Travel: અયોધ્યા સિવાય રાજા રામના આ પ્રખ્યાત મંદિરો વિશે આપ જાણો છો?

Travel: અયોધ્યા સિવાય રાજા રામના આ પ્રખ્યાત મંદિરો વિશે આપ જાણો છો?
Email :

પ્રભુ રામ એ કરોડો હિન્દુઓ અને ભારત વાસીઓ માટે એક આસ્થાનું કેન્દ્ર છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયા પછી સમગ્ર વિશ્વથી પ્રવાસીઓ અયોધ્યા ખાતે નવ નિર્મિત રામ મંદિરના દર્શન કરવા આવતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં અયોધ્યા રામ મંદિર સિવાય પણ એવા પ્રખ્યાત રામ મંદિરો આવેલા છે જેની મુલાકાત લઈને તમે પ્રભુ રામના પાવન દર્શન કરી શકો છો. આ મંદિરોનું પણ એક આગવું ધાર્મિક મહત્વ અને ઇતિહાસ રહેલો છો.

કાલારામ મંદિર, નાસિક

મહારાષ્ટ્રના નાસિક માં પંચવટી ખાતે આવેલા આ કાલારામ મંદિરના નામ પરથીજ તમે ત્યાં સ્થાપિત રામ મૂર્તિનો અંદાજ લગાવી શકશો. આ મંદિરમાં પ્રભુ રામની ૨ ફૂટ ઊંચી કાળા પત્થરથી બનેલ મૂર્તિ આવેલ છે અને આજ કારણથી આ મંદિરને કાલારામ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની સ્થાપના પાછળ એક લોક વાયકા ઘણી પ્રચલિત છે. કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ સરદાર રંગારાવે કરાવ્યું હતું. સરદાર રંગારાવને એક દિવસ સ્વપ્ન આવ્યું હતું કે ગોદાવરી નદીના તટમાં ભગવાન રામની કાળા રંગની મૂર્તિ રહેલ છે. ત્યારબાદ એ મૂર્તિને નદીમાંથી બહાર કાઢી ભવ્ય મંદિરમાં તેની સ્થાપના કરવામાં આવી. એક માન્યતા મુજબ ભગવાન રામ તેમના ૧૪ વર્ષના વનવાસ દરમ્યાન નસિકના પંચવટીમાં થોડા સામે માટે રોકાયા હતા.

રામાસ્વામી મંદિર, તમિલનાડુ

તમિલનાડુ ખાતે આવેલ આ રામાસ્વામી મંદિર આધ્યાત્મિક રીતે ખુબજ આગવું મહત્વ ધરાવે છે. આ મંદિરની રસપ્રદ વાત એ છે કે આ મંદિરમાં રામાયણ યુગમાં થયેલ પ્રસિદ્ધ ઘટનાઓ કોતરણી કરીને મહાકાવ્ય રૂપે દર્શાવામાં આવેલ છે. આ મંદિરનું મહત્વ અયોધ્યા મંદિર જેટલુજ આંકવામાં આવે છે આ મંદિરને દક્ષિણ ભારતનું અયોધ્યા પણ કહેવામાં આવે છે. મંદિરમાં ભગવાન રામ સાથે માતા સીતા, લક્ષ્મણ અને શત્રુઘ્નની મૂર્તિઓ સ્થાપિત છે.

ત્રિપ્રયાર શ્રી રામ મંદિર, કેરળ

કેરળના ત્રિશૂર જિલ્લામાં આવેલું આ ત્રિપ્રયાર શ્રી રામ મંદિર એની સુંદરતાને લીધે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ મંદિર માં સ્થાપિત ભગવાન રામ ની મૂર્તિને લઈને એક ખુબજ રોચક કથા છે. એક લોકવાયકા મુજબ આમતો ઘણા કિસ્સાઓ અને કથાઓ આ મંદિર સાથે જોડાયેલા છે પરંતુ એમાં સૌથી પ્રચલિત કથા એવી છે કે જે તે સમયે આ મંદિર ની પૂજા અર્ચના સ્વયં ભગવાન કૃષ્ણ કરતાં હતા. સમયની થપાટે આ મંદિરની મૂર્તિ દરિયામાં ડૂબી ગયા પછી તે એક માછીમારને મળી હતી અને ત્યાર બાદ શાસક વક્કાયિલ કૈમલે આ મૂર્તિને ત્રિપ્રયાર મંદિરમાં સ્થાપિત કરી હતી. આ મંદિર વિશે એવું પણ માનવામાં આવે છે કે આ મંદિરમાં આવનારા ભક્તો બધી નકારાત્મક શક્તિઓ અને દુષ્ટ તાકતોની કેદમાંથી મુક્ત થાય છે.

રામ રાજા મંદિર, મધ્ય પ્રદેશ

આ મંદિર વિશે વાત કરીએ તો આ મંદિરમાં ભગવાન રામની મૂર્તિના દર્શન કર્તાની સાથેજ તમને એ વાત સમજાઈ જશે કે શા માટે આ મંદિર નું નામ રામ રાજા મંદિર રાખવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના ઓરછામાં આવેલું રામ રાજા મંદિર ભારતનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં ભગવાન રામને રાજા તરીકે પૂજવામાં આવે છે. અને અચરજની વાત એ છે કે આજે પણ પ્રત્યેક દિવસે ભગવાન રામને આ મંદિર ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે પ્રભુ શ્રી રામને શસ્ત્ર સલામી આપવામાં આવે છે. ભગવાન રામ ઉપરાંત, આ મંદિરમાં, માતા સીતા, લક્ષ્મણ, હનુમાન, મહારાજા સુગ્રીવ અને ભગવાન નરસિંહની મૂર્તિઓ પણ સ્થાપિત છે.

Leave a Reply

Related Post