ચાની લારી ચલાવતા પિતાનો પુત્ર બોર્ડ ફર્સ્ટ: કોરોનામાં પિતાની છત્રછાયા ગુમાવનાર ધાર્મીએ હાર ના માની, પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ કુદરતે આપેલી ખામીને ખૂબીમાં પરિવર્તિત કરી

ચાની લારી ચલાવતા પિતાનો પુત્ર બોર્ડ ફર્સ્ટ:કોરોનામાં પિતાની છત્રછાયા ગુમાવનાર ધાર્મીએ હાર ના માની, પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ કુદરતે આપેલી ખામીને ખૂબીમાં પરિવર્તિત કરી
Email :

ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું. ટોપ કરનાર અને સારા ટકા મેળવનાર વિદ્યાર્થીઓને લોકોએ શુભેચ્છા આપી પરંતુ તેની પાછળ ઘણો સંઘર્ષ છુપાયેલો છે. જેમાં રાજકોટમાં ચાની લારી ચલાવતા પિતાનો પુત્ર રાજ પરમાર બોર્ડ ફર્સ્ટ આવ્યો છે, તો કોરોનામાં પિતાની છત્રછાયા ગુમાવનાર ધાર્મીએ હાર ના માની. તો પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ ઉર્વી રાઠી અને યેશા મકવાણાએ કુદરતે આપેલી ખામીને ખૂબીમાં પરિવર્તિત કરી સિદ્ધિ હાંસલ કરી બતાવી દીધું કે લહેરો સે ડર કર નૌકા પાર નહિં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહિ હોતી... ચાની લારી ચલાવતા પિતાનો પુત્ર રાજ પરમાર બોર્ડ ફર્સ્ટ આવ્યો ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં રાજકોટ શહેર અને જિલ્લાનું પરિણામ 93.66% જાહેર થયું છે. આમ ગત વર્ષની સરખામણીએ રાજકોટ શહેર તેમજ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 1.14% જેટલું વધુ હોવાનું સામે આવ્યું છે. જેમા શહેરની મોદી સ્કૂલના વિદ્યાર્થી રાજ પરમારને 99.99 PR આવ્યા છે. જેના પિતા ચાની લારી ચલાવે છે. અભ્યાસની સાથે ચાની લારીએ પિતાને મદદ કરતા પુત્રએ ઉજ્જવળ પરિણામ હાંસલ કરતા પરિવારમાં

હર્ષનો માહોલ છે અને હવે આ દીકરો CA બનવા માંગે છે. એકાઉન્ટ, અર્થશાસ્ત્ર, એસપી અને સીસીમાં 100માંથી 100 માર્ક્સ આવ્યા રાજ પરમારે જણાવ્યુ હતું કે, મારે એકાઉન્ટ, અર્થશાસ્ત્ર તેમજ SP CC જેવા વિષયમાં 100માંથી 100 માર્ક્સ આવ્યા છે. મારા પિતા નારણભાઈ છેલ્લા 7 વર્ષથી ચાની લારી ચલાવે છે. હું રોજ સ્કૂલ દ્વારા આપવામાં આવતું ડે ટુ ડે વર્ક કરતો હતો. તેમજ સ્કૂલ દ્વારા યુનિટ ટેસ્ટ, વિકલી ટેસ્ટ તેમજ ડિઝાઇનર ટેસ્ટ લેવામાં આવતી હતી. તે તમામ ટેસ્ટમાં પણ હું સારો દેખાવ કરતો હતો. કોરોનામાં પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીની સિદ્ધિ રાજકોટની ધાર્મી કથીરિયાએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99.99 PR મેળવીને પરિવારનું અને શાળાનું નામ રોશન કર્યું છે. કોરોનામાં પિતાની છત્રછાયા ગુમાવી પણ દીકરીએ હાર ન માની અને પિતાના સપનાને પુરા કરવા માટે બોર્ડમાં 99.99 PR મેળવ્યાં. દીકરીએ કોરોનાકાળમાં પિતાને ગુમાવ્યા હતા ધાર્મી કથીરિયા કહે છે કે મે 99.99 PR મેળવ્યાં છે.અમને અમારી શાળાનો ખુબ જ સપોર્ટ મળતો હતો.આ સાથે જ મને મારા માતાનો ખુબ જ સપોર્ટ મળ્યો હતો.આ દીકરીએ કોરોનાકાળમાં પિતાને

ગુમાવ્યા હતા.પણ તેની માતા અને ભાઈજીના સપોર્ટથી આજે તે આગળ આવી છે. ‘બાળકોને ભણાવવામાં મારા પતિના મોટાભાઈનો ખુબ જ સપોર્ટ છે’ ધાર્મી કથીરિયાના માતા બીનલબેન કહે છે કે મારા પતિનું કોરોનાકાળ દરમિયાન અવસાન થયું હતું.જે બાદ પરિવારની જવાબદારી અમારા પર આવી પડી હતી.મારે બે સંતાન છે અને અમને અમારા પરિવારનો ખુબ જ સપોર્ટ છે.મારી દીકરી અને દીકરાને ભણાવવામાં મારા પતિના મોટાભાઈનો ખુબ જ મોટો સપોર્ટ છે. અમદાવાદની દિવ્યાંગ દીકરી ઉર્વી રાઠીએ 90 ટકા મેળવ્યા ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે જેમાં અમદાવાદની દિવ્યાંગ દીકરી ઉર્વી રાઠીએ 90 ટકા મેળવ્યા છે. આ દીકરીએ સામાન્ય વિદ્યાર્થીઓની સાથે સામાન્ય વિદ્યાર્થીની જેમ જ ભણીને પરિણામ મેળવ્યું છે. દીકરી હવે BBA અને MBA કરવા માંગે છે. દીકરીએ કહ્યું કે મારી બ્લાઇડનેસ વિક્નેસ નથી. ‘જન્મથી જ બ્લાઇન્ડ હતી’ દિવ્યાંગ વિદ્યાર્થિની ઉર્વી રાઠીએ જણાવ્યું હતું કે ધો-12 કોમર્સમાં 90 ટકા મેળવ્યા છે. જન્મી ત્યારથી બ્લાઇન્ડ હતી. શરૂઆતમાં મારું વિઝન ઓછું હતું અને ધીમે ધીમે સાવ બંધ થઈ ગયું. મને ખબર હતી કે આગળ જતા મને તકલીફ

પડશે. પરંતુ મારે અભ્યાસ કરવો હતો. તેથી હું કોઈ હેલ્પર કે રીડર સાથે રાખીને હંમેશા અભ્યાસ કરતી હતી. હું ધો. 12માં આવી ત્યારે મારી મિત્ર કૈલાશ, મારો ભાઈ પ્રીત, ખુશી અને વંશે મને ખૂબ જ મદદ કરી છે. હું જ્યારે કહું ત્યારે તેઓ મને વાંચી આપતા હતા. ‘હું બ્લાઇન્ડ છું પરંતુ મારે બ્લાઇન્ડનેસને વિક્નેસ નથી સમજવી’ હું દિવસમાં ઈચ્છા થાય ત્યારે અભ્યાસ કરી લેતી હતી. મને એચ.બી.કે સ્કૂલમાં શિક્ષકોએ પણ ખૂબ મદદ કરી હતી. મારે સામાન્ય વિદ્યાર્થી સાથે જ અભ્યાસ કરવો હતો. કારણ કે હું જાણું છું કે હું બ્લાઇન્ડ છું પરંતુ મારે બ્લાઇન્ડનેસને વિક્નેસ નથી સમજવી. સામાન્ય વિદ્યાર્થીઓની સાથે જ હરીફાઈ કરીને હું પરિણામ લાવી છું. મારી બહેન પણ બ્લાઇડ છે જે TDO છે તે મારી રોલ મોડલ છે. મારે BBA અને MBA કરવું છે. ગુજરાતીમાંથી અંગ્રેજી માધ્યમમાં આવી તે મારા માટે ચેલેન્જ વડોદરાની દિવ્યાંગ વિદ્યાર્થિની યેશા મકવાણાએ અદભૂત સફળતા હાંસલ કરી છે. બંને આંખે દૃષ્ટિ ન હોવા છતાં યેશાએ બીઆરજી ગ્રુપની ઉર્મિ સ્કૂલમાં ધોરણ-12 (ઇંગ્લિશ માધ્યમ, આર્ટ્સ)માં

96.23 પી.આર મેળવ્યા છે. જન્મથી દિવ્યાંગ યેશાએ કુદરતે આપેલી ખામીને ખૂબીમાં પરિવર્તિત કરી છે. તેણે બ્રેઇલ લિપિની મદદથી પરીક્ષાના જવાબો કમ્પ્યૂટર દ્વારા લખ્યા હતા. દીકરી હવે ગ્રેજ્યુએશન કરી યુ.પી.એસ.સી પરીક્ષા પાસ કરી ઓફિસર બનવા માંગે છે. યેશાએ સામાન્ય વિદ્યાર્થીઓની જેમ તૈયારી કરી ઉચ્ચ સિદ્ધિ મેળવી સ્કૂલના પ્રિન્સિપાલના જણાવ્યા અનુસાર યેશાએ સામાન્ય વિદ્યાર્થીઓની જેમ તૈયારી કરી ઉચ્ચ સિદ્ધિ મેળવી છે. વડોદરાની ઉર્મિ સ્કૂલ, જે દિવ્યાંગો માટે સમર્પિત છે, તેની આ વિદ્યાર્થિની યેશા મકવાણાએ સૌ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુજરાતી મીડિયમમાંથી અંગ્રેજી માધ્યમમાં એડમિશન લીધું હતું આ અંગે યેશા મકવાણાએ જણાવ્યું હતું કે, આ પરીક્ષામાં મેં સામાન્ય વિદ્યાર્થી તરીકે આપી હતી. પરંતુ મારા માટે એક ચેલેન્જ હતી કે મેં ગુજરાતી મીડિયમમાંથી સીધું ધોરણ 11માં અંગ્રેજી માધ્યમમાં એડમિશન લીધું હતું. એક વર્ષ થતા મને આ બાબતની આદત પડી ગઈ હતી. આગળ UPSCની પરીક્ષા આપવાનો ગોલ છે. પહેલાં ડિપેન્ડન્ટ રહેવું પડતું હતું વધુમાં કહ્યું કે, પહેલાના સમયમાં ખૂબ જ મુશ્કેલ હતી કારણ કે રાઇટરને જવાબ કહેવાના અને પછી તે લખે અને તેમાં

સમય પણ વધારે જતો હતો અને તેના કારણે ડિપેન્ડન્ટ લાગતું હતું. અને હવે કોમ્પ્યુટર પર પરીક્ષા આપવા માટે ગુજરાત બોર્ડે પરમિશન આપી તેઓનો પણ આભાર માનું છું. આ પરીક્ષા માટે રોજે રોજ ટાઈપિંગ પ્રેક્ટિસ કરવી પડતી હતી. અત્યાર સુધી પ્રજ્ઞાચક્ષુ માટે માતા પિતાએ બીજા પર આધાર રાખવો પડતો આ અંગે વિદ્યાર્થીના પિતા વિજય મકવાણાએ જણાવ્યું હતું કે, આજનું પરિણામ ખૂબ સારું રહ્યું છે. પરીક્ષા માટે અત્યાર સુધી પ્રજ્ઞાચક્ષુ માટે માતા પિતાએ બીજા પર આધાર રાખવો પડતો હતો, પરંતુ આજે ડિજિટલ વર્લ્ડમાં ટેક્નોલોજીના માધ્યમથી મારી દીકરીએ પરીક્ષા આપી હતી. જન્મથી જોઈ નથી શકતી, છતાં પણ તેનું સપનું પૂરું કર્યું આ અંગે તેની માતા વિલાસબેને જણાવ્યું હતું કે, તેનું પરિણામ ખૂબ જ સારું આવ્યું છે. હું એક હાઉસવાઇફ છું અને મારે બે બાળકો છે. તે જન્મથી જોઈ નથી શકતી છતાં પણ તેને તેનું સપનું આજે પૂરું કરી બતાવ્યું છે. ધોરણ 10માં તેને ટોપ કર્યો હતો અને ધોરણ 12માં પણ તેને ખૂબ સારું પરિણામ આવ્યું છે. યેશા પાછળ મારી કોઈ મહેનત નથી,

માત્ર આ તેની મહેનત છે. અમારી દીકરી દિવ્યાંગ હોવા છતાં અમે અભ્યાસ કરાવીએ છીએ, ઘણા વાલીઓ દિવ્યાંગ બાળકોને ભણાવતા નથી. સ્કુલનું પણ સપનું હતું કે યેશાને આઈએએસ બનાવીયે અને અમારું પણ આ સપનું છે. UPSC માટે એકસ્ટ્રા ક્લાસીસ ચાલી રહ્યા છે અને તે તૈયારી કરી રહી છે. દીકરી આ પરીક્ષા માટે કયાંય પણ જવા માટે તૈયાર છે. રત્નકલાકારની દીકરીનું કફોડી પરિસ્થિતિ વચ્ચે ઝળહળતું પરિણામ માતાનું નિધન, પિતા કડિયાકામ કરે છે ધો-12 કોમર્સની વિદ્યાર્થિની ક્રિષ્ના મનાણીને 99.39 પર્સન્ટાઇલ આવેલા છે. તે સવા વર્ષની હતી ત્યારે માતાનું પેટમાં ગાંઠને કારણે અવસાન થયું હતું. જે બાદ તેના પિતાએ કડિયા કામ કરી દીકરીને ભણાવી અને હવે આ દીકરી UPSC ક્રેક કરી IAS અધિકા બનવા માંગે છે. સ્કૂલમાં જે ભણાવતા તેનું ઘરે જઈને રિવિઝન કરતી વિઝન સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, મારે ધો-12 કોમર્સમાં 99.39 પર્સન્ટાઇલ આવેલા છે. જેથી હું ખૂબ ખુશ છું. કારણકે મેં ખૂબ જ મહેનત કરેલી છે. સ્કૂલે જે ભણાવવામાં આવતું હતું તે ઘરે જઈને ફરી રિવિઝન કરતી હતી.

રાત્રે ત્રણ વાગ્યા સુધી વાંચન કરતી હતી. અમારી સ્કૂલમાં દરરોજ પરીક્ષા લેવામાં આવતી હતી અને તે તમામ પરીક્ષાઓ આપતી હતી અને તેમાં ખૂબ જ સારા માર્ક પણ મળતા હતા. પિતા કડિયા કામ કરે છે અને મને ખૂબજ સપોર્ટ કરે છે મારા પિતાનું નામ મનસુખભાઈ મનાણી છે અને તેઓ કડિયા કામ કરે છે. પિતાએ મને કાયમ સપોર્ટ કર્યો છે અને તેમને એક પણ વખત એવું કહ્યું નથી કે નથી ભણવું. મારા માતાનું નામ દક્ષાબેન છે અને હું જ્યારે સવા વર્ષની હતી ત્યારે તેમનું પેટમાં ગાંઠ હોવાથી અવસાન થઈ ગયું હતું. મારા પિતાએ મને ખૂબ જ સારી રીતે સાચવી છે અને મારા માતાની ખોટ વર્તાવા દીધી નથી. સવારે 9:00 વાગ્યાથી ઘરકામ પૂર્ણ કરી બપોરે 12:00 વાગ્યે સ્કૂલે આવતી હું ભણવાની સાથે સાથે દરરોજ ઘરકામ કરતી હતી સવારે 9:00 વાગ્યાથી ઘરકામ પૂર્ણ કરી બપોરે 12:00 વાગ્યે સ્કૂલે આવતી હતી. જે બાદ સ્કૂલનુ હોમવર્ક અને રિવિઝન પણ કરતી હતી. યોગ્ય રીતે ટાઈમ મેનેજમેન્ટ કરી હું ભણતી હતી. આગળ હું યુપીએસસી ક્લિયર કરવા માગું

છું અને મારા પિતાનું નામ રોશન કરી તેમની દીકરી નહીં પરંતુ દીકરો બની બતાવવા માંગુ છું. ‘ઘરની પરિસ્થિતિ જોઈને મેં અભ્યાસ કર્યો’ અમદાવાદમાં નાનપણમાં પિતાની છત્રછાયા ગુમાવનાર અજય નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે મારે 85 ટકા આવ્યા છે. મારા પિતાનું 8 વર્ષ અગાઉ અવસાન થઈ ગયું છે. પિતાના ગયા બાદ ઘરની જવાબદારી મારા માતા પર આવી ગઈ હતી. મારા માતા ટિફિન બનાવવાનું કામ કરે છે. પિતાની ગેરહાજરીમાં ઘણી મુશ્કેલીઓ પડતી હતી. ખાવા-પીવાની પણ તકલીફ પડતી હતી પરંતુ ઘરની પરિસ્થિતિ જોઈને મેં અભ્યાસ કર્યો છે. મારે હવે MSC IT કરવું છે અને મારા પરિવારને મદદ કરવી છે. પિતા દિવસે સિલાઈ કામ અને રાતે હોમગાર્ડમાં નોકરી કરે છે: માનવ માનવ રાઠોડ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે મારે 85 ટકા પરિણામ આવ્યું છે. મારા પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. મારા પિતા 2 અલગ અલગ નોકરી કરી મને ભણાવે છે. મારા પિતા દિવસે સિલાઈ કામ અને રાતે હોમગાર્ડમાં નોકરી કરે છે. મારે હવે CA કરવું છે. CA કરીને પિતાની આર્થિક મદદ કરવી છે.

Leave a Reply

Related Post