32 કલાકમાં 850 કરોડની દુકાનો કેમ ભસ્મીભૂત થઈ?: બેઝમેન્ટમાં દુકાનોથી લઈ ફાયર NOC આપવામાં ભયંકર બેદરકારી, આગ કાબૂમાં આવતાં વેપારીઓ માર્કેટ પર પહોંચ્યા

32 કલાકમાં 850 કરોડની દુકાનો કેમ ભસ્મીભૂત થઈ?:બેઝમેન્ટમાં દુકાનોથી લઈ ફાયર NOC આપવામાં ભયંકર બેદરકારી, આગ કાબૂમાં આવતાં વેપારીઓ માર્કેટ પર પહોંચ્યા
Email :

તંત્રની ભયંકર બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે સુરત અને અગ્નિકાંડ એકબીજાના પર્યાય બની ગયા હોય એમ લાગે છે. 24 મે, 2019ના રોજ સુરતની ધરતી પર તક્ષશિલા આર્કેડમાં એકસાથે 22 માસૂમ બાળક આગની ઝપેટમાં આવી જતાં મૃત્યુ નીપજ્યાં હતાં. આમ છતાં આ ઘટનામાંથી કોઈ બોધપાઠ લીધો ન હોય એ વાત શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગતાં સ્પષ્ટ થઈ ગઈ છે. સુરતીઓને એક જ સવાલ થાય છે કે યે આગ બૂઝતી ક્યું નહીં? 26 ફેબ્રુઆરીના રોજ સવારના 7 વાગ્યે લાગેલી આગ 27 ફેબ્રુઆરીના બપોરના 3 વાગ્યે માંડ કાબૂમાં આવી હતી. આમ, 32 કલાકમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી 822 દુકાનમાંથી 700 જેટલી દુકાનો તો ખાક થઈ ગઈ છે, જેને કારણે 850 કરોડનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ આગથી તંત્રની પોલ ખૂલી ગઈ છે. સુરત શહેરના એકપણ જવાબદાર અધિકારી પાસે આગ લાગવા પાછળના કારણ નથી. માત્ર એટલું જ નહીં, ફાયર એનઓસી આપવામાં પણ બેદરકારી દાખવી છે એ વાત પણ નક્કી છે. ગુરુવારે આગ કાબૂમાં

આવ્યા બાદ શુક્રવારે સવારે મોટા ભાગના વેપારીઓ માર્કેટ પર પહોંચ્યા હતા અને પોતાની દુકાનોમાં કેટલું નુકસાન થયું છે એ જાણવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હાલ કામગીરી ચાલુ હોય તંત્ર દ્વારા તેમને રોકી દેવામાં આવ્યા હતા. એક વેપારીના 20 કરોડ રૂપિયા રોકડા સળગી ગયા આગની આ ઘટનામાં એક વેપારીના રોકડા રૂ. 20 કરોડ સળગીને ખાક થઈ ગયા છે. વેપારીએ મેયર પાસે આવી આજીજી કરી હતી કે સાહેબ, કંઈપણ કરો મને અંદર જવા દો, મારી દુકાનમાં રોકડા રૂ. 20 કરોડ છે. આ બધા રૂપિયા મારા નથી, અલગ-અલગ પાર્ટીઓના છે. રૂપિયાને કંઈક થયું તો હું બરબાદ થઈ જઈશ, પરંતુ વેપારીની આખી દુકાન આગની ચપેટમાં હતી એટલે મેયરે વેપારીને અંદર જવા દેવાની પરવાનગી આપી ન હતી. શિવશક્તિ માર્કેટની 500 દુકાનમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ હતું, જ્યારે અન્ય દુકાનોમાં સાડીના પેકિંગ માટેનાં બોક્સ અને પેકેજિંગ મટીરિયલ્સ હતું. આ માર્કેટમાં દુકાન ધરાવતા તમામ વેપારીઓ પાયમાલ થઈ ગયા છે. આગ ઓલવવાની પ્રક્રિયામાં અંદાજિત 70 લાખ લિટર પાણીનો ઉપયોગ કરવામાં

આવ્યો છે. વેપારીઓ અને ફાયરના જવાનોની મદદ માટે ફોસ્ટાના ડિરેક્ટરો અને 100 લોકોની ટીમ ખડેપગે રહી હતી. આગમાં વેપારીઓના માલની સાથે રૂપિયા ચુકવણી અને ઉઘરાણી માટેની બિલબુક સહિતની તમામ વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી. આગ પર કાબૂ આવ્યા બાદ વેપારીઓ દુકાનો જોવા પહોંચ્યા શિવશક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટની અંદર લાગેલી આગને કારણે તમામ દુકાનનો માલસામાન બનીને ખાક થઈ ગયો છે. વેપારીઓ આજે શિવશક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટ પાસે પહોંચી જતાં પોલીસે તેમને વિનંતી કરીને રોકી દીધા હતા. વેપારીઓએ અંદર જઈને પોતાની દુકાન જોવાનો આગ્રહ રાખ્યો હતો, જોકે પોલીસ અધિકારીઓ દ્વારા તેમને સમજાવીને ઊભા રાખી દેવાયા હતા. વેપારીઓ મોટી સંખ્યામાં આવતાંની સાથે જ અધિકારીઓએ તેમને રોકી લીધા હતા અને અત્યારે પણ અંદર જે કામગીરી ચાલી રહી છે એ વાતની સમજણ આપી હતી અને અંદર જવું જોખમી છે પ્રકારની વાત કરી હતી. રામલાલ પુરોહિત નામના વેપારીએ જણાવ્યું હતું કે, અમારી પાંચમા માળ ઉપર દુકાનો હતી, એ બંને ગોડાઉન સળગી ગયા હશે એવી અમને ખાતરી છે, પરંતુ

બીજી પણ અમારી જે દુકાનો છે એની સ્થિતિ કેવી છે એ અંગે અમારે જાણવું છે. અપર ફ્લોર પર બે દુકાન અને ગોડાઉન છે. અમારી એટલી જ માગણી છે કે અંદર જે પણ ફાયરના અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે તેમના તરફથી અમને માહિતી આપવામાં આવી છે કે કયા નંબરની દુકાનને કેટલું નુકસાન થયું છે. જો આ પ્રકારની અમને માહિતી મળી જશે તો અમને થોડીક મદદ થઈ જશે, કારણ કે અત્યારે પણ અમે લોકો ચિંતિત છે કે કેટલી દુકાનોને કેટલું નુકસાન થયું છે, જે અધિકારીઓ કામ કરી રહ્યા છે તેમના તરફથી અમને સ્પષ્ટતા મળી જાય તો અમને થોડી રાહત થઈ જશે. વેપારી ધીરજ બાફનાએ જણાવ્યું હતું કે, અમારી દુકાનોને અને માલને ખૂબ મોટું નુકસાન થયું છે, જોકે હજી પણ અમારી દુકાન સળગી ગઈ છે કે કેમ એ સ્પષ્ટ થયું નથી, કારણ કે કદાચ કેટલીક દુકાનો બાકી રહી ગઈ હશે. અમને આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાતમી તારીખે સુરત પ્રવાસે આવી રહ્યા છે

ત્યારે અમારા ટેક્સટાઇલ વેપારીઓને જેમને નુકસાન થયું છે તેમને આર્થિક સહાયની જાહેરાત કરે. સીઆર પાટીલ, અમિત શાહ પણ અમારું જે નુકસાન થયું છે એમાં થોડી આર્થિક સહાય આપે. FOSTA વેપારીઓની મદદ માટે આગળ આવ્યું ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા શિવશક્તિ માર્કેટ રિલીફ કમિટીની રચના કરવામાં આવી છે. ટેક્સટાઇલ સાથે જોડાયેલા કોઈપણ ઘટકની વ્યક્તિ આમાં આર્થિક મદદ આપી શકશે, જેનો સૌથી વધારે લાભ વીમા ન હોય તેવા વેપારીઓને આપવામાં આવશે. શિવશક્તિ માર્કેટમાં આગ લાગતાં અનેક દુકાનો બળીને ખાક થઈ ગઈ છે. વેપારીઓનો કરોડો રૂપિયાનો માલ પણ સળગી ગયો છે. દુકાનના સ્ટ્રક્ચરને લઈને પણ ખૂબ મોટું નુકસાન થયું છે. વેપારીઓને આર્થિક રીતે મદદ કરવી જરૂરી છે. ગઈકાલે પણ કેટલાક બિલ્ડરો દ્વારા પોતાની દુકાનોમાં શિવશક્તિ માર્કેટના વેપારીઓને વિનામૂલ્યે દુકાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. એસોસિયેશન દ્વારા આવા લોકો કે જે આર્થિક રીતે પણ મદદ કરી શકે તેમની સહાય વેપારીઓને પહોંચાડવા માટે આગળ આવી રહ્યું છે. ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ એસોસિયેશનના પ્રમુખ કૈલાસ હાકિમે

જણાવ્યું હતું કે વેપારીઓ અને જેમને નુકસાન થયું છે તેમના માટે શિવશક્તિ રિલીફ કમિટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કમિટી દ્વારા એક નંબર જાહેર કરવામાં આવશે, એના પર જે પણ દાતા હશે તેમણે મિસ કોલ કરવાનો રહેશે. મિસ કોલ કર્યા બાદ દાતાને બેન્ક એકાઉન્ટ નંબર જે છે એ આપવામાં આવશે. એકપણ રૂપિયો કેસથી લેવામાં આવશે નહીં. તમામ આર્થિક મદદ પારદર્શક રીતે જમા થાય એવું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. પતરાંના શેડમાં દુકાનો બનાવી ગેરકાયદે પતરાંના શેડમાં દુકાનો બનાવી હોવાથી ટેરેસમાં પતરાંના શેડ ગરમ થતાં ભીષણ આગ લાગી હતી. કુલ 28 દુકાન પતરાંના શેડમાં બનાવવામાં હતી. 25 ફેબ્રુઆરી બાદ 26મીએ કેમ આગ લાગી? 25 ફેબ્રુઆરીએ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગી હતી, જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી. એ બાદ ગતરોજ (26 ફેબ્રુઆરી) સવારે 7 વાગ્યાની આસપાસ ફરી આગ ભભૂકી ઊઠી હતી, જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. 25 ફેબ્રુઆરીએ આગ કાબૂમાં લીધા બાદ કૂલિંગ થઈ ગયું હતું, પણ ઈલેક્ટ્રિક વાયરમાં

કદાચ પાણી રહી ગયું હોવાથી આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોઈએ માર્કેટમાં આવીને સ્વિચ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હોવાથી ફરી આગ શરૂ થઈ હોઇ શકે. રાજ્ય સરકાર આર્થિક પેકેજની જાહેરાત કરે: નરેશ જૈન આ અંગે વેપારી નરેશ જૈને જણાવ્યું હતું કે વેપારીઓને ખૂબ મોટું આર્થિક નુકસાન થયું છે. સરકારે અમને રાહત આપવી જોઈએ. સુરતના ટેક્સટાઇલ વેપારીઓ ખૂબ મોટા પ્રમાણમાં ટેક્સ ચૂકવતા હોય છે. કોર્પોરેશનને પણ ટેક્સ આપે છે. શિવશક્તિ માર્કેટમાં જે આગ લાગી એનાથી ખૂબ મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વખત આવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અમને આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવવી જોઈએ. જે દુકાનોમાં આગ નથી લાગી ત્યાં ઝડપથી વેપારીઓને જવા દેવા જોઈએ. આગ પર કાબૂ મેળવવો કેમ મુશ્કેલ? ટેક્સટાઇલ માર્કેટમાં જ્યારે આગ લાગતી હોય છે ત્યારે તેના પર કાબૂ મેળવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. કારણ કે, કાપડનો જથ્થો હોય એટલે સ્વાભાવિક છે કે, આગ ઝડપથી લાગે છે. પરંતુ તેના ઉપર કંટ્રોલ મેળવવો ખૂબ જ

મુશ્કેલ છે. ખાસ કરીને પોલિયેસ્ટર, સિન્થેટિક કાપડ હોય અને તેમાં જ્યારે આગ લાગે છે ત્યારે તેના પર ઝડપથી કંટ્રોલ આવી શકતો નથી. પેટ્રોલિયમ પેદાશોમાંથી સાડી કે ડ્રેસ મટીરિયલનું કાપડ તૈયાર થતું હોય છે. આ પ્રકારના રો મટીરિયલનો ઉપયોગ થતો હોવાને કારણે આ ઝડપથી પ્રસરી જાય છે. ઘણી વખત આગ ઉપર કાબૂ મેળવાઈ ગયા બાદ પણ એક નાનકડા તણખલાથી આગ ફરીથી ભભૂકી શકે છે. ફોમયુક્ત પાણીનો મારો ચલાવ્યા બાદ પણ કંટ્રોલ બહાર ટેક્સટાઇલ માર્કેટમાં જ્યારે આગ લાગતી હોય છે, ત્યારે ફાયર વિભાગ દ્વારા ફોમયુક્ત પાણીનો મારો ચલાવવામાં આવતો હોય છે. ફોમયુક્ત પાણીમાં કેમિકલ નાખવામાં આવતું હોય છે, જેથી કરીને સિન્થેટિક કાપડ જેવા કેમિકલના રો મટીરિયલથી બનતા કાપડ ઉપર કંટ્રોલ આવી શકે છે. ટેક્સટાઈલ માર્કેટમાં કે કેમિકલ ફેક્ટરીમાં આગ લાગે ત્યારે ફાયર વિભાગ આ જ પ્રકારે ફોમયુક્ત પાણીથી આગ ઉપર કાબૂ મેળવે છે. શિવશક્તિ માર્કેટમાં 853 દુકાનમાં સાડી અને ડ્રેસ મટીરિયલનો જથ્થો ખૂબ જ મોટા પ્રમાણમાં છે. એક માળથી બીજા માળે જવામાં મુશ્કેલી શિવશક્તિ માર્કેટના

એક માળથી લઈને પાંચ માળ સુધી સતત આગ ભભૂકી રહી છે. ટેક્સટાઈલ માર્કેટમાં એક માળથી બીજા માળે જવું આગને કારણે મુશ્કેલ થઈ રહ્યું હતું. ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા શરૂઆતમાં એક માળથી બીજા માળ ઉપર જવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેઓ પણ ફસાઈ ગયા હતા અને સ્થિતિ વધુ ગંભીર જણાતાં નીચે ઊતરી ગયા હતા. ફાયરના અધિકારીઓએ સીધી રીતે પહેલા ફ્લોરથી આગ પર કાબૂ મેળવીને બીજા માળ ઉપર ઝડપથી જઈ શકતા નહોતા તેને કારણે આગ સતત આખા માર્કેટના એક તરફના ભાગે વધુ પ્રસરી ગઈ હતી. અસરગ્રસ્ત વેપારીઓને મદદ કરવા ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને મુશ્કેલીમાં મુકાયેલા વેપારીઓની વહારે આવવા માટે ભલામણ કરી છે. જેમ નાનું બાળક મુશ્કેલીમાં પ્રથમ માતા-પિતાને યાદ કરે એમ આ અસરગ્રસ્ત વેપારીઓને સરકાર પાસે મદદની અપેક્ષા રાખી બેઠા છે. તેઓ ફરીથી વેપારધંધામાં ઊભા થાય અને શહેરની પ્રગતિમાં હિસ્સો બને એ માટે તેમને પગભર કરવા આપણી સરકાર કટિબદ્ધ રહે એવી અપેક્ષાએ તેમને સહયોગ કરી સહાય આપવી જોઈએ.

Related Post