Summerમાં હીટવેવથી બચવા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહી પડો બીમાર:

Summerમાં હીટવેવથી બચવા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહી પડો બીમાર
Email :

રાજ્યભરમાં કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે, ત્યારે હીટ વેવથી બચવા માટે નાગરિકો માટે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે મુજબ કેટલીક આવશ્યક તકેદારી રાખવાથી અસહ્ય ગરમીથી રાહત મેળવી શકાય છે હીટવેવ દરમિયાન જરૂરી ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ, આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ ખુલતાં કપડાં પહેરવાં જોઈએ.

ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો જોઈએ

નાના બાળકો , સગર્ભા માતાઓ, વૃદ્ધો, અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી જોઈએ. ભીનાં કપડાથી માથું ઢાંકી રાખવું , અવાર - નવાર ભીનાં કપડાથી શરીર લુછવું અને વારંવાર ઠંડુ પાણી પીવું જોઈએ.વરિયાળી, કાચી કેરી, અને કાળી દ્રાક્ષનું શરબત પીવું જોઇએ.લીંબુ શરબત , મોળી છાશ , તાડફળી અને નારીયેળનું પાણી, ખાંડ- મીઠાનાં પીણાં પીવા જોઈએ. બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક, બરફ વગેરેનો ઉપયોગ ટાળવો જોઈએ. લગ્ન પ્રસંગમાં દૂધ માવાની આઈટમ ન ખાવી જોઈએ. ચા - કોફી અને આલ્કોહોલના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

તરસ ના લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું

શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ORS દ્રાવણ અથવા છાશ , લસ્સી , લીંબુ પાણી , માતનું ઓસામણ અને નારિયેળ પાણીનો ઉપયોગ કરો, ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં , છત્રી કે ટોપીથી ઢાંકી રાખી વજનમાં અને રંગમાં હળવા પ્રકારનાં સુતરાઉ વસ્ત્રો પહેરો આંખોનાં રક્ષણ માટે ચશ્માં અને ત્વચાનાં રક્ષણ માટે સનસ્ક્રીમ લગાવો, પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો, બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિ કે વધુ વજન ધરાવતાં વ્યક્તિ કે જેઓ " લૂ " ના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે તેમની વિશેષ કાળજી રાખો.

લીંબુ પાણીનો વધારે કરો ઉપયોગ

શક્ય હોય ત્યાં સુધી બપોરના ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધી તડકામાં બહાર ન નીકળવું, શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવાં પીણાં જેવા કે ચા, કોફી, સોફ્ટ ડ્રિંક્સ ન લેવા, મસાલેદાર ,તળેલાં, વધુ પડતાં મીઠાશવાળા આહારનો ઉપયોગ ટાળવો.લૂ લાગેલ વ્યક્તિની પ્રાથમિક સારવારની વાત કરીએ તો,ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેનાં માથા પર ઠંડું પાણી રેડો, શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઇ રહે તે માટે ORS દ્રાવણ અથવા લીંબુ પાણી આપો, લૂ લાગેલ વ્યક્તિને તાત્કાલિક નજીકનાં આરોગ્ય કેન્દ્ર પર લઇ જવા જોઈએ, જો શરીરનું તાપમાન સતત વધતું હોય, માથામાં અસહ્ય દુઃખાવો થતો હોય, નબળાઇ હોય , ઉલટી થતી હોય કે બેભાન થઇ જાય તો તાત્કાલિક સારવાર લેવી જોઈએ.

Related Post