JKના આતંકી હુમલામાં શૈલેષનું બર્થ-ડેના એક દિવસ પહેલાં જ મોત: મૃતદેહને આજ સાંજ સુધીમાં સુરત લવાશે; પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયાની અંતિમ તસવીરો

JKના આતંકી હુમલામાં શૈલેષનું બર્થ-ડેના એક દિવસ પહેલાં જ મોત:મૃતદેહને આજ સાંજ સુધીમાં સુરત લવાશે; પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયાની અંતિમ તસવીરો
Email :

22 એપ્રિલ મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 27 લોકોનાં મોત થયા છે, જેમાં સુરતના શૈલેષ હિંમતભાઈ કળથિયાનું પણ મોત થયું છે. મૂળ અમરેલી જિલ્લાના વતની અને સુરત બાદ છેલ્લા એક વર્ષથી મુંબઈમાં રહેતા શૈલેષ કળથિયા તેમના પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા જેની તસવીરો હાલ સામે આવી છે. પરિવાર ઘોડા પર બેસીને કુદરતના સૌદર્યને નિહાળતો હતો ત્યારે જ અચાનક આંતકવાદીઓએ ધડાધડ

ગોળીબાર કરતા શૈલેશભાઈને ગોળી વાગતા મૃત્યુ થયું હતું. જન્મદિનની ઉજવણી કરવા માટે જ શૈલેષભાઈ કાશ્મીર ગયા હોય એવી શક્યતા છે. જ્યાં જન્મદિવસના એક દિવસ પહેલાં જ તેઓ મૃત્યુ પામ્યા. પરિવાર સાથે ફરવા ગયેલા શૈલેષનું આતંકી હુમલામાં મોત નીપજતા મૃતદેહને આજે સાંજ સુધીમાં સુરત લાવવામાં આવશે અને અહીં જ તેમની અંતિમક્રિયા કરવામાં આવશે. મૃતક શૈલેષના પિતા પણ સુરત આવવા માટે રવાના થઈ ગયા છે. ઘોડા પર જતા હતા ને આતંકી હુમલો થયો 44

વર્ષીય શૈલેષભાઇ હિંમતભાઇ કળથિયા તેમની પત્ની શીતલ કળથિયા, પુત્રી નીતિ અને પુત્ર નક્ષત્ર સાથે મુંબઈથી કાશ્મીર ફરવા માટે ગયા હતા. દરમિયાન શ્રીનગરથી પહેલગામ ફરવા ગયા હતા અને વિવિધ જગ્યાએ ફરીને ગતરોજ 22 એપ્રિલે તેઓ ત્યાંના મિની સ્વિટ્ઝરલેન્ડ ગણાતા બૈસરનવેલીમાં પહેલગામથી ઘોડા પર બેસીને કુદરતી સૌદર્યને નિહાળતા હતા. ત્યારે અચાનક આંતકવાદીઓ દ્વારા ધડાધડ ગોળીબાર કરાતા કળથિયા પરિવારના ચાર સભ્યોમાંથી મોભી એવા શૈલેષભાઈને ગોળી વાગતા મૃત્યુ થયું હતું. પરિવારના અન્ય સભ્યો સહીસલામત છે.

શૈલેષ કળથિયાનો મૃતદેહ આજે સાંજ સુધીમાં લવાશે આ અંગે રેસિડેન્ટ કલેકટર વિજય રબારીએ જણાવ્યું હતું કે, તંત્ર પરિવાર સાથે વાત કરશે. અધિકારીઓએ પરિવારની સંમતિ બાદ મૃતદેહને કાશ્મીરથી મુંબઈ સુધી બાય એર લાવવાની વ્યવસ્થા કરી છે. ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ સુરત લાવવામાં આવશે. હાલ કાશ્મીરમાં સુરતથી માત્ર એક જ પરિવાર હોવાનું જાણવા મળે છે. અન્ય એક યુવક પાટીલ ઇજાગ્રસ્ત હોવાની વાત વચ્ચે સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. જન્મ દિવસના આગલા દિવસે જ શૈલેષનું

મોત શૈલેષભાઈ કળથિયાનો જન્મ 23મી એપ્રિલ 1981ના રોજ થયો હતો. જ્યારે કાશ્મીરમાં ગતરોજ ઘટના બની અને આજે 23મી એપ્રિલ છે. એટલે કે જન્મદિનના એક દિવસ પહેલાં તેમનું મોત થતાં પરિવારમાં પણ શોકની કાલિમા છવાઈ જવા પામી છે. 23મી એપ્રિલના રોજ જન્મ હોવાથી સંભવત જન્મદિનની ઉજવણી કરવા માટે જ શૈલેષભાઈ કાશ્મીર ગયા હોય એવી શક્યતા છે. મૃતદેહ સુરત લાવવામાં આવશે શૈલેષ કળથિયાના મૃત્યુની જાણ થતાં સુરતમાં રહેતાં પરિવાજનો પર આભ તૂટી પડ્યું હતું. મોટા

વરાછા વિસ્તારમાં આવેલા કસ્તુરી બંગલોઝમાં મૃતક શૈલેષના પિતરાઈ ભાઈ મયુર કળથિયા રહે છે. સગા-સંબંધીઓ અહીં એકઠા થયા છે. મૃતદેહને અહીં જ લાવવામાં આવે તેવી શક્યતા છે. શૈલેષભાઈના પિતરાઈભાઈ મયૂર તાકીદે મુંબઈ જવા રવાના થયા હતા. મુંબઈ એરપોર્ટથી તેઓ શ્રીનગર જવા રવાના થયા છે. શૈલેષ કળથિયા એક વર્ષથી મુંબઈમાં પરિવાર સાથે રહેતા હતા શૈલેષ હિંમતભાઈ કળથિયા મૂળ અમરેલીના દામનગરના ધૂફણિયા ગામના વતની છે. જોકે, સુરતના નાના વરાછાના ચીકુવાડી ખાતે આવેલી હરિકુંજ વિભાગ 2માં

29 નંબરનું મકાન તેમનું છે. પિતા પણ ગામમાં રહેતા હોવાથી હાલ ઘર બંધ હાલતમાં છે. જ્યારે પહેલો માળ ભાડે આપેલો છે. શૈલેષભાઈ ચાર બહેનોમાં એકના એક ભાઈ હતા. માતાના અવસાન બાદ પિતા બે વર્ષથી વતનમાં રહે છે. શૈલેષભાઈ SBIમાં કામ કરતા હતા. જોકે, છેલ્લા 1 વર્ષથી મુંબઇની SBIમાં કામ કરી ત્યાં જ પરિવાર સાથે રહેતા હતા. આ અગાઉ 9 વર્ષ તેમણે વડોદરાની SBIમાં કામ કર્યું હતું અને ત્યાં જ રહેતા હતા.

શૈલેષ કળથિયા પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા સુરતમાં રહેતા મૃતક શૈલેષભાઈના પાડોશી બાબુભાઈ વઘાસિયાએ જણાવ્યું હતું કે, શૈલેષભાઈના પરિવારમાં તેમનાં પત્ની, બે બાળકો અને તેમના પિતા છે. તેઓ સુરતના ચીકુવાડીમાં પહેલાં રહેતા હતા. તેમનું અહીં ઘર છે. તેમનાં માતાનું અવસાન બે વર્ષ પહેલાં થયું એટલે તેમના પિતા વતનમાં રહેવા જતા રહ્યા છે. તેઓ કાશ્મીર ફરવા ગયા હતા જ્યાં તેમના પર હુમલો થયો જેમાં તેમનું મોત થયું હોવાના સમાચાર મળ્યા છે. સુરતના

ડિઝાસ્ટર વિભાગના નાયબ મામલતદાર સાજિદભાઈ મેરૂજયે જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં જે આંતકવાદી હુમલો થયો તેમાં 4 વર્ષ પહેલાં સુરતમાં રહેતા અને હાલ મુંબઇ નિવાસી શૈલેષભાઈ કળથિયાનું મોત થયું છે. તેમની સાથે તેમનાં પુત્ર-પુત્રી અને પત્ની પોલીસ અધિક્ષકની કચેરીમાં છે અને તેમના એક કઝિન છે તેઓ મુંબઇથી કાશ્મીર માટે રવાના થયા છે. આ ઉપરાંત સુરતના અન્ય કોઈ વ્યક્તિની ઇજાગ્રસ્ત થવાની ઓફિસિયલ વિગત સ્ટેટ ઇમર્જન્સી સેન્ટર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી નથી.

Leave a Reply

Related Post