રાજકોટમાં મિશ્રઋતુનો અનુભવ થતા રોગચાળો વકર્યો: 14મા સપ્તાહે કમળાનાં 5, ટાઇફોઇડનો 1 કેસ નોંધાયો, વિવિધ રોગના મળી 1,480 દર્દીઓ; ક્લોરીનેશન સહિતની કામગીરી ઝડપી કરાઈ

રાજકોટમાં મિશ્રઋતુનો અનુભવ થતા રોગચાળો વકર્યો:14મા સપ્તાહે કમળાનાં 5, ટાઇફોઇડનો 1 કેસ નોંધાયો, વિવિધ રોગના મળી 1,480 દર્દીઓ; ક્લોરીનેશન સહિતની કામગીરી ઝડપી કરાઈ
Email :

રાજકોટમાં હાલ માવઠાને કારણે મિશ્રઋતુનો અનુભવ થતા રોગચાળો વકરી રહ્યો છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો જાણે પીછો છોડવા માટે તૈયાર ન હોય તેમ સતત 14માં સપ્તાહે મનપાનાં ચોપડે કમળાનાં 5 અને ટાઇફોઇડનાં વધુ 1 કેસ સામે આવ્યા છે. ઉપરાંત ચાલુ સપ્તાહે વિવિધ રોગના મળી ગત સપ્તાહના 1,454 સામે આ સપ્તાહે 1,480 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. પાણીજન્ય રોગચાળો અટકાવવા ક્લોરીનેશન વધારવા તેમજ પીવાનું અને ગટરનું પાણી મિક્સ ન થાય તે માટે પગલાં

લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. દર્દીનો કુલ આંકડો 8,000 કરતા વધુ હોવાની શક્યતા પ્રાપ્ત વિગત મુજબ, છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1,480 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં 620કેસ, ઝાડા-ઉલટીનાં 229, સામાન્ય તાવનાં 624 કેસ નોંધાયા છે. ઉપરાંત સતત 14માં સપ્તાહે પણ જોખમી ગણાતા ટાઇફોઇડ તાવનો 1 કેસ અને કમળાનાં પણ વધુ 5 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં મેલેરિયાનો 1 કેસ સામે

આવ્યો છે. જ્યારે ડેંગ્યુ અને ચિકનગુનિયાનો કોઈ કેસ નોંધાયો નથી. જોકે આ આંકડાઓ સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈએ તો દર્દીનો કુલ આંકડો 8,000 કરતા વધુ હોવાની શક્યતા છે. પાણીમાં ક્લોરીનની હાજરી 0.20થી 0.25 વચ્ચે જોવા મળી મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે. જેને લઈને આરોગ્ય વિભાગ સતર્ક છે અને રાજકોટનાં વિવિધ વિસ્તારોમાં કરવામાં આવતા પાણીનાં વિતારણમાં ક્લોરીન લેવલ ચેક કરાયું હતું. જેમાં પાણીમાં

ક્લોરીનની હાજરી 0.20થી 0.25 વચ્ચે જોવા મળી છે. જે ખૂબ સારી બાબત કહી શકાય. આ સિવાય તાજેતરમાં પાણી અને બરફના વિક્રેતાઓનાં સેમ્પલ લેવાયા હતા. જેમાં 56 જેટલા એકમોમાં પાણી યોગ્ય નહીં હોવાનું જણાતા નોટિસ આપવામાં આવી છે. તેમજ 1 એકમ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કામગીરી આગામી સમયમાં પણ વધુ સઘન બનાવવામાં આવશે. તબિયત લથડે તો નિષ્ણાંત ડૉક્ટર્સની સલાહ મુજબ દવા લેવી હાલમાં ઉનાળો શરૂ થતાં તાપમાનમાં વધારો થયો છે. આ વાતાવરણમાં વાયરલ ઇન્ફેક્શન વધવાની શક્યતા

રહેતી હોય છે. ત્યારે લોકોએ બહારનો ખોરાક લેવાથી દૂર રહેવાની સાથે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. સામાન્ય સૂકી ઉધરસ માટે હળદરનો ઉપયોગ કરવો એ હિતાવહ છે. ઉપરાંત જો કોઈપણ પ્રકારે તબિયત વધુ લથડતી લાગે તો તરત જ મનપાનાં આરોગ્ય કેન્દ્રો અથવા સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડૉક્ટર્સની સલાહ લઈ તે મુજબની દવા કરવી જરૂરી છે. ઉનાળાને ધ્યાનમાં લઈને તમામ આરોગ્ય કેન્દ્રો ઉપરાંત મનપા સંચાલિત બસોમાં પણ ઓઆરએસ અને પાણીની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ઓર્ગેનિક જ્યુસ કે નાળિયર પાણીનું

સેવન કરવાની અપીલ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતું હોવાને તેમજ ક્લોરીનેશન ઓછું હોવાને કારણે પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. ત્યારે આ પાણીજન્ય રોગચાળાને અટકાવવા માટે મનપા દ્વારા હાલ ક્લોરીનેશન વધારવા તેમજ જે કોઈ સ્થળે પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતું હોવાની ફરિયાદ આવે તો ત્યાં તરત જ કાર્યવાહી કરવામાં આવી છે. આ સિવાય લોકો પણ સાવધાની રાખે અને બહારના ઠંડા પીણાઓ પીવાનું બંધ કરે તે જરૂરી છે. હાલ માત્ર ઓર્ગેનિક જ્યુસ કે નાળિયર પાણીનું

સેવન કરવાની અપીલ તેમણે લોકોને કરી હતી. રોગચાળા સામે પહોંચી વળવા મહાનગરપાલિકાના ઘનિષ્ઠ પ્રયાસો રોગચાળા દ્વારા ઊભા થતા આરોગ્ય પડકારને પહોંચી વળવા મહાનગરપાલિકા દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 56 મેલેરિયા ફિલ્ડવર્કર, 415 અર્બન આશા અને 115 વી.બી.ડી વોલેન્ટીયર્સ દ્વારા તા. 12થી લઈ 18 મે સુધી 28,574 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. તેમજ 279 જેટલા ઘરમાં ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન

ફોગીંગ કામગીરી કરવામાં આવી રહી છે. મચ્છર ઉત્પતિ સબબ 614 પ્રિમાઈસીસમાં તપાસ કરાઇ આ ઉપરાંત રાજકોટ શહેરનાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત કુલ 614 પ્રિમાઈસીસમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન રહેણાંકમાં 80 તો કોર્મશીયલમાં 54 જેટલા આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી. મચ્છરની ઉત્પત્તિ બદલ વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવી રહ્યો છે. જોકે ડેંગ્યુનાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે છતાં મનપા દ્વારા જે સ્થળેથી ડેંગ્યુનાં કેસો સામે આવ્યા હતા, તેવા સ્થળે ઉપરાંત આસપાસના વિસ્તારોમાં

ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. અથાગ પ્રયત્નો છતાં પાણીજન્ય રોગચાળો કાબૂમાં આવતો નથી ઉલ્લેખનીય છે કે, મનપાનાં અથાગ પ્રયાસો છતાં પણ પાણીજન્ય રોગચાળો કાબુમાં આવતો નથી. તો લોકોએ પણ સાવચેતી રાખી ઉકાળેલું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. તેમજ બહારના ઠંડાપીણાનો ઉપયોગ બંધ કરવો જોઈએ. તેમજ પીવાના 20 લીટર પાણીમાં ક્લોરીનની 1 ગોળી નાખવી જોઈએ. આ ઉપરાંત પણ પાણીની ટાંકી તેમજ કુવાઓને સાફ અને સ્વચ્છ રાખવા સહિતની તકેદારી રાખવી જરૂરી હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Related Post