Editor's View: અમેરિકા-ચીનનું પાછલાં બારણે સેટિંગ

Editor's View: અમેરિકા-ચીનનું પાછલાં બારણે સેટિંગ:ભારત-પાક. યુદ્ધની સ્થિતિમાં મોટો દાવ રમ્યા, મોદી એકસાથે બે મોરચે લડાઈ લડવા મજબૂર, ટ્રમ્પનું મિડલ ઈસ્ટ પર ફોક્સ
Email :

આજે ત્રણ મુદ્દા વિશે વાત કરીએ... નમસ્કાર, મેદાનમાં લડાઈ કરવી અઘરી છે તેમ ડિપ્લોમેટિક વોર પણ અઘરી છે. ભારત અત્યારે બધે મોરચે લડી રહ્યું છે ને સફળ પણ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના દેશો સાથે ભારતના રાજદ્વારી સંબંધો ડેવલપ કર્યા છે તે હવે કામ લાગે છે. સરહદ પર ભારતે પાકિસ્તાનથી એલર્ટ રહેવાનું છે તો, ચીનની લુચ્ચાઈથી પણ સતર્ક રહેવાનું છે. 1. અમેરિકા-ચીને પાછલા બારણે હાથ મીલાવી લીધા 7મી મેએ ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું તેના બીજા દિવસથી પાકિસ્તાને ડ્રોન મોકલવાનું શરૂ કર્યું. આ બધું ત્રણ દિવસ ચાલ્યું. ભારતનું ધ્યાન સરહદે હતું ત્યાં લુચ્ચા દેશ ચીને ચાલ ચાલી. તેણે અમેરિકા સાથે ટેરિફ વાર રોકવા મિટિંગ ગોઠવી લીધી. અમેરિકાની રાજધાની વોશિંગ્ટનથી 6 હજાર કિલોમીટર દૂર અને ચીનની રાજધાની બેઈજિંગથી 8 હજાર કિલોમીટર દૂર સ્વિત્ઝર્લેન્ડના જિનિવા શહેરમાં 10 અને 11 મેએ અમેરિકા

અને ચીન વચ્ચે મિટિંગ થઈ. આ મિટિંગમાં શું નક્કી થયું તે જાણતાં પહેલાં ટેરિફની ટાઈમ લાઈન જાણી લો... અમેરિકા-ચીન વચ્ચે ટેરિફ વોરની ટાઈમ લાઈન 4 ફેબ્રુઆરી - ટ્રમ્પે ચીન પર ફેન્ટેનિલ ટ્રેડનો આરોપ લગાવીને 10% ટેરિફ લાગૂ કર્યો 3 માર્ચ - ચીન પર ટેરિફ વધારીને 20% કરી દીધો 4 માર્ચ - ચીને અમેરિકાની કૃષિ પ્રોડક્ટ પર 15% ટેરિફ લાગૂ કરી દીધો 2 એપ્રિલ - ટ્રમ્પે લગભગ 90 દેશો પર 'રેસિપ્રોકલ ટેરિફ' લાગૂ કરી દીધો. જેમાં ચીન પર 54% ટેરિફ લગાવી દીધો. 4 એપ્રિલ - ચીને પણ 34% ટેરિફ લગાવ્યો. રેર અર્થ મેટલની નિકાસ સિમિત કરી નાખી. 7 એપ્રિલ - ટ્રમ્પે ચીનને ચેતવણી આપી કે, જે નહીં માને તો હજી વધારે 50% ટેરિફ લગાવીશું. 9 એપ્રિલ - ચીન ઝૂક્યું નહીં એટલે ટ્રમ્પે ટેરિફ 125% કરી દીધો. 10 એપ્રિલ - વ્હાઈટ હાઉસે કહ્યું કે, 125%માં અગાઉનો 20% ટેરિફ પણ લાગૂ

પડશે. એટલે 145% ટેરિફ થઈ ગયો. 11 એપ્રિલ - ચીને પણ અમેરિકા પર 125% ટેરિફ કરી નાખ્યો. 6 મે - અમેરિકાએ ટેરિફ ઘટાડવાનો સંકેત આપ્યો. 9 મે- ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે અમે ટેરિફ ઘટાડીને 80% સુધી કરવા તૈયારી છીએ. 10 મે - જિનિવામાં અમેરિકા અને ચીનના અધિકારીઓએ મિટિંગ કરી. જિનિવામાં મિટિંગ એટલે કરી કારણ કે... અમેરિકા-ચીન વચ્ચે મિટિંગ થઈ તેમાં અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટ અને ટ્રેડ પ્રતિનિધિ જોનસન ગ્રીયર હતા. બીજી તરફ ચીનના વાઈસ પ્રિમીયર હે લિફિંગ અને ચીનના ઈન્ટરનેશનલ ટ્રેડ પ્રતિનિધિ લી ચેંગ ગાંગ હતા. મિટિંગ માટે જિનિવા એટલા માટે પસંદ કરાયું કારણ કે તે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનનું મથક છે. મિટિંગ પછી ચીને માહિતી આપતાં કહ્યું કે, બંને દેશો વચ્ચે સહમતી બની છે કે આર્થિક અને વેપારના મામલે વાતચીત પર એક સિસ્ટમ બનાવાશે. અમેરિકાએ માહિતી આપતાં કહ્યું કે,

અમે એ સમજૂતી પર પહોંચ્યા છીએ કે આગામી 90 દિવસ સુધી ટેરિફમાં કોઈ નવો બદલાવ નહીં થાય. નવા ટેરિફ સ્થગિત કરાયા છે. બંને દેશો એકબીજા પર લગાવેલા ટેરિફને 115% જેટલો ઘટાડી નાખશે. અમેરિકા અને ચીને અચાનક મિટિંગ કેમ ગોઠવી? આવું એટલા માટે થયું કે, ચીનથી માલ આયાત કરીને વેચી રહેલી અમેરિકાની નાની નાની કંપનીઓના જીવ તાળવે ચોટી ગયા હતા અને અમેરિકાની આ કંપનીઓ મંદીના કિનારે આવીને ઊભી હતી. ચીનની જગ્યાએ વિયેતનામ, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડ જેવા દેશો પાસેથી અમેરિકન કંપનીઓ માલ મગાવવાની સપ્લાય ચેઈન ગોઠવી રહી હતી. બીજી તરફ ચીનની ફેક્ટરીઓના કાં તો શટર પડી ગયા અને મોટી નિકાસકાર કંપનીઓ નવા રસ્તા શોધી રહી હતી. આવી સ્થિતિમાં અમેરિકા અને ચીન બંને દેશ મંદી તરફ ધકેલાઈ જાત. આની શરૂઆત પણ થઈ ગઈ હતી. બંને દેશને સમજાયું કે વટમાં ને વટમાં આપણે આપણા પગ

પર જ કુહાડી મારીએ છીએ. આ સમજાયા પછી બંને દેશોએ મિટિંગ ગોઠવી. 2. ભારત-પાકિસ્તાન તણાવમાં ઈઝરાયલ ખુલીને કેમ ભારતની સાથે આવ્યું? ભારત-પાક. સંઘર્ષમાં ઈઝરાયલ ખુલીને ભારતની પડખે આવ્યું છે. યુદ્ધનો માહોલ હતો ત્યારે નેહન્યાહૂએ મોદીને ફોન કરીને કહેલું કે, તમારે આતંકવાદના હુમલાનો જવાબ આપવો જોઈએ. તમે જે કર્યું છે તે બરાબર કર્યું છે. ઈઝરાયલ ભારતની પડખે ઊભું છે. ભારત-ઈઝરાયલ વચ્ચે પ્રમાણસરના સંબંધો હતા પણ નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં સંબંધો વધારે મજબૂત બન્યા છે. તેનું કારણ એ છે કે મોદી પહેલા એવા વડાપ્રધાન હતા જેણે ઈઝરાયલની મુકાલાત લીધી હતી. સાઉદી અરેબિયામાં ભારતના રાજદૂત રહેલા તલમીઝ અહેમદે કહ્યું કે, ઈઝરાયલ અને ભારત વચ્ચે જૂનો સંબંધ છે. હિન્દુત્વ અને ઈઝરાયલમાં જાયનિસ્ટ મૂવમેન્ટ વચ્ચે વૈચારિક સામ્યતા છે. ઈઝરાયલની કોશિશ રહી છે કે તે ભારતને પોતાની નજીક લાવે. ઈઝરાયલના રાજદૂતે ઘણીવાર જાહેરમાં કહ્યું છે કે ભારત જે

કરી રહ્યું છે તે બરાબર છે. ભારત અને ઈઝરાયલ વચ્ચે ડિફેન્સ ડીલ પણ વધી છે. પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે, ભારતે ઈઝરાયલના ડ્રોનથી હુમલો કર્યો ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે, ભારતે ઈઝરાયલના ડ્રોનથી હુમલો કર્યો. આ આરોપ પછી ઈઝરાયલના અખબાર ટાઈમ્સ ઓફ ઈઝરાયલે લખ્યું કે, આનું રણનીતિક મહત્વ તો છે જ, સાથે આ એ વાતનો પુરાવો છે કે ભારત અને ઈઝરાયલ વચ્ચેના ગાઢ સંબંધો છે. આ એ બતાવે છે કે, છેલ્લા કેટલાક દાયકાઓથી ભારત અને ઈઝરાયલના સંબંધો પરિપક્વ થયા છે. ઈઝરાયલના યેરુસલેમની ઈન્સ્ટીટ્યુટ ફોર સ્ટ્રેટેજિક એન્ડ સિક્યોરિટીની સિનિયર ફેલો ડો. ઓશરિટ બિરવાદકરે કહ્યું કે, ભારતની વ્યૂહાત્મક રણનીતિમાં ઈઝરાયલની મહત્વની ભૂમિકા છે. ખાસ કરીને પાકિસ્તાન સાથે વધતા તણાવ અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને ઈઝરાયલ તરફથી ઘણી મદદ મળી રહી છે. ઈઝરાયલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝની ડિફેન્સ સિસ્ટમ ખરીદવામાં ભારત સૌથી

આગળ છે. ઈઝરાયલના એડવાન્સ ડ્રોનના કારણે ભારતની સર્વેલન્સ ક્ષમતા વધી છે. પાકિસ્તાને ઈઝરાયલને દેશ તરીકે માન્યતા નથી આપી પાકિસ્તાને હજી ઈઝરાયલને દેશ તરીકે માન્યતા નથી આપી એટલે બંને દેશો વચ્ચે રાજનીતિક સંબંધો નથી. 15 ઓગસ્ટ 1947એ સ્વતંત્ર દેશ બન્યો તો 14 મે 1948એ ઈઝરાયલ સ્વતંત્ર દેશ બન્યો. 1950માં ભારતે ઈઝરાયલને દેશ તરીકે માન્યતા તો આપી દીધી પણ રાજનીતિક સંબંધો સ્થાપિત થવામાં 42 વર્ષ નીકળી ગયા. ઈઝરાયલ સાથે રાજનીતિક સંબંધો બનાવવાનું કામ 1992માં પી.વી.નરસિમ્હા રાવે કર્યું હતું. 2003માં અટલ સરકાર હતી ત્યારે ઈતિહાસમાં પહેલીવાર ઈઝરાયલના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવ્યા હતા. 2008માં ભારતીય રક્ષા સચિવ વિજય સિંઘ ઈઝરાયલ ગયા હતા. ત્યારે ઈઝરાયલના ઉદારવાદી અખબાર હારેટ્સે ન્યૂઝ લખ્યા હતા કે, ભારત-ઈઝરાયલ વચ્ચે ત્યારે જ સંબંધો મજબૂત બને છે જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધે છે. 3. ડોનાલ્ડ ટ્રમ્પની નજર મીડલ ઈસ્ટ પર કેમ? ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા

ફર્સ્ટની નીતિ સાથે આગળ વધી રહ્યા છે. પણ આશ્ચર્યની વાત એ છે કે બીજીવાર રાષ્ટ્રપતિ બન્યા પછી તેમણે પહેલો પ્રવાસ કોઈ પશ્ચિમી દેશના બદલે ગલ્ફ દેશોમાં ગોઠવ્યો. 13 મેએ રોજ સાઉદી અરેબિયા પહોંચી ગયા છે. એ પછી કતાર અને ત્યાંથી યુએઈ જશે. જ્યાં અબુધાબીના પ્રિન્સને મળશે. સવાલ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ગલ્ફ દેશોના પ્રવાસે કેમ ગયા? આનો જવાબ એ છે કે, ઓઈલ ઈમ્પોર્ટમાં ફાયદો અને બીજું અમેરિકામાં રોકાણ મેળવવું. ટ્રમ્પ આ ખાડી દેશો સાથે બિઝનેસ ડીલ કરવા માંગે છે. આઠ વર્ષ પહેલાં ટ્રમ્પ પહેલીવાર રાષ્ટ્રપતિ બન્યા હતા ત્યારે પણ પહેલો પ્રવાસ ગલ્ફ દેશોમાં કર્યો હતો અને બીજીવાર રાષ્ટ્રપતિ બન્યા પછી પણ પહેલો પ્રવાસ ગલ્ફ દેશોમાં કર્યો છે. ટ્રમ્પને બધે મોરચે લડી લેવું છે મીડલ ઈસ્ટમાં ટ્રમ્પનું ફોક્સ કરવાના બે કારણો ટ્રમ્પ ગલ્ફ દેશોમાંથી મોટું રોકાણ અમેરિકામાં લાવવા માગે છે ગલ્ફ

દેશોમાં લખલૂંટ રૂપિયા છે. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને યુએસ વેપાર અને રોકાણમાં 600 બિલિયન ડોલરનું રોકાણ કરવાની ખાતરી આપી છે. આ ઓફરનો જવાબ આપતાં ટ્રમ્પે કહ્યું, હું ક્રાઉન પ્રિન્સને સમજાવીશ કે તે 1 ટ્રિલિયનની આસપાસ રોકાણ કરે. મારા સારા મિત્ર છે એટલે તે મારી વાત માનશે. બીજી તરફ યુએઈ અને કતાર પણ અમેરિકામાં કરોડો ડોલરનું રોકાણ કરે તેવી ટ્રમ્પની યોજના છે. છેલ્લે, યુદ્ધના માહોલ વચ્ચે પણ વિદેશી રોકાણકારોનો ભારત પર ભરોસો રહ્યો છે. એનો પુરાવો એ છે કે, એપ્રિલમાં FPI (ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો) રોકાણ 4,223 કરોડનું આવ્યું હતું. પણ પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર અને યુદ્ધના માહોલ વચ્ચે પણ મે મહિનાના શરૂઆતના 11 દિવસોમાં જ વિદેશી રોકાણ 14,167 કરોડ આવ્યું છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતાં રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

Leave a Reply

Related Post