દેશની બીજા નંબરની પ્રદૂષિત સાબરમતી કેમ સ્વચ્છ થતી નથી?: બાંધકામના કચરાના સિમેન્ટના પોપડાં ને ગટરના ધસમસતા પાણીથી બની ગંદી, 5 જૂન સુધીમાં સાફ પણ નહીં થાય

દેશની બીજા નંબરની પ્રદૂષિત સાબરમતી કેમ સ્વચ્છ થતી નથી?:બાંધકામના કચરાના સિમેન્ટના પોપડાં ને ગટરના ધસમસતા પાણીથી બની ગંદી, 5 જૂન સુધીમાં સાફ પણ નહીં થાય
Email :

અમદાવાદ શહેરના મધ્યમાંથી પસાર થતી અને દેશની બીજા નંબરની પ્રદૂષિત સાબરમતી નદીની સાફ સાફાઈની કામગીરી ચાલી રહી છે. AMC દ્વારા જન ભાગીદારી થકી સાબરમતી સાફ કરાઈ રહી છે. જો કે 5 જૂન સુધીમાં સફાઈ કરવાનો ટાર્ગેટ છે પરંતુ તે શક્ય બને તેમ લાગતું નથી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના 2023ના અહેવાલ પ્રમાણે ભારતની સૌથી પ્રદૂષિત નદીઓમાં સાબરમતી નદી બીજા સ્થાને છે અને ગુજરાતની સૌથી વધુ પ્રદૂષિત નદી છે. સાબરમતી નદીનું પ્રદૂષણ એક ચિંતાજનક મુદ્દો છે અને હાઇકોર્ટે પણ તેની નોંધ લીધી છે. હાઇકોર્ટે પોતાના એક આદેશમાં નોંધ્યું હતું કે અમદાવાદ મહાનગરપાલિકાના સિવેજ પ્લાન્ટ સારી રીતે કામ ન કરતા હોવાથી સાબરમતી નદી વધુ પ્રદૂષિત થાય છે. આ સફાઈ મહાઅભિયાનને લઈ ન્યુ ગુજરાત સાબરમતી નદીના તટે પહોંચ્યું હતું. સાબરમતી નદીમાં સફાઈ અભિયાન અચાનક શરુ નથી કરાયું. વાસણા બેરેજનો એક દરવાજો રિપેર કરવા પાણી ખાલી કરવું જરુરી હોવાથી તેની સાથે સાથે નદીની સફાઈ પણ થઈ જાય એટલે AMC અને SRFDCLએ આ મહા સફાઈ અભિયાન ઉપાડ્યું છે. દર વર્ષે ચોમાસા પહેલા વાસણા બેરેજના તમામ 30 દરવાજાનું

ઈન્સ્પેક્શન થતું હોય છે. આ વખતે પ્રિ મોન્સૂન કામગીરીમાં વાસણા બેરેજના દરવાજાનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું કે, બેરેજના 15 નંબરના દરવાજામાં ખામી છે અને તે ચોમાસા પહેલા રિપેર કરવા જરુરી છે. જેથી સિંચાઈ વિભાગે 10 મેથી સાબરમતીનું પાણીનું સ્તર ઘટાડ્યું છે. જેના ભાગ રુપે નદીમાં પાણી ઓસરી રહ્યું છે. જેમ જેમ પાણી ખાલી થઈ રહ્યું છે તેમ તેમ સફાઈ અભિયાન આગળ વધી રહ્યું છે. 5 જૂન સુધી જ ચાલશે સફાઈ અભિયાન આ સફાઈ અભિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL)એ સંયુક્ત રીતે શરૂ કર્યું છે. આ સફાઈ અભિયાન 15 મેથી સુભાષબ્રિજ નીચેથી શરુ થયું છે. જેને 5 જૂન સુધીમાં પૂર્ણ કરવાનું છે. કારણ કે 5 જૂન સુધીમાં વાસણા બેરેજના 1 દરવાજો રિપેર થઈ જશે અને બાદમાં ચોમાસું બેસશે. જેથી સફાઈ અભિયાન પણ 5 જૂન સુધી જ ચાલશે. આ કારણે સાબરમતી સંપૂર્ણ સાફ નહીં થઈ શકે આ સમયગાળામાં સફાઈ અભિયાન સુભાષ બ્રિજથી લઈને વાસણા બેરેજ સુધી એટલે સમગ્ર રિવરફ્રન્ટ કવર થઈ જાય તેવી ગણતરી છે. પરંતુ

આ સમયગાળા દરમિયાન સમગ્ર સાબરમતી નદી સાફ થઈ જાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી. કારણે કે સાફ સફાઈમાં લાગેલી સમાજિક સંસ્થાઓ, NGO અને અન્ય લોકો માત્ર સવારમાં બે-અઢી કલાક જ સફાઈ કરે છે. સવારના 10 પછી ગણ્યાં ગાંઠ્યા સફાઈ કર્મી જ કરે છે સફાઈ સવારમાં 7 વાગ્યે આ લોકો આવે છે અને 10 વાગ્યા સુધીમાં જતા રહે છે. કારણ કે આ લોકો પણ તેમનો કામ ધંધા વચ્ચે આવીને સવારમાં સફાઈ કરે છે બાદમાં AMCના સફાઈ કર્મચારી સફાઈ કરે છે. સવારમાં 10 વાગ્યા બાદ તમને સાબરમતીના તટમાં માત્ર ગણ્યા ગાંઠ્યા AMCના કર્મચારીઓ જ સાફ સફાઈ કરતા જોવા મળશે... હાલમાં સફાઈ અભિયાન વાડજના દધિચી બ્રિજ સુધી પહોંચ્યું છે. રિવરફ્રન્ટની દિવાલ બની ત્યારે કચરો હજી પણ નદીમાં ન્યુ ગુજરાતની ટીમ સાબરમતીના તટમાં ઉતરી તો જોવા મળ્યું કે, નદીના તટમાં માત્ર કચરો જ નહીં. પરંતુ કન્સ્ટ્રકશનનો કચરો પણ ગંદકી માટે કારણભૂત હોવાનું સામે આવ્યું છે. રિવરફ્રન્ટ બન્યા પછી સમગ્ર નદીની પાસે બનાવવામાં આવેલી દિવાલનો સિમેન્ટનો કચરો હજુ નદીમાં જ પડ્યો છે. જેના મોટા મોટા સિમેન્ટનો થર

સાબરમતી નદીમાં જોવા મળે છે. અટલ બ્રિજના કન્સ્ટ્રક્શનનો કચરો પણ યથાવત હાલમાં જે અટલ બ્રિજ બન્યો તેના કન્સ્ટ્રકશનનો કચરો પણ બ્રિજ નીચે જોવા મળે છે. સાબરમતી નદીમાં થતા કન્સ્ટ્રકશનના કામ બાદ જે સિમેન્ટ નદીમાં રહે છે તે જામી જાય છે અને ગઠ્ઠો થઈને મોટા મોટા થર બની જાય છે. જો કામ પૂર્ણ કરીને તે સિમેન્ટના થર હટાવી દેવામાં આવે તો નદીમાં વહેતું પાણી કોઈ જગ્યાએ અટકે નહીં અને ત્યાં કચરો પણ જમા ન થાય. આ બાબતનું ધ્યાન રાખવાનું કામ AMC અને SRFDCLનું છે. મહા અભિયાનમાં 8000 લોકોએ ભાગ લીધો આ અભિયાનમાં શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઝ, ધાર્મિક અને સામાજિક સંગઠનો, NGO અને ઔદ્યોગિક જૂથોના 8 હજારથી વધુ વ્યક્તિએ ભાગ લીધો છે. જેઓ સવારના 7 વાગ્યાથી સફાઈ અભિયાનમાં લાગી જાય છે, ગરમીનો સમય હોવાથી સામાજિક સંસ્થાના લોકો 10 વાગ્યા સુધી સફાઈ કરે છે બાદમાં તેઓ જતા રહે છે. પરંતુ AMCના સફાઈ કર્મીઓ સાંજે 5 વાગ્યા સુધી સફાઈ કરે છે. બપોરે વધુ ગરમી હોવાથી તેઓ પણ થોડો આરામ કરી લે છે. બે JCB, ચાર ટ્રક, છ

ટ્રેક્ટર અને બે હિટાચી મશીનથી સફાઈ AMCએ પણ સફાઈ કર્મીઓને કહ્યું છે કે, બપોરે કોઈ ભારે ગરમીમાં સફાઈ ન કરે, લૂ ન લાગે તે માટે પાણી અને ઠંડા પીણાની વ્યવસ્થા કરી છે. સાફ સફાઈ માટે બે JCB, ચાર ટ્રક, છ ટ્રેક્ટર અને બે હિટાચી મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. AMCએ સંસ્થાઓ અને નાગરિકોને આ પહેલમાં જોડાવા અપીલ કરી છે, જેના માટે SRDCL અને AMCના સોશિયલ મીડિયા પર એક QR કોડ પણ પોસ્ટ કરાયો છે. આ QR કોડ સ્કેન કરી કોઈપણ વ્યક્તિ સફાઈ અભિયાનમાં જોડાઈ શકે છે. જેનો ઉદ્દેશ્ય સાબરમતીના કિનારાના તમામ 11 કિલો મીટરના વિસ્તારને તબક્કાવાર સાફ કરવાનો છે. ગટર કનેક્શનો, મૂર્તિઓ અને પ્લાસ્ટિકે નદી ગંદી કરી સફાઈ અભિયાન પાંચ તબક્કામાં ચાલશે, જે 5 જૂન, પર્યાવરણ દિન સુધી ચાલુ રહેશે. સાફ સફાઈ દરમિયાન નદીમાંથી ઘણા પ્રકારના કચરા ઉપરાંત ભગવાનની મૂર્તિઓ, ધજાઓ, માળાઓ અને મોટી માત્રામાં પ્લાસ્ટિક મળી રહ્યું છે. નદીની સાફ સફાઈના અભિયાન વચ્ચે ગેરકાયદે ગટર કનેક્શનો પણ પકડાયા છે. એક તરફ નદીને સાફ કરવા નદીમાંથી પાણીને ખાલી કરવામાં આવી રહ્યું

છે. બીજી તરફ નદીમાં ગટરનું ગંદુ પાણી છોડવામાં આવ્યું છે. ગટરના ગંદા પાણીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો AMC પર રોષ ઠાલવી રહ્યા છે. પાણી ખાલી થતાં ગટરના કનેક્શનો સામે આવ્યા સાબરમતી રિવરફ્રન્ટ બન્યા બાદ ગટરના આઉટ ફ્લોને બંધ કરી દેવામાં આવ્યો હતો. નદી ભરાયેલી રહેતી હોવાથી તેમાં ગટરનું પાણી ભળી જાય તો કોઈને ખ્યાલ પણ આવતો ન હતો. પરંતુ હવે નદી ખાલી થઈ ગઈ હોવાથી તેમાં ગંદુ પાણી જતા હોવાના વીડિયો સામે આવતા કોર્પોરેશનની બેદરકારી છતી થઈ છે. સુભાષબ્રિજથી કેમ સફાઈ શરૂ કરી? આ સફાઈ કામ સુભાષબ્રિજથી શરુ કરવાનું કારણ એ છે કે, સુભાષ બ્રિજ નજીક સાબરમતી નદી પર બુલેટ ટ્રેનના પિલ્લરોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેથી તે વિસ્તારથી આગળના ભાગથી પાણી ખાલી થાય છે. એટલે જ નદીના કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલું છે, જે આગામી દિવસોમાં સુકાઈ જશે. ત્યારબાદ ત્યાં પણ સફાઈ કરવામાં આવશે. આંગણવાડી અને તમામ વોર્ડના કર્મચારીઓ કરે છે સફાઈ AMCના સફાઈ કર્મી દીપક ચૌહાણે ન્યુ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમે સવારે 7 વાગ્યાથી જ્યાં

સુધી તડકો ન લાગે ત્યાં સુધી સફાઈ કરીએ છીએ. આ સફાઈ અભિયાન માટે તમામ વોર્ડના કર્મચારીઓ અને અધિકારીઓનો ખૂબ સાથ સહકાર જોવા મળ્યો છે. આંગણવાડીના કર્મચારીઓ પણ આ અભિયાનમાં જોડાયા છે. ઘણા કર્મચારીઓ તો સાંજના પાંચ વાગ્યા સુધી પણ કામ કરે છે. રૂ.500થી 600 સુધીનું મહેનતાણું અને જમવાની વ્યવસ્થા આ સફાઈ માટે 500થી 600 રુપિયા સુધીનું મહેનતાણું આપવામાં આવે છે. આ સિવાય જમવાનું અને આવવા જવાનું ભાડું અપાય છે. AMCના અધિકારીઓએ અમને સ્પષ્ટ કહ્યું છે કે, તડકામાં કામ નહીં કરવાનું જેટલું થાય એટલું જ કામ કરવાનું છે. શહેરીજનોને કહેવા માંગીએ છીએ કે, સાબરમતી નદી આપણી માતા સમાન છે. માત્ર સરકાર કે AMCની જવાબદારી નથી કે સાબરમતી નદીને સાફ રાખીએ એક નાગરિક તરીકે આપણી પણ જવાબદારી છે કે, આપણે સાબરમતી નદીમાં કચરો ન ફેંકીએ. ક્લીન એન્ડ ગ્રીન ફાઉન્ડેશનના ઝહીર ભાઈએ જણાવ્યું કે, અમે 2014થી સ્વચ્છ ભારત માટે કામ કરી રહ્યા છીએ. અમારા ગ્રુપમાં 100થી વધુ સ્વયં સેવકો છે. 15 મેથી લઈ અમે આ ઝુંબેશમાં જોડાયા છીએ. અમે 10 વર્ષથી વટવામાં સ્વચ્છ ભારત માટે કામ

કરીએ છીએ, AMCના દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે સંપર્ક કર્યો હતો કે સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવાનું છે એટલે અમે તેમાં જોડાયા છીએ. અમે સવારના 7 વાગ્યાથી સવારના 9.30 સુધી કામ કરીએ છીએ. જૂન 5 સુધી આ કામગીરી કરતા રહીશું. 'રિવરફ્રન્ટ પર જાવ ત્યારે નદીમાં કચરો ના ફેંકો' AMC કર્મચારી દીનેશભાઈ ડાભીએ જણાવ્યું કે, અમારા 300થી વધુ કર્મચારીઓ અને સહભાગી સંસ્થાઓના લોકો આ અભિયાનમાં જોડાયા છે. કોર્પોરેશને નક્કી કરેલા બ્લોકમાં સારી કામગીરી ચાલી રહી છે. જે લોકો રિવરફ્રન્ટ પર આવે છે તેને વિનંતિ કરીશ કે કચરો નદીમાં ન ફેંકે અને ઘરે પણ સુકા અને ભીના કચરાની વ્યવસ્થા કરે. 15મેના રોજ શરૂ થયું સફાઈ અભિયાન 15 મે 2025ના રોજ અમદાવાદના મેયર પ્રતિભા જૈને સફાઈ અભિયાનને લીલી ઝંડી આપી હતી. આ કાર્યક્રમમાં AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, SRFDCLના ચેરમેન I.P. ગૌતમ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શહેરના ધારાસભ્યો, કોર્પોરેટરો, AMC અને SRFDCLના અધિકારીઓ હાજર રહ્યા હતા. બે રાજ્યોના 7 જિલ્લા, 6 નદીને સમાવતી સાબરમતીનો ઇતિહાસ ઉત્તર ગુજરાતની સૌથી મહત્વની એવી સાબરમતી નદીની રાજસ્થાનના ઉદેપુરના ઢેબર લેકથી નીકળી અને

ગુજરાતના અખાતથી મહાસાગરને મળતી આ નદી 371 કિલોમીટર લાંબી છે. સાબરમતી નદીના ઉદ્દભવ સ્થાન વિશે જાણીને આપને નવાઇ લાગશે કે ઇ.સ.1687 થી 1691 વચ્ચે તે સમયના મહારાણા જયસીંહે ઢેબર લેકનું નિર્માણ કર્યું હતું. જે એશિયાની સૌથી મોટું કૃત્રિમ રીતે બનાવેલું મીઠા પાણીનું સરોવર છે. 371 કિલોમીટર લાંબી આ નદી રાજસ્થાનમાં 48 કિલોમીટરનું અંતર કાપી ગુજરાતમાં 323 કિલોમીટરનું અંતર ખંભાતના અખાતમાં પૂર્ણ કરે છે. સાત જિલ્લાને સ્પર્શતી આ નદી રાજસ્થાનના ઉદેપુર તેમજ ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લામાંથી પસાર થાય છે. તેના આ સફરમાં વાકલ, સેઇ, હરણાવ, હાથમતી, વાત્રક અને મધુમતી જેવી 6 નદીઓ તેના મુળ સ્થાનથી નિકળી સાબરમતી નદીમાં ભળી જાય છે. શરૂઆતમાં 10 કિલોમીટરને બાદ કરતાં આ નદી ગુજરાતમાંથી જ વહે છે. હમાવ, ગુહાઈ, હાથમતી, ખારી, મેશ્વો, માઝમ, વાત્રક, મોહર અને શેઢી જેવી ઉપનદીઓમાં સાબરમતીનો પ્રવાહ ભળે છે. સાબરમતી અને એની ઉપનદીઓ પર કેટલાક બંધ જેવા કે – ધરોઇ ડેમ, હાથમતી ડેમ, હર્ણાવ ડેમ, ગુહાઈ ડેમ, મેશ્વો જળાશય, મેશ્વો બંધ, માઝમ ડેમ અને વાત્રક ડેમ આવેલા છે.

Leave a Reply

Related Post