આજના સમયમાં જ્યારે શુદ્ધ આહાર મેળવવો મુશ્કેલ બની રહ્યો છે, ત્યારે પોતાના રસોડાના બગીચા અથવા બાલ્કનીમાં શાકભાજી અને જડીબુટ્ટીઓ ઉગાડવી એ માત્ર એક શોખ નથી, પણ સ્વાસ્થ્ય માટેની જરૂરિયાત છે. પોતાના હાથે ઉગાડેલા છોડમાંથી તાજા પાંદડા કે ફળ તોડીને રસોઈમાં વાપરવાનો આનંદ અનેરો હોય છે. અહીં એવા ૬ છોડ વિશે માહિતી આપવામાં આવી છે જે ઉગાડવા અત્યંત સરળ છે અને રસોડામાં દરરોજ કામ લાગે છે.
1. સુગંધિત ધાણા (કોથમીર):
કોઈપણ ભારતીય વાનગી ધાણા વગર અધૂરી છે. દાળ, શાક કે ચટણીમાં ધાણાનો ઉપયોગ સ્વાદ અને સુગંધ બંને વધારે છે. ધાણાના બીજ વાવ્યાના ૫-૬ દિવસમાં જ તે ઉગવા લાગે છે. તેને તમે કુંડામાં પણ સરળતાથી ઉગાડી શકો છો.
2. તાજગી આપતો ફુદીનો:
ઉનાળામાં ફુદીનો વરદાન સમાન છે. લીંબુ શરબત, ઠંડા પીણાં કે છાશમાં ફુદીનો ઉમેરવાથી તાત્કાલિક તાજગી મળે છે. તે પાચન માટે પણ ઉત્તમ છે અને ઉબકા જેવી સમસ્યામાં રાહત આપે છે. ફુદીનો એકવાર વાવ્યા પછી ઝડપથી ફેલાય છે.
3. ગુણકારી કઢી પત્તા (મીઠો લીમડો):
વઘારમાં વપરાતા કઢી પત્તા માત્ર સ્વાદ જ નહીં પણ સ્વાસ્થ્ય પણ સુધારે છે. તે વાળ અને ત્વચા માટે અત્યંત ફાયદાકારક છે. રોજ સવારે કાચા કઢી પત્તા ચાવવા એ ડાયાબિટીસ અને પાચન માટે પણ સારું માનવામાં આવે છે. આ એક કાયમી છોડ છે જે તમારા બગીચાની શોભા વધારે છે.
4. રસીલા ટામેટાં:
રસોઈમાં ગ્રેવી બનાવવી હોય કે સલાડ, ટામેટાં અનિવાર્ય છે. રસોડાના બગીચામાં ટામેટાંના ૨-૩ છોડ વાવવાથી તમને નિયમિતપણે તાજા ફળ મળી શકે છે. જો જગ્યા ઓછી હોય, તો તમે તેની 'ડ્રાફ્ટ વેરાયટી' (નાની જાત) પસંદ કરી શકો છો.
5. લસણ અને ડુંગળી (લીલી ડુંગળી):
ગાર્નિશિંગ માટે લીલી ડુંગળી અને લસણના પાનનો ઉપયોગ વાનગીનો દેખાવ અને પોષણ બંને વધારે છે. સલાડ, પુલાવ કે સૂપમાં આ બંને વસ્તુઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેને ઉગાડવા માટે રસોડામાં રહેલી કળીઓનો જ ઉપયોગ કરી શકાય છે.
6. તીખાં લીલાં મરચાં:
ભારતીય રસોઈમાં મરચાં વગર તીખાશ નથી આવતી. મરચાંના પકોડા હોય કે અથાણું, તાજા મરચાંનો સ્વાદ અલગ જ હોય છે. મરચાંનો છોડ નાનો હોય છે, તેથી તેને નાના કુંડામાં પણ આરામથી ઉગાડી શકાય છે.
આ પણ વાંચોઃ Alert! બ્રશ કરવામાં આળસ તમારા હૃદય માટે બની શકે છે જીવલેણ, જાણો શું કહે છે નવો અભ્યાસ


