ધાર્મિક ઉગ્રવાદ, જેહાદ, સુસાઈડ બોમ્બિંગ એ બધું ઝિયા-ઉલ-હકની જ દેન છે. તેમણે જ કાશ્મીરમાં આતંકવાદ શરૂ કરાવ્યો. ઝિયા-ઉલ-હકે પૂર્વ પીએમ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને પછી પણ બહુ પરેશાન કર્યા ને છેલ્લે સુધી લડત આપી તેને ફાંસીએ ચડાવી દીધા. 4. જનરલ પરવેઝ મુશર્રફ 1943માં નવી દિલ્હીમાં જન્મ થયો ને ભાગલા વખતે પાકિસ્તાન ગયા. 1964માં આર્મી જોઈન કરી. 1965 અને 71ની ભારત વિરુદ્ધ લડાઈ લડી. 1988માં પાકિસ્તાનના આર્મી ચીફ બન્યા. 1999માં કારગિલમાં ઘૂસણખોરી કરાવી ને ભારત સાથે લડાઈ કરી. એ લડાઈમાં મુશર્રફને કારમી હાર મળી. 7 વર્ષ સુધી પાકિસ્તાનના સ્પેશિયલ સર્વિસ કમાન્ડો ગ્રુપમાં રહ્યા. આ દરમિયાન સિયાચીન ગ્લેશિયરમાં ભારતીય સેના પર હુમલો કર્યો, પણ નિષ્ફળ ગયા. ઓક્ટોબર 1999માં મુશર્રફે પીએમ નવાઝ શરીફની સત્તા છીનવી. પોતે રાષ્ટ્રપતિ બની ગયા ને પાકિસ્તાનમાં માર્શલ લો લગાવી દીધો. મુશર્રફનો સૂરજ અસ્ત થવા લાગ્યો પછી 2016માં દુબઈ ગયા,

જ્યાં 2023માં તેનું મોત થયું. 5. જનરલ અસીમ મુનીર 1968માં રાવલપિંડીમાં જન્મ. 1986માં પાકિસ્તાની સેનામાં એન્ટ્રી. 2017માં પાકિસ્તાની મિલિટરી ઈન્ટેલિજન્સના ડાયરેક્ટર જનરલ (DG) બન્યો. 2018માં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIનો ડાયરેક્ટર પણ બન્યો. વડાપ્રધાન ઈમરાન ખાન સાથે ઝઘડો થતાં 8 મહિના પદ પરથી હટાવી દેવાયો. એ પછી તે શહેબાઝ શરીફનો ખાસ બની ગયો. 2022માં વડાપ્રધાન શહેબાઝ શરીફે આર્મી ચીફ બનાવી દીધો. અસીમ મુનીરને મુલ્લા કે મૌલાના પણ કહેવાય છે કારણ કે તેની કટ્ટર ઈસ્લામિક વિચારધારા છે અને તેને આખી કુર્રાન યાદ છે. અસીમનો કાર્યકાળ 2025માં પૂરો થવાનો હતો, પણ શરીફ સરકારે એને વધારીને 2027 કરી દીધો. હવે તેને ફિલ્ડ માર્શલ બનાવી દેવાયો છે. તે ગમે ત્યારે બીજા આર્મી ચીફની જેમ શરીફની પીઠમાં છરો મારી શકે છે. ઝિયા-ઉલ-હક અને મુનીરની સામ્યતા પાકિસ્તાનના એક સમયના આર્મી ચીફ જનરલ ઝિયા-ઉલ-હકના કાર્યકાળને પાકિસ્તાનમાં ઇસ્લામીકરણનો સમયગાળો માનવામાં આવે છે. સત્તામાં આવ્યા પછી તેમણે રાજકીય પક્ષોને કહ્યું હતું કે બધા પક્ષોએ ઇસ્લામ અનુસાર કામ કરવું જોઈએ, કારણ કે આ દેશ ઇસ્લામના નામે બનાવવામાં આવ્યો હતો અને ઇસ્લામના નામથી જ ટકી રહેશે. ઝિયાએ

ઇસ્લામ પર આધારિત વિવાદાસ્પદ 'હુદૂદ અધ્યાદેશ' લાગુ કર્યા. આ વટહુકમ વિશે પાકિસ્તાની પત્રકાર મુર્તઝા રઝવી તેમના પુસ્તકમાં લખે છે, ઝિયાનો આ વટહુકમ એવો હતો કે જો કોઈ મહિલા પોતાની નિર્દોષતા સાબિત કરવા માગે છે તો તેણે પોતાની સાથે થયેલા દુષ્કર્મના ચાર પુરુષ સાક્ષી રજૂ કરવા પડશે. અસીમ મુનીર પણ ઝિયાની જેમ કટ્ટર ઈસ્લામિક વિચારધારા ધરાવે છે. 2019માં પુલવામામાં CRPF કાફલા પર હુમલો થયો ત્યારે મુનીર ISI ચીફ હતો. કહેવાય છે કે આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે મળીને મુનીરે પુલવામા એટેકનો પ્લાન બનાવ્યો હતો. 22 એપ્રિલ 2025માં પહેલગામ આતંકી હુમલો થયો એ પહેલાં 16 એપ્રિલે મુનીરે ભડકાઉ ભાષણ આપ્યું હતું. એમાં મુનીરે હિન્દુઓની ટીકા કરી હતી. દરેક બિઝનેસમાં પાકિસ્તાની આર્મીનો દબદબો પાકિસ્તાની લેખિકા આયેશા સિદ્દિકાએ એક પુસ્તક લખ્યું હતું. નામ હતું - મિલિટરી ઈન્ક.: ઇનસાઈડ પાકિસ્તાન મિલિટરી ઇકોનોમી. એમાં પાકિસ્તાની ફોજના બિઝનેસ મોડલને એક્સપોઝ કર્યું હતું. આયેશાએ લખ્યું હતું કે પાકિસ્તાની આર્મીની ફૂડ, ડેરી ઉદ્યોગ, સિમેન્ટ ફેક્ટરીઓ, રિયલ એસ્ટેટમાં ભાગીદારી છે. તે દેશનાં ઘણાં શહેરોમાં સ્કૂલ અને કોલેજ ચલાવે છે. ISI સાથે મળીને આર્મી અફીણનો

બહુ મોટો વેપાર કરે છે. આર્મી શાહીન ફાઉન્ડેશનના નામે પણ અલગ અલગ બિઝનેસ ચલાવે છે. એમાં શાહીન એરપોર્ટ, શાહીન એરોટ્રેડ, શાહીન કોમ્પ્લેક્સ સામેલ છે. 2016માં પાકિસ્તાની સંસદમાં એક રિપોર્ટ મૂકવામાં આવ્યો હતો, એમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાની સેના 2 લાખ 40 હજાર કરોડનો બિઝનેસ કરે છે. એમાં 50થી વધારે બિઝનેસ સામેલ છે. 2023માં આ ટર્નઓવર 3 લાખ 20 હજાર કરોડનું થઈ ગયું હતું. પાકિસ્તાનની કુલ જમીનના 12% જમીન આર્મીના હાથમાં છે, એટલે પાકિસ્તાનમાં તેને બિગેસ્ટ લેન્ડ ગ્રેબર કહે છે. આર્મીના શાસનને કારણે પાકિસ્તાનના બિઝનેસમાં પગપેસારો મજબૂત બનતો ગયો. આ સિલસિલો આજે પણ ચાલુ છે. છેલ્લે, પાકિસ્તાને ડરપોક અસીમ મુનીરને ફિલ્ડ માર્શલનું બિરુદ આપી દીધું, પણ આ બિરુદની ગરિમાને લાંછન પણ લગાડ્યું છે. ફિલ્ડ માર્શલ તો ભારતમાં હતા, 1973માં સેમ માણેકશો અને 1976માં કે.એમ. કરિઅપ્પાને યુદ્ધમાં અસાધારણ ઉપલબ્ધિ માટે ફિલ્ડ માર્શલની ઉપાધિ આપવામાં આવી. સેમ માણેકશોએ તો 96 હજાર પાકિસ્તાની સૈનિકોને સરેન્ડર કરવા મજબૂર કરી દીધા હતા. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ... કાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

Leave a Reply

Related Post