બાંગ્લાદેશનો તખતાપલટ અને ચંડોળા તળાવ વચ્ચે શું છે કનેક્શન?: ચંડોળામાં આતંકીઓ ઊભા કરવા બાંગ્લાદેશથી ચાલતો દોરીસંચાર, ડિમોલિશનની ઇન્સાઇડ સ્ટોરી

બાંગ્લાદેશનો તખતાપલટ અને ચંડોળા તળાવ વચ્ચે શું છે કનેક્શન?:ચંડોળામાં આતંકીઓ ઊભા કરવા બાંગ્લાદેશથી ચાલતો દોરીસંચાર, ડિમોલિશનની ઇન્સાઇડ સ્ટોરી
Email :

ગત 29 એપ્રિલના રોજ 'મિની બાંગ્લાદેશ' કહેવાતા ચંડોળા તળાવ પર અમદાવાદના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ ડિમોલિશન દરમિયાન મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ કમિશનર સહિત સૌકોઈ દોડતા રહ્યા હતા, જોકે બધાને હાલ એક જ સવાલ થઈ રહ્યો છે કે ગુજરાત સરકારે 22 વર્ષથી ખડકાયેલી ગેરકાયદે વસાહત અચાનક જ કેમ ધ્વસ્ત કરી દીધી? આ સવાલનો જવાબ મેળવવા બાંગ્લાદેશના તખતાપલટથી લઈ 2023માં અમદાવાદમાંથી ઝડપાયેલા 4 અલકાયદાના આતંકી અને પહેલગામમાં થયેલા આતંકી હુમલા સુધીના તાણાવાણા જાણવા જરૂરી છે. આ પણ વાંચો: 29 એપ્રિલે ચંડોળા તળાવ વિસ્તારમાં આખો દિવસ શું શું થયું? 2023માં અલકાયદાના 4 આતંકી ઝડપાયા સૌથી પહેલા આપણે 2023માં શું થયું હતું એ જાણીએ. 2008માં થયેલા અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં અલકાયદાની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. ત્યાર બાદ લગભગ 15 વર્ષ પછી ફરી સક્રિય થયું. ગુજરાતના યુવાનોને સંગઠનમાં જોડવા તેમજ ગુજરાતમાંથી પૈસા વિદેશ મોકલવા માટે બાંગ્લાદેશથી અમદાવાદ મોકલાયેલા ચાર આતંકીને ATSએ ઝડપી લીધા હતા, જેમાં સોજીબ મિયાં, આકાશખાન, મુન્નાખાન અને અબ્દુલ લતીફનો સમાવેશ થાય છે. આ ચારેય

બાંગ્લાદેશી ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરી કરી બોગસ આઈડી પ્રૂફ બનાવી શહેરમાં રહેતા હતા. બીજા આતંકી પણ ચંડોળામાં કોઈના સંપર્કમાં રહેવા માગતા હતા: ક્રાઇમ બ્રાન્ચ ક્રાઈમ બ્રાન્ચ જેસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે વર્ષ 2023માં ચંડોળામાંથી ગુજરાત ATSએ 4 અલકાયદાના આતંકવાદી પકડ્યા હતા. આ મામલે NIAની તપાસ ચાલી રહી છે. બીજા આતંકવાદી પણ ચંડોળામાં કોઈના સંપર્કમાં રહેવા માગતા હતા. બાંગ્લાદેશી આતંકી સંગઠન જમાત ઉલ બાંગ્લાદેશ અમદાવાદ સહિત અલગ અલગ શહેરમાં સ્લીપર સેલ એક્ટિવ કરવા માગે છે. આ માટે તેને ચંડોળાના લોકોનો સંપર્ક પણ કર્યો હતો. આ પણ વાંચો: ચંડોળામાં આંસું, લાઠીચાર્જ ને આશરો ગુમાવવાનું દર્દ જમાત-ઉલ-મુજાહીદ્દીનું બાંગ્લાદેશી અને ABT આતંકવાદી સંગઠનો કે જે બાંગ્લાદેશથી પોતાનું આતંકી સંગઠનો ચલાવતા હતા. તેઓ ચંડોળા તળાવ આસપાસ ગેરકાયદે રીતે ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓને પોતાના સ્લીપર સેલ બનાવવા માટે અને ચંડોળા તળાવ પાસે પોતાનું સામ્રાજ્ય બનાવવા માટેની તૈયારીમાં હતા, જેની માહિતી ગુજરાત એટીએસની ટીમને તથા અમદાવાદ ક્રાઈમ બ્રાંચને પણ મળી હતી, જેથી આ મામલે ગૃહ વિભાગને સમગ્ર ઘટનાની જાણ કરતાં હાઇ લેવલની મિટિંગ કરવામાં

આવી હતી. એમાં ચંડોળા તળાવ ફરતે ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશીઓ કેવા પ્રકારના ગુનાઓ કરી રહ્યા છે એવી માહિતી પણ રજૂ કરવામાં આવી હતી, જેથી આતંકવાદીઓના સ્લીપર સેલ એક્ટિવ ના થાય એ માટે ગેરકાયદે ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓને પરત મોકલવા તથા ગેરકાયદે દબાણ દૂર કરવાની ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે આતંકી કનેક્શન શોધવા તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો: આખા ચંડોળા પર કબજો, બાંગ્લાદેશીઓને વસાવવાનું પેકેજ આપનારા લલ્લાની ક્રાઇમકુંડળી 5 ઓગસ્ટ 2024: બાંગ્લાદેશમાં શેખ હસીના સામેનો વિરોધ હિંસક બની ગયો. એક દિવસ પહેલાં જ પોલીસ સાથેની અથડામણમાં કુલ 100 લોકોનાં મોત થયાં હતાં. આ દરમિયાન ઢાકાથી 1826 કિલોમીટર દૂર ભારતની રાજધાની દિલ્હીમાં 2 અરજી મોકલવામાં આવી. પ્રથમ અરજીમાં બાંગ્લાદેશનાં તત્કાલીન વડાંપ્રધાન શેખ હસીનાને થોડા સમય માટે ભારત આવવાની મંજૂરી આપવા બાબતે વિનંતી કરવામાં આવી હતી. ત્યાર પછી તરત જ મોકલવામાં આવેલી બીજી અરજીમાં બાંગ્લાદેશના અધિકારીઓ ભારતમાં પ્રવેશવા માટે લશ્કરી વિમાનો માટે મંજૂરી માગે છે. આ બાબતે મંજૂરી મળ્યા બાદ શેખ હસીનાનું પ્લેન સાંજે દિલ્હી

ઊતરે છે. આમ, શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડી ભારતનો આશરો લેવો પડ્યો. 6 ઓગસ્ટ, 2024: શેખ હસીનાના બાંગ્લાદેશ છોડ્યા બાદ એટલે કે તખતાપલટના 24 કલાકમાં જ હથિયારો સાથે ટોળાએ બાંગ્લાદેશના શેરપુરની જેલ પર હુમલો કર્યો અને 500થી વધુ કેદીને છોડાવી લીધા, જેમાં અન્સારુલ્લાહ બાંગ્લા ટીમ(ABT)નો ભારતનો ઓપરેશન હેડ ઇકરામુલ હક ઉર્ફે અબુ તલ્હા પણ હતો. ઉલ્લેખનીય છે કે તેને ભારતીય એજન્સીના ઇનપુટના આધારે 2023ના જુલાઈમાં ઢાકામાંથી પકડી લેવામાં આવ્યો હતો. 8 ઓગસ્ટ, 2024: મોહમ્મદ યુનુસે સરકાર બનાવી અને ત્યાર બાદ 26 ઓગસ્ટે ABT ચીફ જસીમુદ્દીન રહેમાનીને પેરોલ પર છોડી મૂકવામાં આવ્યો. રહેમાનીના તાર અલકાયદા સાથે સંકળાયેલા છે અને તે ભારત આતંકી ફેલાવવાના નિષ્ફળ પ્રયાસો કરતો રહ્યો છે. રહેમાની અને ઇકરામુલ હક બંને ભારતમાં આતંકી પ્રવૃત્તિ કરે છે અને બંને મુક્ત થાય છે. તેઓ અલગ કાશ્મીર, અલગ પશ્ચિમ બંગાળ તથા ભારતમાં અલકાયદાની પ્રવૃત્તિ વધારવા માટે લશ્કર-એ-તૈયબા જેવાં આતંકી સંગઠનો સાથે કામ કરે છે. 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામ આતંકી હુમલાની જવાબદારી TRF(ધ રેઝિસ્ટન્સ ફોર્સ)એ લીધી, જે લશ્કર-એ-તૈયબામાંથી

ઊભું થયેલું જૂથ છે. આ બદલાતાં આંતરરાષ્ટ્રીય સમીકરણોને જોતાં ગુજરાત પોલીસે ચંડોળા તળાવની ગેરકાયદે વસાહત ખાલી કરાવી, કેમ કે નજીકના ભૂતકાળમાં જ અલકાયદા અને ABT ચંડોળા તળાવ પર નેટવર્ક વધારવાના પ્રયાસો કરતા હતા. 'ABT ચંડોળા તળાવમાં રહેતા બાંગ્લાદેશી સાથે સંપર્ક કરે છે' આ અંગે ગુજરાત પોલીસના એક ઉચ્ચ અધિકારીએ ન્યુ ગુજરાતને જણાવ્યું હતું કે બાંગ્લાદેશનું અન્સારુલ્લાહ બાંગ્લા ટીમ( ABT) અલકાયદા સાથે જોડાયેલું આતંકી સંગઠન છે, જે ચંડોળા તળાવ પર વસવાટ કરતા બાંગ્લાદેશીનો સંપર્ક કરતું હોય છે. આ આતંકી સંગઠનો ભારતમાં સ્લીપર સેલ બનાવી અલકાયદાની આતંકી પ્રવૃત્તિ અને વિચારધારા ફેલાવવાનું છે. બાંગ્લાદેશી હોવાથી સ્લીપર સેલમાં બદલવા સરળ: હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે કે મોટા ભાગના બાંગ્લાદેશીઓએ પશ્ચિમ બંગાળના ડોક્યુમેન્ટ્સ બનાવ્યા છે, કારણ કે પશ્ચિમ બંગાળમાં તે લોકો બોર્ડર પાર કરી ઘૂસણખોરી કરે છે. પછી લોકલ ડોક્યુમેન્ટ્સ બનાવી બીજાં રાજ્યો, જેવા કે ગુજરાતમાં ચંડોળામાં સ્થાયી થયા છે, કેમ કે તે લોકોનું મૂળ બાંગ્લાદેશી છે, તેથી આ લોકોને સ્લીપર સેલમાં બદલવા અને બાંગ્લાદેશી આતંકી સંગઠનો સાથે જોડવા

એક સરળ રસ્તો બને છે. ચંડોળામાં જે લોકોએ કાચાં પાકાં ઘર બનાવ્યા તે બહુ ગરીબ વર્ગના લોકો છે. તે સાથે ગુજરાત પોલીસના કહેવા પ્રમાણે આ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ, જેવી કે ડ્રગ્સ સ્મગલિંગ, દેહવ્યાપારનો અડ્ડો બની ગયું હતું. આ ગેરકાયદે ધંધા સાથે બાંગ્લાદેશી નાગરિકો સંકળાયેલા છે. આ પરિસ્થિતિમાં આતંકી સંગઠનો માટે બાંગ્લાદેશી નાગરિકો થકી ચંડોળામાં સ્લીપર સેલ બનાવવું સરળ થઈ જાય એમ હતું. બીજી તરફ બાંગ્લાદેશ સરકારે ભારત માટે જોખમી એવાં આતંકી સંગઠનોના નેતાઓને જેલમાંથી છૂટા થવા દીધા. આ કારણે ચંડોળા ગુજરાત માટે આતંકી પ્રવૃત્તિ માટે અતિસંવેદનશીલ વિસ્તાર બની ગયો હતો. કોણ છે જસીમુદ્દીન રહેમાની અને ABT જસીમુદ્દીન રહેમાની અલકાયદા સાથે સંકળાયેલા આતંકવાદી સંગઠન અંસારુલ્લાહ બાંગ્લા ટીમ (ABT)નો ચીફ છે. ભારતમાં હિંસા ભડકાવવાની પ્રવૃત્તિઓ, ભારતવિરોધી નિવેદનો અને તેમનું આતંકી જૂથ ભારતમાં જેહાદી નેટવર્ક સ્થાપવા પ્રયાસો કરતું રહે છે. આમ તે ભારત માટે જોખમરૂપ છે. 1. આતંકવાદી સંગઠન (ABT)નું નેતૃત્વ ABT બાંગ્લાદેશમાં પ્રતિબંધિત આતંકવાદી જૂથ છે અને અલકાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) સાથે સંબંધ ધરાવે છે. ABT

2013થી 2016 દરમિયાન બાંગ્લાદેશમાં ધર્મનિરપેક્ષ બ્લોગર્સ અને કાર્યકરોની હત્યા જેવાં કૃત્યોમાં સંડોવાયેલું છે, જેના માટે રહમાનીને દોષી ઠેરવવામાં આવ્યો હતો. ABTનો ઉદ્દેશ બાંગ્લાદેશ અને તેની બહાર ઇસ્લામિક શાસન સ્થાપવાનો છે. 2. ભારતવિરોધી ધમકીઓ અને ઉશ્કેરણી ઓગસ્ટ 2024માં બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર દ્વારા જેલમાંથી મુક્ત થયા પછી રહેમાનીએ ભારતને નિશાન બનાવતાં ઉશ્કેરણીજનક નિવેદનો જારી કર્યા હતા. એક વાઇરલ વીડિયોમાં તેણે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને “મોદીના શાસનથી મુક્ત થવા” હાકલ કરી અને “દિલ્હી પર ઇસ્લામિક ઝંડા લહેરાવીને ભારતનું વિભાજન” કરવાની ધમકી આપી હતી. ખાસ કરીને ભારતના સિલિગુડી કોરિડોર, જે ભારતનાં ઉત્તર-પૂર્વીય રાજ્યોને મુખ્ય ભૂમિ સાથે જોડે છે, એને નિશાન બનાવવાનો ઉલ્લેખ કર્યો. તેણે આ કોરિડોરને વિક્ષેપિત કરવા ચીનની મદદ લેવા સૂચન કર્યું, જે ભારતના ઉત્તર-પૂર્વમાં અસ્થિરતા લાવી શકે તેમ છે. રહેમાનીએ ભારતમાં અલગાવવાદી ચળવળોને સમર્થન આપ્યું, જેમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સહાયથી કાશ્મીરની “મુક્તિ” અને પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદનું સમર્થન સામેલ છે. આ નિવેદનો તેમની અલગાવવાદી અને આતંકવાદી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાનો ઇરાદો દર્શાવે છે. 3. ભારતમાં જેહાદી

નેટવર્ક સ્થાપવાના પ્રયાસો ABT ભારતમાં ખાસ કરીને આસામ અને પશ્ચિમ બંગાળ જેવાં પૂર્વીય અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં, સ્લીપર સેલ્સ દ્વારા જેહાદી નેટવર્ક સ્થાપવાના સક્રિય પ્રયાસ કરી રહ્યું છે. ABT 2022થી પાકિસ્તાન આધારિત લશ્કર-એ-તૈયબાનો સાથ લઈને ભારતના ઉત્તર-પૂર્વીય પ્રદેશમાં હુમલાઓ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. કોણ છે ઇન્ડિયાનો મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ ઇકરામુલ હક? ઇકરામુલ હક AQIS માટે મુખ્ય ભરતીકર્તા હતો, ભારત અને બાંગ્લાદેશમાં સભ્યોને તાલીમ આપીને આતંકી બનાવ્યા. ભારતમાં કૂચ બિહાર, ભોપાલ, આસામ, દિલ્હી અને તામિલનાડુમાં 11 સ્લીપર સેલ્સ સ્થાપ્યા હતા, જેમાં દરેકમાં 5-8 સભ્યો હતા. તેઓ IED બનાવવાની તાલીમ ધરાવતા હતા અને કેટલાક આત્મઘાતી હુમલાઓ માટે તૈયાર હતા. ભારતમાં કેસ: લગભગ ડઝન જેટલા આતંકવાદ સંબંધિત કેસ નોંધાયેલા છે, જે તેમને ભારતના “મોસ્ટ વોન્ટેડ” આતંકવાદીઓમાંથી એક બનાવે છે. ઇકરામુલ હક અલકાયદા, તાલિબાન, અને અનવર અલ-અવલાકી તેમજ આયમન અલ-ઝવાહિરી જેવા આકાઓને ખુલ્લું સમર્થન આપે છે. બાંગ્લાદેશની યુનુસ સરકાર તરફથી કથિત સમર્થન ગાઝીપુરની કાશીમપુર હાઈ-સિક્યોરિટી સેન્ટ્રલ જેલમાંથી 26 ઓગસ્ટ, 2024ના રોજ રહેમાનીની પેરોલ પર મુક્તિ, શેખ હસીના સરકારના પતન પછી ચિંતાનું કારણ બની

છે. હસીનાના વહીવટે ભારતવિરોધી આતંકવાદી જૂથો, જેમ કે ABT, HuJI-B, અને ULFA, પર નિયંત્રણ રાખ્યું હતું, પરંતુ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારના રહેમાની અને અન્ય આતંકવાદીઓને મુક્ત કરવાના નિર્ણયને કેટલાંક ઇસ્લામિક જૂથો માટે કથિત સમર્થન તરીકે જોવામાં આવે છે. ભૌગલિક અને રાજકીય અસર રહેમાનીની પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ચીન સાથે ભારત વિરુદ્ધ ગઠબંધન કરવાની ધમકીઓ ભારતને અસ્થિર કરવાની વ્યાપક ભૌગોલિક રાજકીય રણનીતિ દર્શાવે છે. બાંગ્લાદેશના 18 કરોડ મુસ્લિમો ભારત સામે ઊભા થશે એવું તેમનું નિવેદન સાંપ્રદાયિક તણાવને ઉત્તેજન આપે છે, જે બાંગ્લાદેશ અને ભારતના મુસ્લિમ બહુમતી સરહદી વિસ્તારોમાં ભારતવિરોધી ભાવનાને વધારી શકે છે. યુનુસ સરકાર હેઠળ ABT અને જમાત-એ-ઇસ્લામી તેમજ હિઝબ ઉત-તહરીર જેવાં અન્ય ઇસ્લામિક જૂથોનો વધતો પ્રભાવ, ભારતવિરોધી નેરેટિવ્સ (જેમ કે પૂર માટે ભારતને દોષ આપવો અથવા હસીનાને સમર્થન આપવું) સાથે રહેમાની દ્વારા અસ્થિર વાતાવરણ ઊભું કરવું. ભારતનાં ઉત્તર-પૂર્વીય રાજ્યો, જે બાંગ્લાદેશ સાથે 4,096 કિલોમીટરની સરહદ વહેંચે છે, ખાસ કરીને ગેરકાયદે ઘૂસણખોરી, હથિયારોની દાણચોરી અને વસતિવિષયક ફેરફારો માટે સંવેદનશીલ છે, જે રહેમાનીની પ્રવૃત્તિઓથી વધી શકે છે.

Leave a Reply

Related Post