યુવાન પ્રેમિકાને પામવા જૂની પ્રેમિકાને પતાવી દીધી: હાથ પર હતા 4 ટેટુ, પોલીસને જેની શોધ હતી તે જેલમાં બંધ હતો

યુવાન પ્રેમિકાને પામવા જૂની પ્રેમિકાને પતાવી દીધી:હાથ પર હતા 4 ટેટુ, પોલીસને જેની શોધ હતી તે જેલમાં બંધ હતો
Email :

ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના ગઇકાલના એપિસોડમાં તમે વાંચ્યું કે બગોદરા-અમદાવાદ હાઇવે પર આવેલા શિવમંદિરમાંથી એક મહિલાની લાશ મળી. પોલીસે તપાસ કરી પણ કોઇ સફળતા ન મળી. 9 મહિના બાદ કેસની ફાઇલ ખુલી અને ફરી તપાસ શરૂ થઇ. જે દરમિયાન પોલીસને સતત નિષ્ફળતા મળી. અંતે પોલીસે ઉત્તર ગુજરાત પર તપાસ કેન્દ્રીત કરી. જેમાં ગાંધીનગરના પેથાપુરમાંથી પોલીસને એક મહત્વની કડી મળી. હવે આગળ વાંચો.... પોલીસે પેથાપુર ગામમાં ફરીને અરખાની વધુ વિગતો એકઠી કરવાનું શરૂ કર્યું. જેમાં જાણવા મળ્યું કે અરખાના લગ્ન કલોલ તાલુકના ધમાસણા ગામના રઘુજી ઠાકોર સાથે થયા હતા. એલસીબીની ટીમ પળનો પણ વિલંબ કર્યા વગર ધમાસણા ગામે પહોંચી. હવે અહીં પોલીસને રઘુજી ઠાકોરની શોધ હતી કેમ કે રઘુજી ઠાકોર મળે તો જ અરખા કોણ છે,

જેની લાશ મળી છે તે જ આ અરખા છે કે નહીં તે સ્પષ્ટ થઇ શકે તેમ હતું. ગામમાં શોધખોળ કર્યા બાદ પોલીસે રઘુજી ઠાકોરનો પતો મેળવી લીધો. પોલીસનું વાહન સીધું જ રઘુજીના ઘર પાસે જઇને ઊભું રહ્યું. અંદર જતાં જ રઘુજી ઠાકોર મળ્યા. પોલીસે તેને શિવમંદિરમાં મળેલી લાશનો ફોટો દેખાડ્યો. રઘુજીએ તરત જ લાશની ઓળખ કરી લીધી. તેણે પોલીસને કહ્યું કે આ જ મારી પત્ની અરખા છે. જેમ જેમ રઘુજી ઠાકોર આગળ બોલતા જતા હતા તેમ તેમ એક પછી એક સવાલોના જવાબ મળતા જતા હતા. પોલીસે અરખા વિશે પૂછ્યું તો તેણે પોલીસને કહ્યું, સાહેબ, અરખા સાથે મારા લગ્ન થયા હતા. અમારે બે દીકરા અને બે દીકરી મળીને કુલ 4 સંતાન પણ છે. અરખા ભૂવાનું

કામ કરતી હતી. 3 વર્ષ પહેલાં મારી પત્ની અરખા તેનાથી 7 વર્ષ નાના 28 વર્ષીય ભરતજી ઠાકોર સાથે ભાગીને લીવ ઈન રિલેશનશીપમાં રહેવા લાગી હતી. તે ઘણીવાર મારા ઘરે આવતી અને અમારા સંતાનોને મળતી હતી. સંતાનોને મળ્યા પછી તે જતી રહેતી હતી. અંદાજે એકાદ વર્ષથી તે અમારા ઘરે આવી નથી. ઘણા દિવસોથી મને પણ તેના કોઇ વાવડ નથી મળ્યા. રઘુજી ઠાકોરની આ વાતે પોલીસને એક સ્પષ્ટ નિષ્કર્ષ પર તો પહોંચાડી જ દીધી કે જેની લાશ મળી હતી તે આ જ અરખા હતી. હવે ભરતજી ઠાકોર પોલીસના રડારમાં હતો કેમ કે અરખા તેના પતિના ઘરેથી ભરતજી ઠાકોર સાથે રહેવા જતી રહી હતી. પોલીસની ટીમે ભરતજી ઠાકોરને શોધવાની કવાયત શરૂ કરી. તેમાં મોટો વળાંક આવ્યો. તપાસમાં

પોલીસને જાણવા મળ્યું કે અરખા જેની સાથે લીવ ઇન રિલેશનમાં રહેવા ગઇ હતી એ ભરતજી ઠાકોર વિરૂદ્ધ 26 વર્ષની યુવતી પર બળાત્કારનો કેસ નોંધાયેલો છે અને તે અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. જો ભરતજી જેલમાં બંધ હોય તો અરખાની હત્યા કોણે કરી? શું ભરતજીએ જેલમાંથી બહાર આવીને અરખાની હત્યા કરી હતી? આવા અનેક સવાલો હજુ વણઉકેલ્યા હતા એટલે શિવમંદિરમાં મળેલી અરખાની લાશના કેસમાં હવે ભરતજી ઠાકોરની પૂછપરછ કરવા સિવાય પોલીસ પાસે બીજો કોઇ રસ્તો નહોતો. જેથી પોલીસે ટ્રાન્સફર વોરન્ટના આધારે ભરતજી ઠાકોરનો કબ્જો લીધો. અમદાવાદ એલસીબીની ટીમે ભરતજી ઠાકોરની જેવી પૂછપરછ શરૂ કરી કે તેણે અરખા નામની કોઇ મહિલાને ઓળખતો હોવાનો ઈન્કાર કર્યો. પોલીસે તેને કહ્યું કે અરખા તારી સાથે લીવ ઇનમાં રહેતી હોવાની

માહિતી ખુદ તેના પતિ રઘુજીએ જ અમને આપી છે. અરખાના પતિ રઘુજી ઠાકોરનું નામ આવતા ભરતજી ઠાકોર થોડો ઢીલો પડી ગયો. તેણે અરખાને ઓળખતો હોવાનું અને છેલ્લા થોડા સમયથી લીવ ઇનમાં સાથે જ રહેતા હોવાનું સ્વીકારી લીધું. જોકે આમ છતાં તેને અરખા ક્યાં ગઇ છે તે ખબર ન હોવાનું રટણ ચાલુ જ રાખ્યું. ભરતજી એમ માનતો હતો કે તે આવું કહેશે તો પોલીસ તેની વાત પર ભરોસો કરી લેશે. પોલીસને ભરતજી કંઇક છુપાવી રહ્યો હોવાની આશંકા હતી એટલે એલસીબીની ટીમે કડક પૂછપરછ કરતાં જ ભરતજી ઠાકોર ચોંધાર આંસુએ રડવા લાગ્યો. તેણે પોલીસ પાસે પીવા માટે એક ગ્લાસ પાણી માંગ્યું. પોલીસે ગ્લાસ ભરીને પાણી આપ્યું. બે ઘૂંટડા પીધા પછી વધુ પાણી પીવાને બદલે ગ્લાસ એકબાજુ

મુકીને તેણે બોલવાનું શરૂ કર્યું. રડતા રડતા તેણે જે કબૂલાત કરી તે ચોંકાવનારી હતી. એક જ ઝાટકે તેણે પોપટની જેમ બધું ઓકી નાખ્યું. ચાર સંતાનની માતા અરખા ધાર્મિકવૃત્તિની હતી. આથી તે સેરીશા ગામના રઇજીજી ભૂવાને ત્યાં અવારજવાર આવતી-જતી હતી. આ દરમિયાન અરખાની મુલાકાત રઇજીજી ભૂવાના દીકરા ભરતજી ઠાકોર સાથે થવા લાગી. ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમ પાંગર્યો. ત્યાર બાદ અરખા પોતાના પતિ અને સંતાનોને મૂકીને છેલ્લાં ત્રણ વર્ષથી ભરતજી ઠાકોર સાથે પતિ-પત્ની જેમ રહેવા લાગી હતી. શરૂઆતમાં તો બન્ને ખુશી-ખુશી એકબીજા સાથે રહેતા હતા પણ જેમ જેમ સમય વિતતો જતો હતો તેમ તેમ ભરતજીનું મન અરખામાં લાગતું નહોતું. દરમિયાન સાંતેજ ગામની 28 વર્ષની અન્ય એક યુવતી પર ભરતજી ઠાકોરનું દિલ આવી ગયું હતું. આ

યુવતી ઉંમરમાં 26 વર્ષના ભરતજી ઠાકોરની સમોવડી હતી. જ્યારે અરખાની ઉંમર ભરતજી કરતાં 9 વર્ષ વધુ હતી. હવે ભરતજીને અરખાના બદલે સાંતેજ ગામની એ યુવતી વધુ ગમવા લાગી હતી. ભરતજીને લાગ્યું કે જ્યાં સુધી અરખા છે ત્યાં સુધી તે સાંતેજ ગામની પોતાની પ્રેમિકાને પામી શકશે નહીં. આમ નવી અને નાની ઉંમરની પ્રેમિકાને પામવા માટે ભરતજી ઠાકોરને અરખાનો કાંટો કાયમી દૂર કરવાનો મનસુબો ઘડી કાઢ્યો હતો. પોતાના આ મનસૂબાને પાર પાડવા માટે તેણે મનોમન એક ખતરનાક ષડયંત્ર રચી નાખ્યું. પોતાના પ્લાન મુજબ તેણે અરખાને ચોટીલા દર્શન કરવા જઇએ તેવું કહ્યું. ભરતજીના પ્લાનથી અજાણ અરખાએ તરત જ હા પાડી દીધી. 1 જૂન, 2015ના દિવસે ભરતજી ઠાકોર અરખાને પોતાની પેશન પ્લસ બાઇક પર બેસાડી ચોટીલા દર્શન કરવાના

બહાને ઘરેથી લઇને નીકળ્યો હતો. આ દરમિયાન તે અરખાની હત્યા કરવા માટે યોગ્ય જગ્યાની શોધમાં હતો. જતી વખતે તેણે અનેક જગ્યા જોઇ પણ તેને ક્યાંય મોકો ન મળ્યો, પાછા આવતી વખતે તે પોતાના પ્લાનમાં સફળ રહ્યો. દર્શન કરીને પાછા આવતી વખતે રાત પડી ગઇ હતી એટલે તેણે અરખાને કહ્યું કે 'અરખા, રાત પડી ગઇ છે અને આપણે બાઇક પર છીએ, આવી સ્થિતિમાં રાતનું ડ્રાઇવિંગ કરવું સારૂં નથી એટલે આપણે અહીંયા જ ક્યાંક રાત રોકાઇ જઇએ તો?' અરખાને પણ ભરતજીની વાતમાં તથ્ય લાગ્યું. તેણે ભરતજીને કહ્યું કે 'હા, ક્યાંક સારી જગ્યાએ રોકાઇ જઇએ, સવાર પડતાં જ આપણે પાછા જતા રહીશું.' આના પછી અરખા અને ભરતજી બગોદરા હાઇવે પર આવેલા શિવમંદિરમાં રોકાઇ ગયા. વહેલી સવારે તક

જોઇને ભરતજીએ અરખાના માથામાં પાવડાનો ઘા મારી તેનું ઢીમ ઢાળી દીધું હતું અને પછી ભાગી ગયો હતો. અરખાની હત્યા કર્યા બાદ ભરતજી બદરખા નજીક માંડળપુરા ગામે આવેલા સંબંધીના ઘરે પહોંચ્યો હતો. જ્યાં તેણે પોતાના કપડાં બદલાવી નાખ્યા હતા. બાદમાં તે પોતાના ઘરે પાછો આવતો રહ્યો હતો. આ કેસની શોકિંગ વાત એ હતી કે સાંતેજની જે પ્રેમિકાને પામવા માટે ભરતજી ઠાકોરે અરખાની હત્યા કરી હતી તેણે જ પછીથી ભરતજી ઠાકોર પર બળાત્કારનો કેસ કર્યો હતો. આ બળાત્કારના કેસમાં તેને સાબરમતી જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. આમ પોલીસની મહેનત અને ખંતથી ઘાસમાંથી સોઇ શોધવા જેવો કેસ ઉકેલાયો હતો.... યુવાન પ્રેમિકાને પામવા જૂની પ્રેમિકાને પતાવી દીધી, વાંચો પાર્ટ-1 ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના અન્ય કેસ વાંચવા અહીં ક્લીક કરો

Leave a Reply

Related Post